Saturday, April 27, 2024
More
    હોમપેજમંતવ્યશિવરાજ સિંઘનું 'નારી સન્માન', 'લાડલી બહેના'એ રાખ્યું માન: એક્ઝિટ પોલ આમ જ...

    શિવરાજ સિંઘનું ‘નારી સન્માન’, ‘લાડલી બહેના’એ રાખ્યું માન: એક્ઝિટ પોલ આમ જ નથી દેખાડી રહ્યા મધ્ય પ્રદેશમાં ફરી એક વાર ‘મામાની સરકાર’

    આ ચૂંટણીમાં મહિલાઓની જબરદસ્ત ભાગીદારી રહી હતી. રાજ્યમાં મહિલાઓએ તેમની કુલ વોટિંગ જનસંખ્યાનું 76.02 ટકા તરીકે મતદાન કર્યું છે. વર્ષ 2003માં આ ટકાવારી 62.14 હતી, જ્યારે 2018ની ચૂંટણીમાં આ ટકાવારી 74.02 હતી. આ રીતે ભાજપની કલ્યાણકારી યોજનાઓના કારણે મહિલાઓની ભાગીદારી વધી છે.

    - Advertisement -

    પાંચ રાજ્યોમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીને લઈને વિવિધ એજન્સીઓના એક્ઝિટ પોલ (Exit Poll) આવી ચૂક્યા છે. આ પોલ્સમાં મધ્ય પ્રદેશમાં ફરી એક વાર ‘મામાની સરકાર’ બનતી જોવા મળી રહી છે, બીજી તરફ રાજસ્થાનમાં પણ ભગવો લહેરાતો જોવા મળી રહ્યો છે. આ સિવાય બાકીનાં રાજ્યો છત્તીસગઢ, તેલંગાણા અને મિઝોરમને લઈને એક્ઝિટ પોલમાં અસમંજસની સ્થિતિ છે.

    મધ્યપ્રદેશમાં વિધાનસભાની કુલ 200 બેઠકો છે અને સરકાર બનાવવા માટે ઓછામાં ઓછી 116 બેઠકોની જરૂર છે. એક્ઝિટ પોલના રૂઝાનો પર નજર કરવામાં આવે તો મોટાભાગના એક્ઝિટ પોલમાં મધ્ય પ્રદેશમાં ભાજપ સરકાર સ્પષ્ટ બહુમતી સાથે પરત ફરી રહી છે. જે એક્ઝિટ પોલમાં ભાજપને ઓછી સીટો આપવામાં આવી છે તે પણ બહુમતની આસપાસ જ છે.

    ‘ઇન્ડિયા ટુડે-એક્સિસ માય ઇન્ડિયા’ અને ‘ન્યૂઝ 24-ટુડેઝ ચાણક્ય’ દ્વારા પોલમાં ભાજપને 151 બેઠકો મળવાની આગાહી કરવામાં આવી હતી, જ્યારે ‘ઇન્ડિયા ટીવી-સીએનએક્સ’એ 149 અને ‘રિપબ્લિક-મૈટ્રિઝ’માં 124નો આંકડો આવી રહ્યો છે. આ ચારેય એજન્સીઓએ પોતાના એક્ઝિટ પોલે ભાજપને સ્પષ્ટ અને પ્રચંડ બહુમત આપીને મધ્ય પ્રદેશમાં ફરી મામાની સરકાર બનતી હોવાનું જણાવ્યું છે.

    - Advertisement -

    બીજી તરફ ‘ટાઈમ્સ નાઉ-ઇટીજી’ અને ‘ટીવી9-પોલસ્ટ્રેટ’એ મધ્ય પ્રદેશમાં ભાજપને 111 બેઠકો મળવાની આગાહી કરી છે. જો તેમના એક્ઝિટ પોલને સાચા માનવામાં આવે તો પણ ભાજપ બહુમતના આંકડાથી માત્ર 5 ડગલાં પાછળ છે. દૈનિક ભાસ્કર અને એબીપી-સી વોટર્સ દ્વારા ભાજપને ક્રમશઃ 105 અને 100 બેઠકો આપી છે. આ મુજબ કુલ 8 એજન્સીઓના એક્ઝિટ પોલમાં મધ્ય પ્રદેશમાં ચાર એજન્સીઓએ ભાજપને પૂર્ણ બહુમત આપ્યો છે અને બે એજન્સીઓએ ‘બહુમતની નજીક’ નજીકના આંકડા આપ્યા છે. માત્ર ત્રણ એજન્સીઓ છે જેણે કોંગ્રેસને બહુમતી આપી છે. એબીપી-સી વોટર્સે કોંગ્રેસને 125, ટાઇમ્સ નાઉ-ઇટીજીએ 117 અને ટીવી9-પોલસ્ટ્રેટે 116 બેઠકો આપી છે.

    જો રાજ્યમાં ભાજપની સરકાર બને અને પાર્ટી શિવરાજસિંઘ ચૌહાણને ફરી એકવાર મુખ્યમંત્રી બનાવે તો CM તરીકે તેમનો આ પાંચમો કાર્યકાળ હશે. આ રીતે મધ્ય પ્રદેશની જનતા ફરી એકવાર પોતાના ‘મામા’માં વિશ્વાસ કરતી જોવા મળી રહી છે. જો ભાજપ ફરી એકવાર સરકાર બનાવશે તો સૌથી વધુ શ્રેય તેની પ્રજાલક્ષી નીતિઓને જશે.

    ભાજપ સરકારે રાજ્યમાં મહિલાઓ, ખેડૂતો અને ગરીબ શ્રમિકો માટે ખાસ યોજનાઓ શરૂ કરી હતી. જો ફરી શિવરાજ સરકાર બનશે તો તેમાં મહિલાઓનું વિશેષ યોગદાન હશે. મધ્યપ્રદેશની મહિલાઓને ભાજપ સરકાર પર અતૂટ વિશ્વાસ છે. ચૌહાણ સરકારે મહિલાઓ માટે ‘લાડલી’ જેવી અનેક યોજનાઓ શરૂ કરી હતી, જેના કારણે તેમની લોકપ્રિયતામાં વધારો થયો હતો.

    મધ્ય પ્રદેશની ભાજપ સરકાર દ્વારા શરૂ કરાયેલી મહિલાઓ માટેની એક પ્રખ્યાત યોજના ‘લાડલી બહના યોજના’ છે. આ યોજના હેઠળ રાજ્યની લગભગ 1.25 કરોડ મહિલાઓને ઓક્ટોબર મહિનાથી 1250 રૂપિયા આપવામાં આવી રહ્યા છે. પહેલા આ રકમ 1000 રૂપિયા હતી. સીએમ ચૌહાણે ઓગસ્ટ 2023માં કહ્યું હતું કે તેને ધીમે ધીમે વધારીને દર મહિને 3,000 રૂપિયા કરવામાં આવશે.

    લાડલી બહના યોજના આ વર્ષે 10 જૂને શરૂ કરવામાં આવી હતી. જ્ય સરકારના સત્તાવાર આંકડા મુજબ આ સરકારી યોજના હેઠળ પાત્ર મહિલાઓને આશરે 3,628.85 કરોડ રૂપિયા આર્થિક સહાય તરીકે આપવામાં આવ્યા છે. અગાઉ આ યોજનામાં 23 વર્ષથી વધુ ઉંમરની મહિલાઓને લાભ મળતો હતો. બાદમાં હાણ સરકારે ઉંમર ઘટાડીને 21 વર્ષ કરી દીધી હતી.

    આ જ રીતે 60 વર્ષથી વધુ ઉંમરની મહિલાઓને પહેલા દર મહિને 600 રૂપિયા આપવામાં આવતા હતા. હવે રાજ્ય સરકાર તેમને મહિને 1000 રૂપિયા આપી રહી છે. આ ઉપરાંત રાજ્યની જે મહિલાઓ પાસે રહેવા માટે જમીન નથી તેમને મફતમાં પ્લોટ આપવામાં આવશે. વીજળીના વધેલા બિલ પણ ફરી કરવામાં આવશે.

    આ સિવાય શિવરાજ સિંહ ચૌહાણે મહિલાઓ માટે અનામત વધારવાની જાહેરાત કરતા કહ્યું હતું કે, શિક્ષક ભરતીમાં મહિલાઓને 50 ટકા અનામત આપવામાં આવશે. અન્ય સરકારી ભરતીઓમાં પણ મહિલાઓને 35 ટકા અનામત મળશે. આ જ રીતે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 50 ટકા અનામત અને પોલીસ નોકરીઓમાં 30 ટકા અનામતની વ્યવસ્થા કરવામાં આવી છે.

    મુખ્યમંત્રીએ એમ પણ કહ્યું હતું કે, આગામી વર્ષથી રાજ્યમાં દારૂની દુકાનો બંધ કરવાનું શરૂ થશે. તેમણે કહ્યું હતું કે, નવી લિકર પોલિસી બનાવવામાં આવશે, જેમાં જ્યાં અડધાથી વધુ એટલે કે 50 ટકાથી વધુ મહિલાઓ ઇચ્છે કે દારૂની દુકાન ન હોવી જોઈએ, તો દારૂની દુકાનો બંધ કરી દેવામાં આવશે. તેમણે રાજ્યની કન્યાઓની શિક્ષણ ફી પોતે ભરવાની જવાબદારી લેવાની પણ જાહેરાત કરી હતી.

    દીકરીઓના જન્મ બાદ પરિવારની વિચારસરણી બદલવા માટે ચૌહાણ સરકારે 1 એપ્રિલ, 2007ના રોજ ‘લાડલી લક્ષ્મી યોજના’ શરૂ કરી હતી. આમાં દીકરીઓના જન્મ વિશે સકારાત્મક વિચારની સાથે સાથે લિંગાનુપાતમાં સુધારો, તેમના શૈક્ષણિક અને સ્વાસ્થ્યની સ્થિતિમાં સુધારો વગેરેની શરૂઆત કરવામાં આવી હતી. તેના સકારાત્મક પરિણામો પણ દેખાઈ રહ્યાં છે.

    ચૌહાણ સરકારે મધ્યપ્રદેશમાં મહિલા શિક્ષણ પર પણ ઘણું કામ કર્યું હતું. 2005માં પ્રાથમિક સ્તરના શિક્ષણમાં બાળકીઓનો શાળા છોડવાનો દર 18.26 ટકા હતો, જે 2023માં ઘટીને 6.63 ટકા થયો હતો. સેકન્ડરી લેવલ પર આ દર 18.41 ટકાથી 1.26 ટકા રહ્યો છે. સાથે જ મહિલાઓની સાક્ષરતા પણ 44થી વધીને 65.4 ટકા થઈ ગઈ છે.

    શિવરાજ સરકારે મહિલાઓ સાથે જોડાયેલા કામો માટે 100 કરોડ રૂપિયાનો ‘નારી સન્માન કોષ’ પણ સ્થાપ્યો છે. આ ઉપરાંત નાના વ્યવસાયો માટે પીએમ સ્વનિધિ યોજના તેમજ મુખ્યમંત્રી પથ વિક્રેતા યોજના અંતર્ગત વ્યાજ મુક્ત લોન આપવામાં આવી રહી છે. આમાં મહિલાઓને પણ પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. ‘સ્કૂટી યોજના’ હેઠળ સરકાર દર વર્ષે 12માં ધોરણના ટોપર્સને સ્કૂટી ખરીદવા માટે પૈસા આપે છે.

    મધ્યપ્રદેશમાં ‘મુખ્યમંત્રી કન્યા વિવાહ-નિકાહ યોજના’ પણ ચાલે છે. આ યોજના હેઠળ ગરીબ પરિવારોની દીકરીઓના લગ્ન માટે સરકાર દ્વારા 51 હજાર રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે. આ સિવાય 450 રૂપિયામાં મહિલાઓ માટે એલપીજી સિલિન્ડર જેવી યોજનાઓ પણ છે.

    કેન્દ્ર સરકારની કિસાન સન્માન નિધિના માધ્યમથી મળનારા 6000 રૂપિયા ઉપરાંત મધ્ય પ્રદેશ સરકાર કિસાન કલ્યાણ યોજના હેઠળ રાજ્યના ખેડૂતોને વાર્ષિક 4000 રૂપિયા આપે છે. આ રીતે લાભાર્થી ખેડૂતોને એક વર્ષમાં કુલ 10 હજાર રૂપિયાની આર્થિક સહાય મળે છે.

    આમ, રાજ્યની વસતીમાં 50 ટકા યોગદાન આપતી મહિલાઓ પર કેન્દ્રિત યોજનાઓને કારણે શિવરાજસિંઘ ચૌહાણ રાજ્યની મહિલાઓમાં સારી એવી લોકપ્રિયતા ધરાવે છે. મધ્યપ્રદેશમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં આ વખતે 77.15 ટકા જેટલું બમ્પર મતદાન થયું છે. ગત વિધાનસભાની ચૂંટણીની સરખામણીએ તેમાં 2.10 ટકાનો વધારો નોંધાયો છે.

    આ ચૂંટણીમાં મહિલાઓની જબરદસ્ત ભાગીદારી રહી હતી. રાજ્યમાં મહિલાઓએ તેમની કુલ વોટિંગ વસ્તીનું 76.02 ટકા તરીકે મતદાન કર્યું છે. વર્ષ 2003માં આ ટકાવારી 62.14 હતી, જ્યારે 2018ની ચૂંટણીમાં આ ટકાવારી 74.02 હતી. આ રીતે ભાજપની કલ્યાણકારી યોજનાઓના કારણે મહિલાઓની ભાગીદારી વધી છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં