Wednesday, April 17, 2024
More
    હોમપેજરાજકારણ'ભુપેન્દ્ર પટેલ CM બનશે તેમાં કોઈ શંકા નથી', 'અમારા શાસનમાં કૌભાંડો શોધવા...

    ‘ભુપેન્દ્ર પટેલ CM બનશે તેમાં કોઈ શંકા નથી’, ‘અમારા શાસનમાં કૌભાંડો શોધવા મુશ્કેલ’: ચૂંટણી પહેલા અમિત શાહે કરી અનેક મુદ્દે વાત

    આમ આદમી પાર્ટી વિશેના સવાલ પર વાત કરતા ગૃહપ્રધાને કહ્યું હતું કે ગુજરાતે ક્યારેય કોઈ ત્રીજો પક્ષ સ્વીકાર્યો નથી. આ સાથે તેમણે આમ આદમી પાર્ટી દ્વારા લાવવામાં આવેલ ફ્રી-રેવડી ક્લચર પર પણ પ્રહાર કર્યા હતા.

    - Advertisement -

    ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા દેશના ગૃહમંત્રી અમિત શાહનો એક એક્સક્લુઝિવ ઈન્ટવ્યુ સામે આવ્યો છે. અમિત શાહે આ ઇન્ટરવ્યૂ Network18 ગ્રુપને આપ્યો હતો. જેમાં તેઓએ અનેક મુદ્દે ખુલ્લા મને જવાબ આપ્યા હતા. જેમાં ગુજરાતના આગામી મુખ્યમંત્રી થી લઈને કોંગ્રેસના કૌભાંડો સુધીનો સમાવેશ થાય છે.

    Network18 ને આપેલા વિશેષ ઈન્ટવ્યુમાં ગૃહ મંત્રી અમિત શાહેએ ખુલ્લા મને વાત કરી હતી. તેમને પોતાની રાજકીય પાર્ટી ભાજપા ઉપરાંત વિરોધી પાર્ટીઓ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વિષે પણ વાત કરી હતી. આ ઉપરાંત શાહે રાજ્યની ચૂંટણીઓ, ફ્રી રેવડી કલ્ચર, યુનિફોર્મ સિવિલ કોડ, સરદાર પટેલ અંગેની તકરાર, જમ્મુ અને કાશ્મીર અને પંજાબ જેવા પ્રદેશોની સ્થિતિ, ભારતની આંતરરાષ્ટ્રીય સ્થિતિ, સરહદની ચિંતાઓ, આંતરિક સુરક્ષા અને 2024ની લોકસભા ચૂંટણી સહિત વિવિધ મુદ્દાઓ પર વાત કરી હતી.

    ભુપેન્દ્ર ભાઈ જ બનશે CM

    ગુજરાત અધિવેશનમાં Network 18ના MD અને ગ્રુપ એડિટર-ઈન-ચીફ રાહુલ જોશી સાથે એક્સક્લુઝિવ ઈન્ટરવ્યુમાં, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે દાવો કર્યો હતો કે, ગુજરાતમાં ભાજપ જંગી બહુમતી સાથે સરકાર બનાવશે. અમિત શાહે કહ્યું કે, “અમે ચૂંટણીના તમામ રેકોર્ડ તોડીને જંગી બહુમતી સાથે સરકાર બનાવીશું. અમે હંમેશા ગુજરાતની જનતાની અપેક્ષાઓ પર ખરા ઉતર્યા છીએ.”

    - Advertisement -

    “આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને બહુમતી મળશે, વર્તમાન મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ જ ગુજરાતના આગામી મુખ્યમંત્રી બનીને પાછા ફરશે.” એમ પણ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે જણાવ્યું હતું.

    ગુજરાતે ક્યારેય ત્રીજો પક્ષ સ્વીકાર્યો નથી

    આમ આદમી પાર્ટી વિશેના સવાલ પર વાત કરતા ગૃહપ્રધાને કહ્યું હતું કે ગુજરાતે ક્યારેય કોઈ ત્રીજો પક્ષ સ્વીકાર્યો નથી. આ સાથે તેમણે આમ આદમી પાર્ટી દ્વારા લાવવામાં આવેલ ફ્રી-રેવડી ક્લચર પર પણ પ્રહાર કર્યા હતા.

    કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ફ્રી રેવડીની રાજનીતિ અને ભાજપના ચૂંટણી વચનો વચ્ચેનો તફાવત જણાવતાં કહ્યું હતું કે, “ઘર, વીજળી, શૌચાલય, ગેસ આપવાથી રેવડીનું વિતરણ નથી થઈ રહ્યું.” તેમણે એમ પણ કહ્યું કે “કોઈનું જીવનધોરણ ઊંચું કરવું એ રેવડી નથી.”

    ચૂંટણી વચનો પર પોતાનો મુદ્દો રાખતા કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું, “મત માટે રેવડીનું વિતરણ કરવું અને જીવનધોરણ વધારવા માટે એક સમયની મદદ કરવી એ અલગ બાબત છે.”

    શાહે કોંગ્રેસ પર લગાવ્યા આરોપ

    દેશના ગૃહમંત્રીએ કૌભાંડોને લઈને કોંગ્રેસ પાર્ટી પર નિશાન સાધતા કહ્યું કે, “દેશની સૌથી જૂની પાર્ટીના શાસન દરમિયાન કૌભાંડોની ગણતરી કરવી મુશ્કેલ હતી, પરંતુ અમારા શાસનમાં કૌભાંડો શોધવા મુશ્કેલ છે.” તેમણે કહ્યું કે, ‘વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એવી વ્યવસ્થા બનાવી છે કે હવે દેશમાં સુશાસન રહે છે.’

    કેન્દ્રીય ગૃહમંત્રીએ ઈન્ટરવ્યુ દરમિયાન કહ્યું કે, “કોંગ્રેસને સરદાર પટેલનું નામ લેવાનો અધિકાર નથી કારણ કે તેણે હંમેશા પટેલોને અન્યાય કર્યો છે.” અમિત શાહે કહ્યું કે, ” સરદાર પટેલના યોગદાન માટે કોંગ્રેસના સર્ટિફિકેટની જરૂર નથી.”

    સ્ટેચ્યુ ઓફ યુનિટીને લઈને અમિત શાહે કહ્યું કે, “વડાપ્રધાન મોદીએ વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સરદાર પટેલની બનાવી છે. આજ સુધી એક પણ કોંગ્રેસી નેતા ત્યા પુષ્પાજંલિ કરવા ગયા નથી. પ્રતિમા કોઈએ પણ બનાવી હોય, તમારા શાસનમાં(કોંગ્રેસ) દરમિયાન અનેક પ્રતિમા બનાવવામાં આવી છે, અમે જઈએ છીએ અને આદરભાવ વ્યક્ત કરીએ છીએ.” આ ઉપરાંત, તેમણે કહ્યું કે, “વડાપ્રધાન મોદીએ આ પ્રતિમાં બનાવી એટલા માટે તમે નથી જતા એવું નથી, પરંતુ આ સરદાર પટેલની પ્રતિમા છે એટલે તમે નથી જઈ રહ્યા અને સરદાર પટેલને હંમેશા અન્યાય આપવાનું કામ કોંગ્રેસે કર્યું છે. સરદાર પટેલના નામે ન કોઈ યોજના બની, ન કોઈ સન્માન આપ્યું અને અહિયા સુધી કે, ભારત રત્ન પણ આપવામાં આવ્યું નહી. આ તો કોંગ્રેસની સત્તા ગઈ ત્યારે ભારતરત્ન આપવામાં આવ્યું હતું.”

    આમ આ ઇન્ટરવ્યૂમાં અમિત શાહે ઘણા પ્રશ્નો જવાબ આપ્યા હતા અને વિપક્ષ પર હુમલો કરવાનો એક પણ મોકો છોડ્યો નહોતો. સાથે જ આગામી ચૂંટણીમાં ભાજપ દરેક રેકોર્ડ તોડીને પ્રચંડ બહુમતીથી સરકાર બનાવશે તેવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં