Tuesday, May 7, 2024
More
    હોમપેજરાજકારણગુજરાત સરકાર ખેલૈયાઓ પર મહેરબાન, 12 વાગે પોલીસ નહીં આવે ગરબા અટકાવવા:...

    ગુજરાત સરકાર ખેલૈયાઓ પર મહેરબાન, 12 વાગે પોલીસ નહીં આવે ગરબા અટકાવવા: ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પોલીસ અધિકારીઓને આપી સૂચના

    હર્ષ સંઘવીએ તમામ પોલીસ વડાને સૂચના આપી છે કે 12 વાગ્યા પછી પણ પોલીસ વિભાગે ગરબા બંધ કરાવા ના જવું. ગુજરાતની જનતા સારી રીતે નવરાત્રિ માણી શકે એ હેતુથી આ નિર્ણય લેવાયો છે. એટલા માટે હવેથી ગરબપ્રેમીઓ કોઈપણ ભય વગર આરામથી ગરબા રમી શકશે.

    - Advertisement -

    ગુજરાતમાં નવરાત્રિ શરૂ થઈ ત્યારથી નાના ગામથી લઈને મોટા શહેર સુધી ઉત્સાહ દેખાઈ રહ્યો છે. અનેક જગ્યાએ મા શક્તિની આરાધના કરવામાં આવી રહી છે. ખેલૈયાઓ માતાજીના સાનિધ્યમાં ગરબા રમી અનેરો ઉત્સવ ઉજવી રહ્યા છે. તેવામાં રાજ્ય સરકારે ગરબાપ્રેમીઓના ઉત્સાહમાં વધારો કર્યો છે. સરકારે નવરાત્રિમાં ગરબાપ્રેમીઓ માટે એક મહત્વનો નિર્ણય લીધો છે. હવેથી નવરાત્રિમાં રાત્રિ દરમિયાન ગમે તેટલા વાગ્યા સુધી ગરબા રમી શકાશે. પોલીસ તંત્ર પણ ગરબા રમનારા ખેલૈયાઓને રોકવા આવશે નહીં. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ તમામ જિલ્લાના પોલીસ વડા સાથે વિડીયો કોન્ફરન્સિંગ કરીને આ સૂચના આપી છે. નવરાત્રિમાં ખેલૈયાઓ સારી રીતે રમી શકે અને નવરાત્રિ માણી શકે એ માટેનો આ ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય છે.

    માતાજીના પવિત્ર તહેવારમાં હવે કોઈ બંધનકર્તા નિયમ નહીં હોય. નવરાત્રિમાં લોકોની આસ્થા અને ઉત્સાહને ધ્યાને લઈને ગુજરાત સરકારનો આ મહત્વપૂર્ણ નિર્ણય છે. હવે ખેલૈયાઓ મોડી રાત સુધી પણ ગરબા રમી શકશે. પહેલાં એ નિયમ અમલી હતો કે 12 વાગ્યા બાદ ગરબા રમી શકાતા નહીં. હવેથી 12 વાગ્યા પછી પણ ખેલૈયાઓ નિશ્ચિંત થઈને ગરબાની રમઝટ બોલાવી શકશે.

    સરકારના આ નિર્ણયથી હવે નવરાત્રિનો જૂનો સમય પાછો આવશે. એક સમયે સવારે 4-4 વાગ્યા સુધી ગરબાની રમઝટ જામતી હતી. સોસાયટીમાં યુવક-યુવતીઓ નિશ્ચિંત થઈને ગરબા રમી શકતા હતા. પરંતુ સમયાંતરે સુરક્ષાની બાબતોને ધ્યાને રાખીને ગરબાના સમય પર નિયંત્રણ મૂકવામાં આવ્યું હતું. રાત્રે 12 વાગ્યા સુધી જ ગરબા કરી શકાય તેવો નિયમ લાગુ કરાયો હતો. પરંતુ હવે રાજ્ય સરકારે આ બાબતે છૂટછાટ આપી છે.

    - Advertisement -

    ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આપી સૂચના

    નવરાત્રિમાં મા આદ્યશક્તિના ભક્તો અને ખેલૈયાઓનો ઉત્સાહ જોતાં રાજ્ય સરકાર તરફથી છૂટછાટ મળી છે. મંગળવારે (17 ઓકટોબર, 2023)ના રોજ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ તમામ જિલ્લાના પોલીસ વડા સાથે વિડીયો કોન્ફરન્સિંગમાં ચર્ચા કરી હતી. આ દરમિયાન તેમણે તમામ પોલીસ વડાને સૂચના આપી છે કે 12 વાગ્યા પછી પણ પોલીસ વિભાગે ગરબા બંધ કરાવા ના જવું. ગુજરાતની જનતા સારી રીતે નવરાત્રિ માણી શકે એ હેતુથી આ નિર્ણય લેવાયો છે. એટલા માટે હવેથી ગરબપ્રેમીઓ કોઈપણ ભય વગર આરામથી ગરબા રમી શકશે.

    મેટ્રો સેવા પણ રાત્રે 2 વાગ્યા સુધી ચાલુ રહેશે

    નવરાત્રિ ચાલે ત્યાં સુધી અમદાવાદમાં મેટ્રો ટ્રેન સેવાનો સમય પણ લંબાવવામાં આવ્યો છે. સામાન્ય રીતે જે મેટ્રો ટ્રેન રાત્રે 10 વાગ્યા સુધી દોડે છે તે હવે મધ્ય રાત્રિએ 2 વાગ્યા સુધી ચાલશે. 23 ઓક્ટોબર સુધી આ નિયમ લાગુ કરવામાં આવ્યો છે. જે અનુસાર, રાત્રે 10 પછી પણ 20-20 મિનીટના અંતરે 2 વાગ્યા સુધી મેટ્રો ટ્રેન સર્વિસ ચાલુ રહેશે. ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ દ્વારા આ બાબતની આધિકારિક જાહેરાત કરવામાં આવી છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં