Thursday, May 2, 2024
More
    હોમપેજગુજરાતઆજે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ, પણ રાજકોટથી ક્ષત્રિય મહિલાઓએ ન કરી ઉમેદવારી:...

    આજે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ, પણ રાજકોટથી ક્ષત્રિય મહિલાઓએ ન કરી ઉમેદવારી: 300 ફોર્મની વાત પરથી યુ-ટર્ન, કોંગ્રેસને સમર્થનના સંકેત 

    રાજકીય દ્રષ્ટિએ જોવામાં આવે તો રાજકોટ બેઠક પરથી કદાચ 300 ફોર્મ ભરાયાં પણ હોત તોપણ મત વિભાજન થઈ જાત અને આખરે પરિણામો ભાજપના જ પક્ષમાં આવ્યાં હોત. વધુમાં મોટાભાગની ડિપોઝીટ ડૂલ થઈ ગઈ હોત તે ચૂંટણી પંચના નફામાં. 

    - Advertisement -

    ભાજપ નેતા પરષોત્તમ રૂપાલા સામે આંદોલન કરતા ક્ષત્રિય સમાજની મહિલાઓએ રાજકોટ બેઠક પરથી એકસાથે સેંકડો ફોર્મ ભરવાની ઘોષણા કરી હતી, પરંતુ હવે ફેરવી તોળ્યું છે. હવે જાણવા મળી રહ્યું છે કે કોઇ પણ ઉમેદવારી કરશે નહીં. ક્યાંક મહિલા અગ્રણીઓ કોંગ્રેસને સમર્થન આપવાની વાતો કહી રહી છે જ્યારે ક્ષત્રિય સંકલન સમિતિ આ બાબતે શું નિર્ણય લેશે તે ટૂંક સમયમાં ખબર પડશે. 

    12 તારીખના રોજ ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ થયા બાદ હવે આજે શુક્રવારે (19 એપ્રિલ) ઉમેદવારીપત્ર ભરવાનો અંતિમ દિવસ છે. આજે સાંજ પછી ફોર્મ ભરી શકાશે નહીં. મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો અત્યાર સુધી ક્ષત્રિય સમાજમાંથી કોઇ ફોર્મ ભરાયું નથી. આ લખાય રહ્યું છે ત્યારે સમયમર્યાદા પૂર્ણ થવાને માત્ર 1-2 કલાક બાકી રહ્યા છે. જેથી સ્પષ્ટ છે કે ક્ષત્રિય મહિલાઓએ જે રીતે પહેલાં જાહેરાત કરી હતી તે રીતે રૂપાલા સામે ફોર્મ નહીં ભરાય. 

    અગાઉ વાતો વહેતી થઈ હતી કે રાજકોટ બેઠક પરથી 400 જેટલી ક્ષત્રિય મહિલાઓ ઉમેદવારી કરશે. સોશિયલ મીડિયા પર એવી ચર્ચાઓને પણ વેગ મળ્યો હતો કે તેના કારણે ચૂંટણી પંચે બેલેટ પેપરથી ચૂંટણી કરાવવાની પણ નોબત આવી શકે. જોકે, આ બધી માત્ર ચર્ચાઓ જ રહી અને અત્યાર સુધીમાં માત્ર 5 ઉમેદવારોએ ફોર્મ ભર્યાં છે. જેમાં ભાજપ, બસપા, બહુજનમુક્તિ પાર્ટી અને અપક્ષ ઉમેદવારોનો સમાવેશ થાય છે. 

    - Advertisement -

    દિવ્ય ભાસ્કરના રિપોર્ટનું માનીએ તો રૂપાલા સામે જે ક્ષત્રિય મહિલાઓએ મોટી સંખ્યામાં ફોર્મ ભરવાની યોજના બનાવી હતી તેને મોકૂફ રાખવામાં આવી છે. આ જ વાત અન્ય અહેવાલો મારફતે પણ જાણવા મળી છે. જ્યારે અન્ય એક રિપોર્ટમાં ક્ષત્રિય મહિલા આગેવાન હેતલબા વાઘેલાને ટાંકીને જણાવવામાં આવ્યું કે હવે તેઓ કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીનું સમર્થન કરશે. જોકે, સંકલન સમિતિએ સત્તાવાર રીતે આવી જાહેરાત કરી નથી. 

    ન્યૂઝ18ના રિપોર્ટ અનુસાર, હેતલબાએ કહ્યું કે, ફોર્મ ભરવા માટે તેમણે 200 ફોર્મ ઉપાડ્યાં હતાં અને ફંડ સહિતની તૈયારીઓ પણ કરી લીધી હતી, પરંતુ હવે પરેશભાઈ (કોંગ્રેસ ઉમેદવાર) અમારું પીઠબળ બની ગયા છે. અમે અપક્ષ તરીકે પણ નહિં લડીએ અને ભાજપ અમને નથી સમજી રહ્યો, જેથી જેઓ સમજે છે તેમને મત આપવા માંગીએ છીએ.”

    જોકે, રાજકીય દ્રષ્ટિએ જોવામાં આવે તો રાજકોટ બેઠક પરથી કદાચ 300 ફોર્મ ભરાયાં પણ હોત તોપણ મત વિભાજન થઈ જાત અને આખરે પરિણામો ભાજપના જ પક્ષમાં આવ્યાં હોત. વધુમાં મોટાભાગની ડિપોઝીટ ડૂલ થઈ ગઈ હોત તે ચૂંટણી પંચના નફામાં. 

    બીજી તરફ, ક્ષત્રિય સંકલન સમિતિએ ભાજપને રૂપાલાની ટીકીટ રદ કરવા માટે 19 તારીખ સુધીનું અલ્ટીમેટમ આપ્યું હતું, જે પૂર્ણ થઈ ગયું છે. જેથી 19મીએ ગોતા ખાતે એક બેઠક મળી રહી છે, જેમાં આગળની રણનીતિ નક્કી કરવામાં આવશે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં