Sunday, April 28, 2024
More
    હોમપેજરાજકારણ‘ભરૂચ સીટ AAPને અપાય તો….’: ગુજરાતમાં કોંગ્રેસ-AAP ગઠબંધનની ચર્ચા વચ્ચે અહમદ પટેલના...

    ‘ભરૂચ સીટ AAPને અપાય તો….’: ગુજરાતમાં કોંગ્રેસ-AAP ગઠબંધનની ચર્ચા વચ્ચે અહમદ પટેલના પુત્રનું ટ્વિટ, વિવાદમાં રહી ચૂકેલા ચૈતર વસાવાને ઉમેદવાર ઘોષિત કરી ચૂકી છે ‘આપ’

    કોંગ્રેસ નેતા અહમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે એક ટ્વિટ કરીને વિવાદ સર્જ્યો છે. જેમાં તેમણે કહ્યું કે જો લોકસભા ચૂંટણીમાં ગઠબંધન હેઠળ ભરૂચ લોકસભા બેઠક AAPને ફાળવવામાં આવે તો તેઓ કે કોંગ્રેસના અન્ય કાર્યકર્તાઓ AAP ઉમેદવારનું સમર્થન નહીં કરે.

    - Advertisement -

    આગામી લોકસભા ચૂંટણીમાં ગુજરાતની 26 બેઠકો પર આમ આદમી પાર્ટી (AAP) અને કોંગ્રેસ ગઠબંધન કરીને લડવા વિચારી રહી હોવાના સમાચારો વહેતા થયા છે. મીડિયામાં સામે આવતી વિગતો પ્રમાણે AAP 2 બેઠકો પર જ્યારે કોંગ્રેસ 24 બેઠકો પર લડશે. આમ આદમી પાર્ટીએ ભરૂચ અને ભાવનગર બેઠકો પર ઉમેદવારોનાં નામની ઘોષણા કરી જ દીધી છે. પરંતુ હવે સ્થાનિક સ્તરે વિરોધ થવા માંડ્યો છે. 

    કોંગ્રેસ નેતા અહમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે એક ટ્વિટ કરીને વિવાદ સર્જ્યો છે. જેમાં તેમણે કહ્યું કે જો લોકસભા ચૂંટણીમાં ગઠબંધન હેઠળ ભરૂચ લોકસભા બેઠક AAPને ફાળવવામાં આવે તો તેઓ કે કોંગ્રેસના અન્ય કાર્યકર્તાઓ AAP ઉમેદવારનું સમર્થન નહીં કરે. નોંધવું જોઈએ કે આ બેઠક પરથી આમ આદમી પાર્ટીએ વિવાદિત નેતા ચૈતર વસાવાના નામની જાહેરાત કરી છે. 

    બીજી તરફ ફૈઝલ પટેલનાં બહેન અને અહમદ પટેલનાં પુત્રી મુમતાઝ પટેલે પણ આવી જ વાત કરી છે. તેમણે કહ્યું કે, કોંગ્રેસ કાર્યકર્તા તરીકે પાર્ટીનો નિર્ણય માન્ય રાખશે પરંતુ તેઓ આમ આદમી પાર્ટીના ઉમેદવાર માટે ભરૂચ બેઠક પર પ્રચાર નહીં કરે. નોંધવું જોઈએ કે આ મુમતાઝ પટેલ અને ફૈઝલ પટેલ બંનેને ભરૂચ બેઠક પરથી કોંગ્રેસ ઉમેદવાર તરીકે પ્રબળ દાવેદાર માનવામાં આવી રહ્યાં હતાં, પરંતુ હાઈકમાન્ડ આ બેઠક AAP ઉમેદવારને આપવા માટે વિચારી રહ્યું છે. 

    - Advertisement -

    ભરૂચ પૂર્વ કોંગ્રેસ નેતા અને સોનિયા ગાંધીના સલાહકાર રહી ચૂકેલા અહમદ પટેલનું વતન છે. ઘણા સમયથી અહીં ચર્ચા ચાલી રહી હતી કે આગામી લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ તેમનાં બે સંતાનો પૈકી એકને ટીકીટ આપી શકે છે. પરંતુ હવે ગઠબંધનના નવા તૂતના કારણે કોકડું ગૂંચવાયું છે. 

    ભરૂચ બેઠક પરથી 1977 અને 1984 એમ બે ચૂંટણી અહેમદ પટેલ જીત્યા હતા. પરંતુ 1989માં ભાજપ ઉમેદવારની જીત બાદ અહીં બીજી કોઇ પાર્ટી જીતી શકી નથી. 2014 અને 2019 એમ બંને ચૂંટણીમાં પણ આ બેઠક પરથી ભારતીય જનતા પાર્ટી જંગી બહુમતીએ જીતી છે. પરંતુ આ વખતે આમ આદમી પાર્ટી કૂદી પડી છે અને હાલ ડેડિયાપાડાના ધારાસભ્ય અને મહિનો પોલીસથી ભાગતા ફર્યા બાદ વિવાદમાં આવેલા ચૈતર વસાવાને ટીકીટ આપવાની ઘોષણા કરી છે. પરંતુ જો કૉંગ્રેસનો સહકાર ન મળે તો AAP પાસે આમેય જે થોડુઘણું જ સમર્થન છે, તેમાંથી પણ હાથ ધોવાનો વારો આવશે એમ લાગે છે. 

    એ પણ નોંધનીય છે કે 2014 અને 2019 એમ બંને ચૂંટણીઓમાં ગુજરાતની તમામ 26 બેઠકો પર ભારતીય જનતા પાર્ટીના જ ઉમેદવારો વિજયી બન્યા હતા. જેમાં નવસારીથી સીઆર પાટીલ અને ગાંધીનગરથી અમિત શાહ લાખોની લીડથી જીત્યા હતા. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં