Tuesday, May 7, 2024
More
    હોમપેજરાજકારણ‘આગલાં 10 વર્ષ સુધી મોદી જ રહેશે’: ગૃહમંત્રી અમિત શાહનું મોટું એલાન-...

    ‘આગલાં 10 વર્ષ સુધી મોદી જ રહેશે’: ગૃહમંત્રી અમિત શાહનું મોટું એલાન- ચૂંટણી પહેલાં લાગુ થશે CAA, UCC પર કહ્યું- દેશમાં એક જ કાયદો હોવો જોઈએ 

    અમિત શાહે કહ્યું, “CAA આ દેશનો કાયદો છે, પથ્થર પર લકીર છે, વાસ્તવિકતા છે અને લાગુ થશે જ. આ ચૂંટણી પહેલાં જ લાગુ થશે.” તેમણે કહ્યું કે, “કાયદો ચૂંટણી પહેલાં જ લાગુ થશે, આ દેશનો કાયદો છે અને કોઇ તેને રોકી શકતું નથી.” 

    - Advertisement -

    લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે ત્યાં બીજી તરફ CAAને લઈને પણ ચર્ચા થઈ રહી છે. જાણવા મળી રહ્યું છે કે સરકાર ચૂંટણી પહેલાં જ CAA લાગુ કરી દેશે. ગૃહમંત્રી અમિત શાહે અગાઉ આ મામલે જાહેરાત કરી હતી અને હવે ફરીથી કહ્યું છે. રિપબ્લિક ટીવીના કાર્યક્રમમાં ગૃહમંત્રીએ આ એલાન કર્યું હતું. તદુપરાંત તેમણે વર્તમાન રાજકારણ અને ચૂંટણીને લઈને ઘણી વાતો કહી. 

    અમિત શાહે કહ્યું, “CAA આ દેશનો કાયદો છે, પથ્થર પર લકીર છે, વાસ્તવિકતા છે અને લાગુ થશે જ. આ ચૂંટણી પહેલાં જ લાગુ થશે.” તેમણે કહ્યું કે, “કાયદો ચૂંટણી પહેલાં જ લાગુ થશે, આ દેશનો કાયદો છે અને કોઇ તેને રોકી શકતું નથી.” 

    તેની અસર વિશે પૂછવામાં આવતાં ગૃહમંત્રીએ કહ્યું, “CAA કોઇ નવી વાત નથી. કોંગ્રેસ પાર્ટી વોટબેન્કની લાલચમાં અનેક બાબતો ભૂલી ગઈ છે. જે રીતે UCC બંધારણ સભાનો એક વાયદો હતો, તે રીતે જ્યારે દેશનું વિભાજન થયું ત્યારે લાખોની સંખ્યામાં શરણાર્થીઓ આવી રહ્યા હતા ત્યારે કોંગ્રેસે તેમને નાગરિકતા આપવાનો વાયદો કર્યો હતો. આ વાયદાના આધારે તેઓ ત્યાં રહ્યા, તેમને પ્રતાડિત કરવામાં આવ્યા, અત્યાચાર કરવામાં આવ્યા, જેથી તેઓ ભારત આવી ગયા. હવે આજે ભારત 15 ઓગસ્ટ, 1947નો પોતાનો વાયદો પૂર્ણ ન કરે તો તે ઠીક નહીં રહે.” 

    - Advertisement -

    તેમણે કહ્યું કે, “કરોડો લોકો આજે નાગરિકતા વગર રહે છે. વિપક્ષ જણાવે કે તેઓ ક્યાં જાય? શું આપણે તેમનું સ્વાગત ન કરીએ? ભારત તેમનું સ્વાગત પણ કરશે અને મારા-તમારા જેવી નાગરિકતા આપીને અધિકારો પણ આપશે.”

    આગલાં 10 વર્ષ સુધી મોદી જ રહેશે: ગૃહમંત્રી શાહ 

    સમિટમાં અગત્યનું નિવેદન આપતાં ગૃહમંત્રી અમિત શાહે કહ્યું હતું કે આગામી 10 વર્ષ સુધી મોદી જ રહેશે. રિપબ્લિકના એડિટર ઇન ચીફે જ્યારે પૂછયું કે ગૃહમંત્રી આજથી 5-10 વર્ષ બાદ કોને વિપક્ષ તરીકે જુએ છે, ત્યારે અમિત શાહે કહ્યું, “આટલું દૂરનું આકલન કોઇ કરી ન શકે. દેશમાં એક પ્રકારે ડાયનેમિક ડેમોક્રેસી છે, જે પરફોર્મન્સની સમીક્ષા કરીને જનાદેશ આપે છે. દેશની જનતાનો મૂડ અને મેન્ડેટ જાતિવાદ, પરિવારવાદ અને તુષ્ટિકરણના આધારે નક્કી થતો હતો, હવે મોદીએ પોલિટિક્સ ઑફ પરફોર્મન્સનો પાયો નાખ્યો છે. હવે તેના આધારે નક્કી થાય છે. જે પરફોર્મ કરશે તે સત્તામાં બેસશે, જે નહીં કરી શકે તે વિપક્ષમાં.”

    તેમણે ઉમેર્યું કે, “દેશની જનતા અમારા પરફોર્મન્સના આધારે જ નક્કી કરશે. અમે સારું પ્રદર્શન કરશે તો અમને અધિકારો મળશે, જો અમારી અંદરની ખામીઓને નિયંત્રિત ન કરી શક્યા તો વિપક્ષને અધિકાર મળશે. તે 10 વર્ષ બાદ દેશની જનતા નક્કી કરશે. પરંતુ મારું આકલન કહું તો 10 વર્ષ સુધી તો મોદી જ છે.” 

    મોદીને મેં સતત અને નિઃસ્વાર્થભાવે કામ કરતા જોયા છે, તેઓ દેશ માટે જીવે છે: ગૃહમંત્રી 

    ગૃહમંત્રીએ વિપક્ષના PM મોદી પરના વ્યક્તિગત ટિપ્પણી અને આરોપોને લઈને પણ જવાબ આપ્યા. તેમણે કહ્યું, “આ પ્રકારની વાતો એ લોકો જ કરી શકે, જેમની પાસે બીજો કોઇ રસ્તો ન હોય. આવી વાતો કરીને દેશના રાજકારણના સ્તરને નીચું કરવાનું કામ કરવામાં આવે છે તેનો જનતા દરેક વખતે જવાબ આપે છે.”

    PM મોદી વિશે તેમણે કહ્યું, “મેં તેમને નજીકથી જોયા છે, વર્ષો સુધી તેમની સાથે કામ કર્યું છે. લાલુજીએ એક રીતે બરાબર જ કહ્યું છે કે મોદીનો કોઇ પરિવાર નથી. પરિવાર જેમનો હોય છે તેઓ દીકરા-દીકરીને સત્તા પર બેસાડવાના પ્રયાસ કરે છે. આ વ્યક્તિએ 40 વર્ષથી માત્ર દેશની જનતા માટે જ કામ કર્યું છે. 23 વર્ષથી સત્તામાં હોવા છતાં મેં તેમને ક્યારેય રજા લેતા જોયા નથી. સવારે 5 વાગ્યાથી રાત્રે 1 વાગ્યા સુધી અહર્નિશ કામ કરતા રહ્યા છે. મેં તેમને સતત અને નિઃસ્વાર્થભાવે કામ કરતા જોયા છે અને તેમના પુરુષાર્થનું જ કારણ છે કે આજે આટલી મોટી કેડર બની છે, નેતાઓની શૃંખલા ઉભી થઈ છે. ભાજપ મજબૂત થઈ છે અને દેશ 2047 સુધીમાં વિકસિત ભારત બનવાનો સંકલ્પ લઈને આગળ વધી રહ્યો છે.”  

    UCC માટે ભાજપ સમર્પિત, દેશમાં એક જ કાયદો હોવો જોઈએ 

    UCC પર પણ ગૃહમંત્રીએ વાતચીત કરી હતી. તેમણે કહ્યું કે, “UCCને ધર્મ સાથે જોડવામાં આવે તે દુર્ભાગ્યપૂર્ણ બાબત છે. આ ભાજપનો એજન્ડા તો છે જ, પરંતુ બંધારણીય સભાએ પણ આર્ટિકલ 44માં કહ્યું છે કે આ દેશની સંસદ અને વિધાનમંડળ યોગ્ય સમયે UCC લાગુ કરશે. જો તમે પંથનિરપેક્ષ રાજ્યની કલ્પના કરો તો ધર્મના આધારે કાયદા કઈ રીતે હોય? આ દેશમાં એક કાયદો હોવો જરૂરી છે.” તેમણે કહ્યું કે, “ભાજપની ઉત્તરાખંડ સરકારે એક સમિતિ બનાવી, ડ્રાફ્ટ તૈયાર કર્યો અને એક બિલ બનાવીને પસાર કર્યું છે. હું તેમને અભિનંદન આપું છું.”

    રાષ્ટ્રીય સ્તરે ક્યારે લાગુ કરવામાં આવશે, તે સવાલ પર ગૃહમંત્રીએ કહ્યું કે, “આ એક મોટો સામાજિક બદલાવ છે. તેની ઉપર દેશમાં વ્યાપક ચર્ચા થાય તે જરૂરી છે. તેની સામાજિક અને રાજકીય સમીક્ષા બાદ દેશનાં તમામ વિધાનમંડળો તેને લાગુ કરશે તેવો મને વિશ્વાસ છે, પરંતુ હું નિશ્ચિતરૂપે દેશની જનતાને કહેવા માંગું છું કે ભાજપ માને છે કે કાશ્મીરથી કન્યાકુમારી અને આસામથી દ્વારકા સુધી યુનિફોર્મ સિવિલ કોડ હોવો જોઈએ અને દેશ એક જ કાયદો લાગુ થવો જોઈએ.”

    ભારત જોડો નહીં ભારત તોડો યાત્રા, વિપક્ષ 10 વર્ષમાં અમારી ઉપર એક પણ આરોપ સિદ્ધ કરી શક્યો નથી: શાહ 

    આ ઉપરાંત તેમણે કોંગ્રેસની ‘ભારત જોડો ન્યાય યાત્રા’ વિશે પણ ટિપ્પણી કરી અને કહ્યું કે તે ખરેખર ‘ભારત તોડો યાત્રા’ છે. સાથે સંદેશખાલીની ઘટનાઓ પર પણ તેઓ બોલ્યા. એજન્સીઓના દુરુપયોગના આરોપો પર કહ્યું કે જો કોઈને લાગતું હોય કે તેમની સાથે અન્યાય થઈ રહ્યો છે તો કોર્ટમાં જાય, પરંતુ જેઓ તપાસથી ડરે છે તેઓ જ એજન્સીઓની બૂમો પાડે છે. તેમણે એમ પણ કહ્યું કે, 23 વર્ષથી મોદી શાસન કરી રહ્યા છે, 10 વર્ષથી અમારી સરકાર છે, પરંતુ અમારા વિરોધીઓ એક 4 આનાનો આરોપ પણ સિદ્ધ કરી શક્યા નથી. અમે પારદર્શિતાથી શાસન કર્યું છે. વિપક્ષના ખોખલા પ્રચારમાં જનતા નહીં આવે, તેઓ ખુલ્લા પડી રહ્યા છે. 

    સંદેશખાલી પર તેમણે કહ્યું કે, “આ ઘટનાઓએ બંગાળના શાસનને સંપૂર્ણ છતું કરી દીધું છે. એક મહિલા મુખ્યમંત્રીના રાજમાં જે રીતે ધર્મના આધારે મહિલાઓનું શોષણ કરવામાં આવ્યું, તે સહન ન કરી શકાય. અમે તેની સામે એડીચોટીનું જોર લગાવીને લડીશું અને બંગાળમાં પરિવર્તન લાવીને રહીશું.” 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં