Thursday, April 25, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ‘મોદી તેરી કબર ખુદેગી’: દિલ્હી એરપોર્ટ પર કોંગ્રેસી નેતાઓએ લગાવ્યા નારા, પવન...

    ‘મોદી તેરી કબર ખુદેગી’: દિલ્હી એરપોર્ટ પર કોંગ્રેસી નેતાઓએ લગાવ્યા નારા, પવન ખેડાની ધરપકડ, આસામ લઇ જવાશે

    આસામ પોલીસના પ્રવક્તાએ જણાવ્યું કે, કોંગ્રેસ નેતા પવન ખેડા સામે આસામના એક પોલીસ મથકે કેસ દાખલ કરવામાં આવ્યો છે. આ કેસ મામલે પવન ખેડાના રિમાન્ડ મેળવવા માટે આસામ પોલીસની એક ટીમ દિલ્હી જવા રવાના થઇ છે.

    - Advertisement -

    કોંગ્રેસ નેતા પવન ખેડાની દિલ્હી એરપોર્ટ પરથી ધરપકડ કરી લેવામાં આવી છે. તેઓ અન્ય કોંગ્રેસ નેતાઓ સાથે છત્તીસગઢના રાયપુર જઈ રહ્યા હતા ત્યારે પ્લેન રવાના થાય તે પહેલાં જ દિલ્હી પોલીસે તેમને અટકાવ્યા હતા. ત્યારબાદ આસામ પોલીસે તેમની ધરપકડ કરી લીધી હતી. બીજી તરફ, ખેડા સામેની કાર્યવાહીનો વિરોધ કરવા કોંગ્રેસી નેતાઓ વિમાન પાસે જ ધરણાં પર બેસી ગયા હતા અને ‘મોદી તેરી કબર ખુદેગી’ જેવા નારા લગાવ્યા હતા.  

    દિલ્હી પોલીસે જણાવ્યું કે, આસામ પોલીસ તરફથી તેમને પવન ખેડાને એરપોર્ટ પર અટકાવવા માટે વિનંતી કરવામાં આવી હતી. ત્યારબાદ ડીસીપી સહિતનો કાફલો એરપોર્ટ પહોંચ્યો હતો અને પવન ખેડાને રોકવામાં આવ્યા હતા. તેમને દિલ્હીની લોકલ કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને ત્યારબાદ ટ્રાન્ઝિસ્ટ રિમાન્ડ મેળવીને આસામ લઇ જવામાં આવશે.

    આસામ પોલીસના પ્રવક્તાએ જણાવ્યું કે, કોંગ્રેસ નેતા પવન ખેડા સામે આસામના એક પોલીસ મથકે કેસ દાખલ કરવામાં આવ્યો છે. આ કેસ મામલે પવન ખેડાના રિમાન્ડ મેળવવા માટે આસામ પોલીસની એક ટીમ દિલ્હી જવા રવાના થઇ છે. આસામ પોલીસે કહ્યું કે, અમે દિલ્હી પોલીસને પવન ખેડાની ધરપકડ કરવા માટે વિનંતી કરી છે. લોકલ કોર્ટની પરવાનગી મેળવ્યા બાદ તેમને આસામ લાવવામાં આવશે.

    કોંગ્રેસી નેતાઓએ વાંધાજનક નારા લગાવ્યા 

    - Advertisement -

    બીજી તરફ, પવન ખેડાને એરપોર્ટ પર અટકાવવામાં આવ્યા બાદ કોંગ્રેસી નેતાઓ એરપોર્ટ પર જ ધરણાં પર બેસી ગયા હતા અને આપત્તિજનક નારા પણ લગાવ્યા હતા. એરપોર્ટ પર બેઠેલા કોંગ્રેસી નેતાઓએ ‘મોદી તેરી કબર ખુદેગી’ અને ‘નરેન્દ્ર મોદી હાય..હાય’ જેવા નારા લગાવ્યા હતા. 

    ખેડાએ પીએમ મોદીના પિતા વિશે આપત્તિજનક ટિપ્પણી કરી હતી 

    ઉલ્લેખનીય છે કે તાજેતરમાં કોંગ્રેસ નેતા પવન ખેડાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પિતા માટે આપત્તિજનક ટિપ્પણી કરી હતી. અદાણી જૂથ પર લાગેલા આરોપોની તપાસ કરવા માટે જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી (JPC) બનાવવાની માંગને લઈને પવન ખેડાએ કહ્યું હતું કે, “જો નરસિમ્હા રાવ JPC બનાવી શકતા હોય, અટલ બિહારી વાજપેયી JPC બનાવી શકતા હોય, તો નરેન્દ્ર ગૌતમદાસ- સૉરી દામોદરદાસ મોદીને શું વાંધો છે?” ત્યારબાદ તેઓ બાજુમાં બેઠેલા તેમના સાથીને પૂછે છે કે (મોદીના પિતાનું નામ) ગૌતમદાસ છે કે દામોદરદાસ? 

    પવન ખેડા આટલેથી અટકતા નથી અને કટાક્ષ કરતાં કહે છે કે ભલે નામ દામોદરદાસ છે પરંતુ તેમના કામ ગૌતમ દાસ સમાન છે. જોકે, ત્યારબાદ પવન ખેડાએ એક ટ્વિટ કરીને છટકબારી શોધતાં કહ્યું હતું કે તેઓ વાસ્તવમાં વડાપ્રધાનના નામને લઈને ‘ભ્રમિત’ થઇ ગયા હતા. 

    યુપી-આસામમાં FIR થઇ હતી 

    કોંગ્રેસી નેતાની આવી ટિપ્પણી બાદ તેમની ઉપર અનેક FIR દાખલ થઇ હતી. ઉત્તર પ્રદેશના લખનૌના હઝરતગંજ પોલીસ મથક ખાતે 17 ફેબ્રુઆરીના રોજ ખેડા સામે એક FIR દાખલ કરવામાં આવી હતી. તેમની સામે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પિતા વિશે અપમાનજનક ભાષા વાપરવાનો આરોપ લાગ્યો હતો. 

    આ સિવાય આસામમાં પણ તેમની સામે FIR નોંધવામાં આવી હતી, જેને લઈને આજે આસામ પોલીસ દિલ્હી પહોંચી હતી. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં