Friday, May 3, 2024
More
    હોમપેજદેશસ્વતંત્રતા બાદ 47 વર્ષમાં બની માત્ર એક AIIMS, 10 વર્ષમાં મોદી સરકારે...

    સ્વતંત્રતા બાદ 47 વર્ષમાં બની માત્ર એક AIIMS, 10 વર્ષમાં મોદી સરકારે 15ને આપી મંજૂરી: પહેલાં PM વાજપેયી અને પછી PM મોદીએ PMSSYથી સારવાર કરી સરળ

    મોદી સરકાર માત્ર AIIMS જ નહીં પરંતુ અન્ય સ્વાસ્થ્ય સુવિધાઓમાં પણ સુધારો કરવામાં ઘણી સફળ રહી છે. છેલ્લા 10 વર્ષમાં દેશમાં મેડિકલ કોલેજોની સંખ્યા બમણી થઈ ગઈ છે, ત્યારે આ સમયગાળા દરમિયાન દેશનું સ્વાસ્થ્ય બજેટ પણ લગભગ ત્રણ ગણું થઈ ગયું છે. 

    - Advertisement -

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 25 ફેબ્રુઆરી, 2024ના રોજ રાજકોટમાંથી દેશની પાંચ નવી AIIMSનું ઉદ્ઘાટન કર્યું હતું. અહીંથી PM મોદી રાજકોટ સહિત મંગલાગીરી, ભટિંડા, રાયબરેલી અને કલ્યાણી એઈમ્સનું પણ ઉદ્ઘાટન કર્યું હતું. તેમાંથી રાયબરેલી સિવાય બાકીની AIIMSની જાહેરાત પીએમ મોદીએ કરી હતી અને હવે તેનું ઉદ્ઘાટન પણ તેઓ જ કરી રહ્યા છે. મોદી સરકારના કાર્યકાળમાં અગાઉની સરકારો કરતા બમણી સંખ્યામાં AIIMS બનાવવામાં આવી છે.

    મોદી સરકાર માત્ર AIIMS જ નહીં પરંતુ અન્ય સ્વાસ્થ્ય સુવિધાઓમાં પણ સુધારો કરવામાં ઘણી સફળ રહી છે. છેલ્લા 10 વર્ષમાં દેશમાં મેડિકલ કોલેજોની સંખ્યા બમણી થઈ ગઈ છે, ત્યારે આ સમયગાળા દરમિયાન દેશનું સ્વાસ્થ્ય બજેટ પણ લગભગ ત્રણ ગણું થઈ ગયું છે. આ દરમિયાન દેશમાં MBBSની બેઠકોની સંખ્યા પણ બમણી થઈ ગઈ છે. આ ઉપરાંત પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્ર અને આયુષ્માન ભારત જેવી યોજનાઓ પણ લાવવામાં આવી છે. આ બધાના કારણે દેશના સ્વાસ્થ્ય ક્ષેત્રમાં પરિવર્તન આવ્યું છે.

    પીએમ મોદીએ દેશને 15 એઈમ્સ આપ્યા

    PM મોદીએ વર્ષ 2014માં દેશની કમાન સાંભળી હતી. ત્યારે દેશમાં કુલ 8 એઈમ્સ હતા. તેમના કાર્યકાળના લગભગ 10 વર્ષ પછી, દેશમાં AIIMSની કુલ સંખ્યા વધીને 23 થઈ ગઈ છે. જેમાં મોટા ભાગની શરૂ થઇ ગઈ છે જયારે બીજામાં કામ ચાલુ છે જ્યારે કેટલાકની નિર્માણ ચાલી રહ્યું છે. પીએમ મોદીના કાર્યકાળ દરમિયાન 2015થી જ યુદ્ધના ધોરણે AIIMS બનાવવાનું કામ શરૂ થયું હતું.

    - Advertisement -

    પ્રધાનમંત્રી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના (PMSSY)ને PM મોદી દ્વારા ફરીથી જીવંત કરવામાં આવી. તેઓએ ઓક્ટોબર 2015માં એક સાથે 3 AIIMSને મંજૂરી આપી હતી. આ ત્રણ એઈમ્સ મંગલાગીરી (આંધ્રપ્રદેશ), નાગપુર અને કલ્યાણી (પશ્ચિમ બંગાળ)માં બનવાની હતી. હાલમાં મંગલગીરીમાં એમબીબીએસના વર્ગો ચાલી રહ્યા છે. તે 2018માં જ ચાલુ થઇ ગઈ હતી. પ્રધાનમંત્રી 25મી ફેબ્રુઆરીએ વધુ સુવિધાઓ સાથે તેનું ઉદ્ઘાટન કરશે.

    એ જ રીતે, AIIMS નાગપુરનું નિર્માણ કાર્ય પણ વર્ષ 2017માં શરૂ થયું હતું. હાલમાં અહીં એમબીબીએસના વર્ગો ચાલે છે અને ઓપીડીની સુવિધા પણ ચાલુ છે. પશ્ચિમ બંગાળના કલ્યાણીમાં બનેલ AIIMSએ પણ વર્ષ 2019માં વર્ગો શરૂ કર્યા અને તેમાં OPD અને IPD સેવાઓ પણ કાર્યરત છે. રાજકોટમાં ઉદ્ઘાટન થનારી AIIMSમાં કલ્યાણી AIIMSનો પણ સમાવેશ થાય છે.

    મોદી સરકાર આટલેથી જ અટકી નથી. તેમણે જુલાઈ 2016માં AIIMS ગોરખપુર અને AIIMS ભટિંડાને મંજૂરી આપી હતી. હાલમાં ગોરખપુર અને ભટિંડા એઈમ્સ કાર્યરત છે. અહીં એમબીબીએસના વર્ગો પણ ચાલે છે અને ઓપીડીની સુવિધા ઉપલબ્ધ છે. આ પછી, AIIMS ગુવાહાટીને વર્ષ 2017ના મેં મહિનામાં મંજૂરી આપવામાં આવી હતી. AIIMS ગુવાહાટી ઉત્તર પૂર્વના લોકો માટે વરદાન સાબિત થઈ રહ્યું છે. આ ઉપરાંત મણિપુરમાં એઈમ્સ બનાવવાનો પ્રસ્તાવ પણ છે.

    ડિસેમ્બર 2018 અને જાન્યુઆરી 2019માં, સરકારે મદુરાઈ, બીબીનગર (તેલંગાણા) અને હિમાચલ પ્રદેશ માટે AIIMSને મંજૂરી આપી. તેમાંથી, બિલાસપુર એઈમ્સનું ઉદ્ઘાટન ગયા વર્ષે પીએમ મોદીએ કર્યું હતું, એઈમ્સ મદુરાઈમાં એમબીબીએસના વર્ગો અસ્થાયી કેમ્પસમાં ચાલી રહ્યા છે અને મુખ્ય બિલ્ડિંગ પર કામ ચાલી રહ્યું છે. બીબીનગરમાં MBBS અને OPDની સુવિધા ઉપલબ્ધ છે.

    આ ઉપરાંત AIIMS દેવઘરમાં OPD, IPD અને MBBS ક્લાસ પણ શરૂ થઈ ગયા છે. ચૂંટણી સમયે વર્ષ 2019માં, 4 AIIMSની (જમ્મુ, રેવાડી, અવંતિપુર અને રાજકોટ) જાહેરાત કરવામાં આવી હતી. જેમાંથી તાજેતરમાં પીએમ મોદીએ જમ્મુ એઈમ્સનું ઉદ્ઘાટન કર્યું હતું.

    તેમણે હરિયાણાની તાજેતરની મુલાકાત દરમિયાન રેવાડી એઈમ્સનું ખાતમુહૂર્ત કર્યું હતું, અને 25 ફેબ્રુઆરીએ રાજકોટ એઈમ્સનું ઉદ્ઘાટન કર્યું હતું. અવંતીપુરા (શ્રીનગર) એઈમ્સનું કામ ચાલી રહ્યું છે અને તેનું બાંધકામ 50% પૂર્ણ થઈ ગયું છે. સપ્ટેમ્બર 2020માં, બિહારના દરભંગામાં AIIMS સ્થાપવા માટે કેબિનેટની મંજૂરી પણ આપવામાં આવી હતી.

    જો કે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર વચ્ચે જમીન બાબતે કોઈ સમજૂતી થઈ નથી. આવી સ્થિતિમાં તેનું કામ હજુ બાકી છે. તાજેતરના રાજકીય ફેરફારોથી એવી આશા જાગી છે કે કામ ટૂંક સમયમાં શરૂ થશે. અહીંના લોકો પણ આ અંગે ખુબ ઉત્સુક છે.

    નેહરુ-ઇન્દિરા-રાજીવ યુગમાં એક AIIMS, વાજપેયી યુગમાં 6

    ભૂતકાળની વાત કરીએ તો દેશની પ્રથમ AIIMS દિલ્હીમાં બનાવવામાં આવી હતી. તેની સ્થાપના વર્ષ 1956માં કરવામાં આવી હતી. સ્થાપનામાં મુખ્ય યોગદાન આરોગ્ય પ્રધાન અમૃત કૌર દ્વારા આપવામાં આવ્યું હતું, જેમણે તેમાં અંગત રસ રાખ્યો હતો. આ પછી, દેશના અન્ય ભાગોમાં એઈમ્સ અથવા તેના જેવી મોટી હોસ્પિટલો બનાવવાના નામે કોંગ્રેસ મૌન સેવી લીધું હતું. આ સમયગાળા દરમિયાન, ગાંધી-નેહરુ પરિવારના પીએમ બનનારા લોકોની સંખ્યા વધીને 3 થઈ ગઈ પરંતુ એઈમ્સની સંખ્યા માત્ર 1 રહી હતી. જોકે, જ્યારે દેશમાં સત્તા પરિવર્તન થયું અને અટલ બિહારી વાજપેયી વડાપ્રધાન બન્યા ત્યારે તેમણે આ વિષયે વિશેષ ધ્યાન આપ્યું.

    15 ઓગસ્ટ, 2003ના રોજ લાલ કિલ્લા પરથી રાષ્ટ્રને સંબોધતા વાજપેયીએ કહ્યું હતું કે, “મને ખબર છે કે સારી હોસ્પિટલોના અભાવે પછાત રાજ્યોના લોકોને શું નુકસાન વેઠવું પડે છે. તેથી, પ્રધાનમંત્રી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના હેઠળ, આગામી ત્રણ વર્ષમાં પછાત રાજ્યોમાં દિલ્હીની AIIMS જેવી આધુનિક સુવિધાઓ સાથે છ નવી હોસ્પિટલો સ્થાપિત કરવામાં આવશે.”

    કોંગ્રેસની સરકાર દરમિયાન તેના પર કામ ચાલુ રહ્યું. જોકે, દેશની સત્તામાં 10 વર્ષ દરમિયાન, કોંગ્રેસ સરકારે માત્ર એક જ નવી AIIMSની સ્થાપના કરવાની જાહેરાત કરી, તે પણ સોનિયા ગાંધીના સંસદીય ક્ષેત્ર રાયબરેલીમાં. તેની જાહેરાત ત્યારે કરવામાં આવી જયારે દેશ સામાન્ય ચૂંટણી તરફ આગળ વધી રહ્યો હતો.

    માત્ર AIIMS જ નહીં, સ્વાસ્થ્ય ક્ષેત્રે પણ અન્ય કામો થયા.

    એવું નથી કે મોદી સરકારનું ધ્યાન માત્ર AIIMS જેવી સંસ્થાઓ પર જ છે. સરકાર દ્વારા તાજેતરમાં બહાર પાડવામાં આવેલા શ્વેતપત્રમાં જણાવાયું છે કે, આઝાદીના 67 વર્ષમાં દેશ જેટલાં ડોકટરો તૈયાર કરવાની ક્ષમતા બનાવી શક્યું. તેના કરતા વધુ ડોકટરો મોદી સરકારે માત્ર 10 વર્ષમાં બનાવ્યા છે. વર્ષ 2014માં દેશમાં MBBSની બેઠકોની સંખ્યા 51,438 હતી. હાલમાં દેશમાં 1.08 લાખ મેડિકલ સીટો છે. એટલે કે છેલ્લા 10 વર્ષમાં તે બમણી થઈ ગઈ છે. આ સમયગાળા દરમિયાન દેશમાં મેડિકલ કોલેજોની સંખ્યા 387 થી વધીને 706 થઈ ગઈ છે.

    છેલ્લા 10 વર્ષમાં દેશના સ્વાસ્થ્ય બજેટમાં પણ વધારો થયો છે. વર્ષ 2013-14માં કેન્દ્ર સરકારે આરોગ્ય ક્ષેત્ર માટે અંદાજે ₹37,000 કરોડની ફાળવણી કરી હતી. 2024-25ના વચગાળાના બજેટમાં આ ક્ષેત્ર માટે ફાળવણી વધારીને અંદાજે ₹90,000 કરોડ કરવામાં આવી છે. આ ઉપરાંત આયુષ્માન કાર્ડ અને પ્રધાનમંત્રી જનઔષધિ કેન્દ્ર જેવી યોજનાઓ પણ લાવવામાં આવી છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં