Monday, May 6, 2024
More
    હોમપેજમંતવ્યવાત ભારતના 2 વડાપ્રધાનોની લક્ષદ્વીપ યાત્રાની: જ્યાં જઈને પ્રવાસનને પ્રોત્સાહન આપી આવ્યા...

    વાત ભારતના 2 વડાપ્રધાનોની લક્ષદ્વીપ યાત્રાની: જ્યાં જઈને પ્રવાસનને પ્રોત્સાહન આપી આવ્યા PM મોદી, ત્યાં રાજીવ ગાંધી ‘INS વિરાટ’ લઈને ગયા હતા ફેમિલી ટૂર પર

    મોદી લક્ષદ્વીપ આવ્યા અને ગયા ત્યાં સુધી કેન્દ્ર સ્થાને દેશ રહ્યો. બીજા એક વડાપ્રધાન પણ હતા, જેઓ પણ લક્ષદ્વીપ આવ્યા હતા. એકલા નહીં, પરિવાર સાથે. તે પણ નૌસેનાના જહાજ INS વિરાટમાં. પરંતુ કામ માટે નહીં, મોજમજા કરવા માટે.

    - Advertisement -

    હમણાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી લક્ષદ્વીપની મુલાકાતે હતા. ભારતના પૂર્વ છેડે આવેલો આ ટાપુઓનો સમૂહ ખાસ ચર્ચામાં રહેતો નથી પણ PM મોદીએ તાજેતરમાં મુલાકાત લીધી અને ખાસ કરીને તેની તસવીરો શૅર કરી ત્યારે તેને લઈને ચર્ચાઓ શરૂ થઈ. લોકો હવે તેની સરખામણી માલદીવ્સના ટાપુઓ સાથે કરવા માંડ્યા છે, જે વિશ્વવિખ્યાત ‘ટૂરિસ્ટ ડેસ્ટિનેશન’ છે. 

    વડાપ્રધાને 2 અને 3 જાન્યુઆરીના રોજ લક્ષદ્વીપની મુલાકાત લીધી હતી. અહીં તેઓ સ્થાનિક લોકોને મળ્યા, અધિકારીઓ સાથે બેઠકો કરી, વિકાસકામો વિશે માહિતી મેળવી. સાથે લગભગ ₹1150 કરોડનાં વિકાસકામોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કર્યું. ત્યાં તેમણે એક સભા પણ સંબોધી. 

    બીજા દિવસે PM મોદીએ અમુક તસવીરો શૅર કરી, જે હાલ સોશિયલ મીડિયા પર વાયુવેગે પ્રસરી રહી છે. આ તસવીરોમાં લક્ષદ્વીપના આકર્ષક દરિયાકિનારા અને તેની ભવ્ય સુંદરતા જોવા મળે છે. વડાપ્રધાને દરિયામાં સ્નોર્કલિંગ કરતી અને ટહેલતી વખતેની તસવીરો પણ પોસ્ટ કરી અને લોકોને અપીલ કરી કે જેમને એડવેન્ચરનો શોખ હોય તેઓ લક્ષદ્વીપને જરૂરથી પોતાની યાદીમાં સામેલ કરે. 

    - Advertisement -

    PM મોદીની આ પોસ્ટની અસર એવી પડી કે હવે સોશિયલ મીડિયા પર લક્ષદ્વીપ વિશે ભરપૂર સર્ચિંગ કરવામાં આવી રહ્યું છે. ગૂગલ પર ટાપુસમૂહ વિશે થતા સર્ચિંગમાં અચાનક 350 ટકા જેટલો વધારો જોવા મળ્યો. લોકો ચર્ચા કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર ચર્ચા ચાલે છે કે હવે લોકો માલદીવ્સ કે અન્ય ટૂરિસ્ટ. ડેસ્ટિનેશન કરતાં લક્ષદ્વીપને પ્રાધાન્ય આપશે. 

    PM મોદી લક્ષદ્વીપ ગયા તેનું તો આગવું મહત્ત્વ છે જ, કારણ કે પહેલાં ભારતના જ અમુક પ્રદેશો (ઉત્તર-પૂર્વનાં રાજ્યો) એવા હતા, જેનાથી દિલ્હી વચ્ચેનું અંતર ખાસ્સું હતું તો આવા ટાપુઓની વાત ક્યાંથી કરવી! સત્તામાં આવ્યા બાદ મોદીએ સર્વાંગી વિકાસના સૂત્રને અપનાવીને તમામ પ્રદેશોને સમાન મહત્વ આપ્યું છે. પરંતુ બીજી એક નોંધવા જેવી બાબત એ છે કે તેમણે લક્ષદ્વીપ જઈને ટૂરિઝમને પણ પ્રોત્સાહન આપ્યું. 

    કોઇ પણ પ્રદેશ એક ટૂરિઝમ સાઇટ બને એટલે તેમાં કેવો અને કેટલો ફેરફાર આવે તે ગુજરાતથી વિશેષ કોઇ ન જાણી શકે. સ્ટેચ્યુ ઑફ યુનિટીથી માંડીને કચ્છ સુધીના અનેક પ્રદેશો તેનાં જીવંત ઉદાહરણો છે. ગુજરાતમાં નરેન્દ્ર મોદીએ જે નીતિ અપનાવી હતી તે તેમણે કેન્દ્રમાં જઈને પણ અપનાવી અને તેના નોંધપાત્ર ફેરફારો પણ જોવા મળ્યા. ઉદાહરણ તરીકે 2019માં વડાપ્રધાન કેદારનાથની એક ગુફામાં ધ્યાન કરવા પહોંચ્યા હતા, જે હવે પ્રવાસ માટેનું સ્થળ બની ચૂકી છે. 

    એક પ્રદેશ, 2 વડાપ્રધાનો, 2 યાત્રાઓ અને ઉડીને આંખે વળગે તેવો ફેર

    આ થઈ એક એવા વડાપ્રધાનની વાત, જેઓ લક્ષદ્વીપ આવ્યા અને ગયા ત્યાં સુધી કેન્દ્ર સ્થાને દેશ રહ્યો. બીજા એક વડાપ્રધાન પણ હતા, જેઓ પણ લક્ષદ્વીપ આવ્યા હતા. એકલા નહીં, પરિવાર સાથે. તે પણ નૌસેનાના જહાજ INS વિરાટમાં. પરંતુ કામ માટે નહીં, મોજમજા કરવા માટે. આ વડાપ્રધાન કોંગ્રેસના પૂર્વ નેતા અને રાહુલ ગાંધીના સ્વર્ગસ્થ પિતાજી રાજીવ ગાંધી.

    1988માં રાજીવ ગાંધી વડાપ્રધાન હતા. તે સમયે તેઓ પરિવાર સાથે લક્ષદ્વીપના પ્રવાસે ગયા હતા. જેમાં તેમની સાથે હતાં સોનિયા ગાંધી, રાહુલ-પ્રિયંકા ગાંધી, તેમના ચાર મિત્રો, સોનિયા ગાંધીનાં માતા, તેમનાં ભાઈ-બહેન અને મામા. આ સિવાય તત્કાલીન MP અને એક્ટર અમિતાભ બચ્ચન, પત્ની જયા બચ્ચન, તેમનાં ત્રણ સંતાનો અને અમિતાભના ભાઈ અજિતાભની પુત્રી, પૂર્વ કેન્દ્રીય મંત્રી અરુણ સિંઘના ભાઈ બિજેન્દ્ર સિંઘનાં પત્ની અને પુત્રી અને અન્ય 2 વિદેશી મહેમાનો પણ હાજર હતાં.

    આમ તો આ પ્રવાસ મીડિયાના ધ્યાને ન ચડી જાય તેનું પૂરતું ધ્યાન રાખવામાં આવ્યું હતું, પણ તેવું થઈ શક્યું નહીં. 26 ડિસેમ્બર, 1988ના રોજ જ્યારે રાહુલ ગાંધી અને તેમના ચાર મિત્રો એક હેલિકોપ્ટર મારફતે લક્ષદ્વીપ પહોંચ્યા ત્યારે મીડિયાનું ધ્યાન પડી ગયું. ત્યારબાદ અમિતાભ બચ્ચન આવ્યા ત્યારે પણ એક અખબારના ફોટોગ્રાફરે તેમની તસવીર લીધી હતી. પછીથી ઇન્ડિયા ટુડે મેગેઝીને વિગતવાર રિપોર્ટ પણ પ્રકાશિત કર્યો હતો. 

    રિપોર્ટમાં આ પ્રવાસને લઈને ઘણી વિગતો આપવામાં આવી છે. તેનું માનીએ તો ભોજનની વ્યવસ્થા સોસાયટી ફોર પ્રમોશન ઑફ રિક્રિએશન, ટુરિઝમ એન્ડ સ્પોર્ટ્સ દ્વારા કરવામાં આવી હતી, જે લક્ષ્યદ્વીપ પ્રશાસનની જ એક પાંખ છે. આ સિવાય 2 રસોઈયા સહિત પાંચ વ્યક્તિઓને ખાસ નીમવામાં આવ્યા હતા અને મેનુ રાજીવ ગાંધીના પર્સનલ કૂક દ્વારા તૈયાર કરવામાં આવતું હતું. ખાસ દિલ્હીથી વાઇન અને લિકર મંગાવવામાં આવ્યા હતા. અગત્તિમાં ખાસ 100 ચિકન સાથે એક પોલ્ટ્રી ફાર્મ તૈયાર કરવામા આવ્યું હતું. ફ્રેશ ફળો મોકલવામાં આવ્યાં હતાં. ચોકલેટ, કોલ્ડ્રિંક્સ, ચીઝ, સુકામેવા, શાકભાજી- કોઇ ખોટ બાકી રાખવામાં આવી ન હતી. 

    આ બધાથી ઉપર, નોંધવા જેવી બાબત એ છે કે આ પ્રવાસ દરમિયાન નૌસેનાના INS વિરાટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જે ગાંધી પરિવારને લાવવા-લઇ જવા માટે 10 દિવસ માટે અરબ સાગરમાં લાવવામાં આવ્યું હતું. તેનો દૈનિક ખર્ચ અનેકગણો વધુ હોય છે કારણ કે સમુદ્રમાં તે જહાજોના આખા એક સમૂહ સાથે યાત્રા કરે છે. તે સમયે પણ સવાલો ઉઠ્યા હતા અને હજુ પણ છે કે આખરે એક પરિવાર માટે નૌસેનાના જહાજનું કામ શું હતું! 

    આ બંને ઘટનાઓની હાલ ચર્ચા થઈ રહી છે. એક વડાપ્રધાન જે કોઈ એક પ્રદેશને ભારતના નકશા પર સ્થાન અપાવવા માટે મહેનત કરી રહ્યા છે અને એક હતા જેમણે તે જ પ્રદેશને પિકનિક સ્પોટ બનાવી દીધો હતો. 

    કોઇ પૂછે કે 1990ના દાયકાના અને આજના ભારતમાં ફેર કેટલો? તો આ તેનું ઉદાહરણ છે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં