Monday, April 29, 2024
More
    હોમપેજગુજરાતસોમનાથ અને અંબાજી મંદિર ટ્રસ્ટોએ GMS હેઠળ 200 કિલો સોનાનું રોકાણ કરીને...

    સોમનાથ અને અંબાજી મંદિર ટ્રસ્ટોએ GMS હેઠળ 200 કિલો સોનાનું રોકાણ કરીને સેવાકાર્યો માટે 120 કરોડ રૂપિયા ઉભા કર્યા: ચાલો જાણીએ આ ગોલ્ડ મોનેટાઇઝેશન સ્કીમ (GMS) વિશે

    ગોલ્ડ મોનેટાઇઝેશન સ્કીમ 15 સપ્ટેમ્બર 2015ના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવી હતી. આ યોજના બેંક લોકરમાં નિષ્ક્રિય પડેલા તમારા ન વપરાયેલ સોના પર વ્યાજ મેળવવામાં મદદ કરવા માટે બનાવવામાં આવી છે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે આ યોજના ભારતમાં સોનાને ઉત્પાદક સંપત્તિમાં ફેરવશે.

    - Advertisement -

    ભારત સરકારે 2015માં ગોલ્ડ મોનેટાઇઝેશન સ્કીમ (GMS) જાહેર કરી હતી. જે અંતર્ગત ગુજરાતના 2 મોટા મંદિરના ટ્રસ્ટોએ દાનમાં મળેલ સોનાનું રોકાણ કરીને સેવાકાર્યો અને મંદિરના કર્યો માટે મોટી રકમ મેળવી છે. સોમનાથ જ્યોર્તિલિંગ મંદિર ટ્રસ્ટ અને શક્તિપીઠ અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા આ GMS યોજના અંતર્ગત 200 કિલો સોનાનું રોકાણ કરાયું છે.

    અહેવાલો અનુસાર ગુજરાતના બે મોટા મંદિરો – અંબાજી મંદિર અને સોમનાથ મંદિર – એ ટૂંકા ગાળામાં GMS હેઠળ જાહેરક્ષેત્રની બેંકોમાં 200 કિલો જેટલું સોનું જમા કરાવ્યું છે. વર્તમાન કિંમતો અનુસાર આ રકમ રૂ. 120.6 કરોડની કિંમતની ગોલ્ડ ડિપોઝિટ છે.

    તે સમયે અમદાવાદ માર્કેટમાં સોનાનો ભાવ 60,300 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતો. અત્યારે ચાલી રહેલા ટ્રેન્ડ પર નજર કરીએ તો જાહેર ક્ષેત્રની બેંકના એક વરિષ્ઠ એક્ઝિક્યુટિવે કહ્યું કે સરકાર મંદિરોને ગોલ્ડ મોનેટાઇઝેશન સ્કીમ (Gold Monetisation Scheme) હેઠળ દાન તરીકે એકત્ર કરાયેલું સોનું બેંકોમાં જમા કરાવવા માટે પ્રોત્સાહિત કરી રહી છે. આનાથી મિડિયમ ટર્મ ડિપોઝિટ માટે વાર્ષિક 2.25% વ્યાજ મળે છે, જ્યારે લાંબા ગાળાની ડિપોઝિટ માટે વાર્ષિક 2.50% વ્યાજ મળે છે.

    - Advertisement -

    આ મંદિરો માટે ઘણું ફાયદાકારક છે કારણ કે તેઓ ચાલુ બજાર ભાવે સોનાને રિડીમ કરી શકે છે. ઉપરાંત તેમની ડિપોઝિટો એકબાજુ પાકી જતી હોય છે અને વ્યાજ પણ મળતું જ હોય છે. ગુજરાતમાંથી GMS હેઠળ કરવામાં આવેલી ડિપોઝિટનો સૌથી મોટો હિસ્સો અંબાજી મંદિર ટ્રસ્ટ તરફથી આવ્યો હતો, સોમનાથ મંદિરનો પણ એક નાનો હિસ્સો છે.

    અંબાજી મંદિર ટ્રસ્ટએ 168 કિલો અને સોમનાથ મંદિર ટ્રસ્ટએ 6 કિલો સોનુ જમા કરાવ્યું

    ગુજરાતમાંથી જીએમએસ હેઠળ કરવામાં આવેલી સોનાની થાપણોનો સૌથી મોટો હિસ્સો અંબાજી મંદિર ટ્રસ્ટમાંથી આવ્યો હતો. બનાસકાંઠા જિલ્લા કલેક્ટર અને ટ્રસ્ટી વરુણકુમાર બરનવાલે કહ્યું કે “અંબાજી મંદિરે ત્રણ તબક્કામાં 168 કિલો સોનું જમા કરાવ્યું છે. જેમાં બે તબક્કામાં 96 કિગ્રા અને 23 કિલોના ભાગનો સમાવેશ થાય છે.”

    સોમનાથ મંદિરે પણ જીએમએસ હેઠળ છ કિલો સોનું જમા કરાવ્યું છે. શ્રી સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી પી કે લહેરીએ જણાવ્યું હતું કે, “લગભગ 150 કિલો સોનું ઓગાળીને તેનો ઉપયોગ સોમનાથ મંદિરના શિખરને પ્લેટિંગ કરવા અને તેને શણગારવા માટે કરવામાં આવ્યો છે. મંદિર ટ્રસ્ટે તાજેતરમાં લગભગ 6 કિલો સોનું જીએમએસ હેઠળ જમા કરાવ્યું છે.”

    બંને મંદિર ટ્રસ્ટોએ સોનાનું રોકાણ કરીને જે પણ રકમ મેળવી છે તેનો ઉપયોગ તેમના દ્વારા મંદિર પરિસરના રખરખાવ, સામાજિક કાર્યો અને સેવાકાર્યો માટે કરવામાં આવે છે.

    સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા થતા સેવાકાર્યો

    સોમનાથ ટ્રસ્ટની વાત કરીએ તો તેઓ પર્યાવરણ વિષયક સેવાઓ, ગૌસેવા, અન્નદાન, શિક્ષણને લગતા કાર્યો, સ્વાસ્થ્યને લગતી સેવાઓ અને અન્ય ઘણા સામાજિક કાર્યો કરતું આવ્યું છે. આ સિવાય શ્રદ્ધાળુઓ માટે આધુનિક નિવાસની વ્યવસ્થા, વિશ્રામગૃહો, અને અન્નક્ષેત્રો પણ ચલાવવામાં આવે છે. જેમાં આ રકમનો ઉપયોગ થશે.

    આ સિવાય ગુજરાત પર જયારે પણ કોઈ આફત આવી છે અથવા કોઈ જરૂર ઉભી થઇ છે ત્યારે સોમનાથ મંદિર ટ્રસ્ટએ આગળ આવીને મદદનો હાથ લંબાવ્યો છે.

    અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા થતા સેવાકાર્યો

    સોમનાથ મંદિર ટ્રસ્ટની જેમ જ અંબાજી મંદિર ટ્રસ્ટ પણ અઢળક સેવાકાર્યો કરતું આવ્યું છે જેમાં આ રકમનો ઉપયોગ થશે.

    શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા 1991થી એક કોલેજ ચલાવવામાં આવી રહી છે જેનું નામ છે, શ્રી અંબાજી આર્ટસ કોલેજ. આ સાથે જે એક આધુનિક લાઈબ્રેરી પણ બનાવવામાં આવી છે ત્યાં.

    અંબાજી ટ્રસ્ટ દ્વારા ચાલતી હોસ્પિટલ (ફોટો: અંબાજી ટ્રસ્ટ)

    શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા એક 200 બેડની આધુનિક હોસ્પિટલ પણ ચલાવવામાં આવે છે. જેમાં સારવાર ઉપરાંત પેથોલોજી લેબ, એક્સ-રે ક્લિનિક, પ્રસુતિ ગૃહ, સ્ત્રી અને પુરુષ વોર્ડ તથા ઓપરેશન રૂમ પણ છે.

    આ સિવાય અંબાજી ટ્રસ્ટ દ્વારા અનેક બીજા સેવાકર્યો પણ કરવામાં આવે છે. જેમ કે યાત્રિકો માટે વિશ્રામગૃહ ચલાવવામાં આવે છે, અન્નક્ષેત્રો ચલાવવામાં આવે છે, તથા અવારનવાર જયારે પણ પ્રદેશમાં કોઈ પણ કુદરતી આફત આવી પડે ત્યારે ખુલ્લા હાથે સહાયતા કરવામાં આવે છે.

    શું છે ગોલ્ડ મોનેટાઇઝેશન સ્કીમ (GMS)

    ગોલ્ડ મોનેટાઇઝેશન સ્કીમ 15 સપ્ટેમ્બર 2015ના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવી હતી. આ યોજના બેંક લોકરમાં નિષ્ક્રિય પડેલા તમારા ન વપરાયેલ સોના પર વ્યાજ મેળવવામાં મદદ કરવા માટે બનાવવામાં આવી છે. ગોલ્ડ મોનેટાઈઝેશન સ્કીમ મૂળભૂત રીતે ભારતમાં વિવિધ પરિવારો અને સંસ્થાઓ પાસે રહેલા સોનાના એકત્રીકરણની ખાતરી કરવા માટે એક નવું ડિપોઝિટ સાધન છે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે આ યોજના ભારતમાં સોનાને ઉત્પાદક સંપત્તિમાં ફેરવશે. આ નવી ગોલ્ડ સ્કીમ એ જૂની ગોલ્ડ ડિપોઝિટ સ્કીમ (GDS) અને ગોલ્ડ મેટલ લોન સ્કીમ (GML)માં ફેરફાર છે અને તેણે ભૂતકાળની ગોલ્ડ ડિપોઝિટ સ્કીમ, 1999નું સ્થાન લીધું છે.

    રોકાણકાર ગોલ્ડ મોનેટાઇઝેશન સ્કીમ (GMS) હેઠળ ટૂંકા, મધ્યમ અને લાંબા ગાળા માટે સોનું જમા કરાવી શકે છે. આ યોજના રોકાણકારને શોર્ટ ટર્મ બેંક ડિપોઝીટ (SRBD) અને મીડીયમ એન્ડ લોંગ ટર્મ ગવર્નમેન્ટ ડીપોઝીટ (MLTGD) માં સોનું જમા કરવાની મંજૂરી આપે છે.

    શોર્ટ ટર્મ બેંક ડિપોઝિટ (STBD)

    • એક થી ત્રણ વર્ષ સુધીના કાર્યકાળને મંજૂરી આપે છે
    • વચગાળાના કાર્યકાળને મંજૂરી આપે છે જેમ કે એક વર્ષ ત્રણ મહિના, બે વર્ષ ચાર મહિના, વગેરે.
    • લોક-ઇન સમયગાળો અને દંડ નિયુક્ત બેંકો દ્વારા નક્કી કરવામાં આવશે
    • બેંકો આ થાપણો પર વ્યાજ દર નક્કી કરવા માટે સ્વતંત્ર છે

    મધ્યમ અને લાંબા ગાળાની સરકારી થાપણ (MLTGD)

    • કેન્દ્ર સરકાર વતી નિયુક્ત બેંક આ યોજના હેઠળ થાપણો સ્વીકારશે
    • પરિપક્વતાનો સમયગાળો મધ્યમ ગાળા માટે પાંચ થી સાત વર્ષ અને લાંબા ગાળા માટે 12 થી 15 વર્ષ છે
    • વ્યાજ દરો 2.25% p.a. મધ્યમ ગાળા માટે અને 2.50% p.a. લાંબા ગાળા માટે
    • ડિપોઝિટ પરનું વ્યાજ દર વર્ષે 31 માર્ચે ચૂકવવામાં આવશે
    • આ ડિપોઝિટ સ્કીમ્સ પર લૉક-ઇન પિરિયડ અનુક્રમે ત્રણ વર્ષ અને પાંચ વર્ષ છે

    કોણ કોણ કરી શકે છે GMS હેઠળ રોકાણ

    • વ્યક્તિઓ
    • હિંદુ અવિભાજિત કુટુંબ (HUF)
    • કંપનીઓ
    • ચેરીટેબલ સંસ્થાઓ
    • માલિકી અને ભાગીદારી પેઢીઓ
    • મ્યુચ્યુઅલ ફંડ્સ અથવા એક્સચેન્જ ટ્રેડેડ ફંડ્સ સહિત કોઈપણ ટ્રસ્ટ
    • કેન્દ્ર સરકાર
    • રાજ્ય સરકાર
    • કેન્દ્ર અથવા રાજ્ય સરકારની માલિકીની અન્ય સંસ્થાઓ

    લોકરમાં સોનુ મુકવા કરતા GMS હેઠળ વધુ લાભ

    જો કોઈ વ્યક્તિ કે સંસ્થા પોતાની પાસે રહેલું સોનુ બેંક લોકરમાં મૂકે છે તો તેને કોઈ વ્યાજ તો મળતું નથી. સાથે તેના પર કોઈ ડિવિડન્ડ પણ ચુકવતું નથી. ઉપરાંત રોકાણકારે તે લોકર માટે ચાર્જ પણ ચૂકવવો પડે છે.

    તેનાથી ઉલટ જો તે જ વ્યક્તિ અથવા સંસ્થા તે જ સોનુ આ ગોલ્ડ મોનેટાઇઝેશન સ્કીમ (GMS) હેઠળ રોકાણ કરે તો તેને તે સોના પર નક્કી કરેલ વ્યાજ મળવાપાત્ર રહે છે. સાથે જ તેને લોકરની જેમ કોઈ ચાર્જ ચૂકવવાનો રહેતો નથી.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં