Friday, April 19, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટહિન્દી લોકોને શુદ્ર બનાવે છે, યુપી-બિહાર જેવા પછાત રાજ્યોની ભાષા છે':...

    હિન્દી લોકોને શુદ્ર બનાવે છે, યુપી-બિહાર જેવા પછાત રાજ્યોની ભાષા છે’: ડીએમકે સાંસદનું વિવાદાસ્પદ નિવેદન, કહ્યું- હિન્દી આપણા માટે સારું નથી

    દક્ષિણ ભારતના ઘણાબધા નેતાઓ અને અભિનેતાઓનો હિન્દી દ્વેષ કાયમ ખુલીને બહાર આવતો હોય છે. આ વખતે ડીએમકેના સંસદસભ્યે પોતાનો હિન્દી દ્વેષ જાહેર કરતાં આ ભાષા બોલનારા શુદ્ર હોવાનું કહ્યું છે.

    - Advertisement -

    હિન્દી લોકોને શુદ્ર બનાવે છે, આ નિવેદન બાદ ફરી એક નવા વિવાદે જન્મ લીધો છે, વાત એમ છે કે તમિલનાડુના શાસક પક્ષ ડીએમકે (દ્રવિડ મુનેત્ર કઝગમ)ના સાંસદ ટીકેએસ એલાંગોવને હિન્દી લોકોને શુદ્ર બનાવે છે તેવું વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. છેલ્લા કેટલાક દિવસોમાં દક્ષિણ ભારતના ઘણા રાજકારણીઓ અને ફિલ્મ હસ્તીઓએ હિન્દી ભાષાને લઈને વિવાદાસ્પદ નિવેદનો આપ્યા છે. તેવામાં એલાંગોવનના આ નિવેદન ભાષા પર રાજકારણ ગરમાયું છે.

    પોતાના નિવેદનમાં એલાંગોવને લોકોને સંબોધીને કહ્યું હતું કે જો તેઓ હિન્દી ભાષાનો ઉપયોગ કરશે તો તેઓ ‘શુદ્ર’ બની જશે. તેમણે હિન્દીને ‘પછાત રાજ્યોની ભાષા’ ગણાવી હતી. તેમણે કહ્યું કે હિન્દી સ્વીકારવાથી લોકો ‘શુદ્ર’ બની જશે અને તે કોઈનું પણ ભલું નહીં થાય.

    વધુમાં ટીકેએસ એલાન્ગોવને કહ્યું હતું કે , “હિન્દી એ માત્ર પછાત રાજ્યોની ભાષા છે, જેમ કે બિહાર, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ અને રાજસ્થાન. પશ્ચિમ બંગાળ, ઓડિશા, તેલંગાણા, તમિલનાડુ, કેરળ, મહારાષ્ટ્ર, ગુજરાત અને પંજાબ જુઓ. શું આ બધા વિકસિત રાજ્યો નથી? હિન્દી આ રાજ્યોના લોકોની માતૃભાષા નથી. આપણે હિન્દીમાંથી શુદ્ર બની જઈશું. તે આપણા માટે સારું નહીં હોય.” નોંધનીય છે કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અંગ્રેજીની જગ્યાએ હિન્દીને સ્વીકાર્ય ભાષા બનાવવાની હિમાયત કરી હતી.

    - Advertisement -

    આ પહેલા તમિલનાડુના શિક્ષણ મંત્રીએ કહ્યું હતું કે હિન્દી કરતાં અંગ્રેજી વધુ મૂલ્યવાન છે. તેમણે કહ્યું હતું કે અંગ્રેજી આંતરરાષ્ટ્રીય ભાષા છે, જ્યારે હિન્દી બોલનારા પાણીપુરી વેચે છે. ડીએમકે સાંસદના આ નિવેદનનો ભાજપે વિરોધ કર્યો છે. પાર્ટીના નેતા નારાયણન તિરુપતિએ કહ્યું કે ડીએમકે રાજ્યમાં સંપૂર્ણપણે નિષ્ફળ ગઈ છે, તેથી જ તેઓ મુદ્દાઓને વાળવાનો પ્રયાસ કરી રહ્યા છે. 67 વર્ષીય ટીકેએસ એલાન્ગોવન 2009માં ચેન્નાઈ નોર્થથી લોકસભા સાંસદ તરીકે ચૂંટાયા હતા અને હાલમાં રાજ્યસભાના સાંસદ છે.

    તેઓ ડીએમકેના સંગઠન સચિવ પણ છે. તેમના દિવંગત પિતા ટીકે શ્રીનિવાસન પણ રાજ્યસભાના સાંસદ હતા. આ પહેલા સ્વાસ્થ્ય મંત્રી મા સુબ્રમણ્યમે તમિલનાડુમાં કોરોના વાયરસના કેસોની સંખ્યામાં વધારો થવા માટે ઉત્તર ભારતના હિન્દી ભાષી વિદ્યાર્થીઓને જવાબદાર ઠેરવ્યા હતા. આ પહેલા કન્નડ એક્ટર સુદીપ અને બોલિવૂડ એક્ટર અજય દેવગન વચ્ચે હિન્દી ભાષાને લઈને ટ્વિટર પર ચર્ચા થઈ હતી. દક્ષિણ ભારતના ઘણા નેતાઓ હિન્દી વિરોધી વાતો કરતા રહે છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં