Sunday, April 28, 2024
More
    હોમપેજગુજરાત‘જો રામ કા નહીં, વો હમારે કામ કા નહીં’: બારડોલીમાં ‘ભારત જોડો...

    ‘જો રામ કા નહીં, વો હમારે કામ કા નહીં’: બારડોલીમાં ‘ભારત જોડો ન્યાય યાત્રા’ દરમિયાન લાગ્યા ‘જય શ્રીરામ’ના નારા, રદ કરાઈ રાહુલ ગાંધીની સભા

    બારડોલીમાં રાહુલ ગાંધીનો વિરોધ થયા બાદ ઑપઇન્ડિયાએ હિંદુ સંગઠન 'શ્રીરામ સેના'ના સંજય પટેલ સાથે વાતચીત કરી હતી. તેમણે કહ્યું કે, "અમે રાહુલ ગાંધીનો વિરોધ કર્યો છે. જે રામનો નથી, તે કોઇ કામનો નથી."

    - Advertisement -

    મણિપુરથી ‘ભારત જોડો ન્યાય યાત્રા’ લઈને નીકળેલા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ગુજરાત પહોંચ્યા છે. ઉત્તર ગુજરાતમાંથી શરૂ કર્યા બાદ રવિવારે (10 માર્ચ, 2024) તેઓ સુરત જિલ્લાના બારડોલી ખાતે આવી પહોંચ્યા હતા, પરંતુ અહીં તેમણે વિરોધનો સામનો કરવો પડ્યો. રાહુલ ગાંધીની યાત્રા દરમિયાન હિંદુ સંગઠન ‘શ્રીરામ સેના’ના કાર્યકરોએ ‘જય શ્રીરામ’ અને ‘જો રામ કા નહીં, વો હમારે કિસી કામ કા નહીં’ના નારા લગાવ્યા હતા. આ નારાબાજી અને વિરોધ પ્રદર્શન બાદ રાહુલ ગાંધીની સભા રદ કરી દેવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. બારડોલીથી સભા કર્યા વગર જ રાહુલ ગાંધી સીધા વ્યારા જવા માટે રવાના થયા હતા.

    રવિવારે (10 માર્ચ 2024) સવારે રાહુલ ગાંધી પોતાની ‘ભારત જોડો ન્યાય યાત્રા’ લઈને બારડોલી પહોંચ્યા હતા. અહીં ઐતિહાસિક ‘સ્વરાજ આશ્રમ’ની મુલાકાત લીધી. જ્યાંથી પરત ફરી રહ્યા હતા ત્યારે સ્થાનિક હિંદુ સંગઠનના કાર્યકર્તાઓએ ‘જય શ્રીરામ’ના નારા લગાવ્યા અને કોંગ્રેસ નેતાનો વિરોધ કર્યો હતો. નારાબાજી બાદ ભડકી ઉઠેલા કેટલાક કોંગ્રેસી કાર્યકર્તાઓએ તેમની વચ્ચે જઈ વિરોધ બંધ કરાવવાનો પ્રયત્ન કર્યો હતો. આ દરમિયાન બંને પક્ષો વચ્ચે ઘર્ષણ પણ થયું હતું. રાહુલ ગાંધી બારડોલી ખાતે જનસભા યોજવાના હતા, પરંતુ કહેવામાં આવી રહ્યું છે કે આ વિરોધના પગલે તેમણે સભા કરવાનું માંડી વળ્યું હતું અને સીધા વ્યારા રવાના થઈ ગયા હતા.

    એક રિપોર્ટ અનુસાર, બારડોલીમાં રાહુલ ગાંધી લીમડા ચોક ખાતે એક સભાને સંબોધિત કરવાના હતા, પરંતુ પછીથી અચાનક આ સભા રદ કરી દેવામાં આવી અને તેઓ સીધા જ વ્યારા જવા માટે રવાના થઈ ગયા. 

    - Advertisement -

    ‘ભગવાન રામ અમારા રાજા છે, જેઓ હિંદુ આસ્થા સાથે રમત કરશે તેનો અમે હંમેશા વિરોધ કરીશું’

    બારડોલીમાં રાહુલ ગાંધીનો વિરોધ થયા બાદ ઑપઇન્ડિયાએ હિંદુ સંગઠન ‘શ્રીરામ સેના’ના સંજય પટેલ સાથે વાતચીત કરી હતી. તેમણે કહ્યું કે, “અમે રાહુલ ગાંધીનો વિરોધ કર્યો છે. જે રામનો નથી, તે કોઇ કામનો નથી. રાહુલ ગાંધી કહે છે કે મંદિર જવાથી કોઈને રોજગારી નથી મળવાની, તેઓ અને તેમની કોંગ્રેસ પાર્ટી પહેલેથી જ રામ મંદિરનો વિરોધ કરતાં આવ્યાં છે. કોંગ્રેસે રામ મંદિરના પ્રાણપ્રતિષ્ઠાનું નિમંત્રણ ન સ્વીકારીને પોતાની માનસિકતા છતી કરી દીધી હતી.”

    આગળ તેમણે કહ્યું કે, “જો રામ કા નહીં, વો કિસી કામ કા નહીં. રાહુલ ગાંધી યુવાઓને ગેરમાર્ગે દોરે છે. જો તેઓ હિંદુઓની અસ્થા સાથે રમત કરશે તો અમે સદા તેમનો વિરોધ કરતા રહીશું. રાહુલ ગાંધીએ બારડોલીની સભા જે રદ થઈ તે પાછળનું મુખ્ય કારણ અમારો વિરોધ જ છે. આ દરમિયાન કોંગ્રેસના કાર્યકર્તાઓએ અમારી સાથે ઝપાઝપી પણ કરી હતી. ભગવાન રામ અમારા રાજા છે તેમના પર અમને અતૂટ અસ્થા છે. તેમનો વિરોધ અમે કોઇ કાળે ચલાવી લઈશું નહીં.”

    તેમણે કહ્યું કે, તેઓ રાજકીય વ્યક્તિ નથી પરંતુ જેઓ રામને લાવ્યા છે, તેમને તેઓ સમર્થન આપશે. તેમણે કહ્યું કે, “જેમણે કલમ 370 હટાવી, જેઓ CAA લાગુ કરશે અમે એ જ પાર્ટીને સમર્થન આપીશું. અમે આપણાં મંદિરો પરત મેળવવા માટે લડી રહ્યા છીએ.” 

    કોંગ્રેસ બારડોલી સત્યાગ્રહ સાથે પોતાનું નામ જોડી રહી છે તે સવાલ પર તેમણે જણાવ્યું કે, “તે લોકો ખાલી જૂના નેતાઓનો ઉપયોગ કરે છે, કોઈ કોંગ્રેસીઓ અહીં આવતા નથી. કોંગ્રેસે સરદાર પટેલને કાયમ નીચું દેખાડ્યું છે. હવે ખાલી દેખાડો કરવા માટે તેઓ બારડોલી અને સરદાર પટેલના નામનો ઉપયોગ કરી રહ્યા છે.” નોંધનીય છે કે બારડોલી સાથે સરદાર વલ્લભભાઇ પટેલનું નામ જોડાયેલું છે. 1928માં અહીં તેમણે તત્કાલીન અંગ્રેજ શાસન સામે સત્યાગ્રહ કર્યો હતો. અહીં ‘સ્વરાજ આશ્રમ’ આવેલો છે, જે આ સત્યાગ્રહનું મુખ્ય કેન્દ્ર રહ્યો હતો.

    રાહુલ ગાંધીએ કહ્યું હતું- મોદી ઇચ્છે છે કે યુવાનો ‘જય શ્રીરામ’ના નારા લગાવે અને ભૂખ્યા મરે

    નોંધવું જોઈએ કે ‘ભારત જોડો ન્યાય યાત્રા’ દરમિયાન રાહુલ ગાંધી અનેક ઠેકાણે રામ મંદિર પર ટિપ્પણી કરતા આવ્યા છે. તેમણે પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ વિશે પણ ટિપ્પણીઓ કરી હતી અને પૂછ્યું હતું કે ત્યાં ગરીબોને કેમ બોલાવાયા ન હતા? 

    આ ઉપરાંત, તેમણે વડાપ્રધાન મોદીને ટાર્ગેટ કરવા માટે એવું પણ નિવેદન આપ્યું હતું કે તેઓ ઇચ્છે છે કે આપણા યુવાનો આખો દિવસ ફોનમાં ચોંટેલા રહે, ‘જય શ્રીરામ’ના નારા લગાવે અને ભૂખ્યા મરે. રાહુલના આ નિવેદનની ટીકા પણ ખૂબ થઈ હતી ત્યારે હવે બારડોલીમાં તેના પ્રત્યાઘાતો પણ જોવા મળ્યા છે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં