Friday, April 26, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટઆમ આદમી પાર્ટીના ધારાસભ્ય ‘BC’ અમાનતુલ્લાહ ખાને દિલ્હી પોલીસ વિરુદ્ધ માનહાનિનો દાવો...

    આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ‘BC’ અમાનતુલ્લાહ ખાને દિલ્હી પોલીસ વિરુદ્ધ માનહાનિનો દાવો માંડ્યો, નોટિસ પાઠવી

    પોતાને BC એટલેકે બેડ કેરેક્ટર જાહેર કરનાર દિલ્હી પોલીસ પર દિલ્હીના ધારાસભ્ય અમાન્તુલ્લાહ ખાને માનહાનીનો દાવો કર્યો છે.

    - Advertisement -

    દિલ્હી પોલીસ દ્વારા ‘બેડ કેરેક્ટર’ (BC) જાહેર કરવામાં આવેલા દિલ્હીની આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અમાનતુલ્લાહ ખાન દ્વારા હવે દિલ્હી પોલીસ વિરુદ્ધ માનહાનિનો દાવો માંડવામાં આવ્યો છે. તેમણે ટ્વિટર મારફતે આ જાણકારી આપી હતી. 

    ટ્વિટમાં અમાનતુલ્લાહ ખાને કહ્યું કે, “પોલીસે મને એ જણાવવું જોઈએ કે મેં કઈ જમીન પર અતિક્રમણ કર્યું છે કે કઈ જમીન પર ગેરકાયદે બાંધકામ કર્યું છે? મેં ક્યાં તોફાનો ભડકાવ્યા છે? કે હું કઈ ગેંગનો ભાગ છું? આજે મેં દિલ્હી પોલીસને બદનક્ષીની નોટિસ પાઠવી છે. તેમણે ક્યાં માફી માંગવી પડશે ક્યાં વળતર ચૂકવવું પડશે. 

    અન્ય એક ટ્વિટમાં અમાનતુલ્લાહ ખાન કહે છે કે, “દિલ્હી પોલીસ સતત મને નિશાન બનાવી રહી છે. આ વખતે દિલ્હી પોલીસે મારા પરિવારને બદનામ કરવા સાથે પ્રતિષ્ઠાના અધિકાર અને સન્માન સાથે જીવવાના અધિકાર પર પણ હુમલો કર્યો છે. દિલ્હી પોલીસ કોઈ પણ જાતના પુરાવા વગર મનગઢત વાર્તાઓ ઘડી રહી છે.”

    - Advertisement -

    15 પાનાંની નોટિસમાં અમાનતુલ્લાહ ખાનના વકીલે કહ્યું છે કે, “અમારા અસીલના ધ્યાનમાં આવ્યું છે કે ટ્વિટર પર સારા એવા ફોલોઅર્સ ધરાવતા અને કેન્દ્રમાં શાસન કરતી એક રાજનીતિક પાર્ટીના પ્રવક્તાએ પોતાના અધિકારીક ટ્વિટર હેન્ડલ પરથી ટ્વિટ કર્યું હતું કે, ‘અમાનતુલ્લાહ ખાનને દિલ્હી પોલીસ દ્વારા BC જાહેર કરવામાં આવ્યા.’ સાથે તેમણે અમારા અસીલની તસવીરોવાળું એક ડોઝિયર પણ શૅર કર્યું હતું જેમાં SHO ના હસ્તાક્ષર પણ હતા.”

    નોટિસમાં આગળ કહેવામાં આવ્યું છે કે, “અમારા અસીલનું કથિત ડોઝિયર એક ગોપનીય દસ્તાવેજ છે, જે જનતા માટે નથી અને પંજાબ પોલીસ નિયમ 1934 અનુસાર, તે સાર્વજનિક કરવામાં આવવું જોઈએ નહીં.” આગળ કહેવામાં આવ્યું કે, “અમારા અસીલનું કથિત ડોઝિયર કોઈ વ્યક્તિ દ્વારા નહીં પરંતુ દિલ્હી પોલીસ દ્વારા લીક કરવામાં આવ્યું છે, જેમને ગોપનીયતા જાળવી રાખવાનું કામ સોંપવામાં આવ્યું છે. જેથી તે દિલ્હી પોલીસના ઔચિત્ય અને કામકાજ ઉપર પણ ગંભીર સવાલો પેદા કરે છે.”

    નોટિસમાં કહેવામાં આવ્યું કે, પોલીસના આ કાર્યથી અમાનતુલ્લાહ ખાનના મૌલિક અધિકારોનું હનન થયું છે. અમાનતુલ્લાહ દ્વારા પાઠવવામાં આવેલ નોટિસમાં આગળ જણાવવામાં આવ્યું કે, “જ્યારે પ્રતિષ્ઠાને ઠેસ પહોંચે છે ત્યારે જાણે વ્યક્તિ અડધો મૃત પામે છે. સન્માન સુરક્ષિત રહે તે ખૂબ જરૂરી છે. અને તેથી જ તે બંધારણના અનુચ્છેદ 21નો અગત્યનો ભાગ છે. કોઈ પણ વ્યક્તિ એવું નહીં ઈચ્છે કે તેની પ્રતિષ્ઠાને હાનિ પહોંચે, અને પ્રતિષ્ઠાને લોકપ્રિયતાને બદલે સન્માનના રૂપમાં જોવામાં આવે છે.”

    કથિત ઉત્પીડનના કારણે ઉદભવતી સંભવિત માનસિક સ્થિતિ અંગે જણાવતા અમાનતુલ્લાહ ખાને નોટિસમાં પોલીસને ધમકી આપતા કહ્યું કે, “આ કેસના ચિંતાજનક તથ્યો સમજી શકાય તેમ છે. અમારા અસીલને સ્પષ્ટ રીતે અપમાનિત કરવામાં આવ્યા છે અને જેનો ઉપચાર માનસિક આઘાતનું પણ કારણ બની શકે છે. એક વ્યક્તિ દ્વારા અન્ય વ્યક્તિને અપાતી મનોવૈજ્ઞાનિક યાતનાઓ ટ્રોમા કે તેવી અન્ય સમસ્યાઓ કરતા પણ વધુ હાનિકારક સાબિત થઇ શકે છે. કોઈ પણ મનોવૈજ્ઞાનિક યાતનાઓ વધુ માનસિક પીડા આપે છે અને જીવનના કોઈ પણ તબક્કે તેના પરિણામો ભોગવવાં પડે છે.”

    નોટિસના અંતે માંગ કરતા કહેવામાં આવ્યું કે, દિલ્હી પોલીસ દ્વારા બિનશરતી માફી માંગવામાં આવે. તેમણે માંગ કરી છે કે ડોઝિયર અને હિસ્ટ્રી શીટ રદ કરવા માટે તાત્કાલિક પગલાં લેવામાં આવે અને જો દિલ્હી પોલીસ આવું નહીં કરે તો અમાનતુલ્લાહ ખાને દસ કરોડ રૂપિયાના વળતરની માંગ કરી છે. 

    અહીં નોંધવું જરૂરી છે કે, અતિક્રમણ વિરોધી અભિયાન દરમિયાન દિલ્હીના મદનપૂર વિસ્તારમાં થયેલ ઘર્ષણ બાદ ધરપકડ થયા બાદ અમાનતુલ્લાહ ખાનને દિલ્હી પોલીસ દ્વારા ‘બેડ કેરેક્ટર’ (BC) જાહેર કરવામાં આવ્યા હતા. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં