Friday, March 29, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટRSS મુખ્યાલય જૈશ એ મહોમ્મદના નિશાના પર; રેકી કરવાવાળા આતંકવાદીને નાગપુર ATS...

    RSS મુખ્યાલય જૈશ એ મહોમ્મદના નિશાના પર; રેકી કરવાવાળા આતંકવાદીને નાગપુર ATS એ કશ્મીરથી ઝડપ્યો

    નાગપુરમાં આવેલા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના હેડકવાર્ટરની રેકી કરનાર કાશ્મીરી આતંકવાદીને સુરક્ષાકર્મીઓએ કાશ્મીરથી જ ઝડપી પાડ્યો છે.

    - Advertisement -

    RSS મુખ્યાલય જૈશ એ મહોમ્મદના નિશાન પર હોવાની સંભાવનાઓ જણાઈ રહી છે, નાગપુર સ્થિત RSS મુખ્યાલય જઈને રેકી કરવા વાળા આતંકવાદીને નાગપુરની એટીએસ ટીમે જમ્મુ કાશ્મીરથી ઝડપી લીધો છે. આરોપીની ઓળખ રઈસ અબ્દુલ્લા શેખ તરીકે થઈ છે. તપાસમાં એ પણ ખુલાસો થયો છે કે રઈસ આતંકવાદી સંગઠન જૈશ એ મહોમ્મદ માટે કામ કરે છે.

    નાગપુર એટીએસના અધિકારીએ જણાવ્યું હતું કે આતંકવાદી રઈસ અહેમદ શેખ અસદુલ્લા શેખને જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લાના અવંતીપોરામાંથી ઝડપી લેવામાં આવ્યો હતો. પ્રોડક્શન વોરંટ પર તેને કસ્ટડીમાં લઈને જમ્મુ-કાશ્મીરથી નાગપુર લાવવામાં આવ્યો છે. છેલ્લા બે દિવસમાં તેની સઘન પૂછપરછ કરવામાં આવી હતી. શેખે પૂછપરછ દરમિયાન જણાવ્યું કે તેનો હેન્ડલર પાકિસ્તાનના નવાબપુરમાં રહેતો જૈશનો ઓપરેશનલ કમાન્ડર ઉમર છે. ઉમર આતંકીઓના લોન્ચ પેડ પર હાજર છે. તેમના કહેવા પર, રઈસે નાગપુરમાં આરએસએસ કાર્યાલયની રેકી કરી. આ મામલાની માહિતી મળ્યા બાદ નાગપુર પોલીસે સંઘ મુખ્યાલયની સુરક્ષા વધુ સઘન બનાવી દીધી છે. હેડગેવાર મેમોરિયલ બિલ્ડિંગ વિસ્તારમાં ડ્રોન ઉડાડવા ઉપર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

    આતંકવાદીએ રેકી કર્યાનું સ્વીકાર્યું

    - Advertisement -

    ઘટના બાદ સીસીટીવી ફૂટેજની મદદથી તપાસ શરૂ કરવામાં આવી હતી અને રઈસ અહેમદ શેખની શોધખોળ ચાલુ હતી. આખરે જમ્મુ-કાશ્મીરમાંથી તેની ધરપકડ કરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ , રઈસે કબૂલ્યું હતું કે તેણે પાકિસ્તાનમાં જૈશના ઓપરેશનલ કમાન્ડર ઉમરનાં કહેવા પર આરએસએસ હેડક્વાર્ટરમાં રેકી કરી હતી. તે 13 જુલાઈ 2021ના ​​રોજ ફ્લાઇટમાં નાગપુર આવ્યો હતો અને સીતાબુલડી વિસ્તારની એક હોટલમાં ચેક ઇન કર્યું હતું. હેન્ડલરે શેખને ખાતરી આપી હતી કે એક સ્થાનિક વ્યક્તિ તેનો સંપર્ક કરશે અને નાગપુરમાં રેકી ઓપરેશનમાં તેની મદદ કરશે. જો કે, નાગપુરમાં કોઈએ તેનો સંપર્ક ન કરતા તેણે એકલાએ આ રેકી ઓપરેશન કર્યું હતું.

    હેન્ડલર પાસેથી લોકેશન મેળવ્યા બાદ તેણે 14 જુલાઈના રોજ એક રિક્ષા ભાડે કરીને ગૂગલ મેપની મદદથી રેશમબાગ વિસ્તારમાં પહોંચ્યો હતો. તેનું લક્ષ્ય સ્મૃતિ ભવનની રેકી કરવાનું હતું. બપોરે રેશમબાગ મેદાનમાં ગયા બાદ શેખે પોતાના મોબાઈલ ફોનનો કેમેરો ઓન કર્યો અને જાણે તે ફોન પર કોઈની સાથે વાત કરી રહ્યો હોય તેમ રાખીને વિડીયો ઉતારવાનું ચાલું કર્યું હતું. અધિકારીઓના જણાવ્યાં મુજબ વીડિયો બનાવતી વખતે શેખ રેશમબાગ મેદાનમાં ચાલી રહ્યો હતો.

    ત્યારપછી શેખે આ વીડિયો વોટ્સએપ દ્વારા તેના હેન્ડલરને મોકલ્યો હતો, પરંતુ વીડિયો સરખી રીતે રેકોર્ડ ન થયો હોવાથી હેન્ડલરે તેને ફરીથી વીડિયો રેકોર્ડ કરવાનું કહ્યું હતું. પણ રઈસ શેખ સુરક્ષા વ્યવસ્થા જોઈને ગભરાઈ ગયો હતો અને વીડિયો શૂટ કરવાની નાં પાડી દીધી, આ પછી તેણે પોતાનો મોબાઈલ ફોન પણ સ્વીચ ઓફ કરી દીધો હતો.

    ત્યારબાદ તેણે ઓટો-રિક્ષા ચાલકને બોલાવીને મસ્જિદમાં લઈ જવા કહ્યું. ઓટો ડ્રાઈવરે તેને સંતરા માર્કેટના ગેટ પાસે એક મસ્જિદમાં ઉતારી મુક્યો, જ્યાં તે આખો દિવસ રોકાયો અને સાંજે હોટેલ પરત ફર્યો હતો. આગળ અધિકારીએ જણાવ્યું કે, 15 જુલાઈના રોજ શેખ વિમાન દ્વારા શ્રીનગર પરત થયો હતો. જાન્યુઆરીમાં કાશ્મીર પોલીસે તેની ધરપકડ કરી હતી. પૂછપરછ દરમિયાન તેણે નાગપુરમાં રેકી કરી હોવાની કબૂલાત કરી હતી. ત્યારબાદ, તેની સામે ગેરકાનૂની પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ (UAPA) ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. આ વર્ષની શરૂઆતમાં, મહારાષ્ટ્રના તત્કાલિન પોલીસ મહાનિર્દેશક સંજય પાંડેએ કેસની તપાસ રાજ્ય ATSને ટ્રાન્સફર કરી હતી.

    2020માં પણ હુમલો થવાના ઈનપુટ મળ્યા હતા

    આ પહેલા ઓક્ટોબર 2020માં RSSના નેતાઓ પર હુમલાનું ષડયંત્ર રચાયું હોવાની વાત સામે આવી હતી. તે સમયે એવું કહેવામાં આવ્યું હતું કે આતંકવાદીઓ હુમલો કરવા માટે IED (ઇમ્પ્રુવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસ) અથવા વિસ્ફોટકોથી ભરેલા વાહન (VIED) નો ઉપયોગ કરી શકે છે. તે દરમિયાન ઈન્ટેલિજન્સ બ્યુરો (IB) દિલ્હી અનુસાર મહારાષ્ટ્ર, પંજાબ અને રાજસ્થાન અને પૂર્વોત્તર રાજ્યોના નેતાઓને નિશાન બનાવવામાં આવ્યા હતા.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં