Monday, April 29, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટકેનેડા સ્થિત BAPS સ્વામિનારાયણ મંદિરની દીવાલ પર ‘ખાલિસ્તાન ઝિંદાબાદ’ના નારા લખીને અપમાન...

    કેનેડા સ્થિત BAPS સ્વામિનારાયણ મંદિરની દીવાલ પર ‘ખાલિસ્તાન ઝિંદાબાદ’ના નારા લખીને અપમાન કરાયું: ભારતીય ઉચ્ચ આયોગનો વિરોધ, કાર્યવાહીની માંગ

    હિંદુ મંદિરની બહાર ખાલિસ્તાની નારા લખીને માહોલ બગાડવાના પ્રયત્નો થતાં સ્થાનિક હિંદુઓનો વિરોધ.

    - Advertisement -

    કેનેડા ટોરન્ટો સ્થિત સ્વામિનારાયણ મંદિરની દીવાલ પર ભારતવિરોધી લખાણ લખવામાં આવ્યું હોવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે. જે મામલે ભારતીય હાઈકમિશને વાંધો ઉઠાવ્યો છે અને જવાબદાર તત્વો સામે કડક કાર્યવાહીની માંગ કરી છે. આ ઘટના મંગળવારની છે. 

    રિપોર્ટ અનુસાર, ટોરન્ટોના સ્વામિનારાયણ મંદિરની દીવાલ પર ‘ખાલિસ્તાન ઝિંદાબાદ’ના નારા ચીતરવામાં આવ્યા હતા. કેટલાક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે, જેમાં મંદિરની બહાર આવેલી દીવાલ પર ‘ખાલિસ્તાન ઝિંદાબાદ’ અને ‘હિંદુસ્તાન મુર્દાબાદ’ લખેલું જોવા મળે છે. 

    જોકે, હજુ સુધી એ જાણી શકાયું નથી કે આ કૃત્યને કોઈ એક વ્યક્તિએ અંજામ આપ્યો છે કે કોઈ સંગઠનના લોકોનો હાથ છે. કારણ કે, કેનેડામાં ખાલિસ્તાની સંગઠનો સારાં એવા સક્રિય છે. 

    - Advertisement -

    ઓટાવા સ્થિત ભારતીય ઉચ્ચ આયોગે આ મામલે વાંધો ઉઠાવ્યો છે. કમિશન તરફથી ટ્વિટ કરીને જણાવવામાં આવ્યું કે, “ટોરન્ટો સ્થિત BAPS સ્વામિનારાયણ મંદિરમાં ભારત વિરોધી નારા લખીને નુકસાન પહોંચાડવું નિંદનીય છે. અમે કેનેડાના અધિકારીઓને ઘટનાની તપાસ કરવા અને ગુનેગારો સામે કડકમાં કડક કાર્યવાહી કરવા માટે આગ્રહ કર્યો છે.”

    કેનેડામાં મંદિર બહાર ભારત વિરોધી નારા લખવામાં આવ્યા બાદ સ્થાનિક હિંદુઓએ વિરોધ ઉઠાવ્યો છે તો બીજી તરફ કેટલાક કેનેડિયન સાંસદો પણ વિરોધમાં આવ્યા છે. કેનેડાના સાંસદ ચંદ્ર આર્યએ કહ્યું કે, મંદિરોમાં થતા આવા કૃત્યથી કેનેડાનો હિંદુ સમાજ ચિંતિત છે. તેમણે ટ્વિટ કરીને કહ્યું, ‘ખાલિસ્તાની કટ્ટરપંથીઓ દ્વારા ટોરન્ટોના બીએપીએસ સ્વામિનારાયણ મંદિરમાં કરવામાં આવેલ કૃત્યને વખોડી કાઢવું જોઈએ. આ એકમાત્ર ઘટના નથી. તાજેતરમાં જ કેનેડાના હિંદુ મંદિરોને આ પ્રકારે નિશાન બનાવવામાં આવતાં રહ્યાં છે. હિંદુ કેનેડિયન આ અંગે ચિંતિત છે.”

    અન્ય એક કેનેડિયન સાંસદ રુબી સાહોતાએ કહ્યું કે, “કેનેડામાં દરેક પંથ, સંપ્રદાયને કોઈ પણ પ્રકારના ભય વગર પ્રચાર-પ્રસાર કરવાનો અધિકાર છે. આ કૃત્ય કરનારા ગુનેગારોને સજા કરવામાં આવે તે જરૂરી છે. 

    કેનેડાના ટોરન્ટો સ્થિત બીએપીએસ સ્વામિનારાયણ મંદિરનો શિલાન્યાસ વર્ષ 2000માં સંસ્થાના તત્કાલીન વડા પ્રમુખસ્વામી મહારાજની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો હતો. ત્યારબાદ મંદિરને સંપૂર્ણ બનીને તૈયાર થતાં સાત વર્ષનો સમય લાગ્યો હતો. જુલાઈ 2007માં પ્રમુખસ્વામી મહારાજની જ હાજરીમાં પ્રાણપ્રતિષ્ઠા કરી મંદિર ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. 

    આ મંદિર બનાવવામાં 40 મિલિયન ડોલરનો ખર્ચ થયો હોવાનું કહેવાય છે. મંદિરનું બાંધકામ ભારતીય સંસ્કૃતિ મુજબ થયું છે. જે માટે ભારતથી પથ્થરની કોતરણી કરીને કેનેડા લઇ જવામાં આવ્યા હતા. 18 એકરમાં ફેલાયેલા આ હિંદુ મંદિરમાં મુખ્ય મંદિર ઉપરાંત, હવેલી અને મ્યુઝિયમ પણ આવેલ છે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં