Friday, March 29, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટશ્રદ્ધા હત્યા કેસમાં નવો ખુલાસો: ટુકડા ફેંકવા જતી વખતે મોબાઈલ ઘરે મૂકી...

    શ્રદ્ધા હત્યા કેસમાં નવો ખુલાસો: ટુકડા ફેંકવા જતી વખતે મોબાઈલ ઘરે મૂકી જતો હતો આફતાબ, CCTVથી બચવા માટે પણ બનાવ્યો હતો પ્લાન

    મહેરૌલી પોલીસનું કહેવું છે કે આફતાબ પૂનાવાલાએ હત્યા બાદ શ્રદ્ધા વાલકરના શરીરના અંગોનો નિકાલ કેવી રીતે કરવો તેની કાળજીપૂર્વક યોજના બનાવી હતી.

    - Advertisement -

    શ્રદ્ધા મર્ડર કેસમાં દિલ્હી પોલીસને પુરાવા એકત્ર કરવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. શ્રદ્ધાની હત્યા કરનાર આફતાબ અમીન પૂનાવાલા માત્ર સનકી જ નથી પણ ચાલાક પણ એટલો જ છે. ભલે તેણે કોર્ટમાં કહ્યું કે તેણે જે કઈ પણ કર્યું તે ગુસ્સામાં કર્યું, પરંતુ પોલીસ તપાસમાં શ્રદ્ધા મર્ડર કેસમાં આફતાબનું સુનિયોજિત કાવતરું ખુલ્લુ પડી રહ્યું છે.

    આ કેસની તપાસ કરી રહેલી દિલ્હીની મહેરૌલી પોલીસનું કહેવું છે કે આફતાબ પૂનાવાલાએ હત્યા બાદ શ્રદ્ધા વાલકરના શરીરના અંગોનો નિકાલ કેવી રીતે કરવો તેની કાળજીપૂર્વક યોજના બનાવી હતી. આફતાબ દ્વારા શ્રદ્ધા મર્ડર કેસમાં કાવતરું તે રીતે ઘડવામાં આવ્યું કે પોલીસને પણ પુરાવાઓ એકત્રિત કરવા અશક્ય થઇ જાય, માટે તેણે તમામ પ્રકારની સાવચેતીઓ રાખી હતી.

    મિડ ડેના અહેવાલ મુજબ, દિલ્હી પોલીસને એ પણ જાણવા મળ્યું છે કે તે ટ્રેક થવા અને પકડાઈ જવાથી બચવા માટે તમામ યુક્તિઓનો અમલ કરતો હતો. જ્યારે પણ તે શ્રદ્ધાના શરીરના અંગોના નિકાલ માટે ઘરની બહાર નીકળતો ત્યારે તે પોતાનો મોબાઈલ ફોન ઘરે જ મૂકીને જતો હતો. જેના કારણે પોલીસને હત્યાના તમામ પાસાઓને એકસાથે ભેગા કરવામાં મુશ્કેલી પડી રહી છે.

    - Advertisement -

    પૂનાવાલાના ફ્લેટ માર્કિંગ સ્પોટ પરથી શરીરના અંગોને ઠેકાણે પાડવા માટે જે નકશો મળ્યો હતો. એક કારણ તે પણ છે કે જેનાથી પોલીસને શંકા છે કે તેણે પ્રોપર પ્લાનિંગ કર્યું હતું. એક અધિકારીએ જણાવ્યું હતું કે તેણે હત્યા બાદ દરેક પગલે યોજના બનાવી હતી. તેણે વિસ્તારની તપાસ કરી અને લાશના ટુકડાઓને ફેંકવા માટે ફ્લેટથી 2 કિમી દૂર જંગલોનો આંતરિક ભાગ પસંદ કર્યો હતો.

    પોલીસનું કહેવું છે કે આફતાબે માત્ર ‘ડેક્સ્ટર’ જેવી ક્રાઈમ સિરીઝમાંથી પ્રેરણા ન હોતી લીધી પરંતુ પુરાવાનો નાશ કેવી રીતે કરવો તેનો પણ અભ્યાસ કર્યો હતો. તેની વિચારસરણી એવી હતી કે હત્યાની પોલ ખુલ્યા પછી પણ, કાયદા અમલીકરણ એજન્સીઓ નક્કર પુરાવાના અભાવને કારણે તેના પર ગુનો દાખલ ન કરી શકે.

    દિલ્હી પોલીસે મંગળવારે (22 નવેમ્બર 2022) આફતાબ પૂનાવાલાને કોર્ટમાં રજૂ કરતી વખતે આ આધારે જ તેની કસ્ટડી માંગી હતી. દિલ્હી પોલીસે કોર્ટને જણાવ્યું હતું કે ઘટનાનો ક્રમ સ્થાપિત કરવા અને પુરાવા શોધવા માટે તેમને હજુ વધુ સમયની જરૂર છે.

    પોલીસ વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે, પોલીસ પાસે છેલ્લા છ મહિનાથી આફતાબના કોલ ડિટેઈલ રેકોર્ડ્સ (CDR) છે, પરંતુ મે અને જૂન મહિનામાં મોબાઈલનું લોકેશન તેના છતરપુર હિલ્સ ફ્લેટનું છે. આ દરમિયાન જ આફતાબે શ્રદ્ધાના મૃતદેહના 35 ટુકડા કરીને તેને ઠેકાણે પડયા હતા.

    પૂછપરછ દરમિયાન આફતાબે પોલીસને જણાવ્યું હતું કે, તેણે શ્રદ્ધાના શરીરના મોટા ભાગના ટુકડા દિલ્હીના મહેરૌલીના જંગલોમાં અને ગુરુગ્રામના જંગલમાં ફેંકી દીધા હતા. જોકે, તેનું મોબાઇલ લોકેશન આ સ્થળોનું નથી દેખાડતું. આ જ બાબત દર્શાવે છે કે તેણે શ્રદ્ધાના મૃતદેહના ટુકડા ફેંકતી વખતે જાણીજોઈને મોબાઈલ સાથે નહતો રાખ્યો.

    પોલીસ સમક્ષ બીજો પડકાર સીસીટીવી ફૂટેજનો છે. હત્યાને છ મહિના વીતી ગયા અને પોલીસને પુરાવા તરીકે કોઈ પણ પ્રકારનો ડેટા નથી મળી રહ્યો. પોલીસ અધિકારીઓના કહેવા પ્રમાણે, તેમના ફ્લેટની સામે જ સીસીટીવી કેમેરા છે. જોકે, હાલ તેમાં ઘટનાના સમયના કોઈ જ ફૂટેજ ઉપલબ્ધ નથી.

    સનકી અને ચાલાક આફતાબે મૃતદેહનો નિકાલ કરવામાં મહિનાઓનો સમય લીધો હતો અને હત્યાના થોડા મહિનાઓ સુધી શ્રદ્ધાની સોશિયલ મીડિયા પ્રોફાઇલને સક્રિય રાખી હતી, જેથી કોઈને શંકા ન થાય. પોલીસે એમ પણ કહ્યું કે આફતાબ જાણતો હતો કે શ્રદ્ધા તેના પરિવારના સંપર્કમાં નથી.

    પોલીસના જણાવ્યા અનુસાર, “શ્રદ્ધાના થોડા મિત્રોએ જ સોશિયલ મીડિયા પર તેનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો કારણ કે તેનો નંબર બંધ આવતો હતો. તે દરમિયાન આફતાબે સોશિયલ મીડિયા પર તેમાંથી કેટલાકને જવાબ પણ આપ્યો હતો. તેથી કોઈને શંકા ન હતી કે શ્રદ્ધા સાથે કંઈક અજુગતું થયું છે.”

    દરમિયાન, દિલ્હી પોલીસની એક ટીમે ફોરેન્સિક નિષ્ણાતોની મદદથી વધુ તપાસ કરવા બુધવારે (23 નવેમ્બર 2022) ફરીથી આફતાબના ફ્લેટની તપાસ કરી હતી. હત્યારા પૂનાવાલા દ્વારા દેખાડેલા સ્થળોનું નિરીક્ષણ કરવા માટે પણ અન્ય એક ટીમ પણ મહેરૌલીના જંગલમાં ગઈ હતી. મહેરૌલી તળાવમાં શ્રદ્ધાના શરીરના અંગો ફેંકવામાં આવ્યા હતા કે નહીં તે જાણવા માટે પોલીસે ગોતાખોરની એક ટીમ પણ બોલાવી હતી.

    બીજી તરફ, આફતાબ પૂનાવાલાનો પોલીગ્રાફ ટેસ્ટ બુધવારે (23 નવેમ્બર 2022) નહતો થઇ શક્યો. એવું કહેવામાં આવી રહ્યું છે કે ટેસ્ટ માટે તે મેડિકલ રીતે ફિટ નહોતો. તેને તાવ આવ્યો હોવાના અહેવાલો પણ સામે આવ્યા હતા. ડોક્ટરોએ કહ્યું કે હાલ તે પોલીગ્રાફ ટેસ્ટ કરાવવા માટે યોગ્ય નથી. જેથી કદાચ ગુરુવારે (24 નવેમ્બર 2022) તેનો પોલીગ્રાફ ટેસ્ટ થઈ શકે છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં