Saturday, July 27, 2024
More
    હોમપેજદેશકોંગ્રેસી CM અને નહેરૂના મંત્રીએ ઉભા કર્યા અવરોધો, પણ એક સંઘીના પ્રયાસોથી...

    કોંગ્રેસી CM અને નહેરૂના મંત્રીએ ઉભા કર્યા અવરોધો, પણ એક સંઘીના પ્રયાસોથી કામ પાર પડ્યું…એ વ્યક્તિ વિશે જાણો, જેઓ ન હોત તો વિવેકાનંદ શિલા સ્મારક હોત મિશનરી ઝેવિયરનું મેમોરિયલ

    ઘણા ઓછા લોકોને ખ્યાલ હશે કે જે વિવેકાનંદ મેમોરીયલ કન્યાકુમારીનું મુખ્ય આકર્ષણ છે, તેનું નિર્માણ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના (RSS) સરકાર્યવાહ રહી ચૂકેલા એકનાથ રાનડેએ કરાવ્યું હતું. તેઓ અખિલ RSSના ભારતીય પ્રચાર પ્રમુખ પણ રહ્યા.

    - Advertisement -

    લોકસભા ચૂંટણી હવે અંતતરફ છે. ગુરુવારે (30 મે) પ્રચાર શાંત થઈ જશે અને 1 જૂને અંતિમ તબક્કાનું મતદાન થશે. બીજી તરફ ગુરુવારે પ્રચાર પૂર્ણ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી કન્યાકુમારી સ્થિત વિવેકાનંદ રૉક મેમોરિયલ પહોંચી રહ્યા છે, જ્યાં 2 દિવસ સુધી તેઓ સાધનામાં લીન રહેશે. તેઓ એ જ સ્થળે ધ્યાન કરશે, જ્યાં એક સમયે માતા પાર્વતીએ તપસ્યા કરી હતી અને જ્યાં સ્વામી વિવેકાનંદે પણ પોતાની અંદરના ‘સ્વ’ને જાગૃત કર્યું હતું. ત્યાં જ તેમના મનમાં ‘ભારત માતા’નો પણ વિચાર આવ્યો, જેણે આખા દેશને એક કર્યો. 

    વિવેકાનંદ મેમોરિયલ વિશે વાત કરીએ તો મુખ્ય ભૂમિથી અડધા કોલોમીટરના અંતરે સમુદ્રમાં સ્થિત છે. જ્યાં સ્વામી વિવેકાનંદને જ્ઞાન પ્રાપ્ત થયું હતું ત્યાં જ 1970માં મેમોરિયલ બનાવવામાં આવ્યું. જે શિલા પર મા કન્યાકુમારી (મા પાર્વતી)એ તપસ્યા કરી હતી ત્યાં માન્યતા છે કે આજે પણ તેમનાં ચરણોનાં નિશાન છે. કન્યાકુમારી એ સ્થળ પણ છે જ્યાં બંગાળની ખાડી, અરબ સાગર અને હિંદ મહાસાગર આવીને મળે છે. આ સ્થાનનું પોતાનું એક આધ્યાત્મિક મહત્વ છે. 

    ઘણા ઓછા લોકોને ખ્યાલ હશે કે જે વિવેકાનંદ મેમોરીયલ કન્યાકુમારીનું મુખ્ય આકર્ષણ છે, તેનું નિર્માણ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના (RSS) સરકાર્યવાહ રહી ચૂકેલા એકનાથ રાનડેએ કરાવ્યું હતું. તેઓ અખિલ RSSના ભારતીય પ્રચાર પ્રમુખ પણ રહ્યા. તેમણે ‘વિવેકાનંદ કેન્દ્ર’ નામની સંસ્થાની સ્થાપના કરી. 19 નવેમ્બર, 1914ના રોજ તેમનો જન્મ. 22 ઓગસ્ટ, 1982ના દિવસે તેમણે અંતિમ શ્વાસ લીધા. તેમના અંતિમ સંસ્કાર પણ  કન્યાકુમારીના વિવેકાનંદપુરમમાં જ થયા. 

    - Advertisement -

    એકનાથ રાનડે: માનવનિર્માણ અને રાષ્ટ્રપુનરુત્થાનના નેતા 

    એકનાથ રાનડે ત્યાગ અને સેવા પર જોર આપીને મનુષ્યનિર્માણ અને રાષ્ટ્ર પુનરુત્થાન માટે પ્રયાસરત હતા. જ્યારે તેમનું હાર્ટઅટેકના કારણે નિધન થયું તો તેઓ મદ્રાસ સ્થિત પોતાની ઑફિસમાં હતા અને કન્યાકુમારીના વિવેકાનંદ કેન્દ્રમાં જવાના હતા. તેઓ કાશ્મીર, દિલ્હી, અજમેર, મુંબઈ, અમદાવાદ, નાગપુર, પુણે અને સોલાપુરની મુલાકાત લઈને પરત ફર્યા હતા. 

    તેઓ વિવેકાનંદ કેન્દ્રની શાખાઓની મુલાકાત લેતા અને ત્યાં લોકો સાથે મુલાકાત કરીને તેમને પ્રશિક્ષિત કરતા. આજે પોર્ટ બ્લેર (આંદામાન)માં વિવેકાનંદ કેન્દ્ર વિદ્યાલય સંચાલિત થાય છે, તે તેમની જ દેન છે. ઉત્તરપૂર્વમાં પણ તેમણે જનજાતીય સમાજના ઉત્થાન માટે ઘણું કામ કર્યું. અરૂણાચલ પ્રદેશના લોહિત જિલ્લાના દૂરના ગામ તફરાગામ સુધી પણ તેમણે વિદ્યાલય ખોલી. સ્વામી વિવેકાનંદ મેમોરિયલનું કામ 1964માં શરૂ થયું હતું, જેને પૂર્ણ થતાં 1970 આવી ગયું. 

    11 સપ્ટેમ્બર, 1970ના રોજ તેનું ઉદઘાટન થયું. એપ્રિલ 1980માં એકનાથ રાનડેને હાર્ટ એટેક આવ્યો હતો, પણ મૃત્યુ સામે ઝઝૂમતા તેઓ બહાર આવી ગયા, જેને ડોક્ટરોએ ચમત્કાર ગણાવ્યો હતો. તેઓ આને પોતાનું બીજું જીવન માનતા. તેમનો જન્મ તિમતલા, અમરાવતી, મહારાષ્ટ્રમાં થયો હતો. તેમના પિતા રામકૃષ્ણ સ્ટેશન માસ્ટર હતા. તેમના મોટાભાઈ કાશીનાથ નાગપુરમાં નાનો ધંધો કરતા, જ્યાં તેમણે શિક્ષણ મેળવ્યું. 

    તેમણે મધ્ય પ્રદેશની સાગર યુનિવર્સિટીમાંથી કાયદાની પરીક્ષા પાસ કરી હતી. 1938માં નાગપુરમાં રોકાણ દરમિયાન તેઓ આરએસએસના સંસ્થાપક કેશવ બલિરામ હેડગેવારના સંપર્કમાં આવ્યા અને સંઘના પ્રચારક તરીકે પસંદગી પામ્યા. પૂર્વ બંગાળ (હવે બાંગ્લાદેશ)થી પશ્ચિમ બંગાળ તરફ સ્થળાંતરના સમયગાળા દરમિયાન એકનાથ રાનડે રામકૃષ્ણ મિશનના સંપર્કમાં આવ્યા. તેમણે બંગાળી ભાષા પણ શીખી હતી. તે દરમિયાન તેમણે પૂર્વ બંગાળથી આવેલા શરણાર્થીઓની સેવા પણ કરી હતી.

    એકનાથ રાનડેનું જીવન, વિવેકાનંદ રૉક મેમોરિયલ માટે દાનસંગ્રહ

    એકનાથ રાનડેએ પ્રારંભિક શિક્ષણ 1920માં નાગપુરની ફડણવીસપુરા શાળામાંથી મેળવ્યું હતું. તેઓ 1926માં સંગમાં જોડાયા હતા. 1932માં તેમણે ન્યૂ ઇંગ્લિશ હાઈસ્કૂલમાંથી 10માની પરીક્ષા પાસ કરી હતી. 1938માં ફિલોસોફીમાં બી.એ. પહેલાં તેઓ જબલપુરમાં પ્રચારક બન્યા, પછી મહાકૌશલ અને મધ્યપ્રદેશમાં પ્રાંત પ્રચારક બન્યા. ૧૯૫૩ માં આરએસએસના અખિલ ભારતીય પ્રચાર પ્રમુખ અને 1955માં સરકાર્યવાહ. 1962માં તેમને સંઘના અખિલ ભારતીય બૌદ્ધિક વડા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.

    1963માં સ્વામી વિવેકાનંદની જન્મ શતાબ્દી પર તેમણે ‘હે હિન્દુ રાષ્ટ્ર ઉત્થિષ્ઠ, જાગ્રત’ નામનું પુસ્તક લખ્યું હતું, જેમાં સ્વામીજીના વિચારોનું સંકલન હતું. વિવેકાનંદ રોક મેમોરિયલની સ્થાપના માટેનો તેમનો મેરેથોન પ્રયાસ પણ જાણવા જેવો છે. તેમણે દેશભરમાં ફરીને એક-એક રૂપિયો એકઠો કરવાનું અભિયાન શરૂ કર્યું. જ્યારે કોઈએ તેમને કહ્યું કે ઘણા લોકો હજારો રૂપિયા આપવા માંગે છે, ત્યારે તેમણે કહ્યું કે એક પણ ધનિક વ્યક્તિ પણ આ સ્મારકનું નિર્માણ કરી શકે છે, પરંતુ તેમનો હેતુ સ્વામી વિવેકાનંદનો સંદેશો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવાનો છે.

    તેમણે કહ્યું હતું કે, કામ ત્યારે જ થશે જ્યારે લોકો માત્ર દાન આપવા ખાતર દાન નહીં કરે પણ સઉદ્દેશ્યની સિદ્ધિ માટે દાબ આપશે. તેમણે સ્પષ્ટ કહ્યું હતું કે એક વ્યક્તિ પાસેથી માત્ર એક રૂપિયો લેવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી માત્ર આજથી એકનાથ રાનડેથી પરિચિત નથી, પરંતુ તેમની સાથે 70ના દાયકામાં કામ કરવાનો અનુભવ પણ ધરાવે છે. 9 નવેમ્બર, 2014ના રોજ નવી દિલ્હીના વિજ્ઞાન ભવનમાં એકનાથ રાનડેની જન્મશતાબ્દીની ઉજવણીના કાર્યક્રમને સંબોધતાં તેમણે કહ્યું હતું કે, સ્વામી વિવેકાનંદની પ્રતિમાની દરેક વિગતોનું તેમણે કેવી રીતે ધ્યાન રાખ્યું હતું.

    જેમ કે, સમુદ્રી પવનો છતાં પ્રતિમા લાંબા સમય સુધી ટકી શકે તે માટે એવા પથ્થરોનો ઉપયોગ કરવો જોઈએ, વિવેકાનંદની આંખો કેવી હોવી જોઈએ અને તેઓ કેવા દેખાવા જોઈએ, પ્રતિમાને અકબંધ રાખવા માટે કયા કેમિકલનો ઉપયોગ કરવો જોઈએ…બધું જ. પીએમ મોદીએ કહ્યું હતું કે તેમણે ભારતના ખૂણેખૂણાના લોકોમાં એવી ભાવના જગાવી હતી કે તેમણે વિવેકાનંદ રોક મેમોરિયલમાં પોતાનું યોગદાન આપ્યું છે. એકનાથ રાનડે વિવેકાનંદ જેવા ઘણા શક્તિશાળી યુવાનો બનાવવા માંગતા હતા.

    વિવેકાનંદ રૉક મેમોરિયલનો પ્રથમ તબક્કો ₹1.20 કરોડના ખર્ચે પૂર્ણ થયો હતો. ‘વિવેકાનંદ મંડપમ્’ની અંદર સભા મંડપમ અને ધ્યાન મંડપમ આવેલાં છે. દક્ષિણ ભારતીય માળખું શ્રીપદા મંડપમ અલગથી બનાવવામાં આવ્યું હતું. એકનાથ રાનડે વિશે જાણવા જેવી બીજી એક વાત એ છે કે મહાત્મા ગાંધીની હત્યા બાદ જ્યારે આરએસએસ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો ત્યારે તેઓ પ્રતિબંધ હટાવવા માટે તત્કાલીન કેન્દ્રીય ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલ સાથે ગુપ્ત વાતચીતનો પણ ભાગ હતા.

    કોંગ્રેસી નેતાઓ અને મિશનરીઓએ સર્જ્યા હતા અવરોધ

    આરએસએસ નેતા એચવી શેષાદ્રીએ પોતાના પુસ્તક ‘કૃતિરૂપ સંઘ-દર્શન’માં સ્વામી વિવેકાનંદ રોક મેમોરિયલના નિર્માણ દરમિયાન જે વિક્ષેપોનો સામનો કરવો પડ્યો હતો તેનો ઉલ્લેખ કર્યો છે. તેમણે લખ્યું છે કે 1963માં જ્યારે તમિલનાડુ સરકારે આ જમીન વિવેકાનંદ રોક મેમોરિયલ કમિટીને સોંપી હતી, ત્યારે ત્યાં એક તકતી લગાવવામાં આવી હતી. જોકે, મિશનરીઓએ તેને તોડી પાડી અને તેના સ્થાને એક વિશાળ કોંક્રિટ ક્રોસ બનાવ્યો અને ગોવાના હિંદુઓ પર અત્યાચાર ગુજારનારા પોર્ટુગીઝ પાદરી ઝેવિયરનું સ્મારક બનાવવાનો પ્રયાસ કર્યો.

    કેટલાક નિડર સ્વયંસેવકોએ સમુદ્ર તરીને પાર કરીને ત્યાં પહોંચીને તે ક્રોસને દૂર કર્યો. સરકારે ત્યાં આસપાસ કલમ-144 લાગુ કરવી પડી. પછી મન્નત પદ્મનાભનને રાષ્ટ્રીય સ્મારક સમિતિના અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. એક રીતે આ વિવેકાનંદ રૉક મેમોરિયલ 1962માં ચીન સામે યુદ્ધ હારી ગયેલા ભારત માટે સંજીવની બનીને આવ્યું હતું. સ્વામી વિવેકાનંદનાં પુસ્તકો લાખો યુવાનોને ઉપલબ્ધ કરાવવામાં આવ્યાં હતાં. 2 સપ્ટેમ્બર, 1970ના રોજ ઉદ્ઘાટન દરમિયાન તત્કાલીન રાષ્ટ્રપતિ વીવી ગિરી મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા.

    તે એકનાથ રાનડેનો કમાલ હતો કે દરેક વિચારધારાના લોકો તેમાં જોડાયા હતા અને તે કાર્યક્રમની અધ્યક્ષતા એમ કરુણાનિધિએ કરી હતી. તે સમયે હિંદુ વિરોધી પેરિયાર જીવિત હતો. જો એકનાથ રાનડે અને આરએસએસ ન હોત તો કદાચ આજે તેને ‘સેન્ટ ઝેવિયર્સ રોક’ કહેવામાં આવી રહ્યું હોત અને ઝેવિયર્સનું સ્મારક ત્યાં હોત. તે સમયે ભારતના સંસ્કૃતિ મંત્રી રહેલા હુમાયુ કબીરે કહ્યું હતું કે આ સ્મારકના નિર્માણથી તે સ્થળની સુંદરતા ખતમ થઈ જશે. 

    તે સમયે ખ્રિસ્તી મિશનરીઓએ એક 22 ફૂટનો પથ્થર પણ તોડીને ફેંકી દીધો હતો,  જે સ્વામી વિવેકાનંદ સાથે સંબંધિત કામ માટે લાવવામાં આવ્યો હતો. તત્કાલીન મુખ્ય પ્રધાન ભક્તવત્સલમે પણ શરૂઆતમાં સ્વામી વિવેકાનંદની પ્રતિમા સ્થાપિત કરવાની મંજૂરી આપવાનો ઇનકાર કર્યો હતો. એકનાથ રાનડેએ હુમાયુ કબીરને મળીને તેમને સમજાવ્યા હતા અને સીએમને પત્ર લખ્યો હતો, ત્યારબાદ આ કામ પૂર્ણ થયું હતું. આ માટે તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નહેરુને 323 સાંસદોની સહીઓ પણ સોંપવી પડી હતી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં