Tuesday, April 30, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટઅમેરિકન સાંસદ ઈલ્હાન ઉમરને ઇઝરાયેલ વિરોધી નિવેદનો ભારે પડ્યાં, વિદેશી મામલાની સમિતિમાંથી...

    અમેરિકન સાંસદ ઈલ્હાન ઉમરને ઇઝરાયેલ વિરોધી નિવેદનો ભારે પડ્યાં, વિદેશી મામલાની સમિતિમાંથી તગેડી મૂકાયાં: ભારત વિરુદ્ધ પણ કરી ચૂક્યાં છે ટિપ્પણીઓ

    ગૃહમાં ઈલ્હાન ઓમરને સમિતિમાંથી દૂર કરવા માટેના પ્રસ્તાવના સમર્થનમાં 218 જ્યારે વિરોધમાં 211 મતો પડ્યા હતા.

    - Advertisement -

    અમેરિકાના હાઉસ ઑફ રિ-પ્રેઝેન્ટેટિવ દ્વારા વિવાદિત સાંસદ ઈલ્હાન ઉમરને વિદેશ મામલાની સમિતિમાંથી (Foreign Affairs Committee) કાઢી મૂકવામાં આવ્યાં છે. રિપબ્લિકન્સની બહુમતી ધરાવતા ગૃહમાં તેમની વિરુદ્ધ પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો, જે બહુમતી સાથે પસાર થયો હતો. 

    યહૂદી અને ઇઝરાયેલ વિરોધી ટિપ્પણી કરવાના કારણે ઈલ્હાન ઉમરે પોતાનું પદ ગુમાવવું પડ્યું છે. રિપબ્લિકન્સ તરફથી કહેવામાં આવ્યું કે ઉમરે ભૂતકાળમાં આપેલાં ઇઝરાયેલ વિરોધી નિવેદનોને જોતાં તેમને કમિટીમાં રાખવાં યોગ્ય નથી. એમ પણ કહેવામાં આવ્યું કે, જે-તે સમયે બંને પાર્ટીઓના સભ્યો દ્વારા આ ટિપ્પણીઓનો વિરોધ કરવામાં આવ્યો હતો. 

    ગૃહમાં ઈલ્હાન ઉમરને સમિતિમાંથી દૂર કરવા માટેના પ્રસ્તાવના સમર્થનમાં 218 જ્યારે વિરોધમાં 211 મતો પડ્યા હતા. ત્યારબાદ બહુમતીથી પ્રસ્તાવ પસાર થયો હતો. ઉલ્લેખનીય છે કે નવેમ્બર 2022માં યોજાયેલ મિડ-ટર્મ ઈલેક્શન બાદ હાઉસ ઑફ રિ-પ્રેઝેન્ટેટિવમાં ડોનાલ્ડ ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટી બહુમતીમાં આવી ગઈ છે. જેથી સાંસદોએ પાર્ટીલાઈનના આધારે મતદાન કર્યું હતું. 

    - Advertisement -

    બીજી તરફ, વ્હાઇટ હાઉસ દ્વારા આ નિર્ણયની ટીકા કરવામાં આવી છે અને તેને ‘રાજકીય ષડ્યંત્ર’ ગણાવવામાં આવ્યું છે. બીજી તરફ, ઉમરે પોતે પણ મુસ્લિમ કાર્ડ રમીને કહ્યું હતું કે, તેઓ મુસ્લિમ હોવાના કારણે અને શરણાર્થી તરીકે આવ્યાં હોવાના કારણે તેમની વિરુદ્ધ પગલાં લેવામાં આવ્યાં છે.  

    ઉલ્લેખનીય છે કે ઈલ્હાન ઉમરે વર્ષ 2019માં ઇઝરાયેલની વિરુદ્ધ કેટલાંક વિવાદાસ્પદ ટ્વિટ્સ કર્યાં હતાં, જેની ટીકા પણ બહુ થઇ હતી. તે સમયે ઇઝરાયેલે ગાઝા સ્ટ્રીપ સ્થિત આતંકી સંગઠન હમાસ પર મોટાપાયે એરસ્ટ્રાઇક કરી હતી. જોકે, ટીકા થયા બાદ ઉમરે માફી માંગી લીધી હતી, પરંતુ પરિણામ હવે ભોગવવાં પડ્યાં છે. 

    ‘ભારત વિરોધી’ અને ‘પાક સમર્થક’ તરીકે ઓળખાય છે

    જો બાયડનની ડેમોક્રેટિક પાર્ટીનાં સાંસદ ઈલ્હાન ઉમર ‘ભારત વિરોધી’ અને ‘પાકિસ્તાન સમર્થક’ તરીકે પણ ઓળખાય છે. ગયા વર્ષે તેમણે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK)ની મુલાકાત પણ લીધી હતી, જેની ઉપર ભારતે વિરોધ નોંધાવ્યો હતો. ઉપરાંત, તેમણે ગત એપ્રિલમાં પાકિસ્તાનની મુલાકાત દરમિયાન ઇમરાન ખાન સહિતના નેતાઓ સાથે મુલાકાત પણ કરી હતી. ઉમર જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાના મોદી સરકારના નિર્ણયનો પણ વિરોધ કરી ચૂક્યાં છે.

    ઓક્ટોબર 2019માં અમેરિકન સંસદમાં ફોરેન અફેર્સ કમિટીની બેઠક દરમિયાન તેમણે કાશ્મીર અને NRCનો મુદ્દો ઉઠાવ્યો હતો અને ‘માનવ અધિકારો’ની વાત કરીને ટિપ્પણી કરીને કહ્યું હતું કે, મોદી અને ભાજપની સરકારમાં માનવ અધિકારો અને લોકશાહી જોખમમાં છે અને કાશ્મીરમાં સરકારનાં પગલાંને મોદી અને ભાજપનો ‘હિંદુ નેશનલિઝમ પ્રોજેક્ટ’ ગણાવ્યો હતો. 

    જુલાઈ 2022માં ઉમરે યુએસ હાઉસ ઑફ રિપ્રેઝેન્ટેટિવમાં એક ભારતવિરોધી પ્રસ્તાવ રજૂ કર્યો હતો અને કહ્યું હતું કે, ભારત સરકાર દ્વારા મુસ્લિમો, શીખો, દલિતો અને અન્ય લઘુમતીઓને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં