Friday, May 3, 2024
More
    હોમપેજક્રાઈમમહેસાણાના ફકીર જાકીરશાએ બીજી વખત નિકાહ કરવા માટે પહેલી પત્નીને આપ્યા હતા...

    મહેસાણાના ફકીર જાકીરશાએ બીજી વખત નિકાહ કરવા માટે પહેલી પત્નીને આપ્યા હતા ‘ટ્રિપલ તલાક’, કોર્ટે દોષી ઠેરવ્યો: 2 વર્ષની સજા સાથે દંડ પણ ફટકારાયો

    આ અંગે પીડિત મહિલાએ 2019માં ફકીર જાકીરશા સામે મહેસાણા એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ મામલો કોર્ટમાં જતાં સેશન્સ કોર્ટે હવે ફકીર જાકીરશાને દોષી ઘોષિત કરી સજા સંભળાવી છે.

    - Advertisement -

    મહેસાણા સેશન્સ કોર્ટે એક ટ્રિપલ તલાક કેસમાં આરોપીને દોષી ઠેરવીને 2 વર્ષની કેદની સજા સંભળાવી છે. મહેસાણાના ફકીર જાકીરશા સામે ફરિયાદ હતી કે તેણે પહેલી પત્નીને તરછોડીને બીજા નિકાહ કરી લીધા હતા અને ત્યારબાદ તેને ત્રાસ આપીને મારપીટ કરી હતી અને આખરે ત્રણ વખત તલાક કહીને છૂટાછેડા આપી દીધા હતા. આ મામલે 2019ના નવા કાયદા અનુસાર ફરિયાદ નોંધાયા મામલો કોર્ટમાં ચાલ્યો ગયો હતો, જે મામલે કોર્ટે તાજેતરમાં ચુકાદો આપીને આરોપીને ગુનેગાર ઠેરવ્યો હતો.

    મામલો મહેસાણાના નાગલપુર વિસ્તારનો છે જ્યાં એક મુસ્લિમ મહિલાને તેના પતિએ ટ્રિપલ તલાક આપી છૂટી કરી દીધી હતી. માહિતી પ્રમાણે પીડિત મહિલાએ મહેસાણામાં રહેતા ફકીર જાકીરશા હુસેનશા સાથે 2003માં નિકાહ કર્યાં હતા. 17 વર્ષના પછી પતિ ફકીર જાકીરશાને બીજી પત્ની લાવવાનું સૂઝતાં તેણે પહેલી પત્નીને ત્રાસ આપવાનું ચાલુ કર્યું અને અંતે 2018માં બીજી મહિલા સાથે નિકાહ કરી લીધા. આ બનાવ પછી પ્રથમ પત્ની પોતાના પિયર ચાલી ગઈ હતી. આરોપ છે કે ત્યારબાદ ફકીર જાકીરશાએ પહેલી પત્નીના પિયરમાં જઈને માથાકૂટ કરી હતી. જેમાં મારામારી થતાં પરિવારજનો વચ્ચે પડ્યા હતા. આ દરમિયાન ઉશ્કેરાયેલા ફકીર જાકીરશાએ ત્રણ વાર તલાક શબ્દ બોલી પહેલી પત્નીને છૂટાછેડા આપી દીધા હતા.

    આ અંગે પીડિત મહિલાએ 2019માં ફકીર જાકીરશા સામે મહેસાણા એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ મામલો કોર્ટમાં જતાં સેશન્સ કોર્ટે હવે ફકીર જાકીરશાને દોષી ઘોષિત કરી સજા સંભળાવી છે. કોર્ટે આરોપીને 2 વર્ષની કેદ તથા 5000 રૂપિયાનો દંડ ફટકાર્યો છે. સજા સંભળાવવામાં આવી હોય તેવો મહેસાણાનો આ પ્રથમ ટ્રિપલ તલાકનો કેસ છે.

    - Advertisement -

    નોંધનીય છે કે ઇસ્લામમાં ‘ટ્રિપલ તલાક’ એ છૂટાછેડા આપવાની પ્રથા હતી. જેમાં પતિ તેની પત્નીને એક સાથે ત્રણ વખત ‘તલાક’ શબ્દ બોલીને છૂટાછેડા આપી શકતો હતો. આ કુપ્રથાને બંધ કરવા કેન્દ્રની નરેન્દ્ર સરકાર વર્ષ 2019માં એક કાયદો લાવી હતી. જે અંતર્ગત કોઇ પણ મુસ્લિમ વ્યક્તિ પત્નીને આ રીતે ત્રણ વખત ‘તલાક’ બોલીને છૂટાછેડા આપી શકે નહીં અને તેમ કરવા પર 3 વર્ષ સુધીની સજા અને દંડ થઈ શકે છે. આ કાયદાને નરેન્દ્ર મોદી સરકારની પ્રમુખ ઉપલબ્ધિઓ પૈકીનો એક ગણવામાં આવે છે.

    ઉલ્લેખનીય છે કે આ પહેલાં બનાસકાંઠાના પાલનપુરમાંથી આ પ્રકારનો કિસ્સો સામે આવ્યો હતો જેમાં એક મુસ્લિમ વ્યક્તિ ઈલિયાસ માંકણોજીયાએ પોતાની પત્નીને ટ્રિપલ તલાક આપી દીધા કેમ કે તેને બાળકો નહોતા થતા અને બાદમાં પરત અપનાવવાનું કહીને ઇસ્લામિક રીત મુજબ પોતાના બનેવી સાથે હલાલા કરાવી દીધા હતા. જે પછી તેણે તે મહિલાને અપનાવવાની ના પડી દીધી. જે બાબતે પછીથી પોલીસ ફરિયાદ નોંધાઈ હતી.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં