Friday, May 17, 2024
More
    હોમપેજદેશઆજે રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા અનુષ્ઠાનનો બીજો દિવસ: મંદિર પરિસરમાં ભ્રમણ કરશે રામલલા,...

    આજે રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા અનુષ્ઠાનનો બીજો દિવસ: મંદિર પરિસરમાં ભ્રમણ કરશે રામલલા, બપોરે 1:20થી પૂજાવિધિ શરૂ

    વૈદિક વિદ્વાન આચાર્ય ગણેશ્વર શાસ્ત્રી દ્રવિડે કાર્યક્રમની માહિતી આપતાં જણાવ્યુ કે, 17 જાન્યુઆરી બપોરના 1:20 પછી જલપૂજા, તીર્થપૂજા, બ્રાહ્મણ-બટુક-કુમારી-સુવાસિની પૂજન, વર્ધિનીપૂજન, કળશયાત્રા અને ભગવાન શ્રીરામની મૂર્તિને મંદિર પરિસરમાં ભ્રમણ કરાવવામાં આવશે.

    - Advertisement -

    અયોધ્યામાં નિર્માણાધીન ભવ્ય રામ મંદિરની પ્રાણપ્રતિષ્ઠનો કાર્યક્રમ 22 જાન્યુઆરી, 2024ના રોજ થવા જઈ રહ્યો છે. જેમાં સાત દિવસ સુધી રામલલા માટે વિવિધ પૂજન અને અનુષ્ઠાન કરવામાં આવશે. કાર્યક્રમની રૂપરેખા મુજબ પ્રાણપ્રતિષ્ઠા પૂજનની શરૂઆત 16 જાન્યુઆરીથી કરી દેવામાં આવી છે. પ્રથમ દિવસની ભવ્ય પૂજા-વિધિ બાદ આજે 17 જાન્યુઆરીના રોજ પ્રાણપ્રતિષ્ઠા અનુષ્ઠાનનો બીજો દિવસ છે.

    જેમણે રામલલાની પ્રાણપ્રતિષ્ઠાનું શુભ મુહૂર્ત કાઢ્યું હતું એવા વૈદિક વિદ્વાન આચાર્ય ગણેશ્વર શાસ્ત્રી દ્રવિડે કાર્યક્રમની માહિતી આપતાં જણાવ્યુ કે, 17 જાન્યુઆરી બપોરના 1:20 પછી જલપૂજા, તીર્થપૂજા, બ્રાહ્મણ-બટુક-કુમારી-સુવાસિની પૂજન, વર્ધિનીપૂજન, કળશયાત્રા અને ભગવાન શ્રીરામની મૂર્તિને મંદિર પરિસરમાં ભ્રમણ કરાવવામાં આવશે.

    રામલલાની પ્રાણપ્રતિષ્ઠાના પ્રથમ દિવસે અનિલ મિશ્રા દ્વારા સાંગોપાંગ સર્વ પ્રાયશ્ચિત કરી સરયૂ નદીમાં સ્નાન કરવામાં આવ્યું હતું. જે પછી વિષ્ણુપૂજન કરીને પંચગવ્ય અને ઘીથી હોમ કરી પંચગવ્યપ્રાશન કર્યું. ત્યારબાદ દ્વાદશાબ્દ પક્ષથી પ્રાયશ્ચિત સ્વરૂપ ગૌદાન કર્યું. દશદાન પછી મૂર્તિ નિર્માણ સ્થળ પર કર્મકુટી હવન કર્યું.

    - Advertisement -

    આ પહેલાં શ્રી રામજન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા કાર્યક્રમની રૂપરેખા જાહેર કરવામાં આવી હતી, જેમાં જણાવ્યું હતું કે, પૂજનના પ્રથમ દિવસે (16 જાન્યુઆરી) બપોરે 1 વાગ્યે કુટી પૂજા શરૂ કરવામાં આવશે. ત્યારબાદ બીજા દિવસે (17 જાન્યુઆરી) ભગવાનના શ્રીવિગ્રહને મંદિર પરિસરમાં ભ્રમણ કરાવવામાં આવશે અને પવિત્ર જળથી ગર્ભગૃહને સાફ કરવામાં આવશે. ત્યારબાદ ક્રમશ 18 જાન્યુઆરીના રોજ ભગવાનના વિગ્રહને ગર્ભગૃહમાં પ્રવેશ કરાવવામાં આવશે. ત્યારબાદ તે જ દિવસે અધિવાસ પણ શરૂ થશે.

    18 તારીખે 2 અધિવાસ થશે- જલાધિવાસ અને સુગંધાધિવાસ. ત્યારપછી 19 જાન્યુઆરીના રોજ ફળાધિવાસ અને ધાન્યાધિવાસ થશે. 20 જાન્યુઆરીના દિવસે સવારે પુષ્પ અને રતન તેમજ સાંજે ધૃતાધિવાસ થશે. 21 જાન્યુઆરીના રોજ શર્કરા, મિષ્ઠાન અને મધુ અધિવાસ થશે અને સાંજે ઔષધિ તેમજ શૈયા અધિવાસ થશે. ત્યારબાદ 22 જાન્યુઆરીના રોજ ભવ્ય પ્રાણપ્રતિષ્ઠા સમારોહ યોજાશે. આ સમગ્ર અનુષ્ઠાનો કુલ 121 વિદ્વાન આચાર્યોના સાનિધ્યમાં કરવામાં આવશે. આ ઉપરાંત પૂજનના પહેલા દિવસે વડોદરાના રામભક્તો દ્વારા તૈયાર કરાયેલી 108 ફૂટ લાંબી અગરબત્તી પણ પ્રગટાવવામાં આવી હતી.આ અગરબત્તીનું વજન કુલ 3610 કિલો છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં