Wednesday, April 24, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટઉંધા લગાવેલા રાષ્ટ્રધ્વજ સાથે સેલ્ફી પોસ્ટ કરવા જતા ઘેરાયા કોંગ્રેસ નેતા શશિ...

    ઉંધા લગાવેલા રાષ્ટ્રધ્વજ સાથે સેલ્ફી પોસ્ટ કરવા જતા ઘેરાયા કોંગ્રેસ નેતા શશિ થરૂર, નેટિઝન્સે ઉઠાવ્યા સવાલ

    વરિષ્ઠ કોંગ્રેસી નેતા શશી થરૂરે ઉત્સાહમાં આવી જઈને પોતાની વિદેશ યાત્રાની પોતાની એકલી સેલ્ફી ટ્વિટર પર શેર તો કરી પરંતુ તેમની એક ભૂલને લીધે તેઓ નેટીઝન્સના રોષનો ભોગ બની ગયા હતા.

    - Advertisement -

    કોંગ્રેસ નેતા શશિ થરૂર ફરીથી ચર્ચામાં આવ્યા છે. હકીકતે, તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર કેટલીક તસવીરો અપલોડ કરી હતી. આ તસવીરો તેમના વિદેશ પ્રવાસની હોવાનું જણાય છે. જેમાંથી એક તસ્વીરમાં તેમણે તિરંગાનો બેજ ઉંધો લગાવ્યો હોવાનું જાણવા મળતા યુઝરોએ ટીકા કરી હતી. યુઝરોએ તેને રાષ્ટ્રધ્વજનું અપમાન ગણાવ્યું હતું.

    શશિ થરૂરે વિદેશ પ્રવાસની ચાર તસવીરો અપલોડ કરીને ટ્વિટર પર લખ્યું, “…અને મેં એવી સેલ્ફી પણ લીધી હતી જેમાં (મારા સિવાય) અન્ય લોકો સામેલ ન હતા.” 

    જોકે, કોંગ્રેસ સાંસદ શશિ થરૂરે અપલોડ કરેલ એકે તસ્વીર યુઝરોમાં ચર્ચાનું કારણ બની હતી. જેમાં તેમણે કોટ પર લગાવેલો તિરંગો અવળો જોવા મળ્યો હતો. જેના કારણે લોકોએ સવાલ ઉઠાવ્યા હતા. જોકે, તે જ તસ્વીરમાં સાંસદ શશિ થરૂરે ખિસ્સાના ભાગે પણ તિરંગાનો બેજ લગાવેલો જોવા મળે છે, જેમાં તિરંગો બરાબર દેખાય છે.

    - Advertisement -

    આ ઉપરાંત, શશિ થરૂરે અન્ય કેટલાંક ટ્વિટ કર્યાં હતાં, જેમાં પણ અમુક તસવીરોમાં તિરંગો ઉંધો લગાવેલો જોવા મળ્યો હતો. એટલે કે તેમાં લીલો રંગ ઉપર અને કેસરી રંગ નીચે હતો. શશિ થરૂરની આ તસવીરોને લઈને યુઝરો સવાલો ઉઠાવી રહ્યા છે.

    વળી કેટલાક યુઝરોએ દાવો કર્યો હતો કે શશિ થરૂરે સેલ્ફી લીધી હોવાના કારણે મિરર ઇફેક્ટના લીધે ધ્વજ ઉંધો જોવા મળે છે. જોકે, નેટિઝન્સની આ ચર્ચા દરમિયાન યુઝરોએ સ્પષ્ટતા કરી હતી કે મિરર ઇમેજના કારણે ડાબી-જમણી બાજુઓ બદલાય છે પરંતુ ઉપર-નીચેની બાજુઓ બંને સ્થિતિમાં સમાન રહે છે. તેમજ એક જ તસ્વીરમાં શશિ થરૂરે બે ધ્વજ લગાવેલા જોવા મળે છે, જેમાંથી એક સીધો છે જ્યારે બીજો અવળો.

    એક યુઝરે રાષ્ટ્રધ્વજના અપમાન બદલ શશિ થરૂરની ટીકા કરતા કહ્યું હતું કે, વરિષ્ઠ નેતાઓ પણ રાષ્ટ્રધ્વજને ઉંધો લગાવીને ફરે છે એ બહુ શરમજનક છે. એક યુઝરે કહ્યું કે, આ જ તેમનું સાચું ચારિત્ર્ય છે. તેમણે શશિ થરૂરના સાંસદ અને પૂર્વ રાજદૂત હોવા અંગે પણ ટિપ્પણી કરી હતી.

    એક યુઝરે ટિપ્પણી કરી કે દેશના સાંસદ જેવા વ્યક્તિને આ ધ્યાનમાં ન આવે એ વાત વિચિત્ર છે. રાષ્ટ્રધ્વજ આખા દેશનું સન્માન છે અને રાજનેતાએ તો આવી ભૂલો ન થાય તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. અજય ચતુર્વેદી નામના યુઝરે તેમની પાસે માફીની માંગ કરી હતી.

    એક યુઝરે શશિ થરૂરને લઈને કહ્યું કે તેઓ પોતાને શિક્ષિત કહે છે પરંતુ તેમને એ પણ નથી ખબર કે રાષ્ટ્રધ્વજ કઈ રીતે લગાવવો જોઈએ. @hubby8420 હેન્ડલ ધરાવનાર યુઝરે શશિ થરૂર પણ આમ જાણીજોઈને કરવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું કે, કોંગ્રેસ વર્ષોથી આવું જ કરતી આવી છે અને દેશ કરતા પરિવારને વધુ મહત્વ આપવામાં આવ્યું છે. 

    એક યુઝરે શશિ થરૂરની ભૂતકાળની આ પ્રકારની તસવીરો શૅર કરી હતી અને કહ્યું કે તેઓ 2019થી રાષ્ટ્રધ્વજ ખોટી સ્થિતિમાં હોય તેવી તસ્વીરો શૅર કરતા આવ્યા છે. તેમણે શશિ થરૂર પર આમ જાણી જોઈને કરવા અંગે પણ સવાલો ઉઠાવ્યા હતા અને સંયુક્ત રાષ્ટ્રમાં તેમણે ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું તે અંગે પણ ટિપ્પણી કરી હતી.

    વળી અમુક યુઝરે તો રાષ્ટ્રધ્વજનું અપમાન કરવા બદલ શશિ થરૂર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહીની પણ માંગ કરી હતી. જોકે, આ મામલે શશિ થરૂરે હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આપી નથી.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં