Saturday, April 27, 2024
More
    હોમપેજગુજરાતકચ્છ: માંડવીના દરિયાકિનારે બે દરગાહની આડમાં કરાયું હતું અતિક્રમણ, તંત્રે બુલડોઝર ફેરવ્યું;...

    કચ્છ: માંડવીના દરિયાકિનારે બે દરગાહની આડમાં કરાયું હતું અતિક્રમણ, તંત્રે બુલડોઝર ફેરવ્યું; ભુજમાં પણ ડિમોલિશન કાર્યવાહી

    છેલ્લા ઘણા સમયથી ગુજરાત સરકાર જુદાં-જુદાં ઠેકાણે આવી ડિમોલિશન ડ્રાઇવ ચલાવી રહી છે. ગત વર્ષે દ્વારકા વિસ્તારમાં મોટાપાયે ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું અને લાખો ચોરસ મીટર જગ્યા ખાલી કરાવવામાં આવી હતી. 

    - Advertisement -

    કચ્છના માંડવીમાં દરગાહના નામે વધારાનું દબાણ કરી દેવામાં આવતાં સ્થાનિક તંત્રે બુલડોઝર ફેરવીને હટાવી દીધું છે. દરિયાકિનારે સરકારી જમીનમાં આ બાંધકામો આવેલાં હતાં, જે હટાવવા માટે આપવામાં આવેલી નોટિસનો કોઈ પ્રત્યુત્તર ન મળતાં આખરે તંત્રે કાર્યવાહી કરી હતી. 

    વધુ જાણકારી અનુસાર, માંડવી દરિયાકિનારે મસ્કા સીમમાં આવેલ યુસુફ શાહ પીરની દરગાહ અને ગુંદિયાળી સરહદમાં આવેલી આરિફ-એ-બિલ્લાહની દરગાહમાં મંજૂર કરવામાં આવેલી જગ્યા કરતાં વધુ બાંધકામ કરીને સમુદ્રકિનારે દબાણ કરવામાં આવ્યું હોવાનું ધ્યાને ચડ્યું હતું. 

    આ મામલે વધારાનું દબાણ દૂર કરવા માટે વહીવટી તંત્ર દ્વારા અગાઉ નોટિસ પાઠવવામાં આવી હતી અને નિયત સમયમાં તે હટાવી દેવા માટે સૂચના અપાઈ હતી. પરંતુ આ નોટિસનો કોઇ જવાબ ન મળતાં આખરે તંત્રે કાર્યવાહી કરવી પડી હતી. 

    - Advertisement -

    બુધવારે (28 ફેબ્રુઆરી) મામલતદાર, નાયબ મામલતદાર, સર્કલ ઓફિસર જેવા સ્થાનિક તંત્રના ઉચ્ચ અધિકારીઓ તેમજ પોલીસ તંત્રના પણ ઉચ્ચ અધિકારીઓએ પહોંચીને કાર્યવાહી હાથ ધરી હતી અને બંને દરગાહની આસપાસ જેટલું વધારાનું બાંધકામ કરવામાં આવ્યું હતું, તેને તોડી પાડવામાં આવ્યું હતું. જોકે, ભાસ્કરના રિપોર્ટ અનુસાર દરગાહને સુરક્ષિત રાખવામાં આવી છે અને જે વધારાનું બાંધકામ હતું તે જ તોડવામાં આવ્યું હતું. 

    ભુજમાં પણ કાર્યવાહી હાથ ધરાઇ

    અનધિકૃત બાંધકામ હટાવવાની આ જ પ્રકારની કાર્યવાહી ભુજના તંત્રે ભુજ-ખાવડા રોડ પર પણ કરી હોવાનું જાણવા મળ્યું છે. અહીં બુધવારે ભીરંડીયારા પાસે ગેરકાયેસર રીતે તાણી બાંધવામાં આવેલા ભુંગાઓ તોડી પાડવામાં આવ્યા હતા અને 2 હાજર ચોરસ મીટર ગેરકાયદેસર જગ્યા ખાલી કરાવવામાં આવી હતી. 

    પ્રાંત અધિકારીએ મીડિયાને જણાવ્યું કે, આ મામલે અગાઉથી નોટિસ પાઠવવામાં આવી હતી અને ત્યારબાદ આ કાર્યવાહી કરવામાં આવી છે. તેમણે એવું પણ જણાવ્યું હતું કે ગુરુવારે ખાવડા રસ્તા નજીક 4 અનધિકૃત બાંધકામો હટાવવામાં આવશે. 

    નોંધનીય છે કે ભીરંડીયારાથી ધોરડો સુધી બનાવવામાં આવેલી રિસોર્ટ અને તેમની કાયદેસરતા મામલે તપાસ કરવામાં આવી હતી, જેમાં જાણવા મળ્યું હતું કે આ વિસ્તારમાં દબાણો વધ્યાં છે. ત્યારબાદ આ કામગીરી કરવામાં આવી. સ્થાનિક તંત્રનું કહેવું છે કે તેઓ આ પ્રકારની કાર્યવાહી ચાલુ જ રાખશે અને દબાણો સાંખી લેશે નહીં. 

    ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી ગુજરાત સરકાર જુદાં-જુદાં ઠેકાણે આવી ડિમોલિશન ડ્રાઇવ ચલાવી રહી છે. ગત વર્ષે દ્વારકા વિસ્તારમાં મોટાપાયે ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું અને લાખો ચોરસ મીટર જગ્યા ખાલી કરાવવામાં આવી હતી. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં