Monday, September 23, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટતિરુપતિ પ્રસાદ વિવાદની તપાસ કરશે SIT, આંધ્ર પ્રદેશ સરકારે કર્યું સમિતિનું ગઠન:...

    તિરુપતિ પ્રસાદ વિવાદની તપાસ કરશે SIT, આંધ્ર પ્રદેશ સરકારે કર્યું સમિતિનું ગઠન: મંદિર શુદ્ધિકરણ માટે TTDએ કર્યો મહાશાંતિ હોમ

    તિરુપતિ પ્રસાદ વિવાદની ગંભીરતાને ધ્યાને રાખીને આંધ્ર પ્રદેશ સરકાર પણ એક્શનમાં આવી ગઈ છે. સરકારે સમગ્ર પાસાની તપાસ માટે સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમનું (SITનું) ગઠન કર્યું છે. SITની આગેવાની ઇન્સ્પેકટર જનરલ (IG) અથવા તો તેનાથી પણ ઉપરના અધિકારીઓ કરશે.

    - Advertisement -

    આંધ્ર પ્રદેશના (Andhra Pradesh) તિરુપતિ મંદિરમાં (Tirupati Mandir) લડ્ડુ પ્રસાદમાં જાનવરોની ચરબી અને ફિશ ઓઇલના ઉપયોગ પર સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. અરજીમાં માંગણી કરવામાં આવી હતી કે, સુપ્રીમ કોર્ટ આ અંગેની તપાસ માટે વિશેષ ટીમનું ગઠન કરે અને યોગ્ય તપાસ હાથ ધરે. બીજી તરફ આંધ્ર પ્રદેશ સરકારે SITનું ગઠન પણ કરી દીધું છે અને હવે તિરુપતિ પ્રસાદ વિવાદની સમગ્ર તપાસ SIT કરશે તેવો નિર્ણય પણ થઈ ચૂક્યો છે. તે સિવાય તિરુમલા તિરુપતિ દેવસ્થાનમ (TTD)એ મંદિર શુદ્ધિકરણ માટે મહાશાંતિ હોમ પણ કર્યો છે. દેવસ્થાનમના મતે શ્રદ્ધાળુઓના મનમાં ઉઠેલી શંકાને શાંત કરવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

    સોમવારે (23 સપ્ટેમ્બર) આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુના (Chandrababu Naidu) આદેશ પર તિરુપતિ મંદિર પરિસરમાં શુદ્ધિકરણ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. તિરુમાલાના શુદ્ધિકરણ માટે ‘મહાશાંતિ હોમ પંચગવ્ય પ્રોક્ષણ’નું આયોજન થયું હતું. તે માટે મોટી સંખ્યામાં વિદ્વાન બ્રાહ્મણો પણ મંદિર પરિસરમાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. ઘટનાના વિવાદને લઈને શ્રદ્ધાળુઓના મનના હવે પછી કોઈ શંકા ન રહે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે.

    આ ઉપરાંત તિરુપતિ પ્રસાદ વિવાદની ગંભીરતાને ધ્યાને રાખીને આંધ્ર પ્રદેશ સરકાર પણ એક્શનમાં આવી ગઈ છે. સરકારે સમગ્ર પાસાની તપાસ માટે સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમનું (SITનું) ગઠન કર્યું છે. માહિતી અનુસાર, SITની આગેવાની ઇન્સ્પેકટર જનરલ (IG) અથવા તો તેનાથી પણ ઉપરના અધિકારીઓ કરશે. SIT તમામ પાસાઓની વિગતવાર તપાસ કરશે, જેમાં સત્તાનો દુરુપયોગ પણ સામેલ છે. તપાસ બાદ રિપોર્ટ સરકારને સોંપવામાં આવશે. મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુનું કહેવું છે કે, રિપોર્ટના આધારે દોષિતો વિરુદ્ધ સરકાર કડકમાં કડક પગલાં ભરશે. જેથી આવી ઘટનાઓ ફરી સામે ન આવે.

    - Advertisement -

    ઘીની તપાસ માટે TTD સ્થાપિત કરશે પોતાની લેબ

    તિરુપતિમાં બનતા પ્રસાદમાં યોગ્ય ઘીનો ઉપયોગ થાય તે સુનિશ્ચિત કરવા TTD તેની પોતાની લેબ પણ સ્થાપશે. TTDએ માહિતી આપી છે કે, નેશનલ ડેરી ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ (NDDB)એ તેમને ₹75 લાખના ઘી પરીક્ષણ સાધનોનું દાન કરવાનો નિર્ણય કર્યો છે, તે ડિસેમ્બર સુધીમાં આવી જશે. હાલ તિરુપતિમાં એક નિષ્ણાંત ટીમને પણ તૈનાત કરવામાં આવી છે, જે ઘીના સેમ્પલની પણ તપાસ કરી રહી છે. TTD દર વર્ષે એક કાર્યક્રમનું પણ આયોજન કરશે, જેમાં TTD અધિકારીઓ અને મંદિર સાથે જોડાયેલા લોકો તેમની ભૂલો માટે ભગવાન વિષ્ણુ પાસે માફી માંગશે.

    નોંધનીય છે કે, તાજેતરમાં જ એવું કહેવામાં આવ્યું હતું કે, તિરુપતિ મંદિરમાં પ્રસાદ તરીકે વહેંચવામાં આવતા લાડુ બનાવવામાં જાનવરોની ચરબી અને માછલીના તેલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. લેબોરેટરી ટેસ્ટમાં પણ આ વાતની પુષ્ટિ થઈ હતી. આંધ્ર પ્રદેશની ચંદ્રબાબુ નાયડુ સરકારે કહ્યું હતું કે, આ કારસ્તાન અગાઉની જગન મોહન રેડ્ડી સરકાર દરમિયાન થયું હતું. હાલ આ વિવાદને લઈને તપાસ ચાલી રહી છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં