Monday, April 29, 2024
More
    હોમપેજમંતવ્યએક તરફ રાહુલ ગાંધીનું 'ટેમ્પલ રન', બીજી તરફ રામ મંદિરની સુનાવણી અટકાવતા...

    એક તરફ રાહુલ ગાંધીનું ‘ટેમ્પલ રન’, બીજી તરફ રામ મંદિરની સુનાવણી અટકાવતા કપિલ સિબ્બલ…કોના ઇશારે સુપ્રીમ કોર્ટને ‘ગંભીર દુષ્પરિણામો’ની આપી રહ્યા હતા ધમકી?

    કપિલ સિબ્બલ જ્યાં સુધી કોંગ્રેસમાં રહ્યા ત્યાં સુધી તેમને ગાંધી પરિવારના વિશ્વાસુ પણ માનવામાં આવતા હતા. આવી સ્થિતિમાં તે સમયે તેઓ કોની ભાષા બોલી રહ્યા હતા? જો આ સુન્ની વક્ફ બોર્ડની ભાષા ન હતી, કોંગ્રેસ તેનાથી અંતર બનાવી રહી હતી, તો શું તેઓ સીધા સુપ્રીમ ફેમિલીનું પ્રતિનિધિત્વ કરી રહ્યા હતા?

    - Advertisement -

    અયોધ્યામાં રામ મંદિર બનીને તૈયાર થવાના આરામાં છે, તેવામાં તે યાદ કરવું જરૂરી છે કે કયા-કયા લોકોએ તેમાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી હતી. VHPના અશોક સિંઘલથી લઈને સુપ્રીમ કોર્ટમાં મંદિરના વકીલ L પરાશરણ સુધી, હિંદુ નેતા વિનય કટિયારથી લઈને રથયાત્રા કાઢનારા LK અડવાણી સુધી અને દશકો સુધી આ આંદોલનને ધારદાર રાખનારા મહંત અવૈધનાથથી લઈને પોતાના ઓજસ્વી ભાષણોથી ઘરે-ઘરે પહોંચનારા સાધ્વી ઋતંભરા સુધી, આ તમામ લોકોના યોગદાન વિશે આપણે વાત કરતાં રહીએ છીએ. પરંતુ આપણે એવા લોકોને પણ ઓળખવાના છે જેમણે રામ મંદિર નિર્માણ માટે અડચણો ઊભી કરી હતી. તેમાંના એક છે કપિલ સિબ્બલ.

    આપણે એવા લોકોને પણ યાદ કરવા છે જેમણે રામ મંદિર નિર્માણ પથ પર અવરોધો લાવવા માટે ભરપૂર પ્રયાસો કર્યા હતા. તેમાંના એક છે કોંગ્રેસના દિગ્ગજ નેતા કપિલ સિબ્બલ, જે ડૉ. મનમોહન સિંઘના વડાપ્રધાનપદ દરમિયાન 10 વર્ષ સુધી કેન્દ્રીય મંત્રી રહ્યા હતા. તેમણે વિજ્ઞાન અને ટેકનોલોજી, પૃથ્વી વિજ્ઞાન, માનવ સંસાધન, સંચાર અને માહિતી પ્રસારણ, કાયદો અને ન્યાય જેવા મોટા મંત્રાલયો સંભાળ્યા હતા. કોંગ્રેસના દિગ્ગજ નેતા હોવા ઉપરાંત, તેઓ દેશના સૌથી મોંઘા વકીલ તરીકે પણ જાણીતા હતા, તેઓ ભારતના એડિશનલ સોલિસિટર જનરલ પણ રહ્યા હતા.

    જોકે, કપિલ સિબ્બલ હવે સમાજવાદી પાર્ટીમાં છે અને અખિલેશ યાદવની કૃપાથી રાજ્યસભા પણ પહોંચી ચૂક્યા છે. કપિલ સિબ્બલ તેમની હિંદુ વિરોધી પ્રવૃતિઓ માટે પણ જાણીતા છે. આ સમજવા માટે સીધા જઈએ 2017માં. વાત તે વર્ષના ડિસેમ્બરની છે. કપિલ સિબ્બલ ‘સુન્ની વક્ફ બોર્ડ’ના વકીલ હતા, પરંતુ તેમણે કંઈક એવું કરી નાખ્યું કે જેનાથી બોર્ડ પણ અજાણ હતું. કપિલ સિબ્બલે તે સમયે સુપ્રીમ કોર્ટમાં વિનંતી કરી હતી કે આ મામલાની સુનાવણી 2019ની લોકસભા ચૂંટણી પછી કરવામાં આવે.

    - Advertisement -

    સુન્ની વક્ફ બોર્ડના વકીલ કપિલ સિબ્બલ, રામ મંદિરની સુનાવણીને અટકાવવાના પ્રયાસો

    કપિલ સિબ્બલ આખરે આવું કેમ ઈચ્છતા હતા? 2019 ની લોકસભા ચૂંટણી પછી સુનાવણી હાથ ધરવાનો સીધો અર્થ એ છે કે દોઢ વર્ષનો વિલંબ. વકીલે દલીલ કરી હતી કે તેના રાજકીય અને ચૂંટણીલક્ષી દુષ્પરિણામો આવી શકે છે, તેથી સુનાવણી મોકૂફ રાખવી જોઈએ. જોકે, સુપ્રીમ કોર્ટે તેમની વાત ન સાંભળી અને 8 ફેબ્રુઆરી, 2018ના રોજ સુનાવણી નક્કી કરી. કપિલ સિબ્બલના આ વલણ બાદ તત્કાલિન બીજેપી અધ્યક્ષ અમિત શાહે સીધું જ કહ્યું હતું કે રાહુલ ગાંધી રામ મંદિર મુદ્દે પોતાનું સ્ટેન્ડ સ્પષ્ટ કરે.

    કારણ કે આ તે સમયગાળો હતો જ્યારે રાહુલ ગાંધી સતત મંદિર-મંદિર ફરી રહ્યા હતા. તેમને લાગતું હતું કે ભાજપ હિંદુત્વને કારણે જીતી રહ્યું છે અને તેઓ પણ સ્યુડો હિંદુત્વની મદદથી મતદારોને મૂર્ખ બનાવી શકે છે. એક તરફ રાહુલ ગાંધી મંદિરોની સતત મુલાકાતો કરી રહ્યા હતા, તો બીજી તરફ તેમની પાર્ટીના જ નેતા રામ મંદિર પર સુનાવણી અટકાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા. આખો દેશ ઈચ્છતો હતો કે સુનાવણી વહેલી તકે પૂરી થાય. તે સમયે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પણ યોજાવાની હતી, આ પણ યાદ રાખવા જેવી વાત છે.

    નોંધનીય છે કે 2010માં અલ્હાબાદ હાઈકોર્ટે 2.77 એકર જમીનને ત્રણ ભાગમાં સુન્ની વક્ફ બોર્ડ, રામલલા વિરાજમાન અને નિર્મોહી અખાડામાં વહેંચવાનો નિર્ણય આપ્યો હતો. સુબ્રમણ્યમ સ્વામીની વિનંતી પર, 2017માં, તત્કાલિન મુખ્ય ન્યાયાધીશ જેએસ ખેહરે આ નિર્ણયને પડકારતી 13 અરજીઓની સુનાવણી માટે એક બેન્ચની રચના કરી હતી. 11 ઓગસ્ટે બેન્ચે સુનાવણીની તારીખ 6 ડિસેમ્બર નક્કી કરી હતી. આનાથી કપિલ સિબ્બલ ધુંઆપુંઆ થઈ ગયા હતા.

    તેમણે કહ્યું હતું, “આખરે કોર્ટે આ જાળમાં શા માટે ફસાવું જોઈએ. પહેલા આ કેમ સાંભળ્યું નહોતું, હવે કેમ? આ કોઈ સામાન્ય મામલો નથી. ભારતના ઈતિહાસમાં કદાચ આ સૌથી મહત્વપૂર્ણ કેસ છે જે દેશનું ભવિષ્ય નક્કી કરશે. આનાથી ગંભીર દુષ્પરિણામ આવશે. આ પરિસ્થિતિમાં, આ અદાલતે આ કેસની સુનાવણી ન કરવી જોઈએ જેની સમાજ પર ભારે અસર પડશે.” કપિલ સિબ્બલે તત્કાલિન CJI દીપક મિશ્રાની અધ્યક્ષતાવાળી ત્રણ સભ્યોની બેંચ સમક્ષ આ દલીલો કરી હતી.

    આ સમયગાળા દરમિયાન, તેમણે ટેકનિકલ બાબતોમાં સુપ્રીમ કોર્ટને ફસાવવાનો પણ પૂરે-પૂરો પ્રયાસ કર્યો અને દાવો કર્યો હતો કે તેમાંની ઔપચારિકતાઓ અધૂરી છે અને જે દસ્તાવેજોના આધારે હાઈકોર્ટે ચુકાદો આપ્યો છે તે દસ્તાવેજો પણ દાખલ કરવામાં આવ્યા નથી. જોકે, સુપ્રીમ કોર્ટે તેમની વાત સાંભળી ન હતી અને તમામ પક્ષકારોના વકીલોને સાથે બેસીને શાંતિથી કામ કરવા જણાવ્યું હતું, જેથી સુનાવણી અટકે નહિ. જસ્ટિસ દિપક મિશ્રાએ કહ્યું હતું, “બંને પક્ષો પાસે અદાલત માટે સંદેશ છે. પરંતુ, અમે જાણીએ છીએ કે શું કરવાનું છે. આ કોર્ટને તેવું કહીને સંદેશ ન આપો કે અમે શું સંદેશ મોકલીએ. અમે સુનાવણી શરૂ કરીશું.”

    મહત્વની વાત એ છે કે સુન્ની વક્ફ બોર્ડે પોતે જ પોતાના વકીલના કૃત્યને નકારી કાઢ્યું હતું. તેમણે કહ્યું હતું કે બોર્ડ દ્વારા તેમને આવું કહેવા માટે કોઈ સૂચના આપવામાં આવી નથી. ઝફર ફારૂકી તે સમયે બોર્ડના અધ્યક્ષ હતા. તેમણે સ્પષ્ટપણે કહ્યું હતું કે બોર્ડ માને છે કે, આ મામલે સુનાવણી થવી જોઈએ અને તેનો તાત્કાલિક નિકાલ થવો જોઈએ. તેમણે કહ્યું હતું કે, તેમને ખબર નથી કે કપિલ સિબ્બલે સુપ્રીમ કોર્ટમાં કોના વતી આ વાત કરી હતી.

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ગુજરાત વિધાનસભા ચૂંટણી પ્રચાર દરમિયાન આ મુદ્દો જોરદાર રીતે ઉઠાવ્યો હતો અને પૂછ્યું હતું કે શું વકફ બોર્ડ ચૂંટણી લડે છે? શું વક્ફ બોર્ડ સુનાવણી ટાળવા માંગે છે? તેમણે કહ્યું હતું કે, કોંગ્રેસ પાર્ટી ચૂંટણી લડે છે અને તે રાજકીય લાભ માટે આ મામલાને વણઉકેલાયેલ રાખવા માંગે છે. ત્યાં સુધી કે ખુદ કોંગ્રેસ પાર્ટીએ પણ શરમ અનુભવ્યા બાદ આ નિવેદનથી દૂરી બનાવી લીધી હતી. કોંગ્રેસના નેતા આનંદ શર્માએ કહ્યું હતું કે પાર્ટી સુપ્રીમ કોર્ટના નિર્ણયનું સમર્થન કરશે.

    આ મામલે શંકા એ પણ ઉભી થઈ હતી કે કપિલ સિબ્બલે કયા પક્ષ તરફથી હાજર થઈને આ દલીલો આપી હતી? સુપ્રીમ કોર્ટની વેબસાઈટ પર જણાવવામાં આવ્યું હતું કે તેઓ આ કેસોમાં સુન્ની વક્ફ બોર્ડ વતી હાજર થયા હતા. કપિલ સિબ્બલ બાબરી મસ્જિદ કેસમાં સુન્ની વક્ફ બોર્ડના નિયુક્ત વકીલ હતા. તે દિવસે, K પરાશરણ, રાજીવ ધવન અને દુષ્યંત દવે જેવા વકીલોના નામ આ કેસમાં હતા, પરંતુ સુન્ની વક્ફ બોર્ડના પક્ષમાંથી કોઈ નહોતું. તો શું વક્ફ બોર્ડ તફથી તે સમયે કોઈ હાજર થયું નહોતું? તેમના વકીલ કપિલ સિબ્બલ હતા તો તેઓ કોના તરફથી હાજર થયા હતા?

    મંદિર-મંદિર ફરી રહ્યા હતા રાહુલ ગાંધી

    કપિલ સિબ્બલ જ્યાં સુધી કોંગ્રેસમાં રહ્યા ત્યાં સુધી તેમને ગાંધી પરિવારના વિશ્વાસુ પણ માનવામાં આવતા હતા. આવી સ્થિતિમાં તે સમયે તેઓ કોની ભાષા બોલી રહ્યા હતા? જો આ સુન્ની વક્ફ બોર્ડની ભાષા ન હતી, કોંગ્રેસ તેનાથી અંતર બનાવી રહી હતી, તો શું તેઓ સીધા સુપ્રીમ ફેમિલીનું પ્રતિનિધિત્વ કરી રહ્યા હતા? શું તેઓ રાહુલ ગાંધીની મંદિર મુલાકાતથી નારાજ મુસ્લિમોને ખુશ કરવા માંગતા હતા? શક્ય છે કે આ બધું ગાંધી પરિવારના ઈશારે થઈ રહ્યું હોય. કપિલ સિબ્બલ એક ચાલાક વ્યક્તિ છે, તેઓ કારણ વગર જ કશું કહી દે તે વાત માનવામાં આવે તેવી નથી.

    ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017 દરમિયાન, રાહુલ ગાંધીએ એક કે બે નહીં પરંતુ 27 મંદિરોની મુલાકાત લીધી હતી , જેને તેમની ‘ટેમ્પલ રન’ પણ કહેવામાં આવે છે. 2 નવેમ્બર, 2017ના રોજ, તેમણે સિંધાઈમાં ઉનાઈ માતાના મંદિરથી પ્રવાસની શરૂઆત કરી હતી. 12 ડિસેમ્બરના રોજ અમદાવાદમાં જગન્નાથ મંદિરની મુલાકાત સાથે તેમણે તેમના પ્રવાસનો અંત કર્યો હતો. તે ચૂંટણીમાં કોંગ્રેસે 77 બેઠકો જીતી હતી અને 99 ભાજપને મળી હતી. એક તરફ પાર્ટી અધ્યક્ષ 27 મંદિરોના પ્રવાસે હતા તો બીજી તરફ એ જ પાર્ટીના એક દિગ્ગજ નેતા સુપ્રીમ કોર્ટમાં મંદિર નિર્માણને અટકાવી રહ્યા હતા. અંબાજી, અક્ષરધામ, વાળીનાથ – રાહુલ આ તમામ મંદિરોમાં પહોંચી ગયા હતા.

    કપિલ સિબ્બલ એ જ વકીલ છે જેમણે ટ્રિપલ તલાક પર પ્રતિબંધ મૂકવા સામે સુન્ની વક્ત બોર્ડની વકીલાત કરી હતી. એટલે કે, તેઓ એ વાતના સમર્થનમાં હતા કે મુસ્લિમ પુરુષ પોતાની પત્નીને ત્રણ વખત તલાક બોલીને તલાક આપી શકે છે. કપિલ સિબ્બલે રામ મંદિર સુનાવણી અટકાવવાના પ્રયાસો બંધ કર્યા ન હતા, પરંતુ તત્કાલીન મુખ્ય ન્યાયાધીશ દીપક મિશ્રા સામે મહાભિયોગની દરખાસ્ત પણ લાવવામાં આવી હતી. 1993માં, કપિલ સિબ્બલે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ V રામાસ્વામીના મહાભિયોગ વિરુદ્ધ સંસદમાં જોરદાર હિમાયત કરી હતી, જ્યારે 2018માં મામલો તેનાથી વિપરીત હતો.

    CJI પર મહાભિયોગના પ્રયાસમાં હતા કપિલ સિબ્બલ

    અગાઉની ઘટના 1993ની છે જ્યારે બીજી ઘટના એપ્રિલ 2018ની છે. સાંસદોને જનતા માટે જવાબદાર ગણાવતા કપિલ સિબ્બલે કહ્યું હતું કે ન્યાયાધીશો પણ જનપ્રતિનિધિઓ પ્રત્યે સમાન રીતે જવાબદાર છે. આ ડ્રાફ્ટ કપિલ સિબ્બલે પોતે તૈયાર કર્યો હતો. અશ્વિની કુમાર, P ચિદમ્બરમ અને સલમાન ખુર્શીદ જેવા કોંગ્રેસના નેતાઓ, જેઓ મોટા વકીલ પણ હતા, તેઓ આનાથી દૂર રહ્યા. કોંગ્રેસ એક મહિનાથી ચૂપચાપ સમર્થન એકત્ર કરી રહી હતી. આ મામલે કપિલ સિબ્બલ આગળ વધીને નેતૃત્વ કરી રહ્યા હતા.

    જાણવા મળ્યું હતું કે કપિલ સિબ્બલ આ મહાભિયોગ કેસને લઈને ખૂબ જ સક્રિય હતા અને રાહુલ ગાંધીના સતત સંપર્કમાં હતા. જ્યારે આને લઈને પાર્ટીમાં બે ફાડ પડી ત્યારે કપિલ સિબ્બલ આ બધું કેમ કરી રહ્યા હતા? તત્કાલીન રાજ્યસભાના અધ્યક્ષ વેંકૈયા નાયડુએ આ પ્રસ્તાવને ફગાવી દીધો હતો, જેની સામે કપિલ સિબ્બલ કોર્ટ પહોંચ્યા હતા. આ બધાની અસર રામ મંદિર પરની સુનાવણી પર પડી અને બંધારણીય બેંચની રચના પછી 2019માં જ સુનાવણી સરળ રીતે ચાલી શકી અને 40 દિવસની સુનાવણીમાં તેનું નિરાકરણ થયું.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં