પશ્ચિમ બંગાળની કલકત્તા હાઈકોર્ટના એક આદેશની હમણાં ચારેકોર ચર્ચા થઈ રહી છે. બુધવારે (22 મે) એક આદેશમાં કોર્ટે 2010 બાદ રાજ્ય સરકાર દ્વારા ઇસ્યુ કરવામાં આવેલાં તમામ OBC સર્ટિફિકેટ રદબાતલ ઠેરવવાનો આદેશ આપ્યો. આ આદેશથી લગભગ 5 લાખ લોકોને અસર થશે તેમ કહેવાય રહ્યું છે. જોકે, કોર્ટે જેઓ OBC અનામત હેઠળ લાભ લઇ ચૂક્યા છે કે જેમની ભરતીપ્રક્રિયા ચાલી રહી છે તેવા લોકોને આ આદેશમાંથી બાકાત રાખ્યા છે. તે સિવાય 2010 પહેલાં જે 66 સમુદાયોને OBCમાં સમાવવામાં આવ્યા હતા તેમને પણ આ આદેશથી અસર થશે નહીં.
બંગાળ સીએમ મમતા બેનર્જીને આ આદેશ પસંદ આવ્યો નથી અને તેમણે જાહેરમાં અસહમતિ દર્શાવી છે. એક રેલીમાં તેમણે કહ્યું કે, “હું કોર્ટનું સન્માન કરું છું, પણ જે આદેશ કહેતો હોય કે મુસ્લિમોને OBC અનામતથી દૂર રાખવા જોઈએ, તેને હું સ્વીકારીશ નહીં. OBC અનામત ચાલુ રહેશે. જરૂર પડે તો અમે ઉપલી કોર્ટમાં જઈશું.”
મમતા બેનર્જી કેમ આટલાં બેબાકળાં બની રહ્યાં છે તેવો પ્રશ્ન થતો હોય તો તેનો જવાબ આ ચુકાદામાં જ છે. હાઈકોર્ટના આદેશથી 77 સમુદાયોને અપાયેલો OBCનો દરજ્જો પરત લઇ લેવામાં આવશે. જેમાંથી 75 મુસ્લિમ સમૂહો છે. આ સમુદાયોને 2010 પછી લેફ્ટની સરકાર અને પછી આવેલી મમતા બેનર્જીની તૃણમૂલ કોંગ્રેસની સરકારે OBC દરજ્જો આપ્યો હતો.
![](https://i0.wp.com/gujarati.opindia.com/wp-content/uploads/sites/7/2024/05/Screenshot-2024-05-23-at-6.06.11 PM.png?resize=696%2C416&ssl=1)
ડેટા જોઈએ તો 77 સમુદાયો જેમનાં OBC સર્ટિફિકેટ રદ કરવામાં આવ્યાં છે, તેમાંથી 42ને અગાઉની લેફ્ટ સરકાર દ્વારા OBCનો દરજ્જો આપવામાં આવ્યો હતો. જેમાંથી 41 સમુદાયો મુસ્લિમ હતા, એટલે કે યાદીમાં માત્ર એક જ હિંદુ સમુદાય હતો. 2010 સુધી લેફ્ટની સરકાર રહી અને 2011માં મમતા બેનર્જીની TMCની સરકાર આવી તો તેમણે વધુ 35 સમુદાયોને OBCનો દરજ્જો આપ્યો. તેમાંથી પણ 34 સમુદાય મુસ્લિમ હતા. કુલ સરવાળો કરીએ તો 77 સમુદાયો પૈકી 75 મુસ્લિમ સમુદાયો છે.
![](https://i0.wp.com/gujarati.opindia.com/wp-content/uploads/sites/7/2024/05/Screenshot-2024-05-23-at-6.05.25 PM.png?resize=696%2C233&ssl=1)
નોંધવું જોઈએ કે પશ્ચિમ બંગાળમાં 17% OBC અનામત આપવામાં આવે છે, જેને બે બકેટમાં વાંચવામાં આવ્યું છે. OBC A, જેના 10% છે અને જેમાં 81 સમુદાયો છે. જેમાંથી 56 મુસ્લિમ સમુદાય છે. OBC B, જેને 7% અનામત મળે છે અને તેમાં 99 સમુદાયો છે. જેમાંથી 41 સમુદાયો મુસ્લિમ છે.
આદેશમાં જણાવવામાં આવ્યું કે વર્ષ 2010માં પશ્ચિમ બંગાળ સરકારે (ત્યારે ડાબેરી મોરચાની સરકાર હતી) પછાત વર્ગના મુસ્લિમો માટે 10% અનામતની ઘોષણા કરી હતી. રાજ્ય સરકારના OBC કમિશને 42 સમુદાયોની ભલામણ કરી હતી, જેમાંથી 41 મુસ્લિમ હતા. આ ભલામણની તરત બાદ રાજ્ય સરકારે તમામને લિસ્ટમાં સામેલ કરી દીધા. પછીથી 2011માં મમતા સરકાર આવી ત્યારે એક વર્ષ બાદ મે, 2012માં એક નોટિફિકેશન દ્વારા વધુ 35 વર્ગોને યાદીમાં સમાવી દીધા.
‘ચૂંટણીમાં ફાયદા માટે કરવામાં આવ્યું હોય તેવી શંકા નકારી ન શકાય’
કોર્ટે આદેશમાં કહ્યું કે, “આ કોર્ટ એવો મત ધરાવે છે કે મુસ્લિમ સમુદાયના 77 વર્ગોને પછાત ટ્રિક ગણવા એ સમગ્ર મુસ્લિમ સમુદાય સાથે તિરસ્કાર છે. કોર્ટ એવો પણ સંશય કરી શકે છે કે આ સમુદાયો સાથે રાજકીય લાભ માટે ‘કોમોડિટી’ તરીકે વર્તન કરવામાં આવ્યું હોય.” આગળ કહેવામાં આવ્યું કે, “ચૂંટણીમાં ફાયદા માટે અમુક વર્ગોને OBCનો દરજ્જો આપવાથી તેઓ જે-તે સરકારની દયા હેઠળ આવી જશે અને તેમને અન્ય હકો નહીં મળે. આ પ્રકારનું અનામત આપવું એ લોકશાહી અને ભારતના બંધારણનું પણ અપમાન છે.”
કોર્ટે આદેશમાં કહ્યું કે, “અધિકારીઓએ બંધારણીય જોગવાઈઓનું ઉલ્લઘન કર્યું છે અને બંધારણીય માપદંડોથી હટીને ભેદભાવો આચર્યા છે. એવો કોઇ પણ ડેટા સાર્વજનિક કરવામાં નહતો આવ્યો, જેનાથી એ સુનિશ્ચિત થઈ શકે કે જે-તે સંબંધિત સમુદાયને પશ્ચમ બંગાળ સરકાર હેઠળની સેવાઓમાં પર્યાપ્ત પ્રતિનિધિત્વ મળી રહ્યું નથી.” કોર્ટે સ્પષ્ટ કર્યું કે વૈજ્ઞાનિક ડેટાના આધારે કોઇ પણ વર્ગને તે પછાત હોય તેનાથી માત્ર OBCમાં સમાવી શકાય નહીં, પણ સાથે તેનું સરકારની સેવાઓમાં પ્રતિનિધિત્વ કેટલું છે તે પણ ધ્યાનમાં લેવું પડે છે. અને આ સરખામણી સમગ્ર વસ્તીની સાપેક્ષે (જેમાં બિનઅનામત વર્ગો પણ આવી ગયા) કરવી પડે છે.
નિયમોનું પાલન કરવામાં ન આવ્યું: કોર્ટ
કોર્ટે એમ કહીને તેમનાં સર્ટિફિકેટ રદ કરી દીધાં છે કે આ સમુદાયોને OBC સર્ટિફિકેટ આપવામાં નિયમોનું અને કાયદાનું પાલન કરવામાં આવ્યું ન હતું. આદેશમાં વેસ્ટ બેંગાલ કમિશન ફોર બેકવર્ડ ક્લાસિસ એક્ટ ઑફ 1993ને ટાંકીને જણાવવામાં આવ્યું છે કે OBCના સબ-ક્લાસિફિકેશન તેમજ ક્લાસ કે સબ-ક્લાસ માટેના અનામતની ટકાવારી નક્કી કરવા માટે કમિશન સાથે પરામર્શ ફરજિયાત છે, જે પ્રક્રિયા કરવામાં આવી ન હતી.
આદેશમાં કહેવાયું કે, બંધારણના આર્ટિકલ 16(4)માં બે વિભાગો છે. એક ‘પછાતપણા’ને નક્કી કરવા માટેનો અને બીજો એ નક્કી કરવા માટે કે જે-તે સમુદાય સરકાર હેઠળની સેવાઓમાં પૂરતું પ્રતિનિધિત્વ મેળવી રહ્યો છે કે કેમ. પરંતુ આ કેસમાં ‘પછાતપણું’ નક્કી કરવા માટે જરૂરી પ્રક્રિયા જ પૂર્ણ કરવામાં આવી ન હતી. સાથે કોર્ટે 2012ના એ આદેશ પર પર સવાલો ઉઠાવ્યા જેનાથી રાજ્ય સરકારને (ત્યારે મમતા સરકાર હતી) ગેજેટ નોટિફિકેશન થકી OBC યાદીમાં વર્ગોને સમાવવાની સત્તા મળી હતી.
કોર્ટે ચુકાદામાં નોંધ્યું કે રાજ્ય સરકારે બિનજરૂરી ઉતાવળ કરીને તેજ ઝડપથી આ પ્રક્રિયાઓ પૂર્ણ કરી દીધી હતી અને 77 વર્ગોને OBCમાં સમાવવાની ભલામણ કરીને કામ પાર પાડવામાં આવ્યું હતું. તે માટે કમિશન દ્વારા ન તો યાદીમાં સમાવવા માટે અરજીઓ મંગાવવામાં આવી, ન અગાઉથી યાદી તૈયાર કરવામાં આવી કે ન જનતા દ્વારા વાંધાઅરજી મંગાવવામાં આવી હતી અને આ પ્રક્રિયાઓના પાલન વગર જ OBC યાદીમાં તેમને સમાવી દેવામાં આવ્યા હતા.