Sunday, October 27, 2024
More
    હોમપેજદેશ'2026માં ગગનયાન, ચંદ્રયાન-4 2028માં': ISRO ચીફે આગામી સ્પેસ પ્રોજેક્ટ્સની સંભવિત તારીખોનું કર્યું...

    ‘2026માં ગગનયાન, ચંદ્રયાન-4 2028માં’: ISRO ચીફે આગામી સ્પેસ પ્રોજેક્ટ્સની સંભવિત તારીખોનું કર્યું એલાન

    ISRO ચીફ એસ સોમનાથે જણાવ્યું હતું કે, માનવયુક્ત અંતરીક્ષ મિશન ગગનયાનને 2026માં લૉન્ચ કરવાની યોજના બનાવી છે. આ ઉપરાંત સેમ્પલ રિટર્ન મિશન ચંદ્રયાન-4ને પણ સંભવિત 2028માં લૉન્ચ કરવામાં આવશે.

    - Advertisement -

    ISRO ચીફ એસ સોમનાથે (S Somanath) ભારતના આગામી મિશનોને લઈને મહત્વપૂર્ણ જાણકારી આપી છે. આકાશવાણી પર સરદાર પટેલ મેમોરિયલ વ્યાખ્યાન આપતા સમયે તેમણે ગગનયાન (Gaganyaan) અને ચંદ્રયાન-4 (Chandrayaan-4) મિશનને લૉન્ચ કરવાની સંભવિત તારીખો વિશે પણ જાણકારી આપી છે. આ ઉપરાંત તેમણે કહ્યું છે કે, ગ્લોબલ સ્પેસ ઇકોનોમીમાં ભારતનું યોગદાન 2% છે, જેને એક દાયકામાં વધારીને 10% સુધી લઈ જવાનું લક્ષ્ય છે. આ ઉપરાંત તેમણે સ્વદેશી સંસાધનોનો ઉપયોગ કરવા પર વધુ ભાર પણ આપ્યો હતો.

    વ્યાખ્યાન દરમિયાન ISRO ચીફ એસ સોમનાથે જણાવ્યું હતું કે, માનવયુક્ત અંતરીક્ષ મિશન ગગનયાનને 2026માં લૉન્ચ કરવાની યોજના બનાવી છે. આ ઉપરાંત સેમ્પલ રિટર્ન મિશન ચંદ્રયાન-4ને પણ સંભવિત 2028માં લૉન્ચ કરવામાં આવશે. તે સિવાય તેમણે જણાવ્યું હતું કે, ભારત અને અમેરિકાના સંયુક્ત મિશન NISARને 2025માં લૉન્ચ કરવા માટેની યોજના બનાવવામાં આવી છે.

    તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ચંદ્રયાન-5 જાપાનની સ્પેસ એજન્સી JAXA સાથેનું સંયુક્ત મૂન-લેન્ડિંગ મિશન હશે. ભારત અને જાપાનના સંયુક્ત ઉપક્રમે લૉન્ચ થનારું તે મિશન LUPEXના નામથી ઓળખાશે. જોકે, આ મિશનની તારીખ વિશે કોઈ માહિતી આપવામાં આવી નથી, પરંતુ, ચંદ્રયાન-4 બાદ જ તેને લૉન્ચ કરવામાં આવશે તે નક્કી છે. તેથી તે મિશનને 2028 બાદ પાર પાડવાની યોજના બની શકે છે.

    - Advertisement -

    LUPEX વિશેની માહિતી આપતા તેમણે જણાવ્યું હતું કે, તે ખૂબ મહત્વપૂર્ણ મિશન હશે. ચંદ્રયાન-3નું રોવર માત્ર 27 કિલોગ્રામનું હતું, જ્યારે આ મિશનનું રોવર 350 કિલોગ્રામનું હશે. સોમનાથે ઇન્ડિયન એક્સપ્રેસને કહ્યું છે કે, “LUPEX મિશનમાં લેન્ડર ભારત તરફથી આપવામાં આવશે, જ્યારે રોવર જાપાન દ્વારા બનાવવામાં આવશે. આ એક એવું મિશન છે, જે આપણને ચંદ્ર પર મનુષ્યોને ઉતારવા માટેની યોજનામાં એક પગલું નજીક લઈ જશે.” નોંધવા જેવું છે કે, ISROએ 2040 સુધીમાં ચંદ્ર પર માનવયુક્ત મિશન મોકલવાની યોજના બનાવી છે.

    ગ્લોબલ સ્પેસ ઇકોનોમીમાં ભારતનું યોગદાન વધારવાનું લક્ષ્ય

    આકાશવાણીમાં પોતાના સંબોધન દરમિયાન એસ સોમનાથે સ્પેસ સેક્ટરને આગળ વધારવા માટેની જરૂરિયાત પર પણ ભાર આપ્યો હતો અને તેના માટે તેમણે સ્વદેશી સંસાધનોનો ઉપયોગ અને નિર્માણ કરવા પર વધુ ભાર આપ્યો હતો. તેમણે કહ્યું છે કે, તાજેતરમાં ગ્લોબલ સ્પેસ ઇકોનોમીમાં ભારતનું યોગદાન 2% છે, પરંતુ આગામી 10-12 વર્ષમાં તેને વધારીને 10% સુધી લઈ જવાનું લક્ષ્ય છે. તેમણે કહ્યું છે કે, આ વિકાસ માટે પ્રાઇવેટ સેક્ટરની ભાગીદારી અને ઉદ્યમશીલતાને સક્ષમ બનાવતી નીતિઓની જરૂર છે.

    તેમણે વધુમાં કહ્યું છે કે, “ઘણા મોટા અને નાના ઉદ્યોગોએ સ્પેસ સેક્ટરમાં રોકાણ કરવાની તૈયારીઓ દર્શાવી છે અને ISRO તેને આમાં ભાગ લેવા માટેની તમામ મદદ કરવાના પ્રયાસો કરશે. ઘણી બધી એવી ગતિવિધિઓ છે, જે પારંપરિક ISRO દ્વારા જ કરવામાં આવી રહી રહી હતી, આજે તે ખાનગી ઉદ્યોગો દ્વારા કરવામાં આવી રહી છે.”

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં