Thursday, April 25, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટગુજરાતનાં શહેરી વિસ્તારમાં આવેલ એકમાત્ર વન એવા ભાવનગરના વિક્ટોરીયા પાર્કનું નામ બદલીને...

    ગુજરાતનાં શહેરી વિસ્તારમાં આવેલ એકમાત્ર વન એવા ભાવનગરના વિક્ટોરીયા પાર્કનું નામ બદલીને સ્વામી વિવેકાનંદ પાર્ક કરાશે: શિક્ષણમંત્રીની જાહેરાત

    ભાવનગરનું સુપ્રસિદ્ધ વિક્ટોરિયા પાર્ક હવે સ્વામી વિવેકાનંદ પાર્ક તરીકે ઓળખાશે તેવી જાહેરાત શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ આજે કરી છે.

    - Advertisement -

    ભાવનગરમાં યોજાયેલ એક કાર્યક્રમ દરમિયાન ભાવનગરના ધારાસભ્ય અને ગુજરાતનાં શિક્ષણમંત્રી એવા જીતુ વાઘાણીએ જાહેરાત કરી હતી કે પ્રખ્યાત વિક્ટોરીયા પાર્ક વન વિસ્તારનું નામ બદલીને સ્વામી વિવેકાનંદ પાર્ક કરવામાં આવશે. આઝાદીના અમૃત મહોત્સવના ભાગરૂપે દેશભરમાં જુદા જુદા સ્થાનોના નામનું ભારતીયકરણ કરવાની મુહિમ અંતર્ગત આ કામ થશે.

    ભાવનગર શહેરની વચ્ચે આવેલું ઐતિહાસિક વિક્ટોરિયા પાર્ક કે જે ભાવનગરના રાજવી પરિવારની દેન છે, તેનું નામ આગામી સમયમાં બદલીને સ્વામી વિવેકાનંદ પાર્ક કરવામાં આવનાર છે. આ જાહેરાત શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ કરી હતી. શિક્ષણમંત્રી અને ભાવનગરના ધારાસભ્યએ આ પાર્કનું નામ સ્વામી વિવેકાનંદ પાર્ક રાખવાની જાહેરાત કરી હતી. આમ હવે વિવિધ સ્મારકોને દેશના ગૌરવવંતા ઇતિહાસ સાથે સંકળાયેલા લોકો સાથે જોડી સાચા અર્થમાં આઝાદીનો ઉત્સવ ઉજવવામાં આવી રહ્યો છે એમ માની શકાય છે.

    ગુજરાત સરકારના કેબીનેટ મંત્રી અને ભાવનગરના ધારાસભ્ય જીતુ વાઘાણીએ એમ્બ્યુલન્સ વાનના લોકાર્પણ કાર્યક્રમમાં આ જાહેરાત કરી હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આઝાદીના અમૃત મહોત્સવના ભાગરૂપે જે અંગ્રેજી નામો છે તેને હવે બદલવાના છે. ભાવનગરમાં વિક્ટોરિયા પાર્કનું નામ પણ હવે વિવેકાનંદ પાર્ક કરવામાં આવનાર છે.

    - Advertisement -

    ઐતિહાસિક વિક્ટોરીયા પાર્કનો ઇતિહાસ

    ગુજરાતનાં ભાવનગર શહેરમાં આવેલું વિક્ટોરીયા પાર્ક આરક્ષિત શહેરી વન વિસ્તાર છે. આ વન વિસ્તારની સ્થાપના 24 મે 1888ના રોજ ભાવનગરના રાજવંશના તત્કાલીન મહારાજા તખ્તસિંહજી જસવંતસિહજી દ્વારા કરવામાં આવી હતી. એક અહેવાલ મુજબ મહારાજા તખ્તસિંહજીના સમયમાં ભારતમાં ઈંગ્લેન્ડના મહારાણી એલેકઝાન્ડ્રીયા વિક્ટોરિયાનું શાસન હતું અને તેમના જન્મોત્સવ 24 મે ના રોજ હતો. જેથી ભાવનગરના રાજાએ આ જ દિવસે આ પાર્કને વિક્ટોરિયા પાર્ક નામકરણ કરી ખુલ્લો મુક્યો હતો. તે સમયે મોટા પર્વ જેવી રીતે આ ઉજવણી કરવામાં આવી હતી. 101 અશ્વસવારો અને દરબારી લશ્કરની કવાયતો યોજાઇ હતી.

    વિક્ટોરિયા પાર્કમાં આવેલ પ્રકૃતિ શિક્ષણ કેન્દ્ર (ફોટો : ગુજરતા સમાચાર)

    આ વન વિસ્તાર 202 હેક્ટરમાં ફેલાયેલો છે. આ વિસ્તારમાં એક વન ભોજનશાળા અને બાળકો માટેનું રમતગમતનું ઉદ્યાન પણ આવેલું છે. ભોજનશાળાનું નામ મિસ્ત્રી હરીલાલ છે. આ ઉપરાંત પાર્કની અંદર કૃષ્ણકુંજ તળાવ આવેલું છે. જેમાં એક ટાપુ પર અનેક પ્રકારના પક્ષીઓ વસવાટ કરે છે. જેમાં અનેક પ્રકારના બગલા,ચમચા અને જળકાગડાઓના માળાની વસાહત છે. તળાવની પશ્રિમ દિશામાં બકી હીલ તરીકે ઓળખાતી ટેકરી આવેલી છે. જેના ઉપરથી વિક્ટોરીયા પાર્ક, કૃષ્ણકુંજ તળાવ અને ગૌરીશંકર તળાવનું દ્રશ્ય જોઈ શકાય છે.

    આ પાર્કમાં 241 પ્રકારની વનૌષધિઓ અને 69 પ્રકારના વૃક્ષો આવેલા છે. જેમાં અરડૂસો, આમલી આસોપાલવ ઈંગોરિયા, ઉમરો, અરીઠા, અર્જુન, આપ્ટો સહિત અનેક વૃક્ષો આવેલા છે. આ પાર્કમાં 166 પ્રકારના પક્ષીઓ અને 13 પ્રકારના સાપ જોવા મળે છે. સાથે અનેક જીવ સૃષ્ટિનું કાયમી વસવાટ છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં