Saturday, April 27, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટજૂનાગઢના ઉપરકોટ કિલ્લા વિસ્તારમાં ફરી વળ્યું બુલડોઝર: મુસ્લિમ સમુદાયના વિરોધ વચ્ચે સંખ્યાબંધ...

    જૂનાગઢના ઉપરકોટ કિલ્લા વિસ્તારમાં ફરી વળ્યું બુલડોઝર: મુસ્લિમ સમુદાયના વિરોધ વચ્ચે સંખ્યાબંધ ગેરકાયદેસર દબાણો હટાવાયાં

    જૂનાગઢમાં આવેલા ઉપરકોટ કિલ્લાનું રાજ્ય સરકારે 70 કરોડના ખર્ચે રિનોવેશન કર્યું છે. હવે તેને ખુલ્લો મૂકવામાં આવનાર છે ત્યારે તે પહેલાં વર્ષોથી અતિક્રમણ કરીને તાણી બાંધવામાં આવેલાં મકાનો હવે દૂર કરવામાં આવી રહ્યાં છે.

    - Advertisement -

    જૂનાગઢ સ્થિત ઉપરકોટ કિલ્લા વિસ્તારમાં સ્થાનિક તંત્રે મોટાપાયે દબાણો હટાવવાની કામગીરી શરૂ કરી છે. જેમાં અતિક્રમણ કરીને બનાવી દેવામાં આવેલાં અનેક બાંધકામો ઉપર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. જેમાં મજાર, મંદિરો વગેરે મઝહબી-ધાર્મિક બાંધકામોનો પણ સમાવેશ થાય છે. બીજી તરફ, આ ડિમોલિશન કાર્યવાહીને લઈને સ્થાનિક મુસ્લિમ સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે અને તેમણે રસ્તા પર ઉતરી આવીને વિરોધ કર્યો હતો. 

    જૂનાગઢ ખાતે આવેલા ઉપરકોટ કિલ્લાનું રાજ્ય સરકારે 70 કરોડના ખર્ચે રિનોવેશન કર્યું છે. હવે તેને ખુલ્લો મૂકવામાં આવનાર છે ત્યારે તે પહેલાં વર્ષોથી અતિક્રમણ કરીને તાણી બાંધવામાં આવેલાં મકાનો હવે દૂર કરવામાં આવી રહ્યાં છે. લગભગ 150 પોલીસકર્મીઓની હાજરીમાં ડિમોલિશન કાર્યવાહી હાથ ધરીને શુક્ર-શનિની રાત્રે આ બાંધકામો તોડવામાં આવ્યાં હતાં, જેમાંથી અમુક ધાર્મિક અને મઝહબી બાંધકામો પણ છે. 

    રિપોર્ટ્સ અનુસાર, અત્યાર સુધીમાં 176 જેટલી મજાર અને અન્ય ધાર્મિક સ્થળો તોડી પાડવામાં આવ્યાં છે. આમાં 11 મંદિરો હોવાનું જણાવવામાં આવ્યું છે, જેને પણ હટાવી દેવામાં આવ્યાં હતાં. 

    - Advertisement -

    તાજેતરમાં કરવામાં આવેલી કામગીરી શુક્રવારે રાતથી શરૂ કરવામાં આવી હતી, જે બીજા દિવસે વહેલી સવાર સુધી ચાલી હતી. આ આખી કામગીરી દરમિયાન જિલ્લા કલેક્ટર, આઈ.જી. સહિતના ઉચ્ચ અધિકારીઓ આખી રાત હાજર રહ્યા હતા. વિરોધને ધ્યાને રાખતાં ખૂબ જ ગુપ્ત રીતે દબાણ તોડવાની સમગ્ર પક્રિયા હાથ ધરાઈ હતી. આઠથી વધુ બુલડોઝર સહિત મશીનરીની મદદથી ડિમોલિશન હાથ ધરાયું હતું. નોંધનીય છે કે લગભગ 60 કરોડના ખર્ચે ઉપરકોટ કિલ્લાનું નવિનીકરણ થઈ રહ્યું છે. કામગીરી પત્યા બાદ થોડા જ સમયમાં આ કિલ્લાને જાહેર જનતા માટે ખુલ્લો મૂકાશે.

    આ આખી કામગીરી બાબતે જૂનાગઢ પ્રાંત અધિકારી ભૂમિ કેશવાલાએ મીડિયાને જણાવ્યું હતું કે 1950 પછીની અને ગેરકાયદેસર રીતે ઉભી કરાયેલી મિલકતોને તોડી પાડવામાં આવશે અને કોઈપણ પ્રકારની ખલેલ વિના આ કામ શરૂ કરી દેવામાં આવ્યું છે. સંપૂર્ણ ડીમોલેશનની કામગીરી પૂર્ણ થયા બાદ જ વિગતવાર માહિતી આપવામાં આવશે.

    તંત્રે દબાણ હટાવવાની કામગીરી શરૂ કરતાં સ્થાનિક મુસ્લિમ સમુદાયનાં ટોળાં સ્થળ પર પહોંચી ગયાં હતાં અને વાંધો ઉઠાવ્યો હતો. જોકે, તંત્રે પણ પૂરતી તૈયારી કરીને વધુ પોલીસ બંદોબસ્ત બોલાવી લીધો હતો અને ઉપરકોટ જવાના રસ્તે પ્રવેશબંદી કરી દેવામાં આવી હતી. જેના કારણે મુસ્લિમ સમુદાયના લોકો ત્યાં જ બેસી રહ્યા હતા. 

    ઉલ્લેખનીય છે કે દબાણ હટાવવાની આ કામગીરી સામે મુસ્લિમ સમુદાય દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં એક અરજી પણ દાખલ કરવામાં આવી છે અને તાત્કાલિક સુનાવણીની પણ માંગ કરવામાં આવી છે. તેમનું કહેવું છે કે હાઇકોર્ટે તંત્રને નોટિસ ફટકારી છે અને 24 જુલાઈના રોજ આગલી સુનાવણી ન થાય ત્યાં સુધી ડિમોલિશનની કોઈ પણ કામગીરી કરવાની મનાઈ ફરમાવવામાં આવી છે. જેને લઈને તેમણે કલેક્ટરને આવેદન પણ સોંપ્યું હોવાનું જણાવવામાં આવ્યું છે. બીજી તરફ, તંત્ર દ્વારા કામગીરી હાથ ધરીને પુરાતત્વ વિભાગમાં જેની નોંધ છે તે સિવાયનાં બાંધકામ હટાવી દેવામાં આવ્યાં હતાં. 

    નોંધનીય છે કે થોડા સમય અગાઉ જ દેવભૂમિ દ્વારકા જિલ્લાના રેવન્યુ તંત્ર દ્વારા ચોક્કસ માપણી તેમજ લીગલ નોટિસ અપાયા બાદ ગેરકાયદેસર દબાણકર્તાઓના બાંધકામ ઉપર બુલડોઝર ફેરવવાની કામગીરી કરવામાં આવી હતી. હર્ષદ મંદિર નજીકની દરિયાઈ પટ્ટીના ભાગોમાં દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ અધિક્ષક નિતેશ પાંડેયના સુવ્યવસ્થિત આયોજન તેમજ રેવન્યુ તંત્રને સાથે રાખીને દરરોજ કોમર્શિયલ, રહેણાંક તેમજ કેટલાક ધાર્મિક દબાણો પણ દૂર કરવામાં આવ્યાં હતાં.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં