Monday, April 29, 2024
More
    હોમપેજરાજકારણ‘ગઠબંધનનો નિર્ણય આત્મઘાતી, પાર્ટી ખતમ થઈ જશે’: ઉદ્ધવ સેનાએ ઉમેદવારો જાહેર કર્યા...

    ‘ગઠબંધનનો નિર્ણય આત્મઘાતી, પાર્ટી ખતમ થઈ જશે’: ઉદ્ધવ સેનાએ ઉમેદવારો જાહેર કર્યા બાદ કોંગ્રેસમાં બળવો, સંજય નિરુપમે કહ્યું- ખીચડી ચોર માટે નહીં કરું પ્રચાર

    તેમણે મુંબઈ નોર્થ વેસ્ટ બેઠકના ઉમેદવાર અમોલ કિર્તિકર પર નિશાન સાધ્યું અને કહ્યું કે, “આ ઉમેદવાર પર ભ્રષ્ટાચારનો આરોપ છે. કોરોના સમયે જેમણે ખીચડી કૌભાંડ કર્યું, તેને ઉદ્ધવ ઠાકરેએ ઉમેદવાર બનાવ્યા છે. હું એલાન કરું છું કે આવા ખીચડી ચોરનો પ્રચાર હું નહીં કરું.”

    - Advertisement -

    લોકસભા ચૂંટણી હવે એકદમ નજીક છે, છતાં ભાજપ અને મોદીને હરાવવા ભેગું થયેલું INDI ગઠબંધન નામનું ટોળું પોતાની મુશ્કેલીઓમાંથી બહાર આવી શક્યું નથી. હવે નવી ધમાલ મહારાષ્ટ્રમાં શરૂ થઈ છે. અહીં કોંગ્રેસ અને શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે) વચ્ચે બેઠકોની વહેંચણીને લઈને ચર્ચા ચાલતી હતી, પરંતુ હવે શિવસેનાએ અમુક બેઠકો પર ઉમેદવારો જાહેર કરી દેતાં વિખવાદ સર્જાયો છે. સંજય નિરુપમ જેવા વરિષ્ઠ કૉંગ્રેસ નેતાઓ પણ હવે ખુલીને ઉદ્ધવ સેના સામે બોલવા માંડ્યા છે. 

    બુધવારે (27 માર્ચ) શિવસેનાએ કુલ 17 ઉમેદવારોની યાદી જાહેર કરી, જેમાં મુંબઈની પણ ત્રણ બેઠકો સામેલ છે. પાર્ટીએ કહ્યું કે તેઓ લોકસભા ચૂંટણીમાં કુલ 48માંથી 22 બેઠકો પર લડશે. શિવસેનાએ જે બેઠકો પર ઉમેદવાર જાહેર કર્યા છે, તેમાં મુંબઈ ઉત્તર-પશ્ચિમ બેઠક પણ સામેલ છે, જ્યાં અમોલ કીર્તિકરને ટિકીટ આપવામાં આવી છે. આ બેઠક પર કોંગ્રેસ તરફથી સંજય નિરુપમ દાવો માંડી રહ્યા હતા. જેથી હવે તેમણે બળવાના સૂર ઉપાડ્યા છે. 

    એક પ્રેસ કૉન્ફરન્સ સંબોધતાં સંજય નિરુપમે કહ્યું કે, “જો બાળાસાહેબ થોરાત સ્વયં વાતચીત કરતી ટીમના સભ્ય હતા અને તેઓ જો કહી રહ્યા છે કે ફરી વિચાર કરવો જોઈએ તો એનો અર્થ એ થયો કે તેમની વાત પણ સાંભળવામાં ન આવી. જો વાતચીત કરનારાઓની જ વાત સંભાળવામાં ન આવી હોય તો આપણે બધા નિષ્ફળ ગયા છીએ. હું એ જ કહી રહ્યો છું કે શિવસેનાએ આવું વલણ ન અપનાવવું જોઈએ, આનાથી કોંગ્રેસને મોટું નુકસાન છે.”

    - Advertisement -

    આગળ કહ્યું કે, “હું કોંગ્રેસ નેતૃત્વનું ધ્યાન આકર્ષિત કરવા માગું છું કે તમે હજુ પણ હસ્તક્ષેપ કરી શકો તેમ છો. જો ન થઈ શકતું હોય તો ગઠબંધન તોડી નાખો. જો પાર્ટી બચાવવી હોય તો ગઠબંધન તોડો અને મેદાનમાં ઉતરો. પરંતુ તમે શિવસેના સાથે ગઠબંધન કરીને હંમેશા માટે કોંગ્રેસને ખતમ કરવાનો નિર્ણય કરી રહ્યા છો તે આખી પાર્ટી માટે આત્મઘાતી છે અને તેની અસર મહારાષ્ટ્ર જ નહીં પરંતુ બહાર પણ પડશે.  

    શિવસેના પર વધુ પ્રહાર કરતાં તેમણે કહ્યું કે, “મુંબઈની ચાર બેઠકો પર તેમણે ઉમેદવાર ઉતાર્યા છે અને જાણવા મળી રહ્યું છે કે પાંચમી બેઠક પર પણ તેઓ ઉમેદવાર જાહેર કરશે. એટલે કે મુંબઈની 6 લોકસભા બેઠકોમાંથી 5 પર શિવસેના લડશે અને 1 બેઠક ખેરાતની જેમ કોંગ્રેસ માટે છોડી દેવામાં આવી છે. આ નિર્ણય કોંગ્રેસને મુંબઈમાં દફન કરવાનો નિર્ણય છે. હું તેનો વિરોધ કરી રહ્યો છું. તેમણે કોંગ્રેસ નેતૃત્વ પર પણ આરોપ લગાવ્યા અને કહ્યું કે, તેઓ સરખી વાતચીત ન કરી શક્યા, જેની પણ હું ટીકા કરું છું. 

    તેમણે મુંબઈ નોર્થ વેસ્ટ બેઠકના ઉમેદવાર અમોલ કિર્તિકર પર નિશાન સાધ્યું અને કહ્યું કે, “આ ઉમેદવાર પર ભ્રષ્ટાચારનો આરોપ છે. કોરોના સમયે જેમણે ખીચડી કૌભાંડ કર્યું, તેને ઉદ્ધવ ઠાકરેએ ઉમેદવાર બનાવ્યા છે. હું એલાન કરું છું કે આવા ખીચડી ચોરનો પ્રચાર હું નહીં કરું.”

    હાઈકમાન્ડને 1 સપ્તાહનો સમય, નહીંતર મારી પાસે વિકલ્પો ખુલ્લા છે: નિરુપમ

    સંજય નિરુપમે હાઈકમાન્ડને ચેતવણી આપતાં કહ્યું કે તેઓ 1 સપ્તાહનો સમય આપી રહ્યા છે, નહીંતર અન્ય વિકલ્પો પણ તેમની પાસે ખુલ્લા છે. નિરુપમે કહ્યું, “હું શીર્ષ નેતૃત્વને એટલું જ કહીશ કે હું વધુમાં વધુ 1 અઠવાડિયું રાહ જોઇશ. મારી સામે હવે તમામ વિકલ્પો ખુલ્લા છે. હું વિકલ્પહીન પરિસ્થિતિમાં નથી, હવે જે થશે તે આરપાર થશે. આવનારા દિવસોમાં તમને ઘોષણા સાંભળવા મળશે. ત્યાં સુધી હું શીર્ષ નેતૃત્વની અમારા જેવા કાર્યકર્તા પ્રત્યે શું ભાવના છે તે જાણવા માટે રાહ જોઈશ, પણ તેનાથી વધુ રાહ જોઈ શકાય તેમ નથી.”

    ઉલ્લેખનીય છે કે શિવસેના (UBT)એ અમુક એવી બેઠકો પર પણ ઉમેદવારો ઘોષિત કરી દીધા છે, જેની ઉપર કોંગ્રેસ પણ પોતાના ઉમેદવાર ઉતારવા માંગતી હતી. જેને કારણે વિવાદ સર્જાયો છે. બીજી તરફ શિવસેના (UBT)નું કહેવું છે કે બેઠકોની વહેંચણીને લઈને કોઇ વિવાદ નથી, પરંતુ જે દેખાય છે તે કશુંક બીજું જ સૂચવે છે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં