Tuesday, April 30, 2024
More
    હોમપેજદેશઅયોધ્યાના લોકોની આબરૂ બચાવવા વાસુદેવ ગુપ્તાએ આપ્યું બલિદાન: પતિના મૃત્યુ બાદ પત્ની...

    અયોધ્યાના લોકોની આબરૂ બચાવવા વાસુદેવ ગુપ્તાએ આપ્યું બલિદાન: પતિના મૃત્યુ બાદ પત્ની પણ લાગી ગયા કારસેવામાં, દીકરો આપી રહ્યો છે રામજન્મભૂમિ ટ્રસ્ટમાં સેવા

    વાસુદેવના પુત્ર સંદીપે ઑપઇન્ડિયાને જણાવ્યું હતું કે તેમના પિતા, માતા, ભાઇ અને બહેનના મૃત્યુ બાદ તેમના ઘર પર ભારે આર્થિક સંકટ ઊભું થયું હતું. આવી સ્થિતિમાં ગુપ્તા પરિવારની કાળજી વિશ્વ હિંદુ પરિષદ અને રામજન્મભૂમિ ટ્રસ્ટ દ્વારા લેવામાં આવી હતી. સંદીપને ટ્રસ્ટ દ્વારા રામજન્મભૂમિના લોકર વિભાગમાં નોકરી આપવામાં આવી છે.

    - Advertisement -

    અયોધ્યામાં પ્રભુ શ્રીરામની જન્મભૂમિ પર મંદિરનું નિર્માણકાર્ય તેના ચરમ પર છે. 22 જાન્યુઆરી 2024ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં અહીં ભગવાન શ્રીરામલલ્લાની પ્રતિમાની પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવશે. આ અવસરે અત્યારથીજ આખો દેશ ભક્તિના રંગે રંગાઈ ગયો છે અને ચારો તરફ હર્ષોલ્લાસનો માહોલ છે. જોકે આ બધા વચ્ચે હિંદુ સમાજને તેવા રામભક્તો પણ યાદ આવી રહ્યા છે, જેમણે મુઘલકાળથી લઈને મુલાયમકાળ સુધીમાં રામજન્મભૂમિમાટે પોતાના પ્રાણોની આહુતિ આપી દીધી. આ પૈકીના જ એક હતા અયોધ્યામાં રહેવાવાળા વાસુદેવ ગુપ્તા, જેમને વર્ષ 1990ના 30 ઓકટોબરે મુલાયમસિંઘના આદેશ પર ગોળી ધરબી દેવામાં આવી હતી. ઑપઇન્ડિયાએ 28 ડિસેમ્બર 2023ના રોજ અયોધ્યાના દિવંગત કારસેવક વાસુદેવ ગુપ્તાના પરિવાર સાથે મુલાકાત લઈને વર્તમાન સમયમાં તેમની પરિસ્થિતિ જાણવાનો પ્રયત્ન કર્યો.

    ઘોર આર્થિક ભિંસ સામે ઝઝૂમી રહ્યો છે પરિવાર

    પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા વાસુદેવ ગુપ્તા અયોધ્યાના નયાઘાટ વિસ્તારમાં મીઠાઈની દુકાન ચલાવતા હતા. આ દુકાનથી તેઓ તેમની પત્ની, 3 દીકરીઓ અને 2 દીકરાનું ભરણપોષણ કરતા. વર્તમાન સમયમાં પડોશીઓ દ્વારા કરવામાં આવેલા કેસના કારણે તે દુકાન તોડી પાડવામાં આવી છે અને તેનો કાટમાળ તેમના ઘરમાં પડ્યો છે. વાસુદેવ ગુપ્તાના પરિવારનું નવું ઘર માત્ર 2 ઓરડાનું છે. જયારે ઑપઇન્ડિયા તેમના ઘરે પહોંચ્યું ત્યારે ઘરની આસપાસ કાટમાળ પથરાયેલો હતો. બીજી તરફ ઓરડામાં વાસણ પણ અસ્તવ્યસ્ત પડ્યા હતા. વાસુદેવના દીકરીએ ખુલીને તો કશું ન જણાવ્યું, પરંતુ નજરે દેખાઈ રહેલા દ્રશ્યો ચાડી ખાતા હતા કે પરિવાર આર્થિક સંકટમાં છે.

    બાદમાં પત્ની, દીકરી અને દીકરાનું પણ મોત

    અયોધ્યાના દિવંગત કારસેવક વાસુદેવના પરિવાર સાથે મુલાકાત દરમિયાન અમને તેમના દીકરી સીમા ગુપ્તા મળ્યા. તેમણે ઑપઇન્ડિયાને જણાવ્યું કે તેમના પિતાના અવસાન બાદ તેમની મા, 1 બહેન અને 1 ભાઈ એક બાદ એક મોતને ભેટ્યા. આ તમામ બીમારીના કારણે મૃત્યુ પામ્યા હોવાનું કહેવામાં આવ્યું. સીમાનું કહેવું હતું કે જો તેમના પરિવાર પાસે પર્યાપ્ત રૂપિયા હોત તો કદાચ આ ત્રણેય સભ્યોનો જીવ બચી જાત. હાલ વાસુદેવના પરિવારમાં 2 વિવાહિત દીકરીઓ અને 1 દીકરો છે. વાસુદેવના દીકરા સંદીપના પણ લગ્ન થઇ ચુક્યા છે અને તેને સંતાનોમાં 2 બાળક છે.

    - Advertisement -

    ખરાબ પરિસ્થિતિને જોઈ રામજન્મભૂમિ ટ્રસ્ટે આપી નોકરી

    વાસુદેવના પુત્ર સંદીપે ઑપઇન્ડિયાને જણાવ્યું હતું કે તેમના પિતા, માતા, ભાઇ અને બહેનના મૃત્યુ બાદ તેમના ઘર પર ભારે આર્થિક સંકટ ઊભું થયું હતું. આવી સ્થિતિમાં ગુપ્તા પરિવારની કાળજી વિશ્વ હિંદુ પરિષદ અને રામજન્મભૂમિ ટ્રસ્ટ દ્વારા લેવામાં આવી હતી. સંદીપને ટ્રસ્ટ દ્વારા રામજન્મભૂમિના લોકર વિભાગમાં નોકરી આપવામાં આવી છે. તેમને આ કામ વીએચપીના અધિકારી ચંપત રાયની સૂચનાથી મળ્યું હતું. અહીં સંદીપનો પગાર ખૂબ જ સામાન્ય છે, પરંતુ પરિવારના સભ્યોનું કહેવું છે કે કશું ન હોવા કરતા જે મળી રહ્યું છે તે પણ સહારા જેવું છે. જો કે વાસુદેવની પુત્રી સીમા ગુપ્તાએ આશા વ્યક્ત કરી હતી કે વહેલા-મોડા હિંદુ સમાજ અને વર્તમાન સરકાર તેમના પરિવારની સ્થિતિ સુધારવામાં મદદ કરશે.

    અયોધ્યાના દિવંગત કારસેવક પરિવાર
    અયોધ્યાના દિવંગત કારસેવક વાસુદેવ ગુપ્તાનું પરિવાર

    વાસુદેવનું અધૂરું કાર્ય પત્નીએ પૂર્ણ કર્યું

    સીમા ગુપ્તાએ ઑપઇન્ડિયાને જણાવ્યું હતું કે તેમના માતા શકુંતલા ગુપ્તા પણ તેમના પતિની જેમ ભગવાન રામની ભક્ત હતા. પતિના મૃત્યુ બાદ તેમણે પરિવારનું ગુજરાન ચલાવવા માટે કપડાંની દુકાન ખોલી હતી. આ કમાણીમાંથી તેમણે 1 દીકરા અને 2 દીકરીઓના લગ્ન કર્યા હતા. સીમાના જણાવ્યા અનુસાર, જ્યારે 1992માં વિવાદિત ઢાંચો તોડી પાડવામાં આવ્યો, ત્યારે તેમના માતા પણ અનેક મહિલાઓ સાથે ઘટના સ્થળે હાજર હતા. સીમાના જણાવ્યા અનુસાર આ દરમિયાન તેમની માતાએ પોતાના સ્તરે અનેક ઘાયલ કારસેવકોની સારવાર પણ કરી હતી.

    અયોધ્યાના દિવંગત કારસેવક પરિવાર
    6 ડિસેમ્બર 1992માં કારસેવા આપી રહેલા વાસુદેવના પત્ની શકુંતલા (ભગવા રંગની સાડીમાં)

    અંતિમ સંસ્કાર માટે લાશ પણ નહોતા આપી રહ્યા

    સીમા ગુપ્તા તેમના પિતાને યાદ કરીને ભાવુક થઈ ગયા હતા. તેમણે જણાવ્યું કે, 1990માં જ્યારે તેમના પિતાને ગોળી મારવામાં આવી હતી ત્યારે તે માત્ર 7 વર્ષના હતા, પરંતુ તેને ઘણી વાતો યાદ છે. સીમાએ જણાવ્યું કે, તેની માતાને તેના પતિનો મૃતદેહ મેળવવા માટે ઘણો સંઘર્ષ કરવો પડ્યો હતો, કારણ કે પોસ્ટમોર્ટમ બાદ વાસુદેવનો મૃતદેહ આપવા માટે આનાકાની કરવામાં આવી રહી હતી. જો કે આ દરમિયાન હિંદુ સંગઠનોએ જોરદાર વિરોધ કર્યો હતો, જેના કારણે મુલાયમ સરકારના પ્રશાસનને ઝૂકવું પડ્યું હતું.

    પોસ્ટમોર્ટમ બાદ વાસુદેવનો પાર્થિવ દેહ

    અયોધ્યાના લોકોની આબરૂ બચાવવા નીકળ્યા હતા વાસુદેવ

    વાસુદેવ ગુપ્તા મૂળ અયોધ્યાના રહેવાસી હતા. તેમની પુત્રીએ અમને વધુમાં જણાવ્યું હતું ,કે તેના પિતા બજરંગ બલીના પરમ ભક્ત હતા. જ્યારે રામ મંદિર મુક્તિ આંદોલન શરૂ થયું ત્યારે દેશના વિવિધ ભાગોમાંથી રામભક્તો અયોધ્યા પહોંચી રહ્યા હતા. આ દરમિયાન વાસુદેવ ગુપ્તાએ પોતાના પરિવારને કહ્યું કે જો તેઓ બહાર નહીં આવે તો અયોધ્યાના લોકોને શું મોઢું બતાવશે. સીમાએ જણાવ્યું કે, “પપાએ કહ્યું હતું કે અયોધ્યામાં રહેનારાઓ પર ભવિષ્યમાં લોકો હસશે કે તેઓ રામ માટે બહાર નથી આવી રહ્યા.” છેવટે વાસુદેવ એક જૂથને લઈને બહાર આવ્યા અને તેમના પેટ અને કમરમાં 3 ગોળીઓ વાગી. ઘટનાસ્થળે જ વાસુદેવ ઢળી પડ્યા અને તેમના પ્રાણ નીકળી ગયા. વાસુદેવનો મૃતદેહ રામજન્મભૂમિ પાસે રામકોટ પર પડેલો મળી આવ્યો હતો.

    આ રીતે મળ્યું હતું વાસુદેવનું શબ

    હિઝબુલ મુઝાહિદ્દીનના નામે મળી હતી ધમકી

    સીમા ગુપ્તાએ વધુમાં જણાવ્યું હતું કે, પિતાના મૃત્યુના લગભગ 1-2 વર્ષ બાદ તેને ધમકીભર્યો પત્ર મળ્યો હતો. ઉર્દૂ શબ્દોમાં લખેલા આ ત્રણ પાનાના પત્રમાં હિઝબુલ મુઝાહિદ્દીનની મહોર લાગી હતી. આ પત્રમાં અનેક ધમકીઓ સાથે લખવામાં આવ્યું હતું કે, “એકને મોકલી ચુકી છે, બીજો સંભાળીને રાખજે. સરયુ નદીને ‘શરીફા નદી’ અને અયોધ્યાને ‘અયુબાબાદ’ બનાવવામાં આવશે.” ત્યારબાદ વાસુદેવ ગુપ્તાની પત્ની શકુંતલાએ આ ધમકી અંગે પ્રશાસનને ફરિયાદ કરી હતી.

    રામમંદિર બન્યું અને પિતાનું સપનું સાકાર થયું

    અયોધ્યાના દિવંગત કારસેવક વાસુદેવ ગુપ્તાનો પરિવાર ભગવાન રામના મંદિરના નિર્માણથી ખૂબ જ ખુશ છે. તેમના પુત્ર સંદીપ અને પુત્રી સીમાએ જણાવ્યું હતું કે રામ મંદિરના નિર્માણ બાદ તેમના સ્વર્ગસ્થ પિતાનું સ્વપ્ન સાકાર થયું છે. વાસુદેવનો પરિવાર પણ ઈચ્છે છે કે આ મંદિર સાથે તેમના પિતા અને અન્ય બલિદાન પામેલા રામ ભક્તોનો ઇતિહાસ પણ હોય. સીમા ગુપ્તાને આશા છે કે વર્તમાન સરકાર વાસુદેવ ગુપ્તાના નામે એક સ્મારક બનાવશે, જેથી તેના પિતાની યાદને જીવંત રાખી શકાય.

    1990ના છાપામાં વાસુદેવ ગુપ્તાનો ઉલ્લેખ

    ઑપઇન્ડિયાની ટીમ ડિસેમ્બર 2023ના છેલ્લા અઠવાડિયાથી અયોધ્યામાં હતી. અહીંથી અમે તમને રામજન્મભૂમિ આંદોલનના નનામા બલિદાન, વિસરાઈ ગયેલી ઘટનાઓ વિશે જ નહીં પરંતુ અયોધ્યાના ઘણા વણસાંભળ્યા પરંતુ પવિત્ર સ્થળો વિશે પણ વિગતવાર જણાવીશું. આ કડીનો આગલો અહેવાલ પણ અમે ટૂંક સમયમાં પ્રકાશિત કરીશું.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં