Saturday, July 27, 2024
More
    હોમપેજદેશ'મોડી રાત્રે મહિલાઓને બોલાવતો, લોકોની કમાણી છીનવી લેતો હતો શેખ શાહજહાં': સંદેશખાલી...

    ‘મોડી રાત્રે મહિલાઓને બોલાવતો, લોકોની કમાણી છીનવી લેતો હતો શેખ શાહજહાં’: સંદેશખાલી હિંસા પર NCST, કહ્યું- TMCને વોટ ન આપનારાઓ પર થતો અત્યાચાર

    NCSTએ કહ્યું કે, TMC નેતા શાહજહાં શેખ અને તેના સહયોગીઓ ગરીબ આદિવાસી પરિવારો પાસેથી બળજબરીથી મનરેગાની મજૂરી છીનવી લેતા હતા. સાથે એવું પણ કહેવામાં આવ્યું છે કે, પાર્ટી વિરુદ્ધ મત આપવા બદલ તે લોકો ગરીબ આદિવાસીઓને પ્રતાડિત પણ કરતા હતા.

    - Advertisement -

    પશ્ચિમ બંગાળના સંદેશખાલીમાં જમીન પચાવી પાડવાનો અને મહિલાઓના યૌન શોષણનો આરોપી તૃણમૂલ કોંગ્રેસ (TMC)નો નેતા શેખ શાહજહાં તેના સહયોગીઓ સાથે મળીને આદિવાસીઓને સતત હેરાન કરી રહ્યો હતો- રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગ (NCST)ની ટીમે સંદેશખાલી મુલાકાત બાદ આ બાબતો જણાવી છે. NCSTની ટીમે તાજેતરમાં જ સંદેશખાલી વિસ્તારની મુલાકાત લીધી હતી અને હવે રિપોર્ટ સરકારને સોંપવામાં આવશે.

    NCST દ્વારા સંદેશખાલી મામલે જણાવવામાં આવ્યું છે કે, TMC નેતા શેખ શાહજહાં અને તેના સહયોગીઓ ગરીબ આદિવાસી પરિવારો પાસેથી બળજબરીથી મનરેગાની મજૂરી છીનવી લેતા હતા. સાથે એવું પણ કહેવામાં આવ્યું છે કે, પાર્ટી વિરુદ્ધ મત આપવા બદલ તે લોકો ગરીબ આદિવાસીઓને પ્રતાડિત પણ કરતા હતા. ઉપાધ્યક્ષ અનંત નાયકની અધ્યક્ષતાવાળી ત્રણ સભ્યોની NCST ટીમને ફરિયાદીઓ પાસેથી એ પણ જાણવા મળ્યું કે, શેખ શાહજહાં અને તેના સહયોગીઓને બંગાળ પોલીસનું સંરક્ષણ મળી રહ્યું છે. સાથે નાયકે એવું પણ કહ્યું કે, ટીમને આદિવાસી મહિલાઓની યૌન શોષણ અને શાહજહાં અને તેના સહયોગીઓ દ્વારા જમીન પચાવી લેવાની 50થી વધુ ફરિયાદો મળી છે.

    ‘TMCને વોટ ન આપનારાઓ પર અત્યાચાર’

    નાયકે કહ્યું કે, ફરિયાદીઓએ તપાસ ટીમને જણાવ્યું હતું કે, આરોપી અને તેના સહયોગીઓ ચૂંટણીમાં અન્ય પક્ષોને મત આપનારા લોકો પર અત્યાચાર કરતા હતા. વધુમાં, શાહજહાં અને તેના સહયોગીઓ સ્થાનિક મહિલાઓને મોડી રાત્રે મીટિંગ માટે આવવા કહેતા અને જેઓ તેમની માંગણીઓ સ્વીકારતા ન હતા તેમના પરિવારના સભ્યોને ત્રાસ આપતા હોવાનું સામે આવ્યાનું પણ જણાવવામાં આવી રહ્યું છે.

    - Advertisement -

    આ માત્ર સંદેશખાલીની જ હાલત નથી. વિધાનસભા અને લોકસભા ચૂંટણી બાદ અહીં મોટાપાયે હિંસા થઈ હતી. આ હિંસામાં મોટાભાગે હિંદુ સમુદાયના લોકોને નિશાન બનાવવામાં આવ્યા હતા. તેમના પર શાસક પક્ષ છોડીને ભાજપને મત આપવાનો આરોપ હતો. તેથી તેમના ઘરો સળગાવી દેવામાં આવ્યા હતા. જેને લઈને રાજકીય હિંસા પણ ફેલાઈ હતી.

    પોલીસ FIR નોંધવાને બદલે સમાધાન કરાવતી

    નાયકે વધુમાં ઉમેર્યું કે, “જો પીડિત મહિલાઓ પોલીસની પાસે જતી અને ફરિયાદ દાખલ કરવાનું કહેતી, તો પોલીસ FIR દાખલ કરવાની જગ્યાએ ફરિયાદીને શાહજહાં શેખ સાથે વાટાઘાટો કરવાનું કહેતી હતી. પોલીસે આ મામલે આરોપીઓને સંરક્ષણ આપવાના તમામ પ્રયાસો કર્યા હતા.” તેમણે કહ્યું, શાહજહાંએ 10 કિલોમીટરથી વધુના વિસ્તારમાં આદિવાસી અને અન્ય લોકોની જમીન કથિત રીતે પચાવી પાડી છે. નોંધનીય છે કે, આયોગે 20 ફેબ્રુઆરીના રોજ પશ્ચિમ બંગાળના મુખ્ય સચિવ અને રાજ્યના પોલીસ વડાને નોટિસ પાઠવીને ત્રણ દિવસમાં આ બાબતે કાર્યવાહીનો તથ્યાત્મક રિપોર્ટ માંગ્યો હતો.

    નોંધવું જોઈએ કે, છેલ્લા કેટલાક સમયથી પશ્ચિમ બંગાળના સંદેશખાલીમાં મહિલાઓ વિરોધ-પ્રદર્શન કરી રહી છે અને TMC નેતા શેખ શાહજહાંની ધરપકડની માંગ કરી રહી છે. મહિલાઓનો આરોપ છે કે ઘણા સમયથી તેમનું શોષણ કરવામાં આવતું હતું. તેમનું વિરોધ પ્રદર્શન પછીથી ઉગ્ર બનતાં હિંસા પણ થઈ હતી. અનેક મહિલાઓ પછીથી સામે પણ આવી અને જણાવ્યું કે કઈ રીતે તેમનું શોષણ કરવામાં આવતું રહ્યું.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં