Saturday, July 27, 2024
More
    હોમપેજગુજરાત14 જિલ્લાઓના 1.23 લાખ આદિવાસી ખેડૂતો માટે કૃષિ વૈવિધ્યકરણ યોજનાનો પ્રારંભ :...

    14 જિલ્લાઓના 1.23 લાખ આદિવાસી ખેડૂતો માટે કૃષિ વૈવિધ્યકરણ યોજનાનો પ્રારંભ : 30 કરોડથી વધુની સહાય અપાશે

    આ યોજના અંતર્ગત આ વર્ષે ખરીફ સિઝન માટે ઉત્તર અને મધ્ય ગુજરાતના સાત જિલ્લાના 75 હજાર જેટલા આદિજાતિ ખેડુતોને મકાઇનું બિયારણ અને ખાતર કિટ વિતરણ કરવામાં આવશે. તેમજ દક્ષિણ ગુજરાતના 7 જિલ્લાઓના અંદાજે 48000 લાભાર્થીઓને સુધારેલા શાકભાજીના બિયારણ ખાતર કિટ વિતરણ કરવામાં આવશે.

    - Advertisement -

    મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે રાજ્યના 14 આદિજાતિ જિલ્લાઓના 1 લાખ 23 હજાર જેટલા આદિજાતિ ખેડૂતો માટે કૃષિ વૈવિધ્યકરણ યોજના 2022-23 અન્વયે ખાતર-બિયારણ કિટ્સ વિતરણનો ગાંધીનગર ખાતેથી વર્ચ્યુઅલ પ્રારંભ કરાવ્યો હતો. 

    કૃષિ વૈવિધ્યકરણની આ યોજના અંતર્ગત આ વર્ષે ખરીફ સિઝન માટે ઉત્તર અને મધ્ય ગુજરાતના સાત જિલ્લાના 75 હજાર જેટલા આદિજાતિ ખેડુતોને મકાઇનું બિયારણ અને ખાતર કિટ વિતરણ કરવામાં આવશે. આ ઉપરાંત, દક્ષિણ ગુજરાતના 7 જિલ્લાઓના અંદાજે 48000 લાભાર્થીઓને સુધારેલા શાકભાજીના બિયારણ ખાતર કિટ વિતરણ કરવામાં આવશે.

    ગુજરાત સરકાર દ્વારા કૃષિ વૈવિધ્યકરણ યોજના વર્ષ 2012માં અમલમાં મૂકવામાં આવી હતી. આ યોજનામાં દર વર્ષે 30 થી 25 કરોડના ખર્ચે અંદાજિત 1 લાખથી વધુ ખેડૂતોને લાભ આપવામાં આવે છે તેમ સરકારે જણાવ્યું હતું. યોજના હેઠળ, સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી, મહિસાગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, નવસારી, તાપી, વલસાડ તેમજ ડાંગ એમ 14 આદિજાતિ જિલ્લાના ખેડૂતોને લાભ અપાય છે. સરકારે કહ્યું કે, અત્યાર સુધીમાં આવા 11.69 લાખ ખેડૂતોને  યોજનાકીય લાભ આપવામાં આવ્યો છે.

    - Advertisement -

    યોજનાનો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રીએ કહ્યું કે, વર્ષોથી પરંપરાગત રીતે ખેતી કરતા આવેલા આદિવાસી બંધુઓને ખેતીમાંથી થતી આવક વધારવા આ કૃષિ વૈવિધ્યકરણ યોજના વડાપ્રધાન  નરેન્દ્ર મોદીના દિશાદર્શનમાં શરૂ કરવામાં આવી છે.  વડાપ્રધાને આત્મનિર્ભર ભારતનો  મંત્ર આપ્યો છે ત્યારે આવા નાના-સિમાંત આદિજાતિ ખેડૂતોને કૃષિ વૈવિધ્યકરણ સહાય આત્મનિર્ભરતાના માર્ગે લઇ જવાની દિશાનું મોટું કદમ છે, એમ તેમણે ઉમેર્યુ હતું.તેમણે આદિજાતિ જિલ્લા સાબરકાંઠાના આદિજાતિ લાભાર્થી ખેડૂતો સાથે સંવાદ પણ કર્યો હતો. 

    મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, આ યોજનાથી અંબાજીથી ઉંમરગામ સુધીના આદિવાસી બેલ્ટમાં વસતા આદિજાતિ ખેડૂતોની ખેતઆવકમાં વધારો થશે અને ખેતી પણ વૈવિધ્યપૂર્ણ  બનશે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આ વર્ષથી ઓનલાઇન પોર્ટલ પર લાભાર્થી ખેડૂતોની નોંધણી કરવામાં આવશે. તેમણે કહ્યું કે, ખેડૂતોએ હવે કચેરી સુધી અરજી માટે જવું ન પડે અને ઘરબેઠા પોતાની અરજીની વિગતો જાણી શકે તેવી પારદર્શી ઓનલાઇન પદ્ધતિ રાખવામાં આવી છે. 

    આ સંદર્ભે આદિજાતિ વિભાગના સચિવ ડૉ એસ મુરલી કૃષ્ણએ ધ ઇન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે, “ખાતરોમાં યુરિયા, એનપીકે અને કુદરતી ખાતરનો સમાવેશ થાય છે. હાલ યોજના ચાલી રહી છે અને જે હેઠળ અરજીઓ સ્વીકારવા માટે એક ઓનલાઇન પોર્ટલ પણ લૉન્ચ કર્યું છે. ગયા વર્ષે રૂબરૂમાં અરજી સ્વીકારવામાં આવતી હતી. આ વર્ષે 1.23 લાખ ખેડૂતો સુધી પહોંચવાનો લક્ષ્યાંક છે.” 

    તેમણે જણાવ્યું કે, ગઈકાલ સાંજ સુધીમાં સરકારે 76,000 અરજીઓ સ્વીકારી હતી અને તેમને કીટ વિતરણનું કામ સોમવારથી શરૂ થઇ ગયું હતું. તેમણે એમ પણ જણાવ્યું કે ડાંગ જિલ્લો સંપૂર્ણપણે પ્રાકૃતિક જિલ્લો ઘોષિત કરવામાં આવ્યો હોવાથી આ વિસ્તારના લાભાર્થીઓને કુદરતી ખાતર આપવામાં આવશે.

    બારડોલીના સાંસદ પ્રભુભાઈ વસાવાએ રાજ્ય સરકારે જાહેર કરેલી યોજના અંગે જણાવ્યું કે, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા ગુજરાતભરના આદિજાતિ ખેડૂતોને કુદરતી ખાતર અને શાકભાજીના સુધારેલા બિયારણની કીટ વિતરણ કરવા માટે કૃષિ વૈવિધ્યકરણ યોજના દ્વારા રાજ્યના 1.23 લાખ ખેડૂતોને કીટ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો.

    આ કીટની મૂળ કિંમત 3 હજાર જેટલી છે. પરંતુ માત્ર 250 રૂપિયામાં આ કીટ જનજાતિ સમાજના ખેડૂતોને આપવામાં આવી રહી છે. પ્રાકૃતિક ખેતીને વેગ આપવા માટે શરૂ કરવામાં આવેલ આ યોજના આદિજાતિ સમાજના ખેડૂતો માટે આશીર્વાદરૂપ બની રહેશે તેમ તેમણે જણાવ્યું હતું.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં