Friday, May 3, 2024
More
    હોમપેજમંતવ્યરાજકારણ અને સમાજકારણ: આંદોલનો શું આપે છે? અરાજકતા અને નવી નેતાગીરી!

    રાજકારણ અને સમાજકારણ: આંદોલનો શું આપે છે? અરાજકતા અને નવી નેતાગીરી!

    એક માસ હિસ્ટેરિયાનું વાતાવરણ સર્જાય ત્યારે આંદોલને ચડેલો માણસ ઝાઝું વિચારતો હોતો નથી. તે ન એ પૂછવાની તસ્દી લે છે કે અન્યાય થઈ રહ્યો છે તો ક્યાં અને કઈ રીતે થઈ રહ્યો છે, કે ન એ જાણવાના પ્રયાસ કરે છે કે જે-તે માંગ લઈને તેઓ રસ્તા પર ઉતર્યા છે તે કેટલી વ્યાજબી અને સંતોષવાલાયક છે.

    - Advertisement -

    ધર્મ અને રાજકારણમાં થતાં આંદોલનો જુદી વસ્તુ છે, સમાજને કેન્દ્રમાં રાખીને થતાં આંદોલન જુદી. સામાજિક ન્યાય કે અસ્મિતાના ઝંડા લઈને કૂદી પડતા મંદમતિઓ ભલે દિવાસ્વપ્નમાં રાચતા રહે કે તેમના આ ‘ભગીરથ’ પ્રયાસોનો મોટો પડઘો પડશે, પણ ખરેખર તો આવાં આંદોલનો કે ચળવળો પર જ્યારે પૂર્ણવિરામ મૂકાય ત્યારે શેષ વધે છે માત્ર અરાજકતા અને બે-ચાર નવા ફૂટી નીકળેલા નેતાઓ. તે સિવાય કશું નક્કર પરિણામો આવતાં હોતાં નથી કે કશું ઊપજતું હોતું નથી. 

    આંદોલનોમાં જ્યાં સુધી ટોળાં ભેગાં ન થાય ત્યાં સુધી તેને સરકાર તો ઠીક પણ મીડિયા પણ ગંભીરતાથી લેતું નથી. બીજાની ખબર નહીં, પણ સામાજિક આંદોલનો માટે ભીડ ભેગી કરવાનો સરળ રસ્તો જાતિવાદ છે. આમ ભલે તમે સમાજ માટે લેશમાત્ર યોગદાન ન આપ્યું હોય કે સમાજની એક પણ મિટીંગમાં ગયા નહીં હોય, પણ આવા સમયે કોઇ આવીને કાનમાં કહી જાય કે તમારી જાતિ સાથે કે સમાજ સાથે ભયંકર અન્યાય થઈ રહ્યો છે ત્યારે અંદરનો જાતિવાદ ઉછાળા મારવા માંડે છે અને પ્રબળ સંભાવના છે કે આવા સમયે તમે ઝંડા લઈને કૂદી પડવાના. બાકીના જે વધ્યા તેઓ આ જ કામ કરવાના, પણ સોશિયલ મીડિયા પર.

    ન્યાય, સ્વાભિમાન, અસ્મિતા કે ક્રાંતિનું અફીણ પીવડાવીને છૂટાં મૂકી દીધેલાં ટોળાંને ભલે લાગતું હોય કે તેઓ એક ક્રાંતિવીર લડવૈયા બનીને નીકળી પડ્યા છે અને તેમના આ આંદોલનથી એક નવી ક્રાંતિ સર્જાશે, પણ હકીકત એ હોય છે કે તેમની ગણતરી માત્ર એક સૈનિક તરીકે માથાં ગણવા માટે થાય છે. ન તેમને કોઇ તેમને કશું પૂછે છે કે ન નિર્ણયો લેવામાં કે રણનીતિઓ નક્કી કરવામાં તેમની ભૂમિકા હોય છે. પરિપક્વ રાજકારણીઓ કે સમાજકારણીઓને સાઈડલાઈન કરીને નેતા બનવાની લ્હાયમાં સમાજના માથે ચડી ગયેલા આંદોલનકારીઓ જ નિર્ણયો લે છે અને તે આ સૈનિકોએ માન્ય રાખવા પડે છે. આખરે તેઓ જ્યારે સમાધાન કરી નાખે ત્યારે પછી આ સૈનિકો પાસે ઝંડા મૂકીને ઘરભેગા થવા સિવાય કોઇ વિકલ્પ રહેતો નથી.

    - Advertisement -

    એક માસ હિસ્ટેરિયાનું વાતાવરણ સર્જાય ત્યારે આંદોલને ચડેલો માણસ ઝાઝું વિચારતો હોતો નથી. તે ન એ પૂછવાની તસ્દી લે છે કે અન્યાય થઈ રહ્યો છે તો ક્યાં અને કઈ રીતે થઈ રહ્યો છે, કે ન એ જાણવાના પ્રયાસ કરે છે કે જે-તે માંગ લઈને તેઓ રસ્તા પર ઉતર્યા છે તે કેટલી વ્યાજબી અને સંતોષવાલાયક છે. તેનું કામ માત્ર ઉત્પાત મચાવવાનું હોય છે. એ પછી ગ્રાઉન્ડ હોય કે સોશિયલ મીડિયા. 

    ટોળાંમાં જોડાવાની પૂર્વશરત એ છે કે તમારે મગજને તાળું મારીને ચાવી અન્યોના હાથમાં આપી દેવી પડે છે. પોતાનું મગજ દોડાવવાના પ્રયાસ કરનારાઓને કાં તો હાંસિયામાં ધકેલી દેવામાં આવે છે અથવા તો અડધેથી મૂકી દઈને બાકીના માણસો ટોળું લઈને આગળ વધી જાય છે. કોઇ સમસ્યાને લઈને કે કોઇ મુદ્દાને લઈને અવાજ ઉઠાવવા માટે શરૂ થતાં આંદોલનો છેવટે કચાટ પેદા કરવા સિવાય કશું કરતાં હોતાં નથી, કારણ કે અવાજ ઉઠાવવા માટે તમારી પાસે એક બ્લુપ્રિન્ટ હોવી જરૂરી છે, એક નિયત રોડમેપ હોવો જરૂરી છે અને જો એકેએક વ્યક્તિ તેના આધારે જ ચાલે તો જ તે શક્ય બને છે. સામાજિક આંદોલનોમાં આ બાબત ક્યારેય શક્ય નથી.

    સમાજને કેન્દ્રમાં રાખીને આંદોલનો ભૂતકાળમાં પણ થયાં છે, ભવિષ્યમાં પણ થશે. કારણ કે માનવસમુદાયની પ્રિય પ્રવૃત્તિઓ પૈકીની એક છે. આપણને આમ પણ નક્કર અને ઠોસ કામો કરવા કરતાં ભવિષ્યમાં ભલે કોઇ પરિણામ ન આવે પણ થોડા સમય માટે પણ ચરમાનંદ મળે તેવાં કામો કરવામાં વધારે મજા આવે છે. એટલે આંદોલનો ચાલુ રહેવાનાં પણ તેનાથી નક્કર પરિણામો મળે તેની શક્યતાઓ ઓછી કરતાં નહિવત છે. કારણ કે પરિણામો મેળવવાનો આ રસ્તો નથી.

    નેતાઓનું સર્જન કરી આપે છે આંદોલનો

    આવાં આંદોલનો કોઇ પરિણામ આપે કે ન આપે એ પણ બાજુ પર રહ્યું, પણ દર વખતે નવા નેતાઓનું સર્જન કરી આપે છે એ તો વાસ્તવિકતા છે. સામાજિક અસ્મિતા કે ન્યાય માટે થતાં આંદોલનોને બહોળું જનસમર્થન મળે તે તો હવે સ્વભાવિક વાત છે, પણ તેનું નેતૃત્વ કરનારાઓમાં આખરે જાણ્યે-અજાણ્યે એ વિચાર ઘર કરી જાય છે કે આ બધાને ભેગા કરવામાં તેમનો સિંહફાળો છે અને આ તેમના એક અવાજે ભેગું થયેલું ટોળું છે. જ્યારે હકીકત એ હોય છે કે આ ટોળું એક મુદ્દાને લઈને એકઠું થયું છે, વ્યક્તિના અવાજના કારણે નહીં. જે-તે વ્યક્તિ માત્ર નિમિત્ત બન્યો છે. 

    મોટાભાગનાં આંદોલનોમાં પીઢ થઈ ગયેલા અને જેમને ખરેખર અગ્રણી કહેવા જોઈએ અને જેમણે એક વર્ગ કે સમુદાયને અહીં સુધી પહોંચાડવામાં જાત ઘસી નાખી હોય તેવા માણસોને હડધૂત કરીને હાંસિયામાં ધકેલી દેવામાં આવે છે, કારણ કે તેઓ મોટેભાગે સૌમ્ય અને સમાધાનના માર્ગોની વકાલત કરે છે. આમ કરવાનું કારણ ન તો સત્તાનો ડર છે કે ન સમજનો અભાવ. કારણ માત્ર એટલું છે કે તેમણે સમાજ પણ જોયો છે અને રાજકારણથી પણ વાકેફ છે. તેમને પરિણામોની પણ ખબર છે અને દુષ્પરિણામોની પણ. પરંતુ ઉન્માદે ચડેલું ટોળું ક્યારેય તેમની વાતો માનતું હોતું નથી અને બાગડોર એવા માણસોના હાથમાં આવી જાય છે જેમની રાજકીય કે સામાજિક પરિપક્વતા હોતી નથી.

    આંદોલનોથી શક્તિપ્રદર્શન થાય ને આખરે તેનાથી રાજકીય કે સામાજિક દ્રષ્ટિએ વર્ચસ્વ વધે એવો વિચાર ક્યાંથી ઉદભવ્યો તે ખબર નથી પણ તેમાં વાસ્તવિકતા જેવું કશું છે નહીં. કોઇ એક માંગને લઈને રસ્તા પર કૂદી પડેલા ટોળા પાસેથી મર્યાદા અને શિસ્તની અપેક્ષા રાખી શકાય નહીં. કારણ કે ટોળું ભેગું થાય ત્યાં કોઇ નક્કર કામ થતાં નથી ને આખરે વિનાશ જ નોતરે છે. આવા સમયે જ્યારે એક હદ કરતાં વધુ મર્યાદા ચૂકી જવાય ત્યારે આંદોલન રિવર્સ ગતિ પકડવા માંડે છે. બીજી તરફ, સામે સત્તા ભલે આંદોલનોને દબાવે નહીં તો આગળ ન વધે તે માટે તો સ્વાભાવિક પ્રયાસ કરશે. આવા સમયે એક પૂર્ણવિરામ મૂકાય છે અને મોટાભાગે અંત આંદોલનકારીઓના હિતમાં આવતા હોતા નથી. પછી ‘ખાયા પિયા કુછ નહીં, ગિલાસ તોડા બાર આના’ જેવું થાય અને શેષ વધે છે અરાજકતા અને નેતાઓ. 

    ધર્મ અને રાજકારણ જુદી વસ્તુ છે અને સમાજ જુદી

    કહેવાની વાત એટલી જ છે કે ધર્મ અને રાજકારણ જુદી વસ્તુ છે અને સમાજ જુદી. ધર્મ અને રાજકારણમાં થયેલાં અમુક આંદોલનો ભૂતકાળમાં સફળ થયાં પણ છે તો તેણે એક લાંબો સમય લઇ લીધો છે. તાત્કાલિક તો તેનાં પણ પરિણામો મળ્યાં નહોતાં. બીજું, આવાં આંદોલનોમાં મોટેભાગે કોઇ છૂપો એજન્ડા હોતો નથી અને જે કાંઈ છે તે નજર સામે હોય છે. જ્યારે કોઇ છૂપો એજન્ડા ન હોય ત્યારે આંદોલન હાંકવાં સરળ થઈ પડે છે. વધુમાં એક નક્કર બ્લુપ્રિન્ટ હોય છે અને સક્ષમ નેતાગીરી હોય છે, જે પણ સકારાત્મક પાસું હોય છે. પણ સમાજ જુદો વિષય છે. સમાજ પણ એ જ રસ્તો પકડે તો મોટાભાગે સફળતા મળતી હોતી નથી.

    ચિંતાજનક વાત તો એ પણ છે કે એક સમુદાય (હિંદુઓ) જે પોતાના અસ્તિત્વની લડાઇ લડી રહ્યો છે તેને જાતિના નામ પર વહેંચવા માટે દર વખતે કોઇને કોઇ રસ્તો મળી જ રહે છે. આ વહેંચવા માટેના રસ્તા આંદોલનો થકી નીકળે છે. પણ આ સમય વહેંચાવાનો નથી. ખાસ કરીને એવા સમયે જ્યારે તમે અસ્તિત્વ સાચવવા માટે લડી રહ્યા હો અને એ પણ એક ગ્લોબલ ઇકોસિસ્ટમ સામે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં