Monday, May 6, 2024
More
    હોમપેજરાજકારણ‘કોંગ્રેસ-BRS બંને પાપી, રાજ્યને બરબાદ કરી નાખ્યું’: તેલંગાણામાં PM મોદીએ સભાઓ ગજવી,...

    ‘કોંગ્રેસ-BRS બંને પાપી, રાજ્યને બરબાદ કરી નાખ્યું’: તેલંગાણામાં PM મોદીએ સભાઓ ગજવી, KCRને ગણાવ્યા ‘ફાર્મહાઉસ મુખ્યમંત્રી’

    વડાપ્રધાને કોંગ્રેસ અને BRSને આડેહાથ લેતાં કહ્યું હતું કે બંને પાર્ટીઓએ તેલંગાણાને બરબાદ કરી નાખ્યું છે. પરંતુ આ વખતે અહીંના લોકો એક બીમારીને દૂર કરીને બીજી બીમારીને પ્રવેશવા દેશે નહીં.

    - Advertisement -

    હાલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેલંગાણાના પ્રવાસે છે, જ્યાં આગામી 30 નવેમ્બરના રોજ મતદાન હાથ ધરવામાં આવશે. સોમવારે (27 નવેમ્બર) તિરુપતિ બાલાજીના દર્શન કર્યા બાદ વડાપ્રધાને જનસભાઓ સંબોધિત કરી, જેમાં તેમણે કોંગ્રેસ અને સત્તાધારી BRS (ભારત રાષ્ટ્ર સમિતિ) પર આકરા પ્રહાર કર્યા હતા તો મુખ્યમંત્રી KCRને ફાર્મહાઉસ મુખ્યમંત્રી ગણાવ્યા.

    PM મોદીએ જનસભાને સંબોધતા કહ્યું હતું કે, “BRSની ગાડીનાં ચાર વ્હીલ અને સ્ટિયરિંગ કોંગ્રેસના હાથ કરતાં અલગ નથી. આ બંને પાર્ટીઓ ધર્મના નામે તુષ્ટિકરણની રાજનીતિ કરે છે. બંને પાર્ટીઓએ ભ્રષ્ટાચાર અને વંશવાદને જ પ્રોત્સાહન આપ્યું છે. કોંગ્રેસ અને BRS બંને પક્ષોએ તુષ્ટિકરણને એક નવી ઊંચાઈ પર પહોચાડી દીધું છે. જ્યાં-જ્યાં પણ આ બંને પાર્ટી સત્તામાં રહી ત્યાં કાયદો અને વ્યવસ્થા નાશ પામ્યાં છે.” તેમણે ઉમેર્યું કે, જ્યાં એક તરફ ભાજપ સરકારે દલિતોને સશક્ત કર્યા ત્યાં આ બંને પાર્ટીઓએ દલિતોનો વિશ્વાસધાત કર્યો છે.

    વડાપ્રધાને કોંગ્રેસ અને BRSને આડેહાથ લેતાં કહ્યું હતું કે બંને પાર્ટીઓએ તેલંગાણાને બરબાદ કરી નાખ્યું છે. પરંતુ આ વખતે અહીંના લોકો એક બીમારીને દૂર કરીને બીજી બીમારીને પ્રવેશવા દેશે નહીં. તેમણે આ બંને પક્ષોને પાપી ગણાવ્યા હતા.

    - Advertisement -

    સંબોધનમાં પીએમ મોદી તેલંગાણાના મુખ્યમંત્રી KCRને આડેહાથ લઈને તેમની ઉપર પર વરસ્યા અને ‘ફાર્મહાઉસ મુખ્યમંત્રી’ ગણાવ્યા હતા. તેમણે કહ્યું કે, “તેલંગાણાની ઓળખ સંસ્કૃતિ અને ટેક્નોલોજી છે પરંતુ KCRએ આ રાજ્ય પર અંધવિશ્વાસનો ઠપ્પો  લગાવી દીધો. જનતાના પૈસે બનાવેલું સચિવાલય તેમણે અંધવિશ્વાસને લીધે બરબાદ કરી નાખ્યું. આખરે ફાર્મહાઉસ મુખ્યમંત્રીની તેલંગાણાને શું જરૂર છે? અંધવિશ્વાસના ગુલામ છે ફાર્મહાઉસ મુખ્યમંત્રી. તેલંગાણાને તેમની જરૂર નથી, તેઓ ગરીબોના ગુનેગાર છે. 3 ડિસેમ્બરે તેઓ હારી જશે.”

    ‘કોંગ્રેસને મત એટલે KCRની સરકાર આવવાની સંભાવના’

    તેમણે કહ્યું કે, કોંગ્રેસના ધારસભ્યો ક્યારે BRSમાં ચાલ્યા જાય તેની કોઇ ગેરેન્ટી નથી, એટલે તેલંગાણામાં કોઇ કોંગ્રેસને મત નહીં આપે. કોંગ્રેસને મત એટલે કે ફરી KCRની સરકાર આવવાની સંભાવના. તેને સત્તામાંથી બહાર કરવાનો એક જ રસ્તો છે- કમળનું બટન દબાવવું અને ભાજપના સીએમ બનાવવા. આગળ કહ્યું કે, “તેલંગાણામાં BRSની નાવ ડૂબી રહી છે અને BRSને પણ અહેસાસ થઈ ચૂક્યો છે કે 3 ડિસેમ્બરે તેમની ટીકીટ કપાઈ જશે. આ જોઈને KCRનો પરિવાર પણ વિખેરવાનો શરૂ થઈ ગયો છે. હાર સામે જોઇને KCR પૂરેપૂરી તાકાત લગાવી રહ્યા છે કે જનતાનો આક્રોશ ઠંડો થઈ જાય. 

    તેલંગાણામાં પહેલી વખત ભાજપની સરકાર બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કરતાં પીએમ મોદીએ કહ્યું હતું કે હું જ્યાં પણ જઈ રહ્યો છું ત્યાં એક જ ગૂંજ સંભળાય છે- ‘તેલંગાણામાં પહેલી વાર, આવી રહી છે બીજેપી સરકાર.’ તેમણે એમ પણ કહ્યું કે, ભાજપે વાયદો કર્યો છે કે તેલંગાણાના પહેલા સીએમ પછાત વર્ગમાંથી જ હશે. 

    તેલંગાણામાં આગામી 30 નવેમ્બરે વિધાનસભા ચૂંટણી માટે મતદાન યોજાશે. મતગણતરી 3 ડિસેમ્બરે હાથ ધરવામાં આવશે. આ જ દિવસે બાકીનાં ચાર રાજ્યો મધ્ય પ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ અને મિઝોરમમાં પણ પરિણામ જાહેર કરવામાં આવશે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં