Thursday, April 25, 2024
More
    હોમપેજમંતવ્યદંભી સેક્યુલરો, બેવડાં ધોરણો અને ધર્મો વચ્ચેનું તથાકથિત વૈમનસ્ય: ક્રિસમસનો આંધળો વિરોધ...

    દંભી સેક્યુલરો, બેવડાં ધોરણો અને ધર્મો વચ્ચેનું તથાકથિત વૈમનસ્ય: ક્રિસમસનો આંધળો વિરોધ કે ક્રિયાની પ્રતિક્રિયા?

    કથિત એકતાની વાતો ત્યારે જ સાર્થક સાબિત થશે જ્યારે આ સેક્યુલરો ખ્રિસ્તીઓ દ્વારા થતા ધર્માંતરણ ઉપર બોલે અને પર્યાવરણનું જ્ઞાન ફક્ત હિંદુ તહેવારો પર જ નહીં બધા ધર્મો પર આપે.

    - Advertisement -

    હમણાં સોશિયલ મીડિયા બે ભાગોમાં વહેચાયું છે, એક વર્ગ ક્રિસમસનો વિરોધ કરે છે તો બીજો વર્ગ  કુતર્કો આપીને સમર્થન કરે છે અથવા તો વિરોધ કરનારાઓની મજાક ઉડાવે છે. ઘણા ચાલાક લોકો આપણી સંસ્કૃતિના ‘વસુધૈવ કુટુમ્બક્મ’ના સૂત્રની વાતો કરી ધાર્મિક એકતા વાતો કરતી પોસ્ટ પણ કરે છે. તો આ બંને પક્ષમાં સાચું કોણ અને ખોટું કોણ? આ ક્રિસમસના વિરોધનો ઉદ્ભવ શું? આ ચર્ચાનો અંત શું? આવો આજે વિગતે સમજીએ. આ આખી ચર્ચામાં પોતાને સેક્યુલર ગણાવતા લોકો બેવડાં ધોરણો શું છે તે પણ સમજીએ.

    સૌ પ્રથમ આપણે ક્રિસમસના વિરોધને એક મિનિટ પૂરતો બાજુ પર મૂકીએ અને  હું તમને એક સવાલ કરું. ક્યારે કોઈ હિંદુએ જૈનોના તહેવારનો વિરોધ કર્યો? શું કોઈ હિંદુએ ભલે તે ગમે તેટલો ધાર્મિક કેમ ન હોય તેણે શીખોના તહેવારનો વિરોધ કર્યો? તમારો જવાબ હશે, ક્યારેય નહીં! એનાથી સાવ વિપરીત સવાલ કરું તો શું ક્યારેય કોઈ સેક્યુલરે હિંદુ-જૈન એકતા કે હિંદુ-શીખ એકતાના નારા લગાવવા પડ્યા છે? બિલકુલ નહીં. એ લોકોએ હિંદુ-મુસ્લિમ કે હિંદુ-ખ્રિસ્તીની જ એકતાના નારા લગાવવા પડ્યા છે. (મુસ્લિમોની વાત પછી ક્યારેય) 

    ભૂમિકા સમજી લીધી હોય તો એ સમજીએ કે સર્વસમાવેશક સંસ્કૃતિમાંથી આવતા હોવા છતાં કેમ એક સામાન્ય હિંદુ ક્રિસમસનો વિરોધ કરે છે? તો આવો થોડું વિગતે આ વાતને જાણીએ. ભલે ટીવી મીડિયામાં બધું ન આવતું હોય પરંતુ એક નાના છેવાડાના હિંદુને પણ ખબર હોય છે કે ખ્રિસ્તીઓ લોભ-લાલચ અને અંધશ્રદ્ધાનો ઉપયોગ કરી ધર્મ પરિવર્તન કરાવે છે. ડાંગ, વ્યારા, નિઝર તેના ઉદાહરણો છે, કે જ્યાં આજથી ૪૦ વર્ષ પહેલાં કોઈ ઇસાઈ નહોતું અને આજે ગામ દીઠ બે-બે ચર્ચ છે. એટલે દરેક હિંદુઓના મનમાં એક સ્વાભાવિક ગુસ્સો હોય છે. જોકે, તે ગુસ્સો સોફ્ટ અને કુદરતી હોય છે. ક્રિયા એ છે કે મિશનરીઓ હિંદુઓનું ધર્માંતરણ કરે છે અને તેની પ્રતિક્રિયા એ છે કે હિંદુઓ તેના તહેવારોનો વિરોધ કરે છે. પહેલા આ ગુસ્સો વ્યક્ત કરવાનું કોઈ માધ્યમ નહોતું જ્યારે આજે સોશિયલ મિડીયાએ આ ગુસ્સાને વ્યક્ત કરવાની જગ્યા આપી છે. આવા ગુસ્સાની લાગણી ધરાવતા લોકો એક પ્લેટફોમ પર આવવાની તક મળી છે. બસ આ જ બાબત આ સેક્યુલરો અને ધર્મ પરિવર્તન કરનારાઓને પસંદ નથી. એટલે તહેવારોના વિરોધને દેશની એકતા તોડનારુ કૃત્ય બતાવી દે છે. જયારે આ વિરોધ કટ્ટરતાના કારણે નહીં કે કોઈ તાલીબાની માનસિકતાના કારણે નથી, પરંતુ એક પીડિત બહુમત સમાજને નુકસાન કરનારાઓ સામેની નારાજગી છે. પરંતુ આ કથિત સેક્યુલરો અને ધાર્મિક એકતાના ઝંડા લઈને ફરનારાઓ જાણીજોઇને બહુમત સમાજની પીડાને નજરઅંદાજ કરીને ક્રિસમસનો વિરોધ કરનારાઓને જડસુ, કટ્ટર કે પછી તાલિબાની માનસિકતા ધરાવનારા તરીકે ચીતરે છે. 

    - Advertisement -

    હવે એવું પણ નથી કે વિરોધ કરનારા યોગ્ય છે. તેઓ પણ ક્યાંક ભૂલ કરે જ છે. તેમની તમામ લાગણીઓ તો સાચી જ છે, પરંતુ જેમ તમે સાચા હોવા છતાં કોર્ટમાં તમારી રજૂઆત ના હોવાથી કેસ હારી જાઓ છો તેમ જ હિંદુવાદી લોકો પણ પોતાની ભાવના રજૂ કરવામાં ભૂલ કરે છે.  જે હિંદુવાદી છે, તેઓ ક્યાં ચુકી જાય છે? હકીકતમાં ક્રિસમસના વિરોધનું પ્રબળ કારણ એ છે કે જે કથિત સેક્યુલરો હિંદુઓના તહેવારોનું સતત અપમાન કરવામાં આવી રહ્યું છે, જેમ કે દિવાળી પર ફટાકડા નહીં ફોડો, હોળી પર પાણી બચાવો  વગેરે. પરંતુ આ કથિત સેક્યુલરોનું જ્ઞાન અચાનક બિનહિંદુઓના તહેવારો પર ગાયબ થઇ જાય છે. અહીં હિંદુવાદીઓનો ગુસ્સો ફૂટી નીકળે છે. હવે તેમનો ગુસ્સો મિશ્ર થઈ જાય છે. પહેલો ધર્મ પરિવર્તનનો ગુસ્સો અને બીજો તહેવારોને બદનામ કરવા બાબતનો ગુસ્સો. ખરેખર તો તહેવારો બાબતે હિંદુવાદીઓએ ખ્રિસ્તીઓને નહીં પરંતુ આ સેક્યુલરો પર સવાલ કરવા જોઈએ, પરંતુ આવું ન થતા વિરોધનું એક પગલું ચૂકી જતા વિરોધ સીધો ખ્રિસ્તી તહેવારોનો થાય છે. 

    કરવું એ જોઈતું હતું કે આ સેક્યુલરિઝમના ઝંડા લઈને જ્ઞાન આપનારાઓને માત્ર ‘ધર્મપરિવર્તન’ વિશે સવાલ કરવો. તેઓ ચાલાકીપૂર્વક આ બાબતને અવગણીને વાતને અવળે પાટે ચડાવી દે છે. જેમકે ખ્રિસ્તી લોકોની પ્રોડક્ટ વાપરવાનું બંધ કરી દો, તેમનું કેલેન્ડર વાપરવાનું બંધ કરી દો, તેમની શોધ કરેલી ટેકનોલોજી વાપરવાનું બંધ કરી દો વગેરે.  જ્યારે આ લોકો ધર્મપરિવર્તનની વાત તો કરશે જ નહીં. 

    ખ્રિસ્તી નવ વર્ષના દિવસે આખા વિશ્વમાં આતશબાજી કરવામાં આવે છે. ત્યારે આ લોકો પ્રદુષણ પર જ્ઞાન આપવાના બદલે આતશબાજી પર ઓવારી જતા હોય છે. તો એ લોકો દિવાળી પર કેમ ફટાકડાનો વિરોધ કરે છે? શું દિવાળીના ફટાકડા કાર્બન આપે છે અને ક્રિસમસના ફટાકડા પ્રાણવાયુ છોડે છે? બહુમત સમાજ આ બેવડાં ધોરણોનો વિરોધ કરે છે. પરંતુ સેક્યુલરો પોતાની શાખ બચાવવા તે તમામ વાતોને ખ્રિસ્તીઓના વિરોધ સાથે જોડે છે. 

    આ કથિત એકતાની વાતો ત્યારે જ સાર્થક સાબિત થશે જ્યારે આ સેક્યુલરો ખ્રિસ્તીઓ દ્વારા થતા ધર્માંતરણ ઉપર બોલે અને પર્યાવરણનું જ્ઞાન ફક્ત હિંદુ તહેવારો પર જ નહીં બધા ધર્મો પર આપે. બધાનો સરખો વિરોધ કરે. બાકી એકતરફી સેક્યુલરિઝમ બહુમતી સમાજને ગુસ્સો જ અપાવશે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં