Thursday, April 18, 2024
More
    હોમપેજમંતવ્યગુજરાતની જીવાદોરી નર્મદા યોજનામાં વિઘ્ન નાખનાર વિઘ્નસંતોષી મેધા પાટકરને ઓડિશામાં વિરોધનું નાટક...

    ગુજરાતની જીવાદોરી નર્મદા યોજનામાં વિઘ્ન નાખનાર વિઘ્નસંતોષી મેધા પાટકરને ઓડિશામાં વિરોધનું નાટક ભારે પડી ગયું; જાણીએ આંદોલનજીવી મેધા પાટકરનો ગુજરાત વિરોધી ઈતિહાસ

    હાલમાં ઓડિશાના એક ગામડામાં વિકાસ વિરોધી અને આંદોલનજીવી મેધા પાટકરને પ્રવેશતાં ગામવાસીઓએ અટકાવ્યા હતા, પરંતુ ગુજરાતના વિકાસમાં કાયમ રોડાં નાખતા પાટકરને ગુજરાતે તો ત્રણ દાયકા અગાઉ જ પરચો દેખાડી દીધો હતો.

    - Advertisement -

    ફક્ત વિરોધ પ્રદર્શનો કરવા અને ખાસ કરીને ગુજરાતના સરદાર સરોવર ડેમ પ્રોજેક્ટમાં થયેલા વિલંબ માટે કારણભૂત જાણીતા ડાબેરી કાર્યકર મેધા પાટકર સોમવારે (6 જૂન 2022) ઓરિસ્સાના એક ગામમાં ગયાં હતાં, જ્યાં તેમણે સ્થાનિકોના વિરોધનો સામનો કરવો પડ્યો હતો. ઓરિસ્સાના જગતસિંહપુર જિલ્લાના ઢીંકીયા ગામમાં તેમને પ્રવેશતાં અટકાવી દેવામાં આવ્યા હતા. 

    રિપોર્ટ અનુસાર, તથાકથિત પર્યાવરણ કાર્યકરને ઢીંકીયા ગામના લોકોએ ગામમાં પ્રવેશવા જ દીધાં ન હતાં અને બહારથી જ પરત મોકલી આપવામાં આવ્યાં હતાં. ઉલ્લેખનીય છે કે મેધા પાટકર વિરુદ્ધ અવારનવાર વિવિધ અભિયાનો અને પ્રદર્શનોનો સહારો લઈને ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સનું નિર્માણકાર્ય રોકવાનો આરોપ લાગતો રહ્યો છે.

    કનક ન્યૂઝ દ્વારા શૅર કરવામાં આવેલ વિડીયોમાં જોવા મળે છે કે ગામલોકોનું એક મોટું જૂથ એક પુલ પર એકઠું થયેલું જોવા મળે છે અને તેઓ મેધા પાટકર સાથે ચર્ચા કરતા જોવા મળે છે. તેમણે મેધા પાટકરને આવવા માટેનું કારણ પૂછ્યું હતું. જે બાદ તેઓ વારંવાર તેમને કહેતા સંભળાય છે કે ગામલોકોને કોઈ તકલીફ નથી અને મેધા ગામમાં આવીને વિવાદ સર્જે તેવું તેઓ ઈચ્છતા નથી.

    - Advertisement -

    મેધા પાટકર ઓરિસ્સા સ્થિત કુંજંગ જેલમાં ‘એક્ટિવિસ્ટ’ દેવેન્દ્ર સ્વૈનને મળવા માટે ગયા હતા. ઢીંકીયા ગામમાં સ્થપાનાર સ્ટીલ પ્લાન્ટની વિરુદ્ધ પ્રદર્શન બાદ પોલીસ સાથેના ઘર્ષણમાં દેવેન્દ્ર સ્વૈનની ધરપકડ કરી લેવામાં આવી હતી. મેધા પાટકરે આ મુલાકાત બાદ કહ્યું હતું કે, તેઓ સ્વૈનાના પરિજનોને પણ મળવા માંગતાં હતાં પરંતુ તેમનો ખૂબ વિરોધ કરવામાં આવ્યો અને પરત મોકલી દેવામાં આવ્યાં હતાં.

    અહીં નોંધવું જોઈએ કે આ વર્ષે જાન્યુઆરી મહિનામાં ઓરિસ્સાના જગતસિંહપુર જિલ્લામાં સ્થાપવામાં આવનાર સ્ટીલ પ્લાન્ટના વિરોધમાં પ્રદર્શનો થયાં હતાં. દરમ્યાન, પોલીસે પ્રદર્શનકારીઓ પર લાઠીચાર્જ પણ કર્યો હતો. જે બાદ અમુકની ધરપકડ પણ કરવામાં આવી હતી તો અમુક ધરપકડના ડરે ભાગી છૂટ્યા હતા.

    આ પ્રદર્શન બાદ ફેબ્રુઆરી મહિનામાં કથિત પર્યાવરણ કાર્યકરોનું એક જૂથ સ્થાનિકોને મળવા માટે ઢીંકીયા ગામમાં ગયું હતું. પરંતુ ગામલોકોએ અને સ્થાનિક તંત્રે તેમને અટકાવી દીધા હતા અને કહ્યું હતું કે તેઓ ગામમાં રોકાયા કે કોઈ પણ સ્થાનિક સાથે ચર્ચા કર્યા વગર વિસ્તારની મુલાકાત લઇ શકે છે. આ કાર્યકરોએ આરોપ લગાવ્યો હતો કે જે લોકોએ તેમને અટકાવ્યા અને વિરોધ કર્યો તેમને જિંદલ ગ્રુપનું સમર્થન હતું. નોંધનીય છે કે સ્ટીલ પ્લાન્ટ જિંદલ ગ્રુપ દ્વારા સ્થાપવામાં આવનાર છે. સમૂહને પ્લાન્ટ માટે 2800 એકર જમીનની જરૂર છે. ઓરિસ્સા સરકારે આ મામલે કહ્યું છે કે જલ્દીથી જ તેઓ ભૂમિ અધિગ્રહણનું કામ પૂર્ણ કરશે.

    અહીં એ પણ ઉલ્લેખનીય છે કે મેધા પાટકરે સરદાર સરોવર બંધ અને કેનાલ પ્રોજેક્ટ વિરુદ્ધ શરૂ કરેલ ‘નર્મદા બચાવો આંદોલન’થી ખૂબ પ્રસિદ્ધિ મેળવી હતી. કેન્દ્રની યુપીએ સરકાર અને મેધા પાટકર જેવા એક્ટિવિસ્ટ દ્વારા નાના-નાના મુદ્દાઓને લઈને ઘણા લાંબા સમય સુધી સરદાર સરોવર પ્રોજેક્ટમાં વિલંબ થતો રહ્યો. આ બંધની પહેલી શિલા પહેલા વડાપ્રધાન જવાહરલાલ નહેરુ દ્વારા રાખવામાં આવી હતી પરંતુ વિરોધ, કેસ અને સરકારના વિલંબના કારણે વિલંબ થતો રહ્યો. 

    આખરે, 2014 માં નરેન્દ્ર મોદી સરકાર કેન્દ્રમાં આવ્યા બાદ આ પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી અને ક્ષમતામાં વધારો કરવા બંધની ઊંચાઈ 121.92 મીટરથી વધારીને 138.68 મીટર કરવાને પણ મંજૂરી આપવામાં આવી હતી. 

    કથિત એક્ટિવિસ્ટ મેધા પાટકરે નર્મદા બચાવો આંદોલન થકી વર્ષો સુધી સરદાર પ્રોજેક્ટને વિલંબિત રાખવામાં અગત્યની ભૂમિકા ભજવી હતી. તેમણે દાવો કર્યો હતો કે આ પ્રોજેક્ટથી લગભગ 40 હજાર પરિવારો વિસ્થાપિત થઇ શકે છે. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે આ પરિવારોના પુનર્વસનની પરિરકયા પૂર્ણ થઇ નથી અને જ્યાં સુધી એ પૂર્ણ ન થાય ત્યાં સુધી બંધમાં પાણીનો સપ્લાય રોકી દેવાની પણ માંગ કરી હતી. જો કે છેવટે પાટકરના આ દાવો પોકળ જ સાબિત થયા અને નર્મદા યોજનાને લીધે વિસ્થાપિત લોકોના પુનર્વસન માટેનું શ્રેષ્ઠ કાર્ય ગુજરાતે કર્યું હોવાનું પણ સાબિત થયું હતું.

    જોકે, હાલ જે ઓરિસ્સામાં બન્યું છે અને સામાન્ય નાગરિકોએ મેધા પાટકરને પોતાના એજન્ડામાં સફળ થવા દીધાં ન હતાં, તેવી જ ઘટનાઓ ગુજરાતમાં વર્ષો પહેલાં બની ચૂકી છે. જ્યારે ‘નર્મદા બચાવો આંદોલન’ લઈને નીકળેલાં મેધા પાટકર અને બાબા આમ્ટે અને તેમના સાથીદારોને ફેરકુવા નજીક ગુજરાતની તત્કાલીન નેતાગીરીએ એકજૂથ થઈને પડકાર્યાં હતાં અને તેઓ પરત ન ફર્યા ત્યાં સુધી આંદોલન ચલાવ્યું હતું. 

    ગુજરાત અને મધ્ય પ્રદેશની સીમા પર આવેલા ફેરકુવા ખાતે મેધા પાટકર બાબા આમ્ટેને લઈને નર્મદા ડેમ સુધીની પદયાત્રા લઈને પહોંચ્યા હતા. અહીં તત્કાલીન મુખ્યમંત્રી ચીમનભાઈ પટેલના પત્ની ઉર્મિલાબેન પટેલ અને તત્કાલીન મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ સહીત અશોક ભટ્ટ જેવા દિગ્ગજ ગુજરાતી રાજનેતાઓ પહોંચી ગયા હતા અને ધરણા પર બેસી ગયા હતા. આ ધરણા ત્યાં સુધી ચાલુ રહ્યા હતા જ્યાં સુધી મેધા પાટકર અને બાબા આમ્ટે ફેરકુવાથી જ પરત ન થઇ ગયા. આમ આ રીતે ગુજરાતે મેધા પાટકર વિરુદ્ધ લગભગ ત્રણ દાયકા અગાઉ એકતા દેખાડીને તેમના બદઈરાદાઓને નિષ્ફળ બનાવી દીધા હતાં.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં