Wednesday, May 1, 2024
More
    હોમપેજક્રાઈમમોરબી: ફટાકડા ફોડવા બાબતે હિંદુ યુવકને રહેંસી નાખનાર મહોમ્મદ વલીને આકરી સજા...

    મોરબી: ફટાકડા ફોડવા બાબતે હિંદુ યુવકને રહેંસી નાખનાર મહોમ્મદ વલીને આકરી સજા આપવા માંગ, ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવા કલેક્ટરને આવેદન પાઠવ્યું

    ઉશ્કેરાયેલા મહોમ્મદે પોતાની પાસે રહેલી છરી કાઢીને છોડાવવા વચ્ચે પડેલા રાજેશ ગઢવીના છાતીમાં હુલાવી દીધી હતી. જે બાદ તેમને ગંભીર હાલતમાં પહેલા મોરબીની સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ફરજ પર હાજર તબીબોએ રાજેશની હાલત વધુ ગંભીર હોવાથી તેમને વધુ સારવાર અર્થે રાજકોટ રેફર કર્યા હતા.

    - Advertisement -

    મોરબીમાં થોડા દિવસ અગાઉ ફટાકડા ફોડવા બાબતે મહોમ્મદ વલી જામ નામના મુસ્લિમ વ્યક્તિએ હિંદુ યુવકની હત્યા કરી નાંખી હતી. મોરબી પંથકમાં આ હત્યાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા. સ્થાનિક હિંદુ સમાજ તેમજ સંગઠનોમાં પણ ઘટનાને લઈને આક્રોશ ફાટી નીકળ્યો છે. નજીવી બાબતમાં ખેલવામાં આવેલા આ ખૂની ખેલ બાદ હિંદુ સંગઠનોએ આરોપીને આકરામાં આકરી સજા આપવા કલેકટરને આવેદન પાઠવ્યું હતું. આ આવેદનમાં તેવી પણ માંગ કરવામાં આવી છે કે, આરોપીએ સરકારી જમીન પર કબજો કરીને ગેરકાયદેસર બાંધકામ કર્યું છે તેને તોડી પાડવામાં આવે.

    મળતી માહિતી અનુસાર ગત 7 નવેમ્બર 2023ના રોજ મોરબીના લાભનગર વિસ્તારમાં રહેતો મહોમ્મદ વલી જામ હિંદુ પરિવારના ઘરની બહાર ફટાકડા ફોડી રહ્યો હતો. જેમના ઘરની બહાર મહોમ્મદ ફટાકડા ફોડી રહ્યો હતો તે લાખા ગઢવીના પત્નીને મગજની બીમારી હોવાના કારણે તેમણે મહોમ્મદને દૂર જઈ ફટાકડા ફોડવા જણાવ્યું હતું. ફટાકડા ફોડવાની ના પડતા ઉશ્કેરાયેલા મહોમ્મદે લાખા ગઢવી સાથે ઝઘડો કર્યો હતો. આ દરમિયાન નજીકમાં જ રહેતા રાજેશ ગઢવી સમાધાન કરાવવા વચ્ચે પડતા મહોમ્મદ વલી વધુ ઉશ્કેરાયો હતો.

    ઉશ્કેરાયેલા મહોમ્મદે પોતાની પાસે રહેલી છરી કાઢીને છોડાવવા વચ્ચે પડેલા રાજેશ ગઢવીની છાતીમાં હુલાવી દીધી હતી. જે બાદ તેમને ગંભીર હાલતમાં પહેલા મોરબીની સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ફરજ પર હાજર તબીબોએ રાજેશની હાલત વધુ ગંભીર હોવાથી તેમને વધુ સારવાર અર્થે રાજકોટ રેફર કર્યા હતા. રાજકોટ પહોંચ્યા બાદ પણ રાજેસની હાલતમાં કોઈ સુધારો નહોતો થયો અને અંતે સારવાર દરમિયાન તેમણે દમ તોડી દીધો હતો.

    - Advertisement -

    નજીવી બાબતમાં થયેલી તકરારમાં મહોમ્મદ વલીએ હિંદુ યુવકને રહેંસી નાંખતા આખા પંથકમાં સોંપો પડી ગયો હતો. ઘટનાની જાણ પોલીસને થતાં જ પોલીસે આરોપી મહોમ્મદ વલી જામની હત્યાના ગુનામાં ધરપકડ કરી લીધી હતી. સાથે જ ઘટની સંવેદનશીલતાને જોતા પોલીસે લાભનગરમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો. બીજી તરફ આ હત્યાના બનાવથી સ્થાનિક હિંદુઓ અને હિંદુવાદી સંગઠનોમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો .

    ગુનાહિત માનસિકતા ધરાવે છે આરોપી, GUJCTOC અંતર્ગત કાર્યવાહીની હિંદુ સંગઠનોની માંગ

    મોરબીમાં હિંદુ યુવકની હત્યા બાદ ઘટનાના વિરોધમાં હિંદુ સંગઠનોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. આરોપી મહોમ્મદ વલી જામ ક્રિમીનલ માઈન્ડેડ હોવાની તેમજ ગુનાહિત ઈતિહાસ ધરાવતો હોવાના દાવા સાથે સંગઠનોએ તેના વિરુદ્ધ GUJCTOC (ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઇઝ ક્રાઇમ) હેઠળ કાર્યવાહીની માંગ સાથે કલેક્ટરને આવેદન પત્ર આપ્યું હતું.

    આ મામલે વિગતે માહિતી મેળવવા ઑપઇન્ડિયાએ સ્થાનિક હિંદુ સંગઠનના અગ્રણી કમલેશ આહીરનો સંપર્ક કર્યો હતો. તેમણે ઑપઇન્ડિયાને જણાવ્યું હતું કે, “આરોપી ગંભીર ગુનાહિત પ્રવુત્તિ સાથે સંકળાયેલો છે. તે આ વિસ્તારમાં માથાભારે તરીકેની છાપ ધરાવે છે અને સ્થાનિક લોકોમાં તેનો ઘણો ડર છે. તેના વિરુદ્ધ આ પહેલા પણ મારામારી સહિતના ગુના નોંધાયેલા છે. આ પ્રકારની માનસિકતા ધરાવતો વ્યક્તિ સમાજ માટે ખતરા રૂપ હોઈ તેના વિરુદ્ધ GUJCTOC અંતર્ગત કાર્યવાહી કરવા હિંદુ સંગઠનોએ જિલ્લા કલેકટરને આવેદન પત્ર પાઠવ્યું છે.” આ ઉપરાંત કમલેશ આહિરે તેમ પણ જણાવ્યું હતું કે આ પહેલા આરોપીએ એક હિંદુ મંદિર પર પણ હુમલો કરી ચુક્યો છે.

    સરકારી જમીન પર અતિક્રમણ કરીને કર્યું છે બાંધકામ, બુલડોઝર એક્શન લેવામાં આવે: હિંદુ સંગઠનો

    આ મામલે વધુ માહિતી આપતા કમલેશે ઑપઇન્ડિયાને જણાવ્યું હતું કે આરોપીએ સામાકાંઠા વિસ્તારમાં સરકારી જમીન પર ગેરકાયદેસર કબજો કર્યો છે. તેમણે કહ્યું કે, “આ મામલે હિંદુ યુવા વાહિની અને બજરંગદળ સહિતના સંગઠનોએ કલેકટરને આવેદન પત્ર પાઠવીને રજૂઆત કરી હતી. આ પત્રમાં અમે જણાવ્યું છે કે આરોપી ખરાબાની સરકારી મિલકત પર બાંધકામ કરીને ગેરકાયદેસર રીતે વસવાટ કરે છે. આ લોકોએ સરકારી જમીન પર મઝહબી ઢાંચાઓ પણ ઉભા કર્યા છે. આ પ્રકારના દબાણો દુર કરીને અમે બુલડોઝર એક્શનની માંગ કરી છે. કલેકટર દ્વારા અમને આગામી દિવસોમાં તપાસ કરીને દબાણની ખરાઈ કરીને જો વાંધાજનક બાંધકામ જણાશે તો કાર્યવાહી કરવાની બાહેંધરી આપી છે.”

    કમલેશ આહિરના જણાવ્યા અનુસાર આ પહેલા પણ આરોપી વિરુદ્ધ અનેક વાર રજૂઆત કરવામાં આવી હતી પરંતુ આ રજૂઆતોને ધ્યાને નહોતી લેવામાં આવી. કમલેશે કહ્યું હતું કે જો જે તે સમયે જ આરોપી વિરુદ્ધ કડક પગલા લઇ લેવામાં આવ્યા હોત તો હિંદુ યુવકની હત્યા ન થઇ હોત. હાલ મોરબી પોલીસ આરોપી વિરુદ્ધ ધારાધોરણ મુજબ કાર્યવાહી કરી રહી છે. ઑપઇન્ડિયા પાસે હિંદુ સંગઠનો દ્વારા આપવામાં આવેલા બંને આવેદનપત્રોની નકલો ઉપલબ્ધ છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં