Friday, April 26, 2024
More
    હોમપેજવિશેષમહારાણા પૃથ્વીરાજ ચૌહાણને કપટ કરીને હરાવનાર મુસ્લિમ આક્રાંતા મોહમ્મદ ઘોરીને જેને હરાવીને...

    મહારાણા પૃથ્વીરાજ ચૌહાણને કપટ કરીને હરાવનાર મુસ્લિમ આક્રાંતા મોહમ્મદ ઘોરીને જેને હરાવીને ભગાવ્યો હતો એવા ‘Warrior Queen’ રાણી નાયકી દેવી સોલંકીની શૌર્યગાથા

    ગુજરાતના ઇતિહાસમાં નાઈકાદેવીનું નામ લેફ્ટ-લિબરલ ઈતિહાસકારોને કારણે સાવ ભુલાવી દેવામાં આવ્યું છે. આ રાણીએ મોહમ્મદ ઘોરીને પરાજીત કરીને ભગાડી દીધો હતો. જેના પર એક ગુજરાતી ફિલ્મ પણ આવી રહી છે.

    - Advertisement -

    ‘રાણી નાયકી દેવી સોલંકી’ ઈતિહાસના પાનામાંથી ગાયબ એક એવી નાયિકા હતી, જેણે એ મોહમ્મદ ઘોરીને ધૂળ ચટાવી હતી, જેણે પૃથ્વીરાજ ચૌહાણને કપટથી હરાવ્યા હતા. રાણી નાયકી દેવીનો ઈતિહાસ ભારતીય ઈતિહાસના પાનાઓમાં સુવર્ણ અક્ષરે લખવો જોઈતો હતો, પરંતુ બેવડી માનસિકતાથી પીડિત ઈતિહાસકારોએ ઈતિહાસના પુસ્તકોમાંથી રાણી નાયકી દેવીનું નામ ભૂંસી નાખ્યું.

    રાણી નાયકી દેવીનો ઈતિહાસ જાણીને દરેક ભારતીયને જરૂર ગર્વ થશે કે આવી મહાન નાયિકા આપણા દેશમાં જન્મી છે.

    ગુજરાતના ચાલુક્ય વંશના રાજકુમારી નાયકી દેવીનો જન્મ ગોવામાં થયો હતો. રાજકુમારી નાયકી દેવી, જેમણે બાળપણથી જ યુદ્ધની કળામાં નિપુણતા મેળવી હતી, તે એક કુશળ રાજદ્વારી પણ હતા. તેમના પિતા મહારાજા શિવચિત્ત પરમંડી, કંડબના મહામંડલેશ્વર હતા. જ્યારે રાજકુમારી નાયકી દેવી મોટા થયા ત્યારે તેમના લગ્ન ગુજરાતના રાજકુમાર અજયપાલ સિંહ સાથે થયા હતા. અજયપાલ સિંહ ગુજરાતના મહારાજા મહિપાલના પુત્ર હતા. અને આમ રાજકુમારી નાયકી દેવી બન્યા રાણી નાયકી દેવી સોલંકી.

    - Advertisement -

    સન 1175 માં, અજયપાલ સિંહની તેમના જ અંગરક્ષક દ્વારા હત્યા કરવામાં આવી હતી. મહારાજા અજયપાલ સિંહનો કાર્યકાળ 4 વર્ષ સુધી ચાલ્યો, તેમણે 1171 થી 1175 સુધી શાસન કર્યું.

    રાણી નાયકી દેવીના હાથમાં આવી રાજ્યની કમાન

    મહારાજા અજયપાલ સિંહ સોલંકીના મૃત્યુ પછી, અણહિલવાડ (ગુજરાત) ની કમાન રાણી નાયકી દેવી સોલંકીના હાથમાં આવી કારણ કે આ સમયે તેમનો પુત્ર ઉંમરમાં ખૂબ નાનો હતો. અજયપાલ સિંહ સોલંકી અને રાણી નાયકી દેવી સોલંકીને 2 પુત્રો હતા, જેમાં મોટા પુત્રનું નામ મૂળરાજ બીજો અને નાના પુત્રનું નામ ભીમદેવ બીજો હતું.

    ગુજરાત રાજ્ય માટે આ સંકટનો સમય હતો કારણ કે ઘણા વિદેશી આક્રમણકારો અને દુશ્મનોની નજર આ રાજ્ય પર હતી. અજયપાલ સિંહના મૃત્યુ પછી, ઘણા દુશ્મનો આ રાજ્યની આવક અને સંપત્તિ પર કબજો કરવા માંગતા હતા. ગુજરાત રાજ્ય સમક્ષ પ્રથમ સંકટ એ હતું કે રાજ્યની કમાન કોના હાથમાં સોંપવી.

    રાજ્યના વરિષ્ઠ મંત્રીઓ, જાગીરદારો અને દરબારી રાજાઓએ મળીને નિર્ણય કર્યો કે આ રાજ્ય રાજકીય કુશળ અને રાજદ્વારી રાણી નાયકી દેવીના હાથમાં સુરક્ષિત રહેશે અને રાજ્યની કમાન તેમને સોંપવાનો નિર્ણય લેવામાં આવ્યો. નાયકી દેવી તે સંભાળવાનો ઇનકાર કર્યો અને કહ્યું કે નિયમો અનુસાર, આ રાજ્યનો વારસદાર જીવિત હોય ત્યાં સુધી અન્ય કોઈ સિંહાસન પર બેસી શકે નહીં.

    પરંતુ જ્યારે જાગીરદારો અને મંત્રીઓ તેમની વાત પર અડગ રહ્યા, ત્યારે રાણી નાયકી દેવીએ નક્કી કર્યું કે તે રાજ્યની કમાન પોતાના હાથમાં લઈ શકતી નથી, પરંતુ આ રાજ્યના અનુગામી, મુળરાજ બીજાના પ્રતિનિધિ તરીકે સ્થાન લીધું અને રાજ્યને માર્ગદર્શન આપવા સંમત થયા.

    રાજ્ય પર સંકટ અને મોહમ્મદ ઘોરી સાથે યુદ્ધ

    મહારાજા મૂળરાજ બીજાના રાજા બન્યા પછી થોડા સમય માટે ગુજરાત રાજ્યમાં બધું જ શાંતિપૂર્ણ હતું. પરંતુ ધીમે ધીમે ચારેબાજુથી દુશ્મનોએ આ રાજ્ય પર વિજય મેળવવા અને સંપત્તિ લૂંટવાના ઇરાદાથી તૈયારીઓ શરૂ કરી દીધી. રાણી નાયકી દેવીને જાસૂસો દ્વારા માહિતી મળી હતી કે મુસ્લિમ આક્રમણકારો ગમે ત્યારે રાજ્ય પર હુમલો કરી શકે છે. તરત જ, તેમણે પડોશી સામંતશાહી શાસકોની મદદ માંગી, જેમ કે જાલોર ચાહમાના શાસક કીર્તિપાલ, અર્બુદા પરમાર શાસક ધારવર્ષા, નાદુલા ચાહમાના શાસક કેલહનદેવ અને વધુ. તેઓ મદદ કરવા સંમત થયા.

    મોહમ્મદ ઘોરી એક અફઘાન લૂંટારો હતો જે ગુંડો અને આક્રમણખોર હતો. પોતાનું સામ્રાજ્ય વધારવા માટે, 1178 માં, એક વિશાળ સૈન્ય સાથે, તે ગુજરાતની રાજધાની અણહિલવાડ તરફ પ્રયાણ કર્યું. મોહમ્મદ ઘોરીનો ઉદ્દેશ્ય ગુજરાત રાજ્ય પર વિજય મેળવવાનો હતો. આને ધ્યાનમાં રાખીને, વર્ષ 1178 માં, અણહિલવાડાથી 40 માઇલ દૂર, મોહમ્મદ ઘોરીએ આજના માઉન્ટ આબુ નજીક ગદારરાઘટ્ટા નામના ઘાટ પર તંબુ લગાવીને તેની લશ્કરી છાવણીની સ્થાપના કરી.

    મોહમ્મદ ઘોરીએ રાણી નાયકી દેવીના રાજ્ય પર સીધો હુમલો કર્યો ન હતો અને તેના એક દૂત દ્વારા સંદેશ મોકલ્યો હતો કે રાણી અને તેના બાળકો તેમજ રાજ્યની તમામ મહિલાઓ અને પુત્રીઓને સંપત્તિ સહિત મને સોંપો, નહીં તો બધા મોતને ઘાટ ઉતારી દેવામાં આવશે. જ્યારે મોહમ્મદ ઘોરીનો સંદેશવાહક સંદેશ લઈને રાણી નાયકી દેવીના દરબારમાં પહોંચ્યો, ત્યારે રાણીએ સંદેશ વાંચ્યો અને જવાબમાં મોહમ્મદ ઘોરીને લખ્યું કે “અમે તમારી બધી શરતો સ્વીકારીએ છીએ”.

    રાણી નાયકી દેવીના આ નિર્ણયે રાજ્યના તમામ મંત્રીઓ અને જાગીરદારોને શંકામાં મૂક્યા. પછી રાણીએ તેમને સમજાવ્યું કે આ તેની યુક્તિ છે, મોહમ્મદ ઘોરીને હરાવવાનો એક માર્ગ છે.

    રાણી નાયકી દેવીએ રાજ્યની તમામ મહિલાઓ અને છોકરીઓને નાડોલના રાજા કેલહન દેવ ચૌહાણના સ્થાને મોકલ્યા જેથી તેઓ ત્યાં સુરક્ષિત રહી શકે. રાણી નાયકી દેવી સોલંકીએ નવા સેનાપતિ કુંવર રામવીરને કેટલાક સૈનિકો સાથે પોતાનાથી થોડે દૂર રહેવાનો આદેશ આપ્યો.

    અગાઉની યોજના મુજબ, રાણીએ 200 બહાદુર અને શક્તિશાળી યોદ્ધાઓને પોતાનો વેશ બદલીને મોહમ્મદ ઘોરીની સેનામાં જોડાવા આદેશ આપ્યો.

    કેટલાક યોદ્ધાઓ માઉન્ટ આબુની તળેટીમાં છુપાઈ ગયા હતા, આમ રાણીએ મોહમ્મદ ઘોરીને ગેરમાર્ગે દોરવા માટે તેની 25,000 સૈનિકોની સેનાને જુદા જુદા ભાગોમાં વહેંચી દીધી હતી. સંપૂર્ણ યોજના બનાવીને રાણી નાયકી દેવીએ પોતાના બે પુત્રો મુળરાજ અને ભીમદેવને પોતાની પીઠ પર બાંધીને મોહમ્મદ ઘોરીના લશ્કરી છાવણી તરફ ઘોડા પર બેસી કૂચ કરી.

    મોહમ્મદ ઘોરી પોતાની જીતને નક્કી માનીને અંતરમાં ખૂબ જ ખુશ હતો અને તેણે રાણી નાયકી દેવીને પોતાની તરફ આવતા જોયા, તેની ખુશીનો કોઈ પાર ન રહ્યો. રાણી નાયકી દેવી મોહમ્મદ ઘોરીથી થોડે દૂર આવ્યા પછી રોકાઈ ગયા. રાણી ત્યાં રોકાઈ કે તરત જ મોહમ્મદ ઘોરીની સેનામાંના રાજપૂત સૈનિકોએ હર હર મહાદેવના નારા લગાવતા તુર્કી સૈનિકો પર તૂટી પડ્યા.

    રાણી નાયકી દેવી સોલંકી સાથે હાથી પર સવાર સૈનિકો, પગપાળા સૈનિકો અને સૈનિકોને જોઈને મોહમ્મદ ઘોરીના પગ નીચેથી જમીન સરકી ગઈ.

    મોહમ્મદ ઘોરી કંઈ સમજે તે પહેલા રાણીએ તીક્ષ્ણ તલવાર વડે મોહમ્મદ ઘોરીના પાછળના ગુપ્ત ભાગ પર ઘા કર્યો. ઘાયલ અવસ્થામાં દર્દથી ધ્રૂજતો મોહમ્મદ ઘોરી યુદ્ધના મેદાનમાંથી ભાગી ગયો.

    મેરુતુંગ અને અન્ય ઈતિહાસકારો દ્વારા લખાયેલ પુસ્તક “પ્રબંધ ચિંતામણિ” અનુસાર, મોહમ્મદ ઘોરી એટલો બધો ડરી ગયો હતો કે તે મુલતાન પહોંચ્યા પછી જ પોતાના ઘોડા પરથી નીચે ઉતર્યો હતો. મુલતાન પહોંચ્યા પછી મોહમ્મદ ઘોરીએ જોયું કે એ પોતે નપુંસકની જેમ ભાગી આવ્યો છે, અને આ ઘટના પછી મોહમ્મદ ઘોરીએ આગામી 13 વર્ષ સુધી ભારત તરફ આંખ પણ ઉંચી નહોતી કરી.

    મોહમ્મદ ઘોરી અને રાણી નાયકી દેવી સોલંકી વચ્ચેના આ યુદ્ધમાં ગુજરાતનાં પાડોશી જાલોર ચાહમાના શાસક કીર્તિપાલ, અર્બુદા પરમાર શાસક ધારવર્ષા, નાદુલા ચાહમાના શાસક કેલહનદેવ ચૌહાણ વગેરેએ રાણીની મદદ કરી હતી. વિશ્વ વિખ્યાત ઈતિહાસકાર કર્નલ જેમ્સ ટોડ અને ડો.દશરથ શર્મા દ્વારા લખાયેલા પુસ્તકોમાંથી પણ આના પુરાવાઓ મળે છે.

    વીર નાયિકા રાણી નાયકી દેવી સોલંકીને આપણા દેશના કુંઠિત માનસિકતાના લેફ્ટ-લિબરલ ઈતિહાસકારોએ ઈતિહાસના પુસ્તકોમાંથી હટાવી દીધા હતા.

    નાયકી દેવી જેવી મહિલા યોદ્ધાઓ શક્તિનું સ્વરૂપ છે, જેમણે સદીઓથી ધર્મ અને માતૃભૂમિની રક્ષા કરી છે. ભારતીય સમાજમાં મહિલાઓએ યોદ્ધાઓ તેમજ બૌદ્ધિક તરીકે સભ્યતાના મૂલ્યોને જાળવી રાખવામાં અમૂલ્ય યોગદાન આપ્યું છે. હિંદુ ધાર્મિક ગ્રંથો ગાર્ગી, મૈત્રેયી, લોપા મુદ્રા, ઉભયા ભારતી વગેરે જેવી મહિલાઓ વિશે વાત કરે છે જેઓ તેમની ચર્ચા કરવાની કુશળતા અને ઉચ્ચ બુદ્ધિ માટે જાણીતી હતી. આપણા ઈતિહાસમાં રાણી દુર્ગાવતી, રાણી લક્ષ્મીબાઈ, વેલુ નાચિયાર અને રાણી અબક્કા જેવી જીવંત મહિલા યોદ્ધાઓ છે જેમણે પોતાની માતૃભૂમિની રક્ષા માટે પોતાના જીવનનું બલિદાન આપ્યું છે.

    ભારતની આવી ઐતિહાસિક જાજરમાન મહિલા પ્રતિમાઓની જાણકારી વ્યાપક કરવી એ સમયની જરૂરિયાત છે કે જેઓ ધર્મ પ્રત્યે પ્રતિબદ્ધ હતા અને તેમને મહિલા સશક્તિકરણ માટે અનુસરવા યોગ્ય રોલ મોડેલ તરીકે રજૂ કરવાની જરૂર છે.

    રાણી નાયકી દેવી દ્વારા દર્શાવાયેલ આ બહાદુરી અને હિંમતની ઐતિહાસિક ઘટના હવે સિનેમા દ્વારા વ્યાપક દર્શકો સુધી પહોંચશે.

    જ્યારે દિલ્હીના છેલ્લા હિંદુ શાસક પૃથ્વીરાજ ચૌહાણ સામે તરૈન (1192)ના બીજા યુદ્ધમાં ઇસ્લામિક આક્રમણખોર મુહમ્મદ ઘોરીની જીત એ એક વ્યાપકપણે જાણીતી ઐતિહાસિક ઘટના છે, પરંતુ એના 14 વર્ષ પહેલા થયેલ મહત્વના યુદ્ધ (1178) વિશે મોટાભાગના લોકો જાણતા નથી. ઘોરીને વર્ષ 1178 માં નાયકી દેવી સોલંકી નામના યોદ્ધા હિંદુ રાણીએ હરાવ્યો હતો જ્યારે તેણે ગુજરાત પર આક્રમણ કર્યું હતું. આ ઘટના, જે ગુજરાતના ગૌરવશાળી ઈતિહાસનો એક ભાગ છે, હવે આ વર્ષે 6ઠ્ઠી મેના રોજ રિલીઝ થનારી “નાયિકા દેવી : The Warrior Queen” નામની આગામી ગુજરાતી ફિલ્મના રૂપમાં સ્ક્રીન પર આવશે.

    ATree પ્રોડક્શન હાઉસ હેઠળ ઉમેશ શર્મા દ્વારા નિર્મિત મૂવી ગુજરાતી સિનેમાની પ્રથમ પિરિયડ ડ્રામા મૂવી છે, જે 12મી સદીના ગુજરાતને દર્શાવે છે. આ ફિલ્મનું નિર્દેશન નીતિન જી દ્વારા કરવામાં આવ્યું છે, જેમણે તેલુગુ સિનેમામાં તેમની મોટાભાગની ફિલ્મોનું દિગ્દર્શન કર્યું છે. ફિલ્મની સ્ટાર કાસ્ટમાં ખુશી શાહ, મનોજ જોશી, ચંકી પાંડે, જયેશ મોરે, ચિરાગ જાની અને કૌશામ્બી ભટ્ટનો સમાવેશ થાય છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં