Friday, March 29, 2024
More
    હોમપેજસંપાદકની પસંદઆતંકવાદી યાસીન મલિકે આતંકવાદના આરોપોની કબૂલાત કરી, 19 મેના રોજ સજા પર...

    આતંકવાદી યાસીન મલિકે આતંકવાદના આરોપોની કબૂલાત કરી, 19 મેના રોજ સજા પર સુનાવણી: એરફોર્સના અધિકારીઓ અને કાશ્મીરી હિંદુઓનો હત્યારો

    આતંકવાદી યાસીન મલિકે NIA કોર્ટમાં પોતાના પર લાગેલા વિવિધ આરોપોનો સ્વીકાર કરી લીધો છે અને અદાલત હવે આવનારી 19 તારીખે તેના પર પોતાનો ચૂકાદો સંભળાવવા જઈ રહી છે.

    - Advertisement -

    આતંકવાદી યાસીન મલિક દ્વારા (જેને અમુક મીડિયાવાળા અલગાવવાદી નેતા અથવા કાશ્મીરી નેતા તરીકે રજૂ કરે છે) મંગળવારે (10 મે, 2022) પોતાના પર લાગેલા તમામ આરોપોને સાચા માન્યા છે. પટિયાલા હાઉસ કોર્ટની NIA કોર્ટમાં યાસીન મલિકે પોતાની ભૂલ સ્વીકારીને કોર્ટ પાસે કાયદા મુજબ સજાની માંગ કરી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કોર્ટ 19 મેના રોજ કાશ્મીરના અલગતાવાદી નેતા યાસીન મલિક પર લાગેલા તમામ આરોપો માટે સજાની સુનાવણી કરશે. મલિક પર કડક ગેરકાનૂની પ્રવૃતિ નિવારણ અધિનિયમ (UAPA), રાજદ્રોહ અને ગુનાહિત ષડયંત્રનો આરોપ મૂકવામાં આવ્યો છે.

    કોર્ટની નજીકના સૂત્રોએ જણાવ્યું હતું કે, “મલિકે કોર્ટને કહ્યું હતું કે તે કલમ 16 (આતંકવાદી પ્રવૃત્તિ), 17 (આતંકવાદી પ્રવૃત્તિઓ માટે ભંડોળ એકત્ર કરવા), 18 (આતંકવાદી કૃત્ય કરવાનું કાવતરું) અને 20 (આતંકવાદી જૂથ અથવા સંગઠનના સભ્ય હોવું) અને ભારતીય દંડ સંહિતાની કલમ 120-બી (ગુનાહિત કાવતરું) અને 124-એ (રાજદ્રોહ) હેઠળ તેમની સામેના આરોપોને પડકારવા નથી માંગતો.”

    કહેવામાં આવી રહ્યું છે કે કોર્ટે ફારૂક અહેમદ ડાર ઉર્ફે બિટ્ટા કરાટે, શબીર શાહ, મસરત આલમ, મોહમ્મદ યુસુફ શાહ, આફતાબ અહમદ શાહ, અલ્તાફ અહેમદ શાહ, નઈમ ખાન, મોહમ્મદ અકબર ખાંડે, રાજા મેહરાજુદ્દીન કલવાલ, બશીર અહમદ ભટ, ઝહૂર અહેમદ શાહ વટાલી, શબ્બીર અહેમદ શાહ, અબ્દુલ રશીદ શેખ અને નવલ કિશોર કપૂર સહિતના અન્ય કાશ્મીરી અલગતાવાદી નેતાઓ સામે ઔપચારિક રીતે આરોપો તૈયાર કર્યા છે.

    - Advertisement -

    લશ્કર-એ-તૈયબા (LeT)ના સ્થાપક હાફિઝ સઈદ અને હિઝબુલ મુજાહિદ્દીનના વડા સૈયદ સલાહુદ્દીન સામે પણ ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી, જેમને આ કેસમાં ભાગેડુ જાહેર કરવામાં આવ્યા છે.

    જાણો કોણ છે યાસીન મલિક

    ઉલ્લેખનીય છે કે, યાસીન મલિક એક આતંકવાદી છે જે કાશ્મીરમાં કાશ્મીરી હિન્દુઓના નરસંહારમાં સીધો સંડોવાયેલો હતો. તે જમ્મુ અને કાશ્મીર લિબરેશન ફ્રન્ટના પ્રમુખ અને પાકિસ્તાનના કટ્ટર અલગતાવાદી નેતા છે. તેના પર કાશ્મીરમાં આતંકવાદને સમર્થન આપવાનો આરોપ છે. આ સાથે ભારતમાં ટેરર ​​ફંડિંગ સહિતના અન્ય ગુનાઓમાં પણ તેની અટકાયત કરવામાં આવી હતી. આતંકવાદી યાસીન મલિક પર રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને તત્કાલીન કેન્દ્રીય ગૃહ મંત્રી મુફ્તી મોહમ્મદ સઈદની પુત્રી રૂબૈયા સઈદનું અપહરણ કરવાનો પણ આરોપ છે.

    જાન્યુઆરી 1990માં એરફોર્સના 4 અધિકારીઓની નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી, જેનો આરોપ યાસીન મલિક પર છે. યાસીન મલિકે JKLF આતંકવાદીઓ સાથે મળીને સ્ક્વોડ્રન લીડર રવિ ખન્નાની હત્યા કરી હતી, જે ભારતીય વાયુસેનાના ચાર કર્મચારીઓમાંથી એક છે. યાસીન મલિક ખીણમાં કાશ્મીરી પંડિતોના નરસંહારમાં સીધો સંડોવાયેલો હતો અને આતંકવાદીઓ સાથે સંબંધ ધરાવે છે તે જાણીને, અગાઉની સરકારો અને મીડિયાએ હંમેશા તેને કાશ્મીરીઓના તારણહાર તરીકે રજૂ કર્યો છે. લોકોએ ટ્વિટર પર ભૂતકાળની સરકારો અને ત્યારના નેતાઓ સાથે આતંકવાદી યાસીન મલિકના સંબંધો વિષે પણ ચર્ચા છેડી છે.

    ધ કશ્મીર ફાઇલ્સ ફિલ્મમાં પણ આ સત્ય દર્શાવાયું હતું

    નોંધનીય છે કે 11 માર્ચ 2022ના રોજ રજૂ થયેલ ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ માં દિગ્દર્શક વિવેક અગ્નિહોત્રી તથ્યો અને પુરાવાઓનો અભ્યાસ કરીને દર્શાવ્યું હતું કે યાસીન મલિક અને તેના સાથીઓએ જ કાશ્મીર ખીણમાં ભારતીય વાયુસેનાના 4 અધિકારીઓનાં મોતનો જવાબદાર હતો. જે બાદ મુસ્લિમ નેતાઓ, મુસ્લિમ ધર્મગુરુઓ, કોંગ્રેસ અને આપ નેતાઓ તથા મોટાભાગના મીડિયાએ ફિલ્મને ઇસ્લામોફોબિક કહેવા માંડી હતી અને કહ્યું હતું કે એમાં સિક્કાની એક બાજુ જ બતાવી છે.

    પરંતુ હવે જ્યારે 10 તારીખે આતંકવાદી યાસીન માલિક દ્વારા જ પોતાના પર લાગેલ આ તમામ આરોપ સ્વીકારી લેવામાં આવ્યા છે ત્યારે વિવેક અગ્નિહોત્રીની આ ફિલ્મ સત્યની વધુ નજીક હોવાનું સાબિત થાય છે.

    10 તારીખે આ સમાચાર આવતા જ વિવેકે ટ્વિટ કરીને આનંદ વ્યક્ત કરતાં લખ્યું કે, “અંતે, ન્યાય થશે. આ વાર્તાની બીજી બાજુ છે. મારા ભાઈઓ અને બહેનોને ન્યાય અપાવવામાં નાની ભૂમિકા ભજવવા માટે હું ભગવાનનો આભાર માનું છું. હું આશા રાખું છું કે હવે નરસંહાર નકારનારાઓ અમને શાંતિથી જીવવા દેશે અને અમને સાજા થવા દેશે.”

    વિવેક અગ્નિહોત્રીએ અન્ય એક ટ્વિટમાં કહ્યું કે, “પ્રિય નરસંહાર નકારનારાઓ, હજુ પણ તેને (ફિલ્મને) ઇસ્લામોફોબિક અને અર્ધસત્ય કહેવા માંગો છો?” ફિલ્મ અને તેની પટકથા પર હસનાર કોંગ્રેસના વરિષ્ઠ નેતા શશિ થરૂર તથા આપના સુપ્રીમો અરવિંદ કેજરીવાલને ટાંકીને વિવેકે પુછ્યું કે, “પ્રિય શશિ થરૂર અને અરવિંદ કેજરીવાલ, હજુ પણ હસવાનું મન થાય છે?” અને અંતમાં અમુક અભિનેતાઓના પત્નીઓ દ્વારા વિવેકની આ ફિલ્મ અને ‘ફાઇલ્સ’ શીર્ષક અંતર્ગત આવેલ અને આવનારી ફિલ્મોનું મજાક ઉડાવતા કહેવાયું હતું કે ‘અમારે પણ અમારા નખ વિષે નેઇલ ફાઇલ્સ નામની ફિલ્મ બનાવવી છે’, એમને ટાંકતા વિવેકે લખ્યું કે, “પ્રિય સ્ટાર-વાઈફ, હજુ પણ નેલ-ફાઈલ્સ બનાવવા માંગો છો? हम देखेंगे…”

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં