Saturday, July 27, 2024
More
    હોમપેજદેશઆંબેડકરનગર હત્યા કેસ: શાહબાઝ સહિતના આરોપીઓ મહિનાઓથી કરતા હતા યુવતીની છેડતી, ઘર...

    આંબેડકરનગર હત્યા કેસ: શાહબાઝ સહિતના આરોપીઓ મહિનાઓથી કરતા હતા યુવતીની છેડતી, ઘર સુધી પણ પહોંચી જતા; પરિવારે ઑપઇન્ડિયા સાથે કરી વાતચીત

    ઘટનાને નજરે જોનાર મૃતકની કાકાની દીકરી છે. તેણે અમને જણાવ્યું કે ઘટનાના દિવસના પહેલાથી જ આરોપીઓ 2 બાઈકો દ્વારા તેનો પીછો કરતા રહેતા હતા. તેઓ બધી જ છોકરીઓની બાજુમાંથી ઝડપથી બાઈક લઈને નીકળતા. ઘટનાના દિવસે બાઈક પર બેસેલા આરોપીએ મૃતકનો દુપટ્ટો ખેંચી લીધો જેના કારણે તે ફસડાઈ પડી. આ દરમિયાન જ તેની સાથે ચાલી રહેલા બીજા બાઈક સવારે પીડિતાના માથા પર ટાયર ચઢાવી દીધું.

    - Advertisement -

    ઉત્તર પ્રદેશના આંબેડકર નગર જિલ્લામાં શુક્રવારે (15 સપ્ટેમ્બર, 2023) એક હિંદુ સગીરાની હત્યા કરવામાં આવી હતી. શાળાએથી ઘરે પરત ફરી રહેલી બાળકીને બાઇક સવાર આરોપીઓએ નિર્દયતાથી કચડી નાખી હતી. આ કેસમાં પોલીસે એન્કાઉન્ટર બાદ અરબાઝ, શાહબાઝ અને ફૈઝલની ધરપકડ કરી છે. મૃતકને લાંબા સમયથી હેરાન કરવામાં આવી રહી હતી. એકવારતો આરોપીઓ છેક તેના ઘર સુધી પહોંચી ગયા હતા. આંબેડકરનગર હત્યા કેસ બાબતે ઑપઇન્ડિયા સાથે વાત કરતા મૃતક બાળકીના પરિવારજનોએ આ ઘટનામાં ચોથો આરોપી પણ સામેલ હોવાની માહિતી આપી હતી.

    આંબેડકરનગર હત્યા કેસ બાબતે જમીની હકીકત જાણવા માટે ઑપઇન્ડિયાની ટીમ રવિવારે (17 સપ્ટેમ્બર, 2023) મૃતકના ગામ પહોંચી હતી. આ ગામની સૌથી નજીકનું બજાર ટાંડાથી 15 કિમી દૂર હીરાપુર બજાર પાસે આવેલું છે. જ્યારે અમે ઘરે પહોંચ્યા ત્યારે પીડિતાના પરિવારના સભ્યો બહાર જ હાજર હતા. ઘરનો બહારનો ભાગ ખૂબ જ જર્જરિત હાલતમાં હતો. સગીરાના પિતાએ અમને જણાવ્યું હતું કે ગરીબ હોવા છતાં તેમણે દીકરીઓને ભણાવી અને તેમના લગ્ન કરાવ્યા. હજુ વાત કરવાની શરુ થઇ જ હતી ત્યાં જ બાળકીના પિતા ભાવુક થઇ ગયા હતા.

    પોક્સો અને હત્યાની કલમોનો ઉમેરો, SHO સસ્પેન્ડ

    આ ઘટનાક્રમ પર જણાવતા આંબેડકર નગર જિલ્લાના પોલીસ અધિક્ષકે કહ્યું હતું કે આ કેસમાં હત્યાની કલમ 302 તેમજ અને પોક્સો એક્ટનો વધારો કરવામાં આવ્યો છે. હંસવાર પોલીસ સ્ટેશનના SHO રિતેશ કુમારને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને તેમના સ્થાને નવા અધિકારીની નિમણુક કરવામાં આવી છે.

    - Advertisement -

    ‘દીકરીના હત્યારાઓની સંખ્યા 4’

    મૃતક સગીરાના પિતાએ પોતાની પુત્રીના હત્યારાઓની કુલ સંખ્યા 4 હોવાનું જણાવ્યું હતું. ચોથા આરોપી તરીકે તેઓએ સલીમના પુત્ર મુન્નુનું નામ જણાવ્યું હતું. મુન્નુ અર્થાલવા નામના ગામનો રહેવાસી છે. મૃતકના પિતાએ જણાવ્યું કે દીકરીનો મૃતદેહ જોયા બાદ તેઓ કંઇ સમજી શકવા સક્ષમ નહોતા અને ચોથા આરોપીનું નામ લખાવવાનું ભૂલી ગયા હતા. તેઓએ બાકીના આરોપીઓની જેમ સલીમના પુત્ર મુન્નુ સામે પણ કાર્યવાહી કરવાની માંગ કરી હતી. તેઓ આરોપીઓના ઘર પર બુલડોઝર ચાલે તેની રાહ જોતા હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. મૃતકની બહેન અને પિતાએ આને સુનિયોજિત ષડયંત્ર હેઠળ કરવામાં આવેલી હત્યા ગણાવી છે. બીજી તરફ મુન્નુની ધરપકડ હજુ સુધી નથી કરવામાં આવી.

    ઘર સુધી પહોંચી ગયા હતા આરોપીઓ

    મૃતક સગીરાની મોટી બહેને ઑપઇન્ડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે આરોપીઓ તેની બહેનને છેલ્લા ઘણા મહિનાઓથી હેરાન કરી રહ્યા હતા. તેઓ સગીરાનો સતત પીછો કરતા રહેતા હતા. આ દરમિયાન લગભગ 2 મહિના પહેલા ચારેય આરોપીઓ 2 બાઈકો લઈને ઘર સુધી આવી ગયા હતા. મૃતકની બહેને આગળ જણાવ્યું કે, “નાની બહેન સાઈકલ લઈને ઘરે પહોંચી, તે ખુબ જ ડરેલી હતી. તેણે પાછળ આવી રહેલા લોકો વિષે જણાવ્યું. મારું ઓપરેશન થયેલું હતું તે છતાં હું બહાર નીકળી. ત્યાં સુધીમાં ચારેય ભાગી ચુક્યા હતા.”

    પહેલા દુપટ્ટો ખેંચ્યો, પછી બાઈક ચઢાવી દીધી

    ઑપઇન્ડિયાએ ઘટનાની પ્રત્યદર્શી યુવતી સાથે પણ વાત કરી. ઘટનાને નજરે જોનાર મૃતકની કાકાની દીકરી છે. તેણે અમને જણાવ્યું કે ઘટનાના દિવસના પહેલાથી જ આરોપીઓ 2 બાઈકો દ્વારા તેનો પીછો કરતા રહેતા હતા. તેઓ બધી જ છોકરીઓની બાજુમાંથી ઝડપથી બાઈક લઈને નીકળતા. ઘટનાના દિવસે બાઈક પર બેસેલા આરોપીએ મૃતકનો દુપટ્ટો ખેંચી લીધો જેના કારણે તે ફસડાઈ પડી. આ દરમિયાન જ તેની સાથે ચાલી રહેલા બીજા બાઈક સવારે પીડિતાના માથા પર ટાયર ચઢાવી દીધું. ગંભીર રીતે ઘવાયેલી પીડિતાનું અંતે મૃત્યુ થઇ ગયું.

    અમારી સાથે વાત કરતી વખતે, પ્રત્યક્ષદર્શી પોક મુકીને રડી રહી હતી. તેણે દાવો કર્યો હતો કે આરોપીઓ અન્ય છોકરીઓને પણ આ રીતે જ હેરાન કરતા રહેતા હતા.

    વૃદ્ધ દાદાનો એક માત્ર સહારો હતી મૃતક સગીરા

    ઑપઇન્ડિયા સાથે વાત કરતા કરતા મૃતક સગીરાના લગભગ 75 વર્ષીય દાદા પણ ધ્રુસકેને ધ્રુસકે રડી પડ્યા. તેમણે કહ્યું કે તેમની પૌત્રી તેમના ઘડપણની એક માત્ર સહારો હતી. ઘણા વર્ષો પહેલા જ મૃતકની માતાના દેહાંત થઇ ચુક્યો છે. 2 બહેનોના લગ્ન થઇ ચુક્યા છે અને તેઓ મોટાભાગે તેમના સાસરે જ રહે છે. એક ભાઈ ધોરણ 5માં અભ્યાસ કરે છે, જે હજુ ખુબ નાનો છે. વૃદ્ધ દાદાએ જણાવ્યું કે ઘરનું ભોજન બનાવવાથી માંડીને તમામ લોકોના કપડા અને અન્ય જવાબદારીઓ મૃતક સગીરાના માથે જ હતી.

    ડોક્ટર બનવા માંગતી હતી મૃતક સગીરા

    મૃતકના પિતાએ જણાવ્યું હતું કે તેમની પુત્રી ડોક્ટર બનીને લોકોની સેવા કરવા માંગતી હતી. ધોરણ 12 બાદ તે પોતાની દીકરીને બહાર ભણવા મોકલવાના હતા. સાથે જ મૃતકની બહેને પણ પિતાની વાત દોહરાવી હતી. બહેનના કહેવા પ્રમાણે તે ભણવામાં ખુબ જ હોશિયાર હતી અને સ્કૂલનો આખો સ્ટાફ ઘરે આવ્યો હતો અને તેના મોત પર શોક વ્યક્ત કર્યો હતો.

    મૃતક વિદ્યાર્થીનીની નોટબુક

    ભણવામાં હોંશિયાર હતી મૃતક વિદ્યાર્થીની

    આ દરમિયાન ઑપઇન્ડિયાની ટીમ મૃતક વિદ્યાર્થીનીના ભણવાના કક્ષમાં પણ ગઈ હતી. વિદ્યાર્થીનીના પુસ્તકો ખુબજ સુઘડ અને મરોડદાર સુંદર અક્ષરોમાં લખેલી હતી રસાયણ વિજ્ઞાનમાં મૃતકને તેના શિક્ષક દ્વારા ‘Good’ લખીને શાબાશી આપવામાં આવી હતી. ડીસેક્શન બોક્સ પણ ખુબ સરસ રીતે રાખવામાં આવ્યું હતું. તેનો આખો કબાટ પુસ્તકોથી ભરાયેલો દેખાયો. વિધ્યાર્થીનીમાં ચિત્રકળાના પણ ગુણ હતા. અમને અનેક ચિત્રો બતાવવામાં આવ્યા જે મૃતકે પેન્સિલની મદદથી દોર્ય હતા. આ ચિત્રોમાં એક ટોપી પહેરેલી છોકરીનું પણ ચિત્ર હતું.

    મૃતક વિદ્યાર્થીનીએ બનાવેલું ચિત્ર અને ભગવાનનો ફોટો

    જે જગ્યા પર મૃતક ભણવા બેસતી હતી ત્યાં માતા લક્ષ્મીનો એક ફોટો પણ લાગેલો હતો. વિદ્યાર્થીનીના પરિવારે જણાવ્યું હતું કે તે ખુબ જ ધાર્મિક વિચારધારાની હતી.

    તમામની એક જ માંગ- આરોપીઓને ‘મૃત્ય દંડ’

    ઑપઇન્ડિયાએ મૃતકના કાકા, પિતા, બહેન અને દાદા સાથે વાત કરી ત્યારે તમામે એક જ સ્વરમાં કહ્યું કે તેમને મૃત્યુદંડથી ઓછું આરોપીઓ માટે બીજું કશું જ મંજુર નથી. વિદ્યાર્થીનીના પિતાએ કહ્યું કે જયારે ચારેય આરોપીઓને ફાંસીના માંચડે લટકાવવામાં આવશે ત્યારે જ તેમને સંતોષ થશે. બીજી તરફ મૃતકના દાદાએ રડતા રડતા કહ્યું કે, “ओका सामने खड़ियाय के गोली मार जाई।” (તેમને મારી સામે ઉભા રાખીને ગોળી મારી દેવામાં આવે). મૃતકની મોટી બહેને પણ કહ્યું કે, “જેવી રીતે તેમણે મારી બહેનને મારી તેવી જ રીતે તેમને પણ મારી નાંખવામાં આવે.”

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં