Saturday, July 27, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટબ્રિટિશ વડાપ્રધાન બોરિસ જોન્સન ભારત પ્રવાસે આવ્યા, પોતાના બે દિવસીય પ્રવાસમાં આવતીકાલે...

    બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જોન્સન ભારત પ્રવાસે આવ્યા, પોતાના બે દિવસીય પ્રવાસમાં આવતીકાલે દિલ્હી ખાતે પ્રધાનમંત્રી મોદીને મળશે

    યુકેના વડાપ્રધાન બોરીસ જહોન્સન તેમની ભારત મુલાકાતના પ્રથમ દિવસે અમદાવાદ આવ્યા હતા અને અહીં તેમણે વિવિધ સ્થળોની મુલાકાત પણ લીધી હતી.

    - Advertisement -

    બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જોન્સન આજથી ભારતની બે દિવસીય મુલાકાત પર. તેઓ ગુરુવારે સવારે અમદાવાદ એરપોર્ટથી તેમની હોટેલ સુધીના રોડ-શો સાથે પોતાના પ્રવાસની શરૂઆત કરી હતી. શહેરમાં, તેઓએ ગાંધી આશ્રમની મુલાકાત લીધી, અને બાદમાં ગુજરાત બાયોટેકનોલોજી યુનિવર્સિટી, ગાંધીનગરમાં અક્ષરધામ મંદિર અને વડોદરા શહેર નજીક હાલોલ ખાતે જેસીબી કંપનીના પ્લાન્ટની પણ મુલાકાત લેશે. મળતી માહિતી મુજબ બ્રિટિશ વડાપ્રધાન ભારતના જાણીતા ઉદ્યોગપતિ ગૌતમ અદાણી સાથે બંધ બારણે મુલાકાત પણ કરવાના છે.

    પોતાના આ પ્રવાસ દરમિયાન બોરિસ જોન્સન પ્રસ્તાવિત મુક્ત વેપાર સમજૂતીને નવેસરથી આગળ ધપાવશે, ઇન્ડો-પેસિફિકમાં સહકારને વેગ આપશે અને સંરક્ષણ સંબંધોને વધારશે એવું માનવમાં આવી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે બોરિસ જોન્સનની વાટાઘાટોનું મુખ્ય કેન્દ્ર ઇન્ડો-પેસિફિકની પરિસ્થિતિ પર રહેશે કારણ કે યુકે આ ક્ષેત્રમાં કોઈપણ પ્રકારની બળજબરીનો સખત વિરોધ કરે છે.

    જ્હોન્સન તેમની બે દિવસીય ભારત મુલાકાત માટે આજે વહેલી સવારે ગુજરાત પહોંચ્યા હતા. અમદાવાદ એરપોર્ટ પર ગુજરાતનાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

    - Advertisement -

    બોરિસ જ્હોન્સનના ભારત પ્રવાસના મુખ્ય એજન્ડા

    બ્રિટિશ સૂત્રોએ જણાવ્યું હતું કે બોરિસ જ્હોન્સનનું ભારત આગમન પર ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ગાંધી આશ્રમની મુલાકાત લેશે. એ બાદ તેઓ રાજ્યની એક યુનિવર્સિટી અને બાદમાં JCB ફેક્ટરીની મુલાકાત લેશે અને અમદાવાદમાં બિઝનેસ મીટિંગો કરશે.

    ગુજરાતમાં તેમના આજના પ્રવાસ પછી, બોરિસ જોન્સન દેશની રાજધાનીમાં આવશે જ્યાં તેમનું ઔપચારિક સ્વાગત કરવામાં આવશે અને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળશે.

    બ્રિટિશ વડાપ્રધાનની આ મુલાકાત હેઠળના મુદ્દાઓમાં ઈન્ડો-પેસિફિકનો ઉદય અને તેમાં ભારતની કેન્દ્રીયતા, યુક્રેન યુદ્ધ, બ્રેક્ઝિટ, વેપાર, સંરક્ષણ, સુરક્ષા, આરોગ્ય, ટકાઉપણું અને ભારત દ્વારા બનાવવામાં આવેલી કોવિડ-19 રસીના 1.5 અબજ ડોઝથી કેવી રીતે ફરક પડ્યો તે સામેલ છે.

    બોરિસ જોન્સન આજે ગુજરાતમાં

    સાબરમતી આશ્રમની મુલાકાત લેનાર પહેલા બ્રિટિશ PM બોરિસ જોન્સન

    બ્રિટિશ પ્રધાનમંત્રી અમદાવાદમાં સૌપ્રથમ સાબરમતી આશ્રમ પહોચ્યા હતા. સાબરમતી આશ્રમની તેમની મુલાકાત દરમિયાન પણ ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તેમની સાથે હાજર રહ્યા હતા. ‘ગાઈડ ટુ લંડન’, મહાત્મા ગાંધી દ્વારા લખાયેલા પ્રથમ થોડા પુસ્તકો પૈકીનું એક જે ક્યારેય પ્રકાશિત થયું નથી તે પણ સાબરમતી આશ્રમ દ્વારા યુકેના વડા પ્રધાનને ભેટમાં આપવામાં આવ્યું હતું.

    સાબરમતી આશ્રમ ખાતે ચરખો ચલાવતા બ્રિટિશ વડાપ્રધાન (ફોટો સાભાર : ધ હિન્દુ)

    સાબરમતી આશ્રમના મુલાકાતીઓના પુસ્તકમાં બોરિસ જ્હોન્સન લખ્યું હતું કે, “આ અસાધારણ માણસના આશ્રમમાં આવવું અને તેણે વિશ્વને વધુ સારા માટે બદલવા માટે સત્ય અને અહિંસાના આવા સરળ સિદ્ધાંતોને કેવી રીતે એકત્ર કર્યા તે સમજવું એ એક મોટો લહાવો છે.” આ સાથે જ જોન્સન સાબરમતી આશ્રમની મુલાકાત લેવા વાળા પહેલા બ્રિટિશ વડાપ્રધાન બન્યા હતા.

    પોતાના પ્રવાસના પ્રથમ દિવસે, જોન્સન અમદાવાદમાં અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીને મળ્યા હતા. ટ્વિટર પર મીટિંગનો ફોટો શેર કરતા, અદાણીએ લખ્યું: “અદાણી હેડક્વાર્ટર ખાતે ગુજરાતની મુલાકાત લેનારા પ્રથમ યુકેના પીએમ બોરિસ જોહ્ન્સનને આવકારવા બદલ અમે સન્માનિત અનુભવીએ છીએ. પુનઃપ્રાપ્ય ઊર્જા, ગ્રીન H2 અને નવી ઉર્જા પર ધ્યાન કેન્દ્રિત કરીને આબોહવા અને ટકાઉપણું એજન્ડાને સમર્થન આપવા બદલ આનંદ થાય છે. સંરક્ષણ અને એરોસ્પેસ ટેક્નોલોજીના સહ-નિર્માણ માટે યુકેની કંપનીઓ સાથે રહીને પણ તેઓ કામ કરશે.”

    બોરિસ જોન્સને ગુજરાતની હાલોલ GIDC ખાતે આવેલી JCB ફેક્ટરીની મુલાકાત લીધી હતી.

    યુકેના PM બોરીસ જોન્સન અને ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલે સાથે પંચમહાલના હાલોલ જીઆઈડીસી ખાતે જેસીબી ફેક્ટરીની મુલાકાત લીધી હતી જેની જાણકારી ભુપેન્દ્ર પટેલે ટ્વિટર દ્વારા આપી હતી.

    PM બોરિસ જોન્સને ગાંધીનગર ગિફ્ટ સિટી ખાતે કાર્યક્રમમાં હાજરી આપી હતી.

    યુકેના PM બોરિસ જોન્સન અને ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર ગિફ્ટ સિટીમાં ગુજરાત બાયોટેકનોલોજી યુનિવર્સિટી ખાતે એક કાર્યક્રમમાં હાજરી આપી હતી.

    ગાંધીનગરના અક્ષરધામ મંદિર ખાતે મુલાકાત

    ગાંધીનગરમાં આવેલ પ્રખ્યાત અક્ષરધામ મંદિર ખાતે PM બોરિસ જોન્સન અને CM ભુપેન્દ્ર પટેલ દર્શને પહોચ્યાં હતા.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં