અયોધ્યામાં 22 જાન્યુઆરી, 2024ના રોજ રામ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા થવા જઈ રહી છે. અંદાજે 5 સદીના સંઘર્ષ બાદ રામભક્તોનું સ્વપ્ન પૂર્ણ થશે. મુઘલકાળથી લઈને મુલાયમ કાળ સુધી અસંખ્ય લોકોના બલિદાન પછી બની રહેલું મંદિર 2025 સુધી પૂર્ણ થવાની આશા છે. આગામી મહોત્સવને જોતાં ઑપઇન્ડિયાની ટીમ નિર્માણાધીન રામ મંદિર અને આસપાસના વિસ્તારનું નિરીક્ષણ કરવા પહોંચી હતી. જેમાં જાણવા મળ્યું કે, ભવ્ય મંદિરની અંદર યજ્ઞશાળા અને વેદશાળા પણ બની રહી છે. ઉપરાંત અબજોપતિ ઉદ્યોગપતિઓ અને વરિષ્ઠ અધિકારીઓ પણ અહીં સ્વયંસેવક બનીને શ્રમદાન કરતા જોવા મળ્યા હતા.
24 કલાક કામ ચાલુ
ઑપઇન્ડિયાને ગ્રાઉન્ડ રિપોર્ટમાં જાણવા મળ્યું કે, ભગવાન રામનું મંદિર બનાવવા માટે કામદારો 24 કલાક કામ કરી રહ્યા છે. આધુનિક ટેકનોલોજી સાથેની મોટાં-મોટાં મશીનોનો અવાજ સતત આવી રહ્યો છે. કામદારો એકથી વધારે શિફ્ટમાં કામ કરી રહ્યા છે. બધા જ શ્રમિકો દેશના અલગ-અલગ ખૂણેથી ભેગા થયા છે.
અમે શ્રમદાન કરી રહેલા કેટલાક લોકો સાથે વાતચીત કરી. લોકોએ પોતાની ખુશી વ્યક્ત કરતાં જણાવ્યું કે, તેઓ ધન્યતા અનુભવે છે કે તેઓને ભગવાન રામના મંદિરના કામ માટે પસંદ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત કામદારોએ જણાવ્યું કે તેમને રહેવા અને જમવાની પણ સારામાં સારી વ્યવસ્થા કરવામાં આવી છે.
![](https://i0.wp.com/gujarati.opindia.com/wp-content/uploads/sites/7/2024/01/Ram-Mandir-Construction-1.jpg?resize=696%2C415&ssl=1)
અબજોપતિ ઉદ્યોગપતિઓ પણ શ્રમદાન કરી રહ્યા છે
આ દરમિયાન અમે જોયું કે કેટલાક પ્રતિષ્ઠિત પરિવારોના સભ્યો, મોટા ઉદ્યોગપતિઓ, વિવિધ ક્ષેત્રોની મોટી હસ્તીઓ અને ખાનગી કંપનીઓના ઉચ્ચ અધિકારીઓ પણ સ્વયંસેવક તરીકે કામ કરી રહ્યા છે. આ બધામાં અમુક તો એવા સ્વયંસેવકો પણ છે, જેઓ BMW અને જેગુઆર જેવી મોંઘી કાર લઈને અયોધ્યા આવ્યા છે, અને 5 સ્ટાર હોટેલમાં રોકાયા છે. આ પ્રકારના લોકોએ અમને ઑફકેમેરા જણાવ્યું કે, તેમના પરિવારના અન્ય સભ્યો પણ શ્રમદાન કરશે. આ ઉપરાંત તેઓએ કહ્યું કે, શ્રમદાનમાં મળેલા મહેનતાણાને તેઓ શ્રીરામ મંદિરમાં દાન કરી દેશે અને રસીદને પ્રસાદના સ્વરૂપમાં પોતાની સાથે લઇ જશે.
![](https://i0.wp.com/gujarati.opindia.com/wp-content/uploads/sites/7/2024/01/Temple-Construction-progress.jpg?resize=696%2C408&ssl=1)
ગર્ભગૃહની સુરક્ષા મહિલા સુરક્ષાકર્મીઓના હાથમાં
આ સાથે નિર્માણાધીન રામમંદિરની સુરક્ષા વિશે જાણકારી મેળવી ત્યારે જાણવા મળ્યું કે, રામ મંદિરની સુરક્ષા એકદમ ચુસ્ત છે. જેમાં પ્રથમ તબક્કો UP પોલીસથી શરૂ થાય છે. જે PAC અને SSFના સુરક્ષા જવાનોથી પસાર થઇ ગર્ભગૃહ સુધી જાય છે. ગર્ભગૃહની આસપાસની સુરક્ષાની જવાબદારી કેન્દ્રીય રિજર્વ પોલીસ ફોર્સ (CRPF)ની છે. જ્યાં CRPFની બટાલિયન નંબર 233 હાજર છે.
મહત્વનું એ છે કે રામ મંદિરની અંદર રામલલાના મુખ્ય સ્થાનની આસપાસની સુરક્ષા CRPFની મહિલા બટાલિયનને સોંપવામાં આવી છે. જ્યાં મહિલા કમાન્ડો ઑટોમેટિક હથિયારો સાથે એકદમ એલર્ટ જોવા મળે છે. સાથે તેમના સહયોગમાં UP પોલીસના સુરક્ષાકર્મીઓ પણ મૂકવામાં આવેલ છે.
રામ મંદિરની સુરક્ષાને અભેદ્ય બનાવવા માટે યોગી સરકાર દ્વારા અયોધ્યામાં UP પોલીસની સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (STF) અને આતંકવાદ વિરોધી ટુકડી (ATS)ની પણ રચના કરવામાં આવેલ છે. આ સ્પેશિયલ યુનિટ્સમાં ઉચ્ચ પ્રશિક્ષણ પામેલા પોલીસ અધિકારીઓ ન ફક્ત મંદિર પરિસરની સુરક્ષા કરશે, પરંતુ તેની આસપાસના વિસ્તારોમાં પણ ફોર્મલ ડ્રેસમાં પેટ્રોલિંગ કરતા રહેશે.
મંદિર પરિસરમાં જ સંગ્રહાલય, વેદ પાઠશાળા, ગૌશાળા અને બીજું ઘણું બધું
ભગવાન રામના નિર્માણાધીન મંદિરના ગર્ભગૃહમાં ભગવાન રામની મૂર્તિ સિવાય પરિસરમાં અન્ય ઘણાં મહત્વપૂર્ણ સ્થાનનું પણ નિર્માણ કરવામાં આવી રહ્યું છે. જેમાં હવન અને પૂજા માટેની યજ્ઞશાળા, વિદ્યાર્થીઓ માટે વેદ પાઠશાળા અને ગાય સંરક્ષણ માટેની ગૌશાળાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત કેમ્પસમાં ધાર્મિક મંડપ, સત્સંગ ભવન, મ્યુઝિયમ અને 360 ડિગ્રી થિયેટર પણ બનાવવામાં આવી રહ્યું છે.
અહીં આવતા ભક્તો લાઇબ્રેરી, સંગ્રહાલય અને થિયેટર દ્વારા ભગવાન રામ અને તેમના જીવનચરિત્ર વિશે વિગતવાર જાણી શકશે. સંત નિવાસ અને યાત્રાળુઓની સુવિધા માટે અલગ-અલગ ભવન બનાવવામાં આવી રહી છે. આ સિવાય અહીં એક ગેસ્ટ હાઉસ પણ હશે. આ સ્થાનોની નજીક એક પુસ્તકાલય અને સંશોધન કેન્દ્ર પણ રાખવામાં આવશે.
આ ઉપરાંત શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટનું કાર્યાલય અને તેનું વહીવટી ભવન પણ મંદિર પરીસરમાં રહેશે. એક બાજુ શૌચાલય વગેરેની પણ વ્યવસ્થા કરવામાં આવશે. મંદિર સંકુલના ઘણા ભાગોમાં સુરક્ષા ચેક પોસ્ટ બનાવવામાં આવશે, જ્યાં હાજર સુરક્ષા કર્મચારીઓ દરેક ખૂણે નજર રાખશે. આ સુરક્ષા કર્મચારીઓમાં મહિલા અને પુરૂષો બંનેનો સમાવેશ થશે. આ ઉપરાંત મંદિર પરિસરમાં જ ફાયર ફાયટરની ટીમ પણ હાજર રહેશે.
5 ઝોનમાં અભેદ્ય સુરક્ષા, આર્મ ફ્રી ઝોન જાહેર કરાશે
મંદિર સુરક્ષાને ધ્યાનમાં રાખીને સમગ્ર મંદિર પરિસરને 5 ઝોનમાં વહેંચવામાં આવ્યું છે. તેમના નામ આઇસોલેશન, રેડ, યલો, બ્લુ અને ગ્રીન ઝોન છે. દરેક ઝોનમાં પૂરતા પ્રમાણમાં સુરક્ષા દળો તૈનાત કરવામાં આવશે. રાજ્ય અને કેન્દ્રના સુરક્ષા દળો મળીને મંદિરની રક્ષા કરશે. મંદિર નજીક નદીના કિનારે સ્ટીમર અને બોટ પર સશસ્ત્ર સુરક્ષાકર્મીઓ પણ હાજર રહેશે. મોનિટરિંગ માટે તમામ સંવેદનશીલ સ્થળો પર આધુનિક સુરક્ષા ઉપકરણો લગાવવામાં આવી રહ્યા છે. મંદિરને અડીને આવેલા સમગ્ર વિસ્તાર પર CCTV દ્વારા નજર રાખવામાં આવશે. અહીં આવા-જા કરતા વાહનોના નંબર સતત સ્કેન કરવામાં આવશે. સુરક્ષા દળો ઉપરાંત સમગ્ર વિસ્તારને આર્મ ફ્રી ઝોન જાહેર કરવામાં આવશે. મતલબ કે અહીં હાજર સુરક્ષા દળો સિવાય કોઈ પણ વ્યક્તિને હથિયાર લાવવાની મંજૂરી આપવામાં આવશે નહીં.
ખોદકામમાંથી મળેલા અવશેષો હજુ પણ પરિસરમાં હાજર છે.
બહારથી થયેલા ચરમપંથી હુમલાઓ સિવાય ભગવાન રામના જન્મસ્થળને લાંબા સમય સુધી કોર્ટના આદેશ હેઠળ રહેવું પડ્યું હતું. કોર્ટના આદેશ પર મંદિર પરિસરમાં ઘણી વખત ખોદકામ પણ કરવામાં આવ્યું હતું. જેમાં ખોદકામ કરતા અનેક પુરાવા પણ મળ્યા હતા. સંશોધનમાં મળેલા પુરાવાઓએ રામ જન્મભૂમિ, હિંદુઓના પક્ષમાં હોવાના કોર્ટના નિર્ણયમાં ખૂબ મહત્વની ભૂમિકા ભજવી હતી.
![](https://i0.wp.com/gujarati.opindia.com/wp-content/uploads/sites/7/2024/01/Assets-found-in-Temple.jpg?resize=696%2C391&ssl=1)
આ સાથે તે પુરાવાઓએ ત્યાં મસ્જિદ છે એવું કહેનારાઓને પણ દુનિયાની સામે ખોટા સાબિત કરી દીધા હતા. આજે પણ ખોદકામમાંથી મળેલા ઘણા અવશેષો મંદિરના સ્થળે રાખવામાં આવ્યા છે, જ્યાં હાલમાં હિંદુ સમુદાયના લોકો અસ્થાયી સ્થાને ભગવાન રામના દર્શન કરી રહ્યા છે. ત્યાં સૌથી મોટું આકર્ષણ લગભગ 5 ફૂટ લાંબુ શિવલિંગ છે, જેને મંદિર પરિસરમાં કડક સુરક્ષા વચ્ચે લોખંડના પિંજરામાં સાચવવામાં આવ્યું છે. આ શિવલિંગ પર જળ ચઢાવવાની પણ વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે.
આ સિવાય ખોદકામ દરમિયાન મળેલા સ્તંભો પર પણ હિંદુ સંસ્કૃતિની કલાકૃતિઓ સ્પષ્ટપણે જોઈ શકાય છે. ત્યાં કેટલીક મૂર્તિઓ પણ રાખવામાં આવી છે, જેને દેવી-દેવતાઓના પ્રતીક માનવામાં આવે છે. આ કલાકૃતિઓ પરથી અનુમાન લગાવી શકાય છે કે પ્રાચીન સમયમાં હિંદુ સંસ્કૃતિ ઘણી ઉન્નત હતી.