Sunday, May 5, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટભારત સરકારનાં ત્વરિત પગલાંના કારણે સુદાનથી પરત ફર્યા 3000 ભારતીયો, બીજી તરફ...

    ભારત સરકારનાં ત્વરિત પગલાંના કારણે સુદાનથી પરત ફર્યા 3000 ભારતીયો, બીજી તરફ અમેરિકાએ અઠવાડિયા સુધી પોતાના નાગરિકોને રઝળતા મૂકીને છેક હવે હાથ ઝાલ્યો

    સુદાનમાં હિંસા ફાટી નીકળ્યા બાદ અમેરિકાએ એક મિલિટરી ઓપરેશનમાં ત્યાં સ્થિત પોતાના અધિકારીઓને તો પરત બોલાવી લીધા પરંતુ નાગરિકોને બચાવવાની વાત આવી ત્યાં હાથ ઊંચા કરી મૂક્યા.

    - Advertisement -

    આપણે ત્યાં એક એવો વર્ગ છે જે અમેરિકા કે અન્ય પશ્ચિમી દેશો સાથે ભારતની સરખામણી કરીને લઘુતાગ્રંથિ અનુભવતો રહે છે. ‘વિકસિત’ અને ‘મહાસત્તા’ ગણાતા આ દેશો આગળ અને ભારત પાછળ હોવાના દાવા થતા રહે છે. પણ હમણાં હિંસાગ્રસ્ત સુદાન ખાતે એવી પરિસ્થિતિ સર્જાઈ જેનાથી એ પુરવાર થાય છે કે હવે પાસાં પલટાઈ રહ્યાં છે અને ભારત કઈ રીતે ઝડપથી આગળ વધી રહ્યું છે. 

    સુદાનમાં અત્યારે ગૃહયુદ્ધની પરિસ્થિતિ છે. બે સશસ્ત્ર સેનાઓ સામસામે છે અને આ યુદ્ધ ક્યારે અટકશે તે નક્કી નથી. ભૂતકાળમાં ગૃહયુદ્ધોમાં જ સીરિયા અને લિબિયા જેવા દેશોને પાયમાલ થતા દુનિયાએ જોયા છે. હિંસાના કારણે વેપાર-ધંધાથી માંડીને આખું જનજીવન ખોરવાઈ ગયું છે. લોકોને ઘરમાં જ રહેવાની સલાહ આપવામાં આવી રહી છે. 

    આવી કોઈ પણ પરિસ્થિતિમાં સૌથી વધુ ભોગ બને છે નિર્દોષ નાગરિકો. સુદાનમાં વિદેશોના નાગરિકો પણ ઠીકઠાક પ્રમાણમાં રહે છે. જેમાં ભારતીયો પણ સામેલ છે. આંકડાઓ મુજબ સુદાનમાં હાલના તબક્કે ચારેક હજાર નાગરિકો હતા જેમાંથી અમુક પ્રવાસીઓ હતા તો અમુક દાયકાઓથી ત્યાં સ્થાયી થયા હતા. બીજા અમેરિકા અને અન્ય દેશોના નાગરિકો પણ ખરા. 

    - Advertisement -

    ‘ન સરકાર કોઈ મદદ કરી રહી છે, ન દેશ કઈ રીતે છોડવો તેની કોઈ જાણકારી છે’

    સુદાનમાં હિંસા ફાટી નીકળ્યા બાદ અમેરિકાએ એક મિલિટરી ઓપરેશનમાં ત્યાં સ્થિત પોતાના અધિકારીઓને તો પરત બોલાવી લીધા પરંતુ નાગરિકોને બચાવવાની વાત આવી ત્યાં હાથ ઊંચા કરી મૂક્યા. એક તરફ અમેરિકન સરકાર કહી રહી છે કે તેઓ સુદાનમાં ફસાયેલા પોતાના નાગરિકો સાથે નજીકના સંપર્કમાં છે અને તેમના બહાર નીકળવા માટે સુવિધા પૂરી પાડી રહ્યા છે, પણ બીજી બાજુ ગ્રાઉન્ડ રિપોર્ટ્સ જુદી જ વાર્તા કહે છે. 

    મીડિયા રિપોર્ટ્સ અનુસાર, હિંસા ફાટી નીકળ્યા બાદ અમેરિકી સરકારે નાગરિકોને કહી દીધું હતું કે તેમના બચાવકાર્ય માટે હાલ પરિસ્થિતિઓ અનુકૂળ નથી કે ન તેમને ક્યાં પહોંચવું અને કઈ રીતે બહાર નીકળવું તેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જેને લઈને અનેક નાગરિકો સુદાનમાં ફસાયેલા રહ્યા હતા. 

    આ નાગરિકોના પરિજનો સાથે CNNએ વાતચીત કરી હતી. તેમણે જણાવ્યું કે, તેમના સ્વજનો હાલ સુદાનમાં જીવન-મરણ વચ્ચે ઝોલાં ખાઈ રહ્યાં છે અને ન તો સરકાર મદદ કરી રહી છે કે ન તેમની પાસે દેશ કઈ રીતે છોડવો તેની જાણકારી છે. 

    ઇમાદ નામના એક વ્યક્તિએ અમેરિકી પ્રશાસનને તદ્દન બિનઉપયોગી ગણાવીને કહ્યું કે, અમને આશા હતી કે સરકાર બહાર નીકળવા માટે યોગ્ય માર્ગદર્શન આપશે પરંતુ તેવું કંઈ ન થયું અને માત્ર વિશ્રામ માટેની જગ્યા વિશે જણાવવામાં આવ્યું. માત્ર એટલું જણાવવામાં આવ્યું હતું કે તેઓ સુદાન પોર્ટ પર પહોંચે અને ત્યાંથી સાઉદીના લોકો તેમની મદદ કરશે. 

    ‘લાગે છે કે અમેરિકન નાગરિકોએ જાતે જ લડવાનું છે’

    અન્ય એક વ્યક્તિએ કહ્યું કે, એવું લાગે છે કે આ પરિસ્થિતિમાં અમેરિકન નાગરિકોએ જાતે જ લડવાનું છે અને બધું સારું થાય તેની આશા રાખવાની છે. દેખીતી વાત છે કે અમે માત્ર ‘પાસપોર્ટ’ ધારકો રહી ગયા  છીએ, જેમના જીવન વિશે અમેરિકન સરકારને કોઈ ચિંતા નથી. તેમણે માંગ કરી હતી કે ઓછામાં ઓછી તેમને ભોજન-પાણીની વ્યવસ્થા કરી આપવામાં આવે અને ઇજિપ્ત કે ઈથોપિયાની સરહદ સુધી જવા માટે મદદ અને માર્ગદર્શન આપવામાં આવે. 

    બચાવમાં અમેરિકી પ્રશાસન કહી રહ્યું છે કે તેમણે પહેલેથી જ અમેરિકી નાગરિકોને સુદાનમાં ન જવા માટે કહ્યું હતું અને આ માટે જૂન 2021થી લેવલ 4ની એડવાઈઝરી પણ જારી કરવામાં આવી હતી, જેમાં જણાવવામાં આવ્યું હતું કે તેઓ સરકાર પર આધાર ન રાખીને પોતાની રીતે બહાર નીકળવાની યોજનાઓ બનાવી રાખે. જોકે, તાજેતરની હિંસા બાદ આવી કોઈ ચેતવણી અપાઈ ન હતી. 

    આ દલીલોને લઈને નાગરિકોએ કહ્યું કે, સુદાનમાં રહેવા માટે તેમની પાસે પૂરતાં કારણો હતાં અને સંજોગો એવા હતા કે તાત્કાલિક બધું મૂકીને આવવું શક્ય પણ નથી. આ દલીલો દ્વારા સરકાર છટકબારી શોધી રહી છે. તેમણે એમ પણ કહ્યું કે, ગૃહયુદ્ધ ફાટી નીકળશે તેવી તેમને કલ્પનામાત્ર ન હતી, નહીંતર તેમના પરિજનો ત્યાં ગયા જ ન હોત.

    આ મીડિયા રિપોર્ટ્સ બાદ આખરે રવિવારે (30 એપ્રિલ, 2023) સમાચાર આવ્યા કે યુએસ સરકારે સુદાનમાં ફસાયેલા નાગરિકોને પરત લાવવા માટે ઑપરેશન શરૂ કર્યું છે. જે માટે અમુક અધિકારીઓ સુદાન પોર્ટ પર પહોંચ્યા હતા. જેમણે કહ્યું કે તેઓ નાગરિકો સાથે સંપર્કમાં છે અને જેઓ દેશ છોડવા માંગતા હોય તેમને મદદ કરશે. 

    ભારતે અઠવાડિયા પહેલાંથી શરૂ કરી દીધું હતું ઑપરેશન

    એક તરફ અમેરિકા સરકાર છેક 30 એપ્રિલ સુધી હાથ પર હાથ ધરીને બેસી રહી અને બીજી તરફ ભારત સરકારે 24મી એપ્રિલથી જ યુદ્ધગતિએ ‘ઑપરેશન કાવેરી’ લૉન્ચ કરી દીધું હતું. વિદેશ મંત્રી એસ જયશંકરે સુદાનના અન્ય પાડોશી દેશોના વડાઓ સાથે વાતચીત કરીને આ ઑપરેશન માટે તમામ પ્રકારની મદદ લઇ લીધી, અહીંથી જહાજો અને વાયુસેનાનાં વિમાનો સુદાન મોકલી આપવામાં આવ્યાં, બીજી તરફ ભારતીય નાગરિકોને એક સ્થળે પહોંચવા માટે જણાવવામાં આવ્યું અને તબક્કાવાર હવે તેમને પરત લાવવામાં આવી રહ્યા છે. 

    ‘ઑપરેશન કાવેરી’ થકી અત્યાર સુધીમાં લગભગ 3 હજાર લોકો સુદાનથી ભારત પરત ફર્યા છે. સોમવારે જેદ્દાહથી નવમી ફ્લાઇટ રવાના થઇ હતી, જેમાં 186 નાગરિકો આવી રહ્યા છે. તેઓ કોચી ઉતરશે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં