Thursday, May 2, 2024
More
    હોમપેજમંતવ્યઅમિત ચાવડાએ ગાંધીનગરમાં બોલાવેલી ખાનગી બેઠક ખાનગી રહી શકી નહીં; હોદ્દેદારોની બેઠકમાં...

    અમિત ચાવડાએ ગાંધીનગરમાં બોલાવેલી ખાનગી બેઠક ખાનગી રહી શકી નહીં; હોદ્દેદારોની બેઠકમાં જગદીશ ચાવડા હતા કે નહીં?

    આ બેઠક અંગેના તમામ અહેવાલોમાં એક વાત ઉડીને આંખે વળગે છે કે અમિત ચાવડાએ ગુજરાત કોંગ્રેસના હોદ્દેદારો તેમજ ધારાસભ્યો સહીત લગભગ 50 જણાને આ બેઠકમાં બોલાવ્યા હતાં.

    - Advertisement -

    મળતા સમાચારો અનુસાર ગઈકાલે ગાંધીનગર સ્થિત કોઈ ફાર્મ હાઉસમાં વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાએ પ્રદેશ કોંગ્રેસની એક ખાનગી બેઠક બોલાવી હતી. પરંતુ અમિત ચાવડાની ખાનગી બેઠક ખાનગી રહી શકી નથી અને ગુજરાતનાં મોટાભાગના પ્રચાર માધ્યમોએ આ મીટીંગની નોંધ લીધી છે.

    આ બેઠક અંગેના તમામ અહેવાલોમાં એક વાત ઉડીને આંખે વળગે છે કે અમિત ચાવડાએ ગુજરાત કોંગ્રેસના હોદ્દેદારો તેમજ ધારાસભ્યો સહીત લગભગ 50 જણાને આ બેઠકમાં બોલાવ્યા હતાં. આ હોદ્દેદારોમાં મુખ્ય હતાં ધારસભ્ય ગેનીબેન ઠાકોર, કિરીટ પટેલ, પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા, જેનીબેન ઠુમ્મર અને ગુજરાત કોંગ્રેસના મહામંત્રીઓ પણ સામેલ હતાં.

    કહેવાય છે કે અમિત ચાવડાની ખાનગી બેઠકમાં ગુજરાત કોંગ્રેસની હાલની પરિસ્થિતિ અંગે વિચાર વિમર્શ કરવામાં આવ્યો હતો. આપણે જાણીએ જ છીએ કે ગત વર્ષના અંતમાં યોજાયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ ફક્ત 17 બેઠકો જ જીતી શકી હતી. આ જ કારણોસર રાજ્યની વિધાનસભામાં કોંગ્રેસને મુખ્ય વિપક્ષનું પદ પણ મળ્યું નથી અને અમિત ચાવડા ફક્ત વિધાનસભા પક્ષના નેતા જ બનીને રહી ગયા છે.

    - Advertisement -

    આ રીતે ઓછા વિધાનસભ્યો ચૂંટાયેલા હોવાથી દરેક કોંગ્રેસી નેતાઓને સંતોષ આપવા માટે થોડા અઠવાડિયા અગાઉ મોટાભાગના કોંગ્રેસ વિધાનસભ્યોને કોઈને કોઈ પદ આપી દેવામાં આવ્યું હતું. પરંતુ લાગે છે કે આ રીતે પણ કોંગ્રેસી વિધાનસભ્યોને સંતોષ મળી શક્યો નથી અથવાતો કોંગ્રેસી મોવડી મંડળ તેમને સંતોષ આપી શક્યું નથી.

    કદાચ આ જ કારણ હોઈ શકે કે અમિત ચાવડાને આમ અચાનક જ પ્રદેશ કોંગ્રેસના મહત્વનાં આગેવાનોને એક ખાનગી મીટીંગ કરીને બોલાવવા પડ્યા હોય. જો કે કેટલાક અહેવાલો એવું પણ કહે છે કે આ બેઠકમાં લેવામાં આવેલા નિર્ણયોને દિલ્હી હાઈકમાન્ડને મોકલવામાં આવશે. હવે, અહીં ગૂંચવાડો એવો છે કે આ રીતે અચાનક જ બોલાવવામાં આવેલી ખાનગી બેઠકનો નિર્ણય કોંગ્રેસ હાઈકમાન્ડ માનવા માટે બાધ્ય છે કે નહીં? કે પછી અમિત ચાવડાએ આ પ્રકારની મીટીંગ બોલાવતાં અગાઉ હાઈકમાન્ડને વિશ્વાસમાં લીધું હશે?

    સહુથી મોટો અને આશ્ચર્ય પમાડતો પ્રશ્ન એ છે કે જ્યારે ગુજરાત કોંગ્રેસના મહત્વના નેતાઓની ખાનગી બેઠક બોલાવવામાં આવી હોય ત્યારે ગુજરાત કોંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોરની ગેરહાજરી આ બેઠકમાં કેમ હતી? વિવિધ માધ્યમોમાં પ્રકાશિત એક પણ અહેવાલમાં જગદીશ ઠાકોર અમિત ચાવડાની ખાનગી બેઠક દરમ્યાન હાજર રહ્યાં હોય એવું જોવામાં આવ્યું નથી.

    જો આ સત્ય હોય તો તો ખુદના પ્રદેશ પ્રમુખને અંધારામાં રાખીને બોલાવવામાં આવેલી આ ખાનગી બેઠકનું મહત્વ કેટલું અથવા આમ કરવા પાછળનું કારણ શું હોઈ શકે? અને અગાઉ જે રીતે પ્રશ્ન ઉભો થયો કે હાઈકમાન્ડને જગદીશ ઠાકોરને અંધારામાં રાખીને બોલાવવામાં આવેલી બેઠક વિષે વિશ્વાસમાં લેવામાં આવ્યું હશે કે નહીં?

    ગુજરાત કોંગ્રેસની હાલત અત્યારે એવી છે કે એ એવા રસ્તે ચાલી રહ્યું છે જે ક્યારેય તેને ગંતવ્ય પણ નહીં પહોંચાડી શકે. આથી જો આ જ રીતે ગુજરાત કોંગ્રેસના મહત્વના નેતાઓ એક પછી એક પોતાની રીતે જ નિર્ણયો લેવા લાગશે કે બેઠકો કરવા લાગશે તો ગુજરાતમાં કોંગ્રેસથી સત્તા દૂર જ રહેવાની છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં