Saturday, July 27, 2024
More
    હોમપેજફેક્ટ-ચેક‘સુરતમાં PM મોદીની સેવામાં ગણપતિદાદા’: સોશિયલ મીડિયા પર ફરી શરૂ થયો દુષ્પ્રચાર,...

    ‘સુરતમાં PM મોદીની સેવામાં ગણપતિદાદા’: સોશિયલ મીડિયા પર ફરી શરૂ થયો દુષ્પ્રચાર, વાયરલ ‘અખબાર કટિંગ’નું સત્ય અહીં જાણો

    ફેસબુક પર અનેક યુઝરોએ આ કટિંગ ફરતું કર્યું અને મોદી અને તેમના સમર્થકોને ટાર્ગેટ કર્યા. કોઈકે તાજેતરમાં ચાલતા સાળંગપુરના હનુમાનજીની મૂર્તિ સંદર્ભેના વિવાદને પણ સાંકળ્યો અને લખ્યું કે, તેને ભુલાવવા માટે આ બધું કરવામાં આવી રહ્યું છે. 

    - Advertisement -

    ગણેશ ચતુર્થીનો તહેવાર નજીક છે. બીજી તરફ તેને લઈને સોશિયલ મીડિયા પર દુષ્પ્રચાર ફેલાવાનો શરૂ થયો છે. એક તથાકથિત અખબાર કટિંગ ફેસબુક પર ફરતું થયું છે, જેમાં દાવો છે કે સુરતમાં ગણેશજીને મોદીના સેવક તરીકે દર્શાવવામાં આવ્યા હતા. સાથે ભાજપ સમર્થકો અને હિન્દુત્વવાદીઓને ટાર્ગેટ કરવામાં આવ્યા છે. 

    કથિત અખબાર કટિંગનું શીર્ષક છે- ‘સુરતમાં ગણપતિદાદાને મોદીના સેવક તરીકે દર્શાવાતાં વિવાદ.’ નીચે ભાજપ સમર્થકો વિશે આપત્તિજનક ભાષા વાપરીને તેઓ હિંદુવાદી હોવાના દાવા કરતા હોવા છતાં ધર્મનું જ અપમાન કરવા પર ઉતરી આવ્યા હોવાનું અને આ મૂર્તિ સુરતમાં ભાજપ સમર્થકો દ્વારા સ્થાપવામાં આવી હોવાના દાવા કરવામાં આવ્યા છે. કટિંગમાં આ મૂર્તિઓ સુરતના કોઈ ગણેશ મંડપમાં સ્થાપવામાં આવી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. તેમજ એવું પણ લખવામાં આવ્યું છે કે આ પ્રકારની હરકતથી સામાન્ય જનતા ગુસ્સે ભરાઈ છે અને આમ કરનારા પર કાયદાકીય પગલાં લેવાની અને તાત્કાલિક મૂર્તિ હટાવી દેવાની માંગ કરવામાં આવી છે. 

    ફેસબુક પર અનેક યુઝરોએ આ કટિંગ ફરતું કર્યું અને મોદી અને તેમના સમર્થકોને ટાર્ગેટ કર્યા. કોઈકે તાજેતરમાં ચાલતા સાળંગપુરના હનુમાનજીની મૂર્તિ સંદર્ભેના વિવાદને પણ સાંકળ્યો અને લખ્યું કે, તેને ભુલાવવા માટે આ બધું કરવામાં આવી રહ્યું છે. 

    - Advertisement -
    ફેસબુક પોસ્ટનો સ્ક્રીનશોટ

    કોઈકે એવો પણ દાવો કરી દીધો કે આના લીધે સમગ્ર હિંદુ સમાજમાં રોષ ફાટી નીકળ્યો છે અને મોદીના સમર્થકોએ તેમની લાગણી દુભાવી છે. ‘માયાજાળ ન્યૂઝ ચેનલ’નું પ્રોફાઈલ પિક્ચર ધરાવતા જયેશ ચૌહાણ નામના યુઝરે આ પ્રકારનો દાવો કર્યો અને ફેક ન્યૂઝ ફેલાવ્યા હતા.

    ફેસબુક પોસ્ટનો સ્ક્રીનશોટ

    આ સિવાય પણ ઘણાએ પોસ્ટ કરી.

    ફેસબુક પોસ્ટનો સ્ક્રીનશોટ

    હકીકત શું છે?

    પહેલી જ નજરે ફેક લાગતું આ કટિંગ વાસ્તવમાં એક વર્ષ જૂનું છે. વર્ષ 2022માં પણ ગણેશ ચતુર્થી વખતે સોશિયલ મીડિયા પર આવો અપપ્રચાર ચાલ્યો હતો. તે સમયે ઑપઇન્ડિયાએ એક્સક્લુઝિવ ફેક્ટચેક કરીને સાચી હકીકત જણાવી હતી. 

    અખબાર કટિંગમાં દાવો કરવામાં આવ્યો છે કે આ મૂર્તિ સુરતના કોઈ મંડપમાં સ્થાપવામાં આવી છે, પણ ક્યાં? એ જણાવ્યું નથી. કટિંગને લઈને પણ સવાલો ઉઠવા વ્યાજબી છે કારણ કે અખબારો આવી ભાષા વાપરતાં હોતાં નથી. હંમેશા ભાષાનું સ્તર જાળવી રાખવામાં આવે છે. 

    ઑપઇન્ડિયાએ જ્યારે વધુ તપાસ કરી ત્યારે જાણવા મળ્યું કે આ મૂર્તિઓ સુરતની પણ નથી કે ગુજરાતની પણ નથી. તેની ક્યાંય પણ સ્થાપના પણ કરવામાં આવી ન હતી કે સુરતના કોઈ મંડપમાં તેની સ્થાપના થઇ હોવાના દાવા પણ પાયાવિહોણા છે. સુરતના કોઈ મંડપમાં ન તો વર્ષ 2022માં આવી મૂર્તિ સ્થપાઈ હતી કે ન આ વર્ષે તેવું કોઈ આયોજન છે. 

    હકીકતે આ મૂર્તિ કર્ણાટકના એક આર્ટિસ્ટ દ્વારા થોડા સમય પહેલાં તૈયાર કરવામાં આવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જે મૂર્તિ જોવા મળે છે એ કર્ણાટકના મૈસૂરના એક કલાકાર દ્વારા બનાવવામાં આવી હતી. રેવન્ના નામના આ પ્રખ્યાત કલાકાર ભગવાનની તેમજ અન્ય મૂર્તિ બનાવવા માટે જાણીતા છે. 21 જૂન, 2022ના રોજ પીએમ મોદી વિશ્વ યોગ દિવસની ઉજવણી માટે મૈસૂર ગયા હતા, જેમના સન્માનમાં કલાકારે મોદીની આ મૂર્તિ બનાવી હતી. તે જ કારણ છે કે પીએમને ધ્યાન કરતા બતાવવામાં આવ્યા છે. 

    સાભાર- The New Indian Express

    આ કલાકારે માત્ર ગણેશજીની અને પીએમ મોદી જ નહીં, પરંતુ અન્ય પણ ઘણા દેવતાઓ અને વિશિષ્ટ વ્યક્તિઓની મૂર્તિ બનાવી છે. તેમણે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂના સન્માનમાં તેમની પણ મૂર્તિ બનાવી હતી. આ ઉપરાંત, ભૂતકાળમાં પૂર્વ રાષ્ટ્રપતિ કોવિંદ તેમજ અન્ય નેતાઓની પણ મૂર્તિઓ બનાવીને પ્રદર્શનમાં મૂકી હતી. 

    કાપકૂપ કરીને ફોટો બનાવ્યો, અખબાર કટિંગ બનાવીને વાયરલ કરી દીધું

    ઇન્ટરનેટ પર અન્ય એક તસ્વીર જોવા મળી જેમાં ગણેશજીની બે મૂર્તિઓ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂની મૂર્તિઓ રાખેલી જોવા મળી હતી. જેમાં ગણેશજીની બંને મૂર્તિઓ એ જ મૂર્તિઓ છે જે હાલ વાયરલ તસ્વીરમાં પીએમની મૂર્તિની આસપાસ ઉભેલી જોવા મળી રહી છે. જેથી કલાકારની તમામ મૂર્તિઓના પ્રદર્શન દરમિયાન પીએમ મોદી અને ગણેશજીની મૂર્તિઓની તસ્વીર લઇ લેવામાં આવી હોય તેવી શક્યતાઓ નકારી શકાય નહીં. 

    ઉલ્લેખનીય છે કે ગણેશોત્સવ દરમિયાન શાસ્ત્રોક્ત વિધિ અનુસાર ગણેશજીની મૂર્તિની સ્થાપના કરવામાં આવે છે. આ કિસ્સામાં એવું નથી. મૂર્તિ ગણેશોત્સવમાં સ્થાપવા માટે બનાવવામાં આવી જ ન હતી. કોઈકે પ્રદર્શનમાં મૂકેલી મૂર્તિઓની તસ્વીર લઈને મોદી અને ગણેશજી દેખાય એમ કાપકૂપ કરીને આ કટિંગ બનાવી નાખ્યું હતું. 

    જેથી સુરતમાં ગણેશજીને મોદીને સેવક બતાવવામાં આવ્યા હોવાની વાત અને અખબાર કટિંગ બંને પાયાવિહોણાં છે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં