Saturday, April 20, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટસરકારની ડિજિટલ સ્ટ્રાઇક: ‘રેડિયો પાકિસ્તાન’ સહિત પાંચ પાકિસ્તાની અકાઉન્ટ બ્લૉક કર્યાં, અગાઉ...

    સરકારની ડિજિટલ સ્ટ્રાઇક: ‘રેડિયો પાકિસ્તાન’ સહિત પાંચ પાકિસ્તાની અકાઉન્ટ બ્લૉક કર્યાં, અગાઉ 6 પાકિસ્તાની યુ-ટ્યુબ ચેનલો પર પ્રતિબંધ મૂક્યો હતો

    યુએનમાં પાકિસ્તાની દૂતાવાસ તેમજ તૂર્કી, ઈરાન અને ઇજિપ્ત જેવા દેશોમાં આવેલ પાકિસ્તાનના દૂતાવાસના અધિકારીક ટ્વિટર હેન્ડલને પણ ભારતમાં પ્રતિબંધિત કરી દેવામાં આવ્યાં છે.

    - Advertisement -

    કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે હવે સોશિયલ મીડિયા પર ભારત વિરોધી અપપ્રચાર કરતા અને દેશને બદનામ કરતાં ટ્વિટર અકાઉન્ટ પર સ્ટ્રાઇક શરૂ કરી છે. ભારત સરકારના આદેશ બાદ ટ્વિટરે પાકિસ્તાનના સ્ટેટ બ્રોડકાસ્ટર ‘રેડિયો પાકિસ્તાન’ તેમજ સંયુક્ત રાષ્ટ્ર, ઈરાન, તૂર્કી અને ઇજિપ્તના પાકિસ્તાની દૂતાવાસના અધિકારીક ટ્વિટર હેન્ડલ બ્લૉક કરી દીધાં છે. આ ઉપરાંત અમુક ટ્વિટરે સરકારના આદેશ બાદ 80 જેટલી પોસ્ટ અને અકાઉન્ટ પણ ડીલીટ કર્યાં છે.

    ટ્વિટરે સોમવારે એક્શન લેતા સોશિયલ મીડિયા પર ભારત વિરોધી અપપ્રચાર ફેલાવતું અને લગભગ 9 લાખ ફોલોઅર્સ ધરાવતું ટ્વિટર હેન્ડલ @RadioPakistan બ્લૉક કરી દીધું હતું. આ ઉપરાંત યુએનમાં પાકિસ્તાની દૂતાવાસ તેમજ તૂર્કી, ઈરાન અને ઇજિપ્ત જેવા દેશોમાં આવેલ પાકિસ્તાનના દૂતાવાસના અધિકારીક ટ્વિટર હેન્ડલને પણ ભારતમાં પ્રતિબંધિત કરી દેવામાં આવ્યાં છે. ભારત સરકારના આદેશ બાદ ટ્વિટરે આ પગલાં લીધાં છે.

    ઉલ્લેખનીય છે કે અગાઉ ભારત સરકારના મહિતી અને પ્રસારણ મંત્રાલયે ભારતની રાષ્ટ્રીય સુરક્ષા અંગે અપપ્રચાર કરતી 16 યુ-ટ્યુબ ચેનલો બ્લૉક કરી દીધી હતી. આ ચેનલો ભય ફેલાવવા અને સાંપ્રદાયિક તણાવ ઉભો કરવા માટે ભારત વિશે ખોટી અને બિન-તથ્યાત્મક માહિતી ફેલાવી રહી હતી.

    - Advertisement -

    લગભગ 68 કરોડ દર્શકો ધરાવતી આ ચેનલો ઉપર ભારતીય સેનાએ, જમ્મુ-કાશ્મીર અને દેશના આંતરરાષ્ટ્રીય સબંધોને લઈને અપપ્રચાર અને ખોટા સમાચારો ફેલાવવામાં આવી રહ્યા હતા. સંપૂર્ણ રીતે ખોટી અને રાષ્ટ્રીય સુરક્ષાને જોખમરૂપ માહિતી ફેલાવનારી આ યુ-ટ્યુબ ચેનલો પર સરકારે પ્રતિબંધ મૂક્યો છે. આ ચેનલોમાં 10 ભારતીય અને 6 પાકિસ્તાની યુ-ટ્યુબ ચેનલો સામેલ હતી.

    તદુપરાંત, ભારત સરકારે ટ્વિટરને આદેશ કર્યા બાદ ટ્વિટરે હિંદુઓ વિરુદ્ધ નફરત ફેલાવતા સીજે વર્લમેનનું અકાઉન્ટ પણ ભારતમાં પ્રતિબંધિત કરી દીધું હતું. હાલમાં જ વર્લમેને ટ્વિટર ઉપર એક બે વર્ષ જૂનો વિડીયો શૅર કરીને હિંદુઓ પર ખોટા આરોપ લગાવ્યા હતા. જે બાદ સરકારે કડક કાર્યવાહી કરવાના આદેશ આપ્યા હતા.

    જોકે, સરકારની ટ્વિટર સ્ટ્રાઇક આટલેથી અટકી નથી. તાજેતરમાં જ સરકારે ટ્વિટરને આદેશ કર્યા બાદ વિવાદાસ્પદ પત્રકાર અને નાણાકીય ફ્રોડનાં આરોપી રાના અય્યુબનું એક ટ્વિટ બ્લૉક કરી દીધું હતું. ટ્વિટમાં રાના અય્યુબે વિવાદિત માળખા જ્ઞાનવાપી વિવાદ મામલે ટિપ્પણી કરીને ન્યાયતંત્ર પર સવાલ ઉઠાવતાં કહ્યું હતું કે ભારતમાં વધુ એક મસ્જિદ ધ્વસ્ત કરવા માટેની તૈયારી ચાલી રહી છે. 

    આ ઉપરાંત, સરકારે ‘કિસાન મોરચા એકતા’ નામનું ટ્વિટર અકાઉન્ટ પર બ્લૉક કરવાના આદેશ આપ્યા હતા. પાંચેક લાખ જેટલા ફોલોઅર્સ ધરાવતું આ ટ્વિટર અકાઉન્ટ ગત વર્ષે ખેડૂત આંદોલન દરમિયાન ખાસ્સું સક્રિય થયું હતું અને અમુક વિવાદાસ્પદ ટ્વિટ અને હૅશટેગ પણ કરવામાં આવ્યા હતા. આ અકાઉન્ટ પણ બ્લૉક કરી દેવામાં આવ્યું છે.

    વિદેશી અપપ્રચાર ફેલાવતા પાકિસ્તાની તત્વો સામે ભારતે કડક વલણ અપનાવ્યું છે અને વિદેશી મંચ પર પણ પાકિસ્તાનને ખુલ્લું પડ્યું છે. જેના ભાગરૂપે જ ભારતમાં પાકિસ્તાની અકાઉન્ટ પર એક્શન લેવામાં આવી રહી છે. તદુપરાંત, ડિજિટલ ફોરેન્સિક, રિસર્ચ એન્ડ ડેટા એનાલિટિક સેન્ટરના એક રિપોર્ટ અનુસાર, ભારતમાં પ્રોપેગેન્ડા ફેલાવવા પાછળ ઘણાં પાકિસ્તાની ટ્વિટર અકાઉન્ટનો હાથ હોવાનું સામે આવ્યું છે. જે બાદ સરકારે એક પછી એક એક્શન લેવા માંડ્યાં છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં