Friday, May 3, 2024
More
    હોમપેજદેશજે 'કચ્ચાતીવુ' દ્વીપ ઇન્દિરા સરકારે સોંપ્યો હતો શ્રીલંકાને, તેના 'સોદા' વિશે DMK...

    જે ‘કચ્ચાતીવુ’ દ્વીપ ઇન્દિરા સરકારે સોંપ્યો હતો શ્રીલંકાને, તેના ‘સોદા’ વિશે DMK નેતા કરુણાનિધિને પણ હતી જાણ: RTIના નવા ખુલાસા, PM મોદીએ કર્યા પ્રહાર

    ઇન્દિરા ગાંધીની સરકાર કચ્ચાતીવુ ટાપુને લઈને શ્રીલંકા સાથે સોદો કરી રહી છે. તે વિશેની જાણ તમિલનાડુના તત્કાલીન મુખ્યમંત્રી અને DMK નેતા કરુણાનિધિને પણ હતી. તેમણે આ મામલે સહમતી દર્શાવી હતી. તે બાદ જ ઇન્દિરા ગાંધીએ ભારતના મહત્વપૂર્ણ ટાપુ પરથી ભારતનો દાવો પરત ખેંચ્યો હતો.

    - Advertisement -

    2024ની લોકસભા ચૂંટણી નજીક છે. તેને લઈને દેશમાં રાજકીય ગરમાવો પણ જોવા મળી રહ્યો છે. તે દરમિયાન જ વડાપ્રધાન મોદીએ કચ્ચાતીવુ દ્વીપને લઈને DMK-કોંગ્રેસ પર પ્રહારો શરૂ કર્યા છે. રવિવારે (31 માર્ચ) વડાપ્રધાને કચ્ચાતીવુ દ્વીપ શ્રીલંકાને આપી દેવાના મુદ્દે કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા. જ્યારે હવે તેમણે આ મુદ્દે કોંગ્રેસની સહયોગી પાર્ટી DMKને પણ આડેહાથ લીધી છે. નોંધવું જોઈએ કે, તમિલનાડુના ભાજપ અધ્યક્ષ કે. અન્નામલાઈએ RTI દાખલ કરીને એ જાણવાની માંગ કરી હતી કે, કચ્ચાતીવુ ટાપુ શ્રીલંકાને શા માટે આપવામાં આવ્યો છે. તેનો જવાબ આવ્યા બાદ અનેક ઘટસ્ફોટ સામે આવ્યા છે. જેને લઈને રાજકારણ પણ ગરમાયું છે.

    શ્રીલંકાને કચ્ચાતીવુ દ્વીપ આપવાના મુદ્દે PM મોદીએ હવે DMK પર પણ આકરા પ્રહારો કર્યા છે. વડાપ્રધાને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું છે કે, “નિવેદનબાજીને બાજુ પર રાખીને, DMKએ તમિલનાડુના હિતોની રક્ષા કરવા માટે કઈ કર્યું નથી. કચ્ચાતીવુ પર સામે આવેલી નવી વિગતોને DMKના બેવડા ધોરણોને સંપૂર્ણ રીતે ઉજાગર કર્યા છે.”

    તેમણે કહ્યું કે, “કોંગ્રેસ અને DMK બંને પારિવારિક એકમો છે. તેમને માત્ર એ વાતની ચિંતા છે કે, તેમના દીકર-દીકરીઓ આગળ કેવી રીતે વધે. તેને બીજા કોઇની ચિંતા નથી. કચ્ચાતીવુ પર તેમની ઉદાસીનતાએ ખાસ કરીને આપણાં ગરીબ માછીમારો અને માછીમાર મહિલાઓના હિતોને નુકશાન પહોંચાડ્યું છે.” વડાપ્રધાન મોદીએ આ પોસ્ટ સાથે ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના રિપોર્ટની એક લિન્ક પણ શેર કરી છે.

    - Advertisement -

    ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના રિપોર્ટમાં નવો ઘટટસ્ફોટ એ થયો છે કે, DMKના સંસ્થાપક એમ. કરુણાનિધિને ઇન્દિરા ગાંધીએ કચ્ચાતીવુ દ્વીપ શ્રીલંકાને આપવા માટે મનાવી લીધા હતા. તેથી જ વડાપ્રધાને કોંગ્રેસની સાથે હવે DMK પર પણ પ્રહાર કર્યા છે. નોંધનીય છે કે, રવિવારે (31 માર્ચ, 2024) PM મોદીએ કચ્ચાતીવુ દ્વીપના મુદ્દે કોંગ્રેસ પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું હતું કે, કોંગ્રેસના શાસનમાં દેશની સંપ્રભુતા અને એકતાને છિન્નભિન્ન કરવાનું કામ કરવામાં આવ્યું છે. આ સાથે કોંગ્રેસ સરકારે જ ભારતનો તે મહત્વપૂર્ણ ટાપુ શ્રીલંકાને આપી દીધો હોવાનું પણ વડાપ્રધાને કહ્યું છે. હવે એમાં નવા ઘટસ્ફોટ થયા છે.

    DMK નેતા કરુણાનિધિને કરાર વિશે હતી માહિતી

    ઇન્દિરા ગાંધીની સરકાર કચ્ચાતીવુ ટાપુને લઈને શ્રીલંકા સાથે સોદો કરી રહી છે. તે વિશેની જાણ તમિલનાડુના તત્કાલીન મુખ્યમંત્રી અને DMK નેતા કરુણાનિધિને પણ હતી. તેમણે આ મામલે સહમતી દર્શાવી હતી. તે બાદ જ ઇન્દિરા ગાંધીએ ભારતના મહત્વપૂર્ણ ટાપુ પરથી ભારતનો દાવો પરત ખેંચ્યો હતો. ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના રિપોર્ટ અનુસાર, 23 જુલાઈ, 1974ના રોજ જ્યારે ઇન્દિરા ગાંધી સરકારના તત્કાલીન વિદેશમંત્રી સ્વર્ણ સિંઘ ઇન્દિરા ગાંધી દ્વારા થયેલા ભારત-શ્રીલંકા કરાર પર નિવેદન આપવા માટે સંસદમાં આગળ આવ્યા હતા.

    તે સમયે DMKના સાંસદ એરા સેઝિયાને આરોપ લગાવ્યો હતો કે, ઇન્દિરા સરકારે ભારત-શ્રીલંકાના આ કરારને લઈને સંસદ અને તમિલનાડુની કરુણાનિધિની સરકારને અંધારામાં રાખી છે. જોકે, આ મુદ્દે સેઝિયાન અજાણ હતા કે, તમિલનાડુના મુખ્યમંત્રી કરુણાનિધિએ એક મહિના પહેલાં જ આ કરાર પર પોતાની સહમતી દર્શાવી હતી. વાસ્તવમાં PM ઇન્દિરા ગાંધી અને એક અથવા તો બે વરિષ્ઠ મંત્રીઓને છોડીને DMK નેતા કરુણાનિધિ જ એકમાત્ર એવા વ્યક્તિ હતા. જેમને આ કરારની રૂપરેખા વિશે સંપૂર્ણ માહિતી હતી.

    તમિલનાડુના ભાજપ અધ્યક્ષ કે. અન્નામલાઈ દ્વારા RTIના માધ્યમથી પ્રાપ્ત કરેલા દસ્તાવેજોથી એ જાણવા મળે છે કે, 19 જૂન, 1974ના રોજ તત્કાલીન વિદેશ સચિવ કેવલ સિંઘ, ડિરેક્ટર, ઐતિહાસિક વિભાગ, BK બસુ સાથે સચિવાલય કોન્ફરન્સ રૂમમાં કરુણાનિધિને મળ્યા હતા. જે બાદ કરારની જાણકારી માટે મદ્રાસ ગયા હતા અને ત્યાંથી સ્વીકૃતિ સાથે પરત ફર્યા હતા.

    એક કલાકથી વધુ સમય સુધી ચાલેલી આ બેઠકમાં મુખ્ય સચિવ પી સબનયાગમ અને બાદમાં ગૃહ સચિવ એસપી એમ્બ્રોસે કરુણાનિધિને સમજાવ્યા હતા. આ રીતે શ્રીલંકા સાથે કરાર કરવાના ઇન્દિરા ગાંધીના નિર્ણયને રિપોર્ટમાં વર્ણવવામાં આવ્યો છે. જેમાં કરુણાનિધિએ પણ પ્રતિક્રિયા આપી હતી. જે બાદ કરુણાનિધિએ સંકેત આપ્યા હતા કે, તેઓ આ કરારને સ્વીકારવા માટે ઇચ્છુક છે. આ ઉપરાંત તત્કાલીન વિદેશ સચિવે તેવું પણ જણાવ્યું હતું કે, શ્રીલંકા સાથે થયેલી વાટાઘાટો વિશે તમિલનાડુ સરકારને પહેલેથી જ સહભાગી કરવામાં આવી હતી.

    ટૂંકમાં, કચ્ચાતીવુ ટાપુ શ્રીલંકાને આપવાનો નિર્ણય માત્ર ઇન્દિરા ગાંધીની કોંગ્રેસ સરકારનો નહતો. તે સમયે DMK સરકારના તમિલનાડુના મુખ્યમંત્રી કરુણાનિધિએ પણ આ અંગેની જાણ હતી અને તેમણે પણ આ બાબતે સહમતી દર્શાવી હતી. તેથી જ વડાપ્રધાન મોદીએ કોંગ્રેસ બાદ હવે DMK પર પણ આકરા પ્રહાર કર્યા છે.

    કે અન્નામલાઈના RTI દસ્તાવેજોને ટાંકીને TOIના રિપોર્ટમાં અન્ય કયા ખુલાસાઓ થયા હતા, તે અહિયાં ક્લિક કરીને જાણી શકાશે. આ ઉપરાંત ઇન્દિરા સરકારે કઈ રીતે શ્રીલંકા સાથે સમજૂતી કરીને આ ટાપુ શ્રીલંકાને સોંપી દીધો હતો તે વિશે વિગતવાર માહિતી અહી ક્લિક કરવાથી વાંચી શકાશે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં