Sunday, April 28, 2024
More
    હોમપેજદેશઉત્તર પ્રદેશમાં યોગી સરકારે 6 મહિના માટે હડતાળ પર મૂક્યો પ્રતિબંધ, ઉલ્લંઘન...

    ઉત્તર પ્રદેશમાં યોગી સરકારે 6 મહિના માટે હડતાળ પર મૂક્યો પ્રતિબંધ, ઉલ્લંઘન કરવા પર વોરંટ વગર ધરપકડના આદેશ: સરકારી કર્મચારીઓ માટે ESMA લાગુ

    યોગી સરકારના આદેશ અનુસાર, હડતાળમાં સામેલ થયેલા કર્મચારીઓ વિરુદ્ધ એસ્મા એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. પોલીસ પણ તેની કોઈપણ વોરંટ વગર ધરપકડ કરી શકશે.

    - Advertisement -

    ઉત્તર પ્રદેશમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની સરકારે આગામી 6 મહિના માટે રાજ્યમાં હડતાળ અને પ્રદર્શનો પર પ્રતિબંધ મૂક્યો છે. યોગી સરકારે સ્પષ્ટ કર્યું છે કે, જો આગામી છ મહિનામાં રાજ્યમાં કોઈપણ કર્મચારી હડતાળ કે વિરોધ પ્રદર્શન કરશે તો સરકાર તેની વિરુદ્ધ કડકાઈથી કાર્યવાહી કરશે. પોલીસ વોરંટ વિના જ આવું કરનારની ધરપકડ કરી શકે તે માટેના આદેશ આપવામાં આવ્યા છે. પંજાબ અને હરિયાણાના ખેડૂતો દ્વારા ચાલી રહેલા પ્રદર્શનને લઈને યોગી સરકાર દ્વારા આ કડક નિર્ણય લેવામાં આવ્યો છે.

    ઉત્તર પ્રદેશમાં યોગી સરકારે આગામી 6 મહિના સુધી હડતાળ અને પ્રદર્શન પર પ્રતિબંધ મૂકી દીધો છે. દિલ્હી, હરિયાણા અને પંજાબની સરહદો પર ચાલી રહેલા ખેડૂત પ્રદર્શન વચ્ચે આ નિર્ણયને મહત્વનો માનવામાં આવી રહ્યો છે. રાજ્ય સરકાર હેઠળના કર્મચારીઓ માટે એસેન્શિયલ સર્વિસ મેનેજમેન્ટ એક્ટ (ESMA) લાગુ કરવામાં આવ્યો છે. આ આદેશ શુક્રવારે (16 ફેબ્રુઆરી 2024) કર્મચારી વિભાગ દ્વારા જારી કરવામાં આવ્યો છે. આ આદેશ આગામી 6 મહિના માટે લાગુ રહેશે. આ દરમિયાન કોઈપણ વ્યક્તિ પ્રદર્શન કે હડતાળમાં ભાગ લઈ શકશે નહીં.

    યોગી સરકારના આદેશ અનુસાર, હડતાળમાં સામેલ થયેલા કર્મચારીઓ વિરુદ્ધ એસ્મા એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. પોલીસ પણ તેની કોઈપણ વોરંટ વગર ધરપકડ કરી શકશે. આ આદેશ માટેનું જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું છે. જેમાં જણાવાયું છે કે, રાજ્ય સરકારે જાહેર હિતમાં આ નિર્ણય લીધો છે. આ દરમિયાન 6 મહિના સુધી સરકારી વિભાગો, અર્ધ સરકારી વિભાગો, નિગમો અને અન્ય સંસ્થાઓમાં હડતાળ પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે.

    - Advertisement -

    શું છે ESMA કાયદો?

    ESMA કાયદો સરકારને આપવામાં આવેલું એક હથિયાર છે. જે સરકાર હેઠળ કામ કરતાં કર્મચારીઓ પર લાગુ પડે છે. આ કાયદો તેવી સ્થિતિમાં લાગુ કરવામાં આવે છે. જ્યારે તેની સખત જરૂર જણાય. રાજ્ય સરકાર હેઠળ કામ કરતા કર્મચારીઓ લાંબી હડતાળ અથવા પ્રદર્શન પર જાય, ત્યારે સરકાર તેને રોકવા અને સુવિધાઓની સામાન્ય કામગીરી સુનિશ્ચિત કરવા માટે ESMA લાદે છે. જોકે, એકવાર લાદવામાં આવેલ ESMA માત્ર 6 મહિના સુધી જ લાગુ રહી શકે છે. યોગી સરકારના આ પગલાં પાછળ ઉત્તર પ્રદેશમાં શરૂ થઈ રહેલી બોર્ડની પરીક્ષાઓ, આગામી લોકસભાની ચૂંટણી અને ખેડૂતોનો ચાલી રહેલો વિરોધ હોવાનું માનવામાં આવે છે. અગાઉ, યોગી સરકારે જુલાઈ 2023માં ESMAનો ઉપયોગ કર્યો હતો, ત્યારે વીજળી કર્મચારીઓ વિરોધ કરી રહ્યા હતા. સરકારે સરળ વીજ પુરવઠો લોકો સુધી પહોંચાડવા માટે ESMA લાદ્યો હતો.

    આ નિર્ણય પર ખેડૂતોના વિરોધ પ્રદર્શનની અસર પણ માનવામાં આવી રહી છે. નોંધનીય છે કે, પંજાબ અને હરિયાણામાંથી મોટી સંખ્યામાં ખેડૂતોએ દિલ્હી તરફ કૂચ કરી છે. તેઓ હરિયાણા પાર કરીને દિલ્હી આવવા માંગે છે. જોકે, અત્યારે મોટાભાગના ખેડૂતોને પંજાબ અને હરિયાણા બોર્ડર પર રોકી દેવામાં આવ્યા છે. પોલીસ તેમને આગળ વધવા દઈ નથી રહી. ખેડૂત સંગઠનો દાવો કરી રહ્યા છે કે હરિયાણા અને પશ્ચિમ ઉત્તર પ્રદેશના ખેડૂતો પણ તેમની સાથે છે. જોકે, આ વખતે પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં કોઈ ખાસ અસર જોવા મળી રહી નથી. ઉત્તર પ્રદેશમાંથી હજુ સુધી ખેડૂતોના વિરોધના કોઈ મોટા સમાચાર સામે આવ્યા નથી અને ન તો ક્યાંય કોઈ અરાજકતા જોવા મળી છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં