Saturday, May 4, 2024
More
    હોમપેજમંતવ્યમોદીની 56ની છાતીને 156ની કરનાર ભાજપા પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલની કાર્યપદ્ધતિ,...

    મોદીની 56ની છાતીને 156ની કરનાર ભાજપા પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલની કાર્યપદ્ધતિ, જેના પીએમ મોદી પણ કર્યાં વખાણ

    સી.આર.પાટીલએ એવું તે શું કર્યું કે ગુજરાતની જીતની ક્રેડીટ આખો દેશ નરેન્દ્ર મોદીને આપે છે અને તે જ નરેન્દ્ર મોદી સી.આર.પાટીલને આપે છે.

    - Advertisement -

    ભારતીય જનતા પાર્ટીને આ વિધાનસભામાં ગુજરાતના ઈતિહાસની સૌથી મોટી જીત મળી છે. જેના ભારતીય રાજનીતિમાં ખૂબ જ ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. વિપક્ષી ખેમામાં સોપો પડી ગયો છે. ભારતીય જનતા પાર્ટી માટે આ વિજય એટલા માટે પણ મહત્વનો કે ગુજરાત એ પ્રધાનમંત્રી મોદી અને અમિત શાહનું ગૃહરાજ્ય છે. આ ઉપરાંત આ વખતે આમ આદમી પાર્ટીએ પણ પોતાનું જોર કર્યું હતું. તેને ખાળવા માટે પણ જરૂરી વ્યુહરચનાઓ ઘડી હતી. આ ચૂંટણીમાં મહત્વના ચહેરાઓ ત્રણ રહ્યા- નરેન્દ્ર મોદી, અમિત શાહ અને સીઆર પાટીલ.

    ભારતીય જનતા પાર્ટીના વિજયની વાત આવે એટલે લોકો સામાન્યપણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને જ શ્રેય આપતા હોય છે જયારે બીજા નંબર પર ક્રેડીટ રણનીતિકાર અમિત શાહને અપાતી હોય છે. પરંતુ ગુજરાતમાં ભાજપની એતિહાસિક જીતમાં ત્રીજું નામ પણ ઉમેરાયું છે, અને તે છે ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ. આજે ભારતીય જનતા પાર્ટીની સંસદીય બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતની જીતનો શ્રેય સી.આર.પાટીલને આપ્યો છે. 

    સીઆર પાટીલે એવું તે શું કર્યું કે ગુજરાતની જીતની ક્રેડીટ આખો દેશ નરેન્દ્ર મોદીને આપે છે અને તે જ નરેન્દ્ર મોદી સી.આર.પાટીલને આપે છે. તો આવો જાણીએ સી.આર.પાટીલની કામ કરવાની પદ્ધતિ વિશે. 

    - Advertisement -

    ભારતીય જનતા પાર્ટી દર ત્રણ વર્ષે પોતાનાં સંગઠનની નવરચના કરતી હોય છે. જેમાં રાષ્ટ્રીય સ્તરથી સંગઠન બનવાની શરૂઆત થાય જે અંતે મંડળ, શક્તિકેન્દ્ર અને બુથ સુધી બનતું હોય છે. વર્તમાન સમયમાં ભાજપા વિશ્વની સૌથી મોટી રાજકીય પાર્ટી હોવાનો વિક્રમ ધરાવે છે. ભાજપ જેટલું મજબુત સંગઠન આજે કોઈ રાજકીય પક્ષ પાસે નથી. પરંતુ ગુજરાતમાં સીઆર પાટીલની પ્રમુખ તરીકે નિમણૂંક થયા બાદ તેમણે સંગઠનની પૂરી તાકાત કામે લગાડી દીધી હતી.

    ભારતીય જનતા પાર્ટીમાં મુખ્ય સંગઠન સાથે સહાયક મોરચાઓ અને વિવિધ સેલો પણ કાર્યરત હોય છે. સીઆર પાટીલ પ્રમુખ તરીકે નિયુક્ત થયા બાદ આ તમામ મોરચાઓ અને સેલોને પણ સક્રિય કરી કામે લગાડ્યા હતા. ઉદાહરણ તરીકે ડોકટર સેલનો ઉપયોગ કોરોના કાળમાં અને કુપોષણ વિરુદ્ધના અભિયાનમાં કર્યો હતો. આમ તમામ સેલોને સંગઠન તરફથી સતત સક્રિય રાખીને જનતા વચ્ચે જ રાખ્યા હતા. 

    પાર્ટીમાં ટેક્નોલોજીનો મહત્તમ ઉપયોગ કર્યો હતો

    સીઆર પાટીલે પ્રમુખ બન્યા બાદ શ્રી કમલમને હાઇટેક બનાવ્યું હતું. જે પણ ટેકનોલોજી રાજકીય સ્કોર કરવામાં મદદરૂપ થઇ શક્તિ હોય તેનો મહત્તમ ઉપયોગ કર્યો હતો. જેમ કે તમામ હોદ્દેદારોને ટેબલેટ આપીને તેઓએ કરેલા રાજકીય કાર્યક્રમો તેમાં અપલોડ કરવા માટે સુચન કર્યું હતું. ભાજપાનું પોતાનું મોટું સર્વર પણ ઉભું કરાયું છે. આ ઉપરાંત online બેઠકો યોજીને વધુને વધુ કાર્યકર્તાઓ સુધી પહોચ્યા હતા.

    સોશિયલ મીડિયાના મહત્તમ ઉપયોગ પર જોર

    સીઆર પાટીલ પ્રમુખ બન્યા બાદ સોશિયલ મીડયા પર વધુમાં વધુ જોર આપ્યું હતું. તેઓ પાર્ટીના હોદ્દેદારો અને ચુટાયેલા સભ્યોની જાતે મીટીંગ લેતા હતા. ઉપરાંત જે લોકો પણ ઓછા સક્રિય હોત તેમને ટકોર પણ કરતા હતા. તેમનું માનવું છે કે સોશિયલ મીડિયા દરેક નેતાનું રજીસ્ટર છે. માટે તેઓ દરેક નેતાના સોશિયલ મીડિયા પર વ્યક્તિગત ધ્યાન આપતા હતા. 

    સંગઠનાત્મક પ્રવાસ

    તેમની નિયુક્તિ બાદ તેમણે ગુજરાતના દરેક જીલ્લા અને દરેક વિધાનસભા સુધીનો પ્રવાસ કર્યો હતો. ત્યાં ભાજપાના કાર્યકર્તાઓ અને નેતાઓ સાથે સીધો સંવાદ કર્યો હતો. જેના કારણે સંગઠન વેગવંતુ બન્યું હતું. 

    One day one District કાર્યક્રમ કર્યા

    આ કાર્યક્રમ અંતર્ગત સી. આર. પાટીલ દરેક જીલ્લામાં એક એક દિવસ રોકાયા, જેમાં આખો દિવસ કાર્યકર્તાઓ અને પાર્ટીના હોદ્દેદારો વચ્ચે રહી તેમને સાંભળ્યા, જરૂર લાગ્યું ત્યાં પગલા પણ ભર્યા જેના કારણે સંગઠનમાં નવો પ્રાણ ફૂંકાયો. જમીની હકીકતથી વાકેફ પણ થયા જેના કારણે નિર્ણયો લેવામાં ખુબ જ સરળતા રહી. કાર્યકર્તાઓને મહત્વ આપ્યું

    તેમણે સંગઠનમાં દરેક જગ્યાએ કાર્યકર્તાઓને મહત્વ આપ્યું હતું. પોતાના ભાષણોમાં પણ નેતાઓ અને ધારાસભ્યોને કાર્યકર્તાઓને સાચવવા વારંવાર ટકોર કરતા રહ્યા જેના કારણે કાર્યકર્તાઓનું મનોબળ વધ્યું. તે તમામ કાર્યકર્તાઓ વધુ જોમ અને જુસ્સાથી કામે લાગ્યા. ક્ષમતા અનુસાર તમામ કાર્યકર્તાઓને કામ લગાડી તેમની તાકાતનો મહત્તમ ઉપયોગ કર્યો. 

    નવા નવા નિયમો લાવીને વધુને વધુ લોકોને મહત્વ આપ્યું ઉદાહરણ તરીકે એક વ્યક્તિ એક હોદ્દો, જેના કારણે વધુ લોકોને સંગઠનમાં સમાવી શકાયા. સ્થાનિક સ્વરાજની ચુંટણીમાં ત્રણથી વધુ વખત ચુંટણી લડેલા ઉમેદવારોને ટીકીટ ના આપી જેના કરને એક નવી પેઢીને તક મળી. આવા ઘણા નિયમો લાગુ કરી વધુમાં વધુ કાર્યકર્તાઓને મહત્વ આપ્યું. 

    માઈક્રોમેનેજમેન્ટના મહારથી

    સી આર પાટીલે પોતાની વહીવટી કુશળતા માટે પણ જાણીતા છે. તેમણે વિધાનસભાના સુધીની માહિતી ભેગી કરી ચૂંટણી પરિણામો પર અસર કરતા તમામ પરિબળોનું સુચારુ આયોજન કર્યું હતું. આ રીતના આયોજન થકી આઠ વિધાનસભાની પેટા ચુંટણીમાં બધી સીટો કબજે કરી હતી, જયારે સથાનિક સ્વરાજની ચુંટણીમાં ૯૦%થી વધુ બઠકો કબ્જ કરી હતી. તે પણ એક વિક્રમ જ હતો. તેવું પરિણામ પણ વિધાનસભા ચુંટણીમાં પુનરાવર્તન થયું છે. 

    આ સિવાય પણ તેમણે ઘણા કાર્યો કર્યા કોરોના કાળનું જ ઉદાહરણ લઇએતો તેમણે કાર્યકર્તાઓ અને નેતાઓને સતત જનતા વચ્ચે રહેવા માટે જ પ્રોત્સાહિત કર્યા હતા. આ ઉપરાંત પોતે પણ સતત લોકોની વચ્ચે રહીને લોકોની કાળજી લેતા હતા. 

    અંત આ ચુંટણીનું પરિણામ નરેન્દ્ર મોદીનો ચહેરો, અમિત શાહનો અનુભવ અને સી આર પાટીલનું માઈક્રોમેનેજમેન્ટ એમ આ ત્રણ પરિબળો એક થયા એટલે એતિહાસિક જીત મળી છે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં