Thursday, April 25, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટમોરેશિયસના વડાપ્રધાને ગંગામાં વિસર્જિત કરી પિતાની અસ્થિઓ, બાબા વિશ્વનાથના દર્શન કર્યા, આવતીકાલે...

    મોરેશિયસના વડાપ્રધાને ગંગામાં વિસર્જિત કરી પિતાની અસ્થિઓ, બાબા વિશ્વનાથના દર્શન કર્યા, આવતીકાલે સીએમ યોગીને મળશે

    મોરેશિયસના વડાપ્રધાન પ્રવિંદ કુમાર જગન્નાથ ભારતની મુલાકાતે છે અને આજે તેમણે વારાણસી ખાતે ગંગામાં પોતાના પિતા અનિરુદ્ધ જગન્નાથના અસ્થિ વિસર્જિત કર્યા હતા.

    - Advertisement -

    મોરેશિયસના વડાપ્રધાન પ્રવિંદ કુમાર જગન્નાથ હાલ આઠ દિવસ માટે ભારતના પ્રવાસે આવ્યા છે. પહેલા દિવસે ગુજરાતના જામનગર અને અમદાવાદમાં કાર્યક્રમોમાં હાજરી આપ્યા બાદ બુધવારે સાંજે તેઓ વારાણસી પહોંચ્યા હતા. ગુરુવારે સવારે તેઓ દશાશ્વમેઘ ઘાટ પહોંચ્યા હતા, જ્યાં તેમણે પિતા અનિરુદ્ધ જગન્નાથની અસ્થિઓનું ગંગામાં વિસર્જન કર્યું હતું.

    પ્રવિંદ જગન્નાથ ત્રણ દિવસ માટે કાશીના પ્રવાસે આવ્યા છે. આજે સવારે તેઓ તેમના પિતા અને મોરેશિયસના પૂર્વ વડાપ્રધાન અનિરુદ્ધ જગન્નાથની અસ્થિઓ વિસર્જિત કરવા માટે વારાણસીના પ્રસિદ્ધ દશાશ્વમેઘ ઘાટ પહોંચ્યા હતા. જ્યાં તેમણે સનાતન ધર્મની પરંપરા અનુસાર વૈદિક રીતિરિવાજ સાથે પિતાની અસ્થિઓ ગંગા નદીમાં પ્રવાહિત કરી મૃત આત્માની શાંતિ માટે પ્રાથના કરી હતી. આ દરમિયાન ચાર વેદ પાઠી બ્રાહ્મણોએ પરંપરાગત રીતિ રીવાજ મુજબ અસ્થિ વિસર્જનની પૂજા અને અનુષ્ઠાન પૂર્ણ કરાવ્યાં હતાં.

    સવારે પિતાના અસ્થિ વિસર્જનની વિધિ પૂર્ણ કર્યા બાદ પ્રવિંદ કુમાર જગન્નાથ બાબા વિશ્વનાથ ધામ પહોંચ્યા હતા અને જ્યાં તેમણે પૂજા-દર્શન કરીને ભવ્ય કાશી વિશ્વનાથ ધામ નિહાળ્યું હતું. અહીં ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ કાશી વિશ્વનાથ કોરિડોરનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકાર્પણ કર્યું હતું.

    - Advertisement -

    આવતીકાલે સીએમ યોગી સાથે કરશે દ્વિપક્ષીય બેઠક

    પ્રવિંદ કુમાર જગન્નાથ તેમનાં પત્ની અને માતા સાથે ભારત પ્રવાસે આવ્યા છે. આ ઉપરાંત એક ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ પણ તેમની સાથે ભારત યાત્રાએ આવ્યું છે. શુક્રવારે મોરેશિયસના વડાપ્રધાન અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ વચ્ચે દ્વિપક્ષીય બેઠક થશે. આ ઉપરાંત રાજ્યપાલ આનંદીબેન પટેલ તરફથી મોરેશિયસના પીએમ માટે રાત્રિ ભોજનનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જે માટે યુપી સીએમ અને રાજ્યપાલ આવતીકાલે વારાણસી પહોંચશે.

    ભારત સાથે સબંધ ધરાવતા મોરેશિયસના વડાપ્રધાન પ્રવિંદ કુમાર જગન્નાથના પિતા સર અનિરુધ્ધ જગન્નાથ મોરેશિયસના પૂર્વ રાષ્ટ્રપતિ અને પૂર્વ વડાપ્રધાન હતા. તેઓ બે વખત મોરેશિયસના રાષ્ટ્રપતિ અને છ વખત વડાપ્રધાન રહ્યા હતા. વર્ષ 2020 માં તેમને ભારત સરકારે દ્વિતીય સર્વોચ્ચ નાગરિક સન્માન પદ્મ વિભૂષણથી સન્માનિત કર્યા હતા.

    જગન્નાથના પૂર્વજો યુપીના બલિયાના રહેવાસી હતા

    મોરેશિયસના પૂર્વ રાષ્ટ્રપતિના પૂર્વજો ઉત્તર પ્રદેશના બલિયાના નિવાસી હતા. બલિયા જિલ્લાના રસડા થાણા ક્ષેત્રનું અઠીલપુરા ગામ તેમના પૂર્વજોનું નિવાસસ્થાન રહ્યું છે. રિપોર્ટ અનુસાર, તેમના પિતા અને કાકાને અંગ્રેજોએ શેરડીની ખેતી માટે કામ કરવા માટે મજૂર તરીકે મોરેશિયસ મોકલી આપ્યા હતા. જેઓ ત્યારબાદ ત્યાંના જ નિવાસી બની ગયા હતા. અનિરુદ્ધ જગન્નાથનો જન્મ મોરેશિયસમાં વર્ષ 1930 માં થયો હતો. જે બાદ તેમણે ત્યાં જ પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ મેળવી વકીલાતનો અભ્યાસ કરવા લંડન ગયા હતા.

    છ વાર વડાપ્રધાન, બે વખત રાષ્ટ્રપતિ રહ્યા

    રાજકારણમાં જોડાયા બાદ તેઓ વર્ષ 1976 થી 1982 દરમિયાન વિપક્ષ નેતા રહ્યા હતા. જે બાદ 1982 થી 1995 અને 2000 થી 2003 દરમિયાન દેશના વડાપ્રધાન પડે રહ્યા હતા. જે બાદ તેઓ રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા હતા અને 2003 થી 2012 સુધી રાષ્ટ્રપતિ રહ્યા હતા. જે બાદ ચૂંટણીમાં તેમની પાર્ટીનો વિજય થતાં 2014 માં તેઓ છઠ્ઠી વખત મોરેશિયસના વડાપ્રધાન બન્યા હતા. જૂન 2021 માં 91 વર્ષની વયે તેમનું નિધન થયું હતું.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં